You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : આ ક્ષેત્રોમાં ભારત આપી શકે છે ચીનને આંચકો
- લેેખક, ગુરપ્રીત સૈની
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને ચીનના આર્થિક અને રાજકીય સંબંધો વિશે એક વાત કહેવામાં આવે છે કે 'બહુ નજીક પરંતુ બહુ દૂર'. બંનેના આર્થિક હિત જોડાયેલા છે પરંતુ મતભેદો પણ થતા રહે છે.
સામાનના વેચાણની બાબતમાં ચીન ભારતનું સૌથી મોટું ભાગીદાર છે.
જોકે ચીન ભારતને સામાન વેચે વધારે છે અને ભારત પાસેથી ઓછો સામાન ખરીદે છે એટલે ચીનને ભારત પાસેથી કમાણી વધારે થાય છે.
હાલ સરહદ પર તણાવની પરિસ્થિતિ બની છે તેની અસર આર્થિક સંબંધો પર પણ પડી શકે છે. આ અસર જે સૅક્ટર પર પડશે તેમાં રેલવે અને ટેલિકૉમ ક્ષેત્ર પહેલાં આવે છે.
ગુરુવારે ભારતીય મીડિયામાં સૂત્રોને ટાંકતા સમાચાર આવ્યા કે ભારતે જવાબી કાર્યવાહી કરતા ચીનને વેપારના ક્ષેત્રે ઝાટકો આપવાનું વિચારી લીધું છે.
સમાચારમાં કહેવામાં આવ્યું કે ચીનની એક મોટી એન્જિનિયરિંગ કંપનીના હાથમાંથી ભારતીય રેલવેનો અગત્યનો કૉન્ટ્રેક્ટ સરકી શકે એમ છે. ત્યારે ભારતીય દૂરસંચાર વિભાગે બીએસએનએલને પોતાના 4જી અપગ્રેડેશન માટે ચીનમાં બનેલા ઉપકરણો નહીં વાપરવાનું કહ્યું છે.
રેલવેએ કૉન્ટ્રેક્ટ રદ કર્યો
ત્યાર બાદ ગુરુવારે જ રેલવેએ એક પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું કે ચીનને આપેલો 471 કરોડ રૂપિયાનો મોટો કૉન્ટ્રેક્ટ રદ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કૉન્ટ્રેક્ટ જૂન 2016માં બિજિંગ નેશનલ રેવલે રિસર્ચ ઍન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિગ્નલ ઍન્ડ કમ્યુનિકેશન ગ્રુપ કો.લિમિટેડને આપવામાં આવ્યો છે.
આ કૉન્ટ્રેક્ટ હેઠળ 417 કિલોમિટર લાંબા કાનપુર-દીનદયાળ ઉપાધ્યાય ( ડીડીયુ) સેક્શનમાં સિગ્નલિંગ અને ટેલિકૉમ્યુનિકેશનનું કામ થવાનું હતું.
ભારતીય રેલવેના ડૅડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL)એ એવું કહ્યું છે કૉન્ટ્રેક્ટને રદ કર્યો કારણકે ચીની સંસ્થાએ ગત ચાર વર્ષમાં માત્ર 20 ટકા કામ પૂર્ણ કર્યું છે અને તેના કામમાં ઘણી ખામીઓ છે.
જોકે, એ પછી એક રેલવે અધિકારીએ કહ્યું કે આ કૉન્ટ્રેક્ટ રદ કરવાનો નિર્ણય એપ્રિલમાં જ લેવામાં આવ્યો હતો.
ચીન પાસે ભારતીય રેલવેના ઘણાં કૉન્ટ્રેક્ટ
પરંતુ હાલ ચીનનો એક જ કૉન્ટ્રેક્ટ રદ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે અન્ય કેટલાક કૉન્ટ્રેક્ટ રદ કરવામાં આવે તેવી શક્યતા છે.
જો ભારતીય રેલવેની વાત કરીએ તો અનેક મોટાં કૉન્ટ્રેક્ટ ચીનની કંપનીઓને આપવામાં આવતા રહ્યા છે.
મેટ્રો કોચ અને પાર્ટ્સ ઇન્વેસ્ટ ઇન્ડિયાની સરકારી વેબસાઇટ પ્રમાણે રેલ ટ્રાન્ઝિટ ઇક્વિપમેન્ટ સપ્લાય કરનારી ચીની કંપની સીઆરઆરસીને ભારતમાં મેટ્રો કોચ અને ઉપકરણ સપ્લાય કરવાના સાતથી વધારે ઑર્ડર મળી ચૂક્યા છે.
કોલકાતા, નોઇડા અને નાગપુર મેટ્રો પ્રોજેક્ટ માટે કંપનીને 112,76,69 મેટ્રો કોચ સપ્લાય કરવાનો ઑર્ડર મળ્યો હતો.
આ કંપની સાથે મે 2019માં રેલવે ટ્રૅકના કામમાં ઉપયોગમાં લેવાતા મશીનના 129 ઉપકરણોની ખરીદીનો 487,300 અમેરિકન ડૉલરનો કૉન્ટ્રેક્ટ, 29 પૉઇન્ટ્સ ક્રૉસિંગ ઍન્ડ ટૅમ્પિંગ મશીનની ખરીદી માટે પાંચ કરોડ ડૉલરનો કૉન્ટ્રેક્ટ, ટ્રૅક માટે 19 મલ્ટિ પર્પઝ ટૅમ્પરની ખરીદી માટે એક અબજ ડૉલરનો કૉન્ટ્રેક્ટ થયો હતો.
એપ્રિલ 2019માં રેલવે ટ્રૅક માટે વપરાતી પૉઇન્ટ્સ ક્રૉસિંગ ઍન્ડ ટૅમ્પિંગ મશીનની ખરીદીનો કૉન્ટ્રેક્ટ જેમૅક એન્જિનિયરિંગ મશીનરી કંપનીને આપવામાં આવ્યો હતો. આ કૉન્ટ્રેક્ટ એક કરોડ ડૉલરથી વધારેનો હતો.
રેલવે ટ્રૅકનું સમારકામ અને ટ્રૅકની ગિટ્ટીને સેટ કરવા માટે બ્લાસ્ટ રેગ્યુલેટિંગ મશીનનો લગભગ છ લાખ ડૉલરનો કૉન્ટ્રેક્ટ હૅવી ડ્યૂટી મશીનરી કંપની હુબેઈને આપવામાં આવ્યો હતો.
એ સિવાય યાત્રી ટ્રેનોના ટાયર પણ ચીની કંપનીઓ પાસેથી ખરીદવામાં આવે છે.
2017માં યાત્રી ટ્રેનના લગભગ સાડા 27 હજાર ટાયર ખરીદવા માટે ચીનની તાઇયુઆન હૅવી ઇન્ડસ્ટ્રી રેલવે ટ્રાંઝિટ ઇક્વિપમેન્ટ કો. લિમિ. સાથે લગભગ 96 લાખ ડૉલરનો કૉન્ટ્રેક્ટ થયો હતો.
ટેલિકૉમ સૅક્ટર
ભારતીય ટેલિકૉમ ક્ષેત્રની વાત કરીએ તો ખ્વાવે, ઝેડટીઈ અને ઝેડટીટી જેવી ચીની કંપનીઓ ભારતીય ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીને મોટા પાયે ઉપકરણ સપ્લાય કરે છે.
ભારત મહત્ત્વનું બજાર છે કારણકે ભારતની ટેલિકૉમ ઇન્ડસ્ટ્રી 1.2 અબજ સબસ્ક્રાઇબર સાથેની સાથે દુનિયાની સૌથી મોટી ટેલિકૉમ ઇન્ડસ્ટ્રી છે.
હાલમાં સમાચાર આવ્યા હતા કે ભારત ઝેડટીઈ જેવી ચીની કંપનીઓ પાસેથી ટેલિકૉમ સપ્લાય લેવાનું બંધ કરશે.
ભારતીય મીડિયામાં સૂ્ત્રોને ટાંકતા સમાચાર આવ્યા કે દૂરસંચાર વિભાગ સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલ અને એમટીએનએલ માટે ચીનની કંપનીઓથી ટેલિકૉમ સપ્લાય પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી શકે છે.
ઇકૉનૉમિક ટાઇમ્સ પ્રમાણે વિભાગથી જોડાયેલી એક વ્યક્તિએ કહ્યું કે "બીએસએનએલ અને એમટીએનએલ માટે શરૂ થનાર 4જી એટલે કે ફોર્થ જનરેશન નેટવર્ક માટે ચીની કંપનીઓ પાસેથી ઉપકરણ અને પાર્ટ્સ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."
ભારત-ચીન તણાવની અસર શેન્ઝેન સ્થિત ઝેડટીઈના ભારતમાં વેપાર પર પણ પડી શકે છે. ભારતમાં સરકાર દ્વારા સંચાલિત ટેલિકૉમ ક્ષેત્ર આ ચીની કંપનીનું સૌથી મોટું ગ્રાહક છે અને તે ભારતમાં આના છ સર્કલની દેખરેખ કરે છે.
ઇકૉનૉમિક ટાઇમ્સ પ્રમાણે બીએસએનએલ બોર્ડે 49,300 2જી અને 3જી સાઇટ્સને 4જી ટેકનિકમાં બદલવા માટે ચીની ઝેડટીઈ અને ફિનલૅન્ડની નોકિયાને મંજૂરી આપી છે પરંતુ દૂરસંચાર વિભાગે આને મંજૂરી ન આપી.
ત્યારે બીએસએનએલે માર્ચ મહિનામાં નવું ટેન્ડર બહાર પાડ્યું હતું જેની અંતિમ તારીખ અત્યારે જૂન 24 સુધી લંબાવવામાં આવી છે, જે પહેલા 25 મે હતી. આમાં એમટીએનએલ માટે દિલ્હી અને મુંબઈની સાત હજાર નવી સાઇટને સામેલ કરવામાં આવી છે.
ઇન્ડસ્ટ્રીનું અનુમાન છે કે હાલના સમયમાં ભારતીય દૂરસંચાર માટે ઉપકરણનું વાર્ષિક બજાર લગભગ 12 હજાર કરોડ રૂપિયાનું છે. જેમાં ચીની કંપનીઓની 25 ટકા જેટલી ભાગીદારી છે. બાકીના માર્કેટ સ્વિડનની ઍરિક્સન, ફિનલૅન્ડની નોકિયા અને કોરિયાની સૅમસંગ કંપનીના હાથમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી મોબાઇલ ઑપરેટરોને પણ ખ્વાવે અને ઝેડટીઈ પાસેથી ઉપકરણ લેતા રોકી શકાય છે.
સરહદ પર હાલના તણાવ પછી ચીની સામાનના બહિષ્કારની ચર્ચાએ ભારતમાં જોર પકડ્યું છે.
લોકો આ અભિયાનમાં જોડાઈને ચીનને આર્થિક ઝાટકો આપવા માટે સોશિયલ મીડિયા પર તૈયારી બતાવે છે. આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોટીના 'લોકલથી વોકલ' નારા સાથે આ માગ પણ ઉઠી રહી છે કે હવે દેશમાં બનેલા સામાનને વધારે ઉપયોગમાં લેવામાં આવે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો