અમદાવાદ હિંસા બાદ ABVP વિરુદ્ધ કૉંગ્રેસે ધરણાં કેમ કરવાં પડ્યાં?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મંગળવારે અમદાવાદમાં સત્તારૂઢ પક્ષ ભાજપ સાથે સંબંધ ધરાવતા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને કૉંગ્રેસની વિદ્યાર્થીપાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકરો વચ્ચે હિંસક ઘર્ષણ થયું.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ મામલામાં પોલીસ દ્વારા બંને સંગઠનોના 25 જેટલા કાર્યકરો પર રાયૉટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રવિવારે દેશની રાજધાની નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા સાથે દિલ્હીના આ ઘટનાક્રમને સંબંધ છે.
JNUની ઘટનામાં આક્ષેપ થયો હતો કે ABVPના કાર્યકરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને મુસ્લિમ તથા ડાબેરી સંગઠનોતરફી વિદ્યાર્થીઓને નિશાન બનાવાયા હતા.
જોકે એબીવીપીએ ડાબેરી જૂથો પર પ્રતિઆક્ષેપ કર્યો હતો અને તેમના કાર્યકરો હિંસાખોરીમાં સામેલ ન હોવાનું જણાવ્યું હતું.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
એબીવીપીના વિરોધમાં એનએસયુઆઈ અને કૉંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો દ્વારા બુધવારે ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કૉંગ્રેસ પ્રદેશના નેતા અમિત ચાવડા સહિતના કૉંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.
કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ ઘટનામાં એબીવીપી અને યુવા મોરચાના નેતાઓ સામેલ છે અને પોલીસે પણ આ કાવતરામાં સાથે આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ દ્વારા કડક કાર્યવાહીની માગ કરાઈ રહી છે અને કૉંગ્રેસનું કહેવું છે કે તેઓ એબીવીપી દ્વારા આચરવામાં આવેલી હિંસાને વખોડી કાઢે છે.

પ્રિયંકા ગાંધીનાં ભાજપ પર પ્રહાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અમદાવાદમાં મંગળવારે ઘટેલી ઘટના બાદ કૉંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે સવારે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
તેમણે ટ્વીટ કર્યું કે, "ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લેઆમ સુરક્ષા આપી રહી છે. પહેલાં આમના મંત્રીઓ જેલમાંથી છૂટેલા ગુંડાઓને ફૂલમાળા પહેરાવતા હતા. હવે તો જાહેર માર્ગ પર કાનૂનની આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવી."
તેમણે લખ્યું, "સ્પષ્ટ દેખાય છે કે એબીવીપીના ગુંડાતત્ત્વો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોને માર મારી રહ્યા છે અને પોલીસ મૌન છે."

અમદાવાદમાં શું થયું?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
રવિવારની JNUની ઘટના બાદ એબીવીપીનો દેશભરમાં વિરોધ થયો અને અમદાવાદમાં પણ એબીવીપી કાર્યાલય પાસે પ્રદર્શનનો કાર્યક્રમ NSUI દ્વારા યોજવામાં આવ્યો હતો.
આ પ્રદર્શન દરમિયાન જ બંને વિદ્યાર્થીજૂથોના કાર્યકરો બાખડ્યા હતા.
જોકે ઘર્ષણની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી આ મામલે બંને સંગઠનો સામસામા આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરે છે.
એબીવીપીના કાર્યકરોનું કહેવું છે કે એનએસયુઆઈના કાર્યકરો હિંસા આચરવાના ઇરાદા સાથે એબીવીપી કાર્યાલય ખાતે આવ્યા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો.
તેમનું એવું પણ કહેવું છે કે એનએસયુઆઈના કાર્યકરો ઝંડાની આડમાં સાથે ડંડા લઈને આવ્યા હતા.
એનએસયુઆઈનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન યોજવા માટે ગયા હતા.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
એનએસયુઆઈના પ્રદેશ કક્ષના નેતા મહિપાલ ગઢવીએ કહ્યું, "જેએનયુમાં જે રીતે એબીવીપીના ગુંડાઓ દ્વારા હૉસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીઓને જે રીતે માર મારવામાં આવ્યો એના વિરોધમાં ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો."
"શાંતિપૂર્ણ ઘરણાં પર એબીવીપીના બુકાનીધારીઓએ અમારા કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો, લાકડી અને છરીથી પણ હુમલો કરવામાં આવ્યો હતો."
આ મામલે ગુજરાત ભાજપના સચિવ પ્રદીપસિંહ વાઘેલાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું, "એબીવીપીના કાર્યાલય પર જઈને એનેસયુઆઈના કાર્યકરો તાળાબંધી કરવાના છે એવી માહિતી અમને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી 24 કલાક પહેલાં મળી હતી."
"એબીવીપીના કાર્યાલય પર ઝંડામાં ડંડા અને પાઇપ લગાવીને એનએસયુઆઈના કાર્યકરોનું ટોળું આવ્યું હતું."
ભાજપના નેતા ભરત પંડ્યાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, "કૉંગ્રેસ ક્યારેય પ્રજાલક્ષી, સેવાલક્ષી કાર્યક્રમો આપતી નથી અને ગુજરાતમાં જેએનયુ મુદ્દે ઘરણાં કરે છે."
"કૉંગ્રેસે પશ્ચાતાપ ધરણાં કરીને બાંયધરી આપવી જોઈએ કે કૉંગ્રેસ ગુજરાતમાં હિંસા અને વેરઝેરનું વાતાવરણ ફેલાવવાનું કામ નહીં કરે."

હાર્દિક પટેલ અને જિગ્નેશે શું કહ્યું?
કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ આ ઘટના બાદ એનએસયુઆઈના ઈજાગ્રસ્ત કાર્યકરોને મળવા માટે હૉસ્પિટલમાં પહોંચ્યા હતા.
હાર્દિક પટેલે આ અંગે ભાજપ અને એબીવીપી પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું, "એનએસયુઆઈ હંમેશાં સરકારની નીતિઓ અને પગલાંનો વિરોધ કરે છે પણ ત્યાં એબીવીપીના કાર્યકરોએ છરા અને ધોકાથી એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કર્યો "
"એનએસયુઆઈના બે કાર્યકરોનાં માથાં પર છરાથી હુમલો કરવામાં આવ્યો, જેના લીધે ટાંકા આવ્યા છે."
હાર્દિકે એવું પણ કહ્યું કે ગુજરાતની પોલીસ અને સરકાર ડરનો માહોલ ઊભો કરવા માગે છે.
હાર્દિકે કહ્યું, "સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે અને એની સામે વિરોધનો જ્વાળામુખી ફાટી રહ્યો છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
જિગ્નેશે ટ્વીટ કર્યું, "એબીવીપીના ગુંડાઓએ મારા મિત્ર નીખિલ સવાણીને ડંડાથી માર માર્યો અને પોલીસે રોકવાનું કામ ન કર્યું."
"શું ફાસીવાદી ગુંડાઓની ધરપકડ કરાશે?"

પોલીસની કામગીરી પર NSUIના સવાલ
એનએસયુઆઈ દ્વારા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
ગઢવી કહે છે, "પોલીસની અને એબીવીપીની સાંઠગાંઠ હતી અને યુવાભાજપના નેતાઓ પણ આ પૂર્વાયોજિત કાવતરામાં સામેલ છે."
એનએસયુઆઈના નેતાઓનો આક્ષેપ છે કે 'એબીવીપી કાર્યાલયમાં ડંડા, પાઇપ, તલવાર સહિતનાં હથિયારો હતાં તો શું એબીવીપીના કાર્યાલયમાં હથિયારો હંમેશાંથી રાખવામાં આવે છે?'
એનએસયુઆઈએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે ઋત્વિજ પટેલ સહિતના યુવામોરચાના કાર્યકરો એબીવીપીના કાર્યાલય ખાતે શું કરતા હતા અને એ પણ મોટી સંખ્યામાં?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












