પાલઘર હત્યાકાંડ : ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ગેરસમજણમાં થયો પાલઘર હત્યાકાંડ

મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ લોકોના મૉબ લિંચિંગ મામલે પોલીસે ગામના નવ સગીર સહિત 110 આરોપીઓની ધરપકડ કરી છે.

આ મુ્દ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે આ ઘટના ગેરસમજણમાં બની છે અને તેને કોમી રંગ આપવાની કોશિશ ન થવી જોઈએ.

એમણે કહ્યું કે, આને હિંદુ-મુસ્લિમ રંગ આપવાની કોશિશ બંધ થવી જોઈએ.

અગાઉ તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું, 'ઘટનાના દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી, આ એક શરમજનક કૃત્ય છે. આરોપીઓને કડકમાં કડક સજા કરાશે.'

આ પહેલાં ગુરુવારે રાત્રે ગ્રામીણોએ મહારાષ્ટ્રથી સુરત આવી રહેલા બે સાધુ અને એક ડ્રાઇવરની પાલઘર જિલ્લાના એક ગામના લોકોએ ચોર સમજીને હત્યા કરી નાખી હતી.

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના અહેવાલ મુજબ, મુંબઈના કાંદિવલીથી ત્રણ લોકો અંતિમયાત્રામાં સામેલ થવા કાર દ્વારા સુરત જઈ રહ્યા હતા, ત્યારે તેમને ગઢચિંચલે ગામના લોકોએ ચોર સમજીને મારી નાખ્યા હતા.

ગામલોકોના ટોળાએ તેમની ગાડી ઉપર પથ્થરમારો કર્યો હતો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

પાલઘરના કલેક્ટર કે. શિંદેએ એ.એન.આઈને જણાવ્યું હતું કે આરોપીઓએ પોલીસની ટુકડી ઉપર પણ હુમલો કર્યો હતો.

આરોપ-પ્રતિઆરોપ

ગુરુવાર રાતની ઘટનાનો વીડિયો રવિવારે વાઇરલ થયો હતો, જેમાં સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એક પોલીસ કર્મચારીની હાજરી પણ જોઈ શકાય છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર ઘટનામાં 'ઉચ્ચસ્તરીય તપાસ'ની માગ કરી છે. તેમણે કહ્યું:

"પોલીસના કબજામાંથી ભીડે પીડિતોને છોડાવી લીધા અને માર માર્યો, જે શરમજનક બાબત છે. મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઢીલી થઈ ગઈ છે."

જૂના અખાડાના પ્રવક્તા નારાયણ ગિરિના કહેવા પ્રમાણે, 144ની કલામ લાગુ હોવા છતાં આટલી મોટી ભીડ કેવી રીતે એકઠી થઈ ગઈ.

બીજી બાજુ, રાજ્ય સરકારમાં કૅબિનેટ પ્રધાન તથા મુખ્ય પ્રધાનના પુત્ર આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું:

"પાલઘરની ઘટના મુદ્દે મુખ્ય પ્રધાને અગાઉ જ નિવેદન આપી દીધું છે. હું રાજકીય પક્ષોને કહેવા માગું છું કે અગાઉથી જ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને તેમની સામે કડકહાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."

મૉબ લિંચિંગ

મધરાતે પોલીસને આ અંગે માહિતી મળતાં ઘટનાસ્થળે ધસી ગઈ હતી, જ્યાં તેમને મૃતદેહો મળ્યા હતા અને નુકસાન પહોંચાડાયેલી ગાડી મળી આવી હતી.

પાલઘરના જિલ્લા કલેક્ટરે કૈલાશ શિંદેએ કહ્યું હતું કે 'ઘટનાસ્થળે ફરીથી પહોંચેલી પોલીસ મૃતદેહોને લઈને પરત ફરી હતી'

મૃત્યુ પામનાર વ્યક્તિ ચીકણે મહારાજ કલ્પવૃક્ષગીરી, સુશીલગીરી મહારાજ અને નીલેશ તેલગડે હોવાનું જાણવા મળ્યું છે.

પાલઘર જિલ્લાના કલેક્ટર કૈલાશ શિંદેએ આ ઘટના અફવા અને ભયના કારણે ઘટી હોવાનું જણાવતાં સમાચાર સંસ્થા એનએનઆઈને કહ્યું :

"લૉકડાઉન દરમિયાન રાજ્યમાં ચોર-લૂંટારુ વેશ બદલી લોકોની કિડની કાઢી લેતા હોવાની અફવા ફેલાઈ છે."

આ અફવાના પગલે જ સંબંધિત ઘટના ઘટી હોવાનું પણ તેમનું માનવું છે.

જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અફવાથી દોરવાઈ નહીં જવા તથા અફવા ફેલાવનારાઓ સામે કડકહાથે કાર્યવાહી કરવાની વાત કહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો