You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કેવી રીતે થઈ શકે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
દાયકાઓ પછી ભારતની અર્થવ્યવસ્થામાં મંદી છે. પરંતુ ભારત સરકાર આને સ્વીકાર કરવા માટે તૈયાર નથી. જોકે, હવે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)એ આ અંગે જાહેરાત કરી છે.
બુધવારે IMFએ કહ્યું હતું કે વર્ષ 2020માં ભારતીય અર્થતંત્રમાં 4.5 ટકાના નકારાત્મક વૃદ્ધિ નોંધાશે. આઈએમએફના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે વૉશિંગ્ટનમાં વિશ્વ આર્થિક આઉટલુક અપડેટ જાહેર કરતાં આ વાત કહી હતી.
આ પહેલાં એપ્રિલની અપડેટમાં આઈએમએફે ભારતીય અર્થતંત્રનો વિકાસદર શૂન્ય ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો.
ગીતા ગોપીનાથ પ્રમાણે ભારતીય અર્થતંત્રની આ દશાનું એક કારણ કોરોના વાઇરસને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનનો લાંબો સમયગાળો છે અને બીજું કારણ છે કે મહામારી જેની અર્થતંત્ર પર ખરાબ અસર થશે.
આઈએમએફે આખા વિશ્વના અન્ય મોટાં અર્થતંત્રો માટે પણ આવા ખરાબ સમાચાર આપ્યા હતા.
આઈએમએફ પ્રમાણે વૈશ્વિક અર્થતંત્ર -4.9 ટકાના દરથી વધશે. ચીનના અર્થતંત્રમાં માત્રે એક ટકાની વૃદ્ધિ જોવા મળશે.
પરંતુ આઈએમએફના તાજેતરના રિપોર્ટ પ્રમાણે 2021 ભારત માટે સારું વર્ષ રહેશે. ત્યારે ભારતનો વિકાસ દર છ ટકા રહેશે. ચીનનું અર્થતંત્ર 8.2 ટકાના દરથી આગળ વધશે.
સરકાર શું પગલાં લેશે?
અંગ્રેજીમાં કહેવત છે કે: Desperate Times Call for Desperate Measures (કપરો સમય મુશ્કેલ નિર્ણયો લેવાની એંધાણી છે.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં 25 જૂને સતત 19માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. આ સરકારી ખજાનામાં બહુ જલદી પૈસા ભરવાનો સૌથી સહેલો અને સીધો રસ્તો છે.
અર્થશાસ્ત્રીઓ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાનું કારણ છે સરકારની ઓછી થતી કમાણીને ઘટતી રોકવી, જેથી રાજકોષીય ખાદ્ય ઓછી થઈ શકે.
આ તો માત્ર શરૂઆત છે.
વિશેષજ્ઞો કહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં રહેશે અને સરકાર આવનારાં બે-ત્રણ વર્ષમાં સતત કરવેરો અને જીએસટી પણ વધારશે. દેશના મધ્યવર્ગીય પરિવારો અને રોજમદારોમાં આની ખૂબ ટીકા થઈ શકે છે.
નાણાકીય વર્ષ 2021 માટે ભારતના રાજકોષીય ખાદ્ય (સરકારી ખર્ચ કરતાં તેની આવક ઓછી હોય) 3.8 ટકા હોવાનો અંદાજ છે, જે પાંચ ટકા સુધી પહોંચી શકે છે કારણકે આવનારા ત્રૈમાસિક ગાળામાં સરકારી ખર્ચ વધવા અને આવક ઘટવાની પૂરી શક્યતા છે.
ભારતનું અર્થતંત્ર મોટા સંકટ તરફ જઈ રહ્યું છે?
સ્વિટ્ઝરલૅન્ડ સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઑફ મૅનેજમૅન્ટ ઑફ ડેવલપમૅન્ટ (આઈએમડી) દર વર્ષે દુનિયામાં ટોચનું અર્થતંત્ર ધરાવતા દેશોનું રૅન્કિંગ જાહેર કરે છે.
આઈએમડીએ મંગળવારે જાહેર કરેલા પોતાના નવા સર્વેમાં ભારતને 43માં સ્થાને મૂક્યું હતું. અમેરિકા અને ચીન દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર છે, પરસ્પર વેપારયુદ્ધને કારણે આ બંને પણ રૅન્કિંગમાં નીચે ખસકી ગયા છે.
આઈએમડીની રૅન્કિંગ રોજગારી, જીવનસ્તર અને સરકારી ખર્ચ સહિત અન્ય અનેક માપદંડો પર આધારિત હોય છે અને આ વર્ષે આમાં 63 દેશોનાં અર્થતંત્ર સામેલ કરવામાં આવ્યા હતા.
અર્થશાસ્ત્રીઓ માટે આ સર્વે રિપોર્ટ ભલે વધારે મહત્ત્વ ન ધરાવતો હોય પરંતુ શું મોદી સરકાર માટે આ મહત્ત્વપૂર્ણ છે?
કદાચ હા, કારણકે જો એ રિપોર્ટ સકારાત્મક હોય તો સરકાર ઘણી વખત આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટને મહત્ત્વ આપે છે.
તો શું સરકારને ખુશ થવું જોઈએ કે તેની રૅન્કિંગમાં ફેરફાર નથી થયો, તેનો અર્થ એ કે તેનું અર્થતંત્ર બરાબર ચાલી રહ્યું છે? કે પછી દુખદ છે કે આ રૅન્કિંગ ગત વર્ષ કરતાં આગળ ન આવ્યું?
પરંતુ સરકારને કદાચ અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓના હાલના રિપોર્ટને લઈને વધારે ચિંતા થઈ શકે છે.
જેમકે, વિશ્વ બૅન્કનો આઠ જૂનનો એક રિપોર્ટ, આમાં ચાલુ નાણાકીય વર્ષમાં પ્રતિવ્યક્તિ આવકમાં 3.6 ટકાનો ઘટાડો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
આ રિપોર્ટ પ્રમાણે, "આ વર્ષે લાખો લોકો અત્યાધિક ગરીબીનો ભોગ બની શકે છે."
વિશ્વ બૅન્કના ઉપાધ્યક્ષ સેલા પેઝરબાશિયાલુ પ્રમાણે, "આ ચિંતાની વાત છે કારણકે આ સંકટ (કોરોના મહામારી)ની અસર લાંબા સમય સુધી રહેશે અને વૈશ્વિક સ્તરે પડકારોનો સામનો કરવો પડશે."
આ રીતે જ ગત મહિનામાં રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડ્યું હતું.
તેનો તર્ક હતો કે ભારતનો વિકાસ દર લાંબા ગાળા સુધી ઓછો રહેશે, સરકારની રાજકોષીય પરિસ્થિતિ બગડશે અને નાણાકીય ક્ષેત્રમાં અનિશ્ચિતતાનો માહોલ રહેશે.
એપ્રિલમાં ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે એક પ્રેસ કૉન્ફરન્સમાં અર્થતંત્રનો એક ગંભીર દૃષ્ટિકોણ રજૂ કર્યો અને સ્વીકાર કર્યું હતું કે 2020-21 માટે જીડીપીનો વૃદ્ધિદર નકારાત્મક રહેવાની આશા છે.
આગળ વધારે ઝટકા લાગી શકે છે. ભારતના આર્થિક વિકાસના દર માટે રેટિંગ એજન્સી ઇક્રાનું પ્રૉજેક્શન હાલ નાણાકીય વર્ષના પ્રથમ ત્રૈમાસિકમાં -16 ટકા અને -20 ટકા વચ્ચે છે.
આત્મનિર્ભરતું લક્ષ્ય કેટલું યોગ્ય?
ભારતની સરકારનો તર્ક છે કે વિશ્વ બૅન્ક અને રેટિંગ એજન્સીઓ પરિસ્થિતિને વધારીને રજૂ કરે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આશ્વાસન આપ્યું છે કે અર્થતંત્રના મૂળિયા મજબૂત છે અને એટલા માટે ભારત કોઈ મોટા નુકસાન વિના કોરોના મહામારીને કારણે પેદા થયેલા આર્થિક સંકટમાંથી બહાર નીકળી જશે.
આને પ્રાપ્ત કરવા માટે વડા પ્રધાન મોદી છેલ્લા મહિનામાં પોતાના ભાષણમાં સતત આત્મનિર્ભર ભારત પર ભાર મૂકે છે.
એ કહેવું મુશ્કેલ છે કે આ રાજકીય નિવેદન છે કે વાસ્તવિક નીતિગત ફેરફાર. પરંતુ અત્યાર સુધી જે સંકેત મળ્યા છે એ તો પૉલિસીમાં પરિવર્તન જ લાગે છે.
અર્થશાસ્ત્રીઓ અને વિદેશી નિવેશકોની આના પર અત્યાર સુધી નકારાત્મક અથવા નિરાશાત્મક ટિપ્પણી આવી છે.
"બેડ મની" સહિત અનેક પુસ્તકોના લેખક અને અર્થશાસ્ત્રી વિવેક કૌલ આને ચિંતાજનક માને છે.
તેઓ કહે છે, જે રીતે આત્મનિર્ભરતા લાગુ કરવાની વાત થાય છે એ નક્કી છે કે આયાત થતી વસ્તુઓ પર ટૅરિફ વધારવામાં આવશે, આનો અર્થ છે ભારતીય ગ્રાહકોને ભારતના જ ઉત્પાદનો ખરીદવા મજબૂર કરવામાં આવશે.
"બીજી તરફ કહેવામાં આવે છે કે ભારતીય કંપનીઓની નિકાસ વધશે અને તેમને સપ્લાય ચેઇનનો ભાગ બનવું પડશે. પરંતુ પ્રતિસ્પર્ધાના અભાવમાં તમે વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ કેવી રીતે બની શકો છો? અને જો તમે ભારતીય માર્કેટમાં પ્રતિસ્પર્ધી નથી તો વૈશ્વિક માર્કેટમાં કૉમ્પિટિટિવ કેવી રીતે બનશો?"
જિનેવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિઓપૉલિટિકલ સ્ટડીઝ (જીઆઈજીએસ)ના નિદેશક પ્રોફેસર ઍલેગ્ઝેન્ડર લૅમ્બર્ટ કહે છે કે જો ભારત આત્મનિર્ભર થવા માગે છે તો તેણે પોતાના ઔદ્યોગિક આધારને મજબૂત કરવા માટે એક વિશાળ અને આધુનિક આધારભૂત માખળું તૈયાર કરવું પડશે.
તેઓ કહે છે," તમારે જો આત્મનિર્ભર થવું હોય તો ઔદ્યોગિક આધાર જબરદસ્ત હોવો જોઈએ. તમારી ઘરેલું ખપત ઉચિત હોવી જોઈએ. તે સિવાય નિકાસ માટે તમારી અતિરિક્ત મૂલ્યવાળી વસ્તુઓ મજબૂત હોવી જોઈએ, તો આત્મનિર્ભરતા મળી શકે. "
પરંતુ વિવેક કૌલને ડર છે કે જો આત્મનિર્ભરતાનો અર્થ સંરક્ષણવાદ છે તો ભારતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
તેઓ કહે છે, "યાદ કરો 1991 પહેલાનું ભારત, જ્યારે આપણું અર્થતંત્ર આત્મનિર્ભરતા પર આધારિત હતું અને જ્યારે ભારતમાં સામાન બનતો તો કેટલી મુશ્કેલી થતી હતી. માત્ર જ્યારે અર્થતંત્ર ખોલવામાં આવ્યું ત્યારે આપણએ ઝડપથી વિકાસ કર્યો. આપણે એ સમય યાદ રાખવો જોઈએ."
તો કેવી રીતે ભારત બનશે આત્મનિર્ભર?
પરંતુ ભારતના અર્થતંત્ર પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર પ્રિયરંજન દાસ માને છે કે જો આને ગંભીરતાથી કોઈ રાજકીય બયાનબાજી વગર લાગુ કરવામાં આવે તો ભારત આત્મનિર્ભર બની શકે છે.
તેઓ કહે છે, "ભારત જનસાંખ્યિક લાભાંશ અને ઉદ્યમશીલતાની શક્તિના આધારે આત્મનિર્ભર બની શકે છે. આત્મનિર્ભર બનવા માટે એક મજબૂત આર્થિક રણનીતિ હોવી જોઈએ, રાજકીય નિવેદન આપવાનો કોઈ વિકલ્પ નથી. અત્યાર સુધી જે નીતિ સામે આવી એ વિકાસની ગૅરંટી નથી આપતી."
તેઓ આગળ કહે છે, " ઘરેલું બજારનો વિસ્તાર, નાના ઉપભોક્તાઓ વચ્ચે ડિમાન્ડમાં વધારો અને રોકાણની માગ એક કારગત વિકાસ રણનીતિ માટે મહત્ત્વપૂર્ણ છે ."
પરંતુ તેઓ મોદીના નેતૃત્વ પર ભરોસો નથી કરતા. તેઓ કહે છે, "મોદી સરકાર પર ભરોસો નથી કે તે આ કામ પાર પાડી શકે છે."
મોદી સરકારની આત્મનિર્ભરતાની વાત જે તથ્ય પર આધારિત છે એ છે કે ભારત એક સમયે ઘઉં ને ચોખા પણ આયાત કરતું હતું. પરંતુ દેશના અનાજ ભંડાર હવે ભરેલા છે. જેનેરિક દવાઓમાં પણ આવી જ પરિસ્થિતિ છે.
આર્થિક અક્ષમતા
પરંતુ માર્કેટ ગુરુ અજિત દયાળ હાલ જ અંગ્રેજી અખબાર ઇકૉનૉમિક ટાઇમ્સને કહ્યું હતું કે મોદી સરકારમાં આર્થિક ક્ષમતાની કમી છે.
તેઓ લખે છે," અફસોસની વાત છે કે મોદી સરકારે આર્થિક મુદ્દાઓમાં પોતાની અનુભવહીનતા અને અક્ષમતા સાબિત કરી દીધી છે. ચૂંટણી જીતવા અને રાજ્ય સરકારોને પાડવામાં તેની મહારત સારી રીતે સ્થાપિત થઈ છે. આનાથી તેને સામાજિક શક્તિ મળી શકે અને તેની ધાર્મિક વિચારધારા હાવી થઈ શકે છે પણ તે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનાં પેટ નથી ભરી શકતી."
નિષ્ણાતો દાખલા સાથે માને છે કે ચાર કલાકની નોટિસ આપીને 24 માર્ચે મધ્યરાત્રિથી લૉકડાઉનનો નિર્ણય ઠીક 2016માં અચાનક નોટબંધી લાગુ કરી એવી રીતે બેદરકારીપૂર્વક કરવામાં આવ્યો હતો.
ભારતમાં રોકાણ કરનાર કંપનીઓની નજરમાં આવ્યું હશે કે લૉકડાઉન દરમિયાન લાખો અસહાય મજૂરો સડકો પર નીકળી પડ્યાં અને કેટલાય કિલોમિટર સુધી પગપાળા ચાલીને પાતાના ઘરે પહોંચ્યાં.
દયાળ કહે છે કે માત્ર પાંચ ટકા કંપનીઓ પાસે છ મહિના સુધી પગાર આપી શકાય એટલા પૈસા છે. આવનારા ત્રૈમાસિકમાં લાખો મજૂરો બેરોજગારીનો ભોગ બનશે અને જે લોકોને કારમી ગરીબીમાંથી ઉગારવામાં આવ્યા હતા, તે પાછા એવી જ ગરીબીમાં જતા રહ્યા હશે.
આર્થિક નિષ્ણાતો કહે છે કે દેશ મંદી તરફ જઈ રહ્યો છે. સત્ય તો એ છે કે કોરોના મહામારી આવી તે પહેલાંથી જ ભારતના છેલ્લા ત્રણ દાયકાથી સફળ એવા અર્થતંત્રની ગતિ ધીમી પડી ગઈ હતી.
નિષ્ણાતો આની પાછળ મુખ્ય કારણ વડા પ્રધાનની 2016ની નોટબંધીની અચાનક જાહેરાત અને જીએસટીનો ઉતાવળિયો નિર્ણય માનવામાં આવે છે.
કરોડો લોકો ગરીબીમાં ધકેલાયા
કોરોના મહામારીએ વડા પ્રધાન મોદીના ભારતને 2024-25 સુધી પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્ર બનાવવાના સ્વપ્નના રસ્તામાં મુશ્કેલીઓ ઊભી કરી છે.
2016 પછી જ્યારે પરિસ્થિતિ બગડવા લાગી ત્યાર પહેલાં સુધી ભારતમાં કરોડો લોકોને કારમી ગરીબીમાંથી રેકર્ડ સ્તરે ઉગારવામાં આવ્યા હતા.
વર્ષ 2005 અને 2006 વચ્ચે લગભગ 27 કરોડ લોકોને ગરીબીમાંથી ઉગારવામાં આવ્યા હતા. વિશ્વ બૅન્કના હાલના રિપોર્ટ પ્રમાણે, "2011 અને 2015 વચ્ચે, નવ કરોડથી વધારે લોકો અત્યધિક ગરીબીથી બચી ગયા અને મજબૂત આર્થિક વિકાસને કારણે તેમનું જીવનસ્તર પણ ઊચું આવ્યું હતું."
આમાં કોઈ શંકા નથી કે આ સારો રેકર્ડ એક અર્ધસત્ય હતો. આ રિપોર્ટ પ્રમાણે 36 કરોડથી વધારે ભારતીય લોકો હજી ગરીબીનું જીવન જીવે છે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે એપ્રિલમાં કદાચ બરાબર કહ્યું હતું કે માનવતા આ સમયે મોટા સંકટમાં પસાર થઈ રહી છે. પરંતુ અર્થશાસ્ત્રીઓ વચ્ચે એક ભાવના એ છે કે તેમણે જે પગલાં લીધા અને વડા પ્રધાને જે આર્થિક જાહેરાતો છેલ્લા મહિને કરી એ નિરાશાજનક હતી.
20 લાખ કરોડ રૂપિયાના પૅકેજથી મોટા ભાગે સપ્લાય સાઇડને મજબૂત કરી શકાય. કદાચ સરકાર માનતી હશે કે હવે અર્થતંત્ર ખુલી રહ્યું છે, લોકો અને કંપનીઓને ધિરાણની જરૂર હશે એટલે સરકારે આ પૅકેજ હેઠળ બૅન્કિંગ અને ધિરાણ આપતી સંસ્થાઓમાં રોકડ વધારી.
પરંતુ આ આર્થિક પૅકેજે સીધું ગ્રાહકોના હાથમાં રોકડ પૈસા ન પહોંચાડ્યાં.
વડા પ્રધાનના પૅકેજની જાહેરાતને પાંચ અઠવાડિયા વીતી ગયા છે પરંતુ ડિમાન્ડમાં કોઈ વધારો નથી અને ડિમાન્ડ વગર અર્થતંત્ર સુધરશે નહીં.
મોદી સરકારની કંજૂસી
કેટલાક અર્થશાસ્તીઓનું માનવું છે કે સંકટ સામે આર્થિક રૂપે મોદી સરકારે રૂઢિચુસ્ત વલણ અપનાવ્યું છે. તેમનું માનવું છે કે એક અભૂતપૂર્વ સંકટના સમયે અભૂતપૂર્વ ઉપાયોની જરૂર હતી.
લોકોના હાથમાં રોકડ આપવાની જગ્યાએ વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ પર વધારે નજર રાખી.
સરકારે પોતાનું ગજું હતું તેના કરતા વધારે પૈસા ખર્ચ કર્યા તો રેટિંગ એજન્સીઓએ આવા અર્થતંત્રનું રેટિંગ ઘટાડ્યું જેને કારણે આવા દેશોને વર્લ્ડ બૅન્ક અને આઈએમએફ જેવી સંસ્થાઓ પાસેથી મોંઘા વ્યાજ દર પર ધિરાણ મળે છે.
અજિત દયાળ કહે છે કે સરકારે જીડીપીના ચાર ટકા (નવ લાખ કરોડ રૂપિયા) ખર્ચ કરવાની જરૂર છે, જે છ મહિના માટે દસ હજાર રૂપિયા પ્રતિ મહિના સૌથી વધારે જરૂરિયાત ધરાવતા લોકોને આપવા જોઈએ.
તેમણે કહ્યું કે આમાં 15 કરોડ લોકો સામેલ થશે, તેનાથી ડિમાન્ડ વધશે અને અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં મદદ મળશે.
વર્ષ 2024-25 સુધી પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર કેવી રીતે શક્ય?
આર્થિક બાબતોના નિષ્ણાતો સહમત છે કે" ભારતમાં ગરીબોને ગરીબીરેખાથી બહાર કાઢવા માટે અને વધારે સમૃદ્ધ સમાજ વિકસાવવા માટે અર્થતંત્રને સાતથી આઠ ટકાના દરથી વિકસિત કરવું પડશે."
પરંતુ આ સ્થિતિ નાણાકીય વર્ષ 2024-25 સુધી પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનું સપનું સત્ય કરવા માટે પર્યાપ્ત નથી.
અર્થશાસ્ત્રી રઘુવીર મુખરજી કહે છે, "આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે અર્થતંત્રને 12-13 ટકાના હિસાબથી આવતા વર્ષ સુધી ટકાવવું પડશે."
પરંતુ વરિષ્ઠ પત્રકાર પ્રિયરંજન દાસને આશા છે કે આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
તેઓ કહે છે, "શું આ અસંભવ છે? શું ભારતમાં 2025 સુધી પાંચ ટ્રિલિયલ ડૉલરનું અર્થતંત્ર બનવાની ક્ષમતા છે? નિશ્ચિતપણે ભારત સક્ષમ છે. છતાં હાલ વૈશ્વિક મહામારીને કારણે હાલ આ પાછળ રહી ગયું છે."
પરંતુ તેમણે કહ્યું કે આ લક્ષ્ય ત્યારે મેળવી શકશે જ્યારે, ભારત પોતાની સમજદારીને પૂર્ણ રીતે વાપરશે એટલે જનસાંખ્યિક લાભાંશ અને ઉદ્યમશીલતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરશે.
વિવેક કૌલને શંકા છે કે આ લક્ષ્ય હવે હાંસલ કરી શકાશે.
તેઓ કહે છે, "મને લાગે છે કે પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકૉનૉમી માત્ર એક દૂરનું સપનું છે. 2024-25 વિશે ભૂલી જાઓ, મને ભરોસો નથી કે 2026-27 સુધી પણ આ લક્ષ્ય હાંસલ કરી શકાશે. એ સિવાય આવનારા દિવસોમાં ડૉલર સામે રૂપિયો નબળો પડશે. આનાથી ડૉલરનું લક્ષ્ય મેળવવું મુશ્કેલ બનશે."
અનુમાન છે કે 2034 સુધી ભારતના મધ્યવર્ગની વસતી એક અબજ થઈ જશે અને 30 કરોડ લોકોને રોજગારની જરૂર હશે.
ભારતના અર્થતંત્રે એક હરણફાળ ભરવાની જરૂર છે. પ્રોફેશનલ સર્વિસીઝની સૌથી મોટી કંપની અર્નેસ્ટ ઍન્ડ યંગના એક રિપોર્ટ પ્રમાણે ભારતને એક મોટાં વિજયની હરણફાળ ભરવી પડશે.
આમાં માનવ અને ભૌતિક મૂડી બંનેમાં રોકાણ કરવાની જરૂર છે. અને આનો આધાર રિસર્ચ, વિકાસ અને નવા શોધકાર્યમાં રોકાણ પર કેન્દ્રિત હશે.
નિષ્ણાતોનું માનવું છે કે "આ એકમાત્ર એવું પરિદૃશ્ય છે જે 2030 સુધી ભારતના ભવિષ્યને સુરક્ષિત રાખશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો