You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાગરિકતા સંશોધન બિલ : રાજ્યસભાનાં સમીકરણો શું છે?
નાગરિકતા સંશોધન બિલને સત્તાધારી ભાજપે લોકસભામાં સરળતાથી પાસ કરાવી લીધું છે. લોકસભામાં ભાજપ પાસે બહુમતી છે. આ બિલના વોટિંગમાં ભાજપના 303 લોકસભાના સભ્યો સહિત કુલ 311 સાંસદોનું સમર્થન મળ્યું છે.
હવે આ બિલ રાજ્યસભામાં જશે. જ્યાં પાસ થતાં આ બિલ કાયદો બનશે. ભાજપે 10 અને 11 ડિસેમ્બરે પોતાની પાર્ટીના રાજ્યસભાના સાંસદોને હાજર રહેવા માટે જણાવ્યું છે.
ઉમેદ કરાઈ રહી છે કે બે દિવસમાં આ બિલને રાજ્યસભામાં મુકાશે. પરંતુ સત્તાધારી ભાજપ માટે રાજ્યસભામાં આ એટલું સરળ નથી.
રાજ્યસભામાં સાંસદોની વર્તમાન સંખ્યા 240 છે. એવામાં નાગરિકતા સંશોધન બિલ પર બહુમતી મેળવવા માટે 121 સાંસદોનું સમર્થન જોઈશે.
સત્તાધારી ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 83 સાંસદ છે. મતલબ કે આ બિલને કાયદો બનાવવા માટે ભાજપ પાસે રાજ્યસભામાં અન્ય 37 સાંસદોનું સમર્થન મેળવવું પડશે.
રાજ્યસભાનું ગણિત શું છે?
રાજ્યસભામાં કુલ 245 સાંસદ હોય છે. રાજ્યસભામાં વર્તમાન સાંસદોની સંખ્યા 240 છે. એટલે અહીં બહુમતીનો આંકડો 121નો છે.
જો વોટિંગ સમયે કેટલાક સાંસદો વૉકાઉટ કરી દે તો બહુમતીનો આંકડો ઓછો થઈ જશે.
કૉંગ્રેસના મોતીલાલ વોરા બીમાર છે. તેઓ વોટિંગ સમયે રાજ્યસભામાં ગેરહાજર રહે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપને કોણ સમર્થન આપશે?
ભાજપ પાસે રાજ્યસભામાં 83 સાંસદ છે. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં અલગ થયેલી શિવસેનાએ 'મોદી સરકારની હિંદુ-મુસલમાન વચ્ચે અદૃશ્ય વિભાજનની કોશિશ' જેવા ઘણા આરોપ લગાવ્યા બાદ અંતમાં વોટિંગ સમયે પોતાનું સમર્થન આપ્યું હતું. એટલે કે શિવસેનાએ બેવડું વલણ દાખવ્યું છે.
એટલે હવે એ શક્ય છે કે રાજ્યસભામાં પણ તેમના ત્રણ સાંસદોનું સમર્થન મળે.
આ સિવાય એઆઈએડીએમકેના 11 સાંસદ સત્તાધારી ભાજપને સમર્થન આપશે. તેમણે અગાઉથી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
તેમજ ભાજપને બીજેડીના 7, જેડીયુના 6, અકાલીદળના 3, નૉમીનેટેડ 4 અને અન્ય 11 સાંસદોનું સમર્થન પણ મળી શકે છે.
આ બધા સાથે આપે તો ભાજપને કુલ 128 સાંસદોનું સમર્થન મળી શકે છે, જે આ બિલને પાસ કરાવવા માટ પૂરતું છે.
અહીં પૂર્વોત્તરના બે સાંસદોને સામેલ કરાયા નથી, કેમ કે તેમણે પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું. જો તેઓ ગેરહાજર રહે તો બહુમતીના આંકમાં ફેરફાર થઈ શકે છે.
વિપક્ષની નીતિ શું રહેશે?
નંબરની વાત કરીએ તો રાજ્યસભામાં ભાજપનું પલ્લું બરાબર સ્થિતિમાં દેખાઈ રહ્યું છે, જે વોટિંગ સમયે ગમે તે પક્ષે નમી શકે છે.
જો બધી પાર્ટીઓ પોતાની વિચારધારા અને અત્યાર સુધીના વલણને અનુરૂપ વોટિંગ કરે અથવા આ સંશોધન બિલ પાસ થવા પર સદનમાંથી વૉકઆઉટ કરે એના પર બધો આધાર છે.
પોતાના 46 રાજ્યસભા સાંસદોની સાથે વિપક્ષની આગેવાની કૉંગ્રેસ પાર્ટી કરશે. તો તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના 13 સાંસદ, સમાજવાદી પાર્ટીના 9, વામદળના 6, ટીઆરએસના 6, ડીએમકેના 5, આરજેડીના 4, આમ આદમી પાર્ટીના 3, બીએસપીના 4 અને અન્ય 21 સાંસદો અત્યાર સુધીના તેમના વલણને અનુરૂપ બિલનો વિરોધ કરશે.
એટલે કે કુલ મળીને આ બિલના વિરોધમાં રાજ્યસભામાં 110 સાંસદો છે.
વિપક્ષ નાગરિકતા સંશોધન બિલનાં સૂચિત સંશોધનની વિરુદ્ધમાં રાજ્યસભામાં દ્વિસૂત્રીય રણનીતિ પર કામ કરશે.
લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે, પરંતુ બિલના જાણકારોના કહેવા અનુસાર જો આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ જાય તો પણ વિપક્ષ પસંદગી સમિતિ (સિલેક્ટ કમિટી) પાસે તેની સમીક્ષાનું દબાણ કરશે.
કૉંગ્રેસ, ડીએમકે અને વામદળોએ આ બાબતે પોતાનો મુસદ્દો તૈયાર કર્યો છે.
આ પાર્ટીઓ એ બાબતે પોતાના તર્ક લગાડશે, કેમ કે આ બિલ ભારતના નાગરિકત્વ કાયદાના પાયામાં મોટો ફેરફાર લાવશે. આથી તેને સમીક્ષા માટે સિલેક્ટ કમિટીને મોકલવું જોઈએ.
શું હોય છે સિલેક્ટ કમિટી?
સંસદમાં અલગઅલગ મંત્રાલયોની સ્થાયી સમિતિ હોય છે, જેને સ્ટેન્ડિંગ કમિટી કહે છે.
આ સિવાય જ્યારે કેટલાક અલગ મુદ્દાઓ પર કમિટી બનાવાની જરૂર પડે ત્યારે તેને સિલેક્ટ કમિટી કહેવાય છે.
તેની રચના સ્પીકર કે સદના ચૅરપર્સન કરે છે. આ કમિટીમાં દરેક પાર્ટીના લોકો સામેલ થાય છે અને કોઈ મંત્રી તેનો સભ્ય હોતો નથી. કામ પૂર્ણ થતાં આ કમિટીને ભંગ કરી દેવાય છે.
નાગરિકતા સંશોધન બિલ શું છે?
નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill)ને સંક્ષેપમાં CAB પણ કહેવાય છે અને આ બિલ શરૂઆતથી વિવાદમાં રહ્યું છે.
આ બિલમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના છ અલ્પસંખ્યક સમુદાયો (હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ, શીખ)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.
વર્તમાન કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવા માટે ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં રહેવું અનિવાર્ય છે.
પરંતુ આ બિલમાં પડોશી દેશોના અલ્પસંખ્યકો માટે આ સમયમર્યાદા 11 વર્ષથી ઘટાડીને 6 વર્ષ કરી દેવાઈ છે.
આ માટે નાગરિકતા અધિનિયમ, 1955માં કેટલાંક સુધારા કરાશે, જેથી લોકોને નાગરિકતા આપવા માટે તેમને કાયદાકીય મદદ કરી શકાય.
વર્તમાન કાયદા પ્રમાણે ભારતમાં ગેરદાયદે રીતે દાખલ થયેલા લોકોને નાગરિકતા મળતી નથી અને તેમને દેશમાં પરત મોકલવા કે અટકાયતમાં લેવાની જોગવાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો