સાવરકર : ભારતમાં કેટલાક લોકો માટે હીરો, કેટલાક માટે વિલેન કેમ?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઑક્ટોબર 1906ની શિયાળાની સાંજે લંડનના ઇન્ડિયા હાઉસમાં પોતાના રૂમમાં ચિતપાવન બ્રાહ્મણ વિનાયક દામોદર સાવરકર પ્રૉન એટલે કે ઝીંગા તળતા હતા. સાવરકરે એક દિવસે એક ગુજરાતી વૈશ્યને પોતાને ત્યાં જમવા માટે બોલાવ્યા હતા.

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો સાથે થઈ રહેલા અન્યાય તરફ દુનિયાનું ધ્યાન ખેંચવા માટે તેઓ લંડન આવ્યા હતા.
એ ગુજરાતીનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીએ સાવરકરને કહ્યું કે અંગ્રેજો સામેની તમારી રણનીતિ વધારે પડતી આકરી છે.
સાવરકરે વચ્ચે જ તેમને ટોકતાં કહ્યું, "ચાલો, પહેલાં જમી લઈએ."
ચર્ચાસ્પદ પુસ્તક 'ધ આરએસએસ - આઇકૉન્સ ઑફ ઇન્ડિયન રાઇટ'ના લેખક નીલાંજન મુખોપાધ્યાય કહે છે:
"તે વખતે ગાંધી હજી 'મહાત્મા' નહોતા થયા. માત્ર મોહનદાસ કરમચંદ ગાંધી હતા. તે વખતે તેમણે ભારતને હજી પોતાની કર્મભૂમિ પણ બનાવી નહોતી."
"સાવરકરે જમવા માટે ગાંધીને કહ્યું ત્યારે તેમણે કહ્યું કે માફ કરો, હું માંસ-મચ્છી ખાતો નથી. એટલે સાવરકરે તેમની મજાક પણ ઉડાવી કે માંસ ખાધા વિના કોઈ કેવી રીતે અંગ્રેજોને પડકાર ફેંકી શકે?"
"તે રાત્રે ગાંધી પોતાના સત્યાગ્રહ આંદોલન માટે સાવરકરનો સાથ લીધા વિના જ ભૂખ્યાપેટે પરત જતા રહ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1948માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરની પણ ધરપકડ કરાઈ હતી.
ગાંધીની હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપસર મુંબઈથી તેમની ધરપકડ થઈ હતી, પણ ફેબ્રુઆરી 1949માં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

RSSના સભ્ય ના હોવા છતાં સંઘમાં સન્માન

ઇમેજ સ્રોત, NILANJAN MUKHOPADHYAY
એ પણ એક વક્રતા છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભારતીય જનસંઘના ક્યારેય સભ્ય ના બનેલા વીર સાવરકરનું નામ સંઘ પરિવારમાં ખૂબ ઇજ્જત અને સન્માન સાથે લેવાય છે.
2000ની સાલમાં વાજપેયી સરકારે તે વખતના રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનને દરખાસ્ત મોકલી હતી કે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારતરત્ન' સાવરકરને આપવામાં આવે.
જોકે રાષ્ટ્રપતિએ દરખાસ્તનો સ્વીકાર કર્યો નહોતો.
નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ શપથ લીધા તેના બે દિવસ પછી જ વીર સાવરકરની 131મી જન્મતિથિ હતી."
"તેમણે સંસદભવનમાં મૂકવામાં આવેલી સાવરકરની તસવીર સામે માથું નમાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આપણે સ્વીકારવું રહ્યું કે સાવરકર બહુ જ વિવાદાસ્પદ માણસ હતા."
"આપણે એ ના ભૂલી શકીએ કે ગાંધી હત્યાકાંડમાં તેમની સામે કેસ ચાલ્યો હતો. તેઓ છૂટી ગયા તે વાત સાચી છે, પણ તેમની હયાતીમાં જ તેમની તપાસ માટે કપૂર પંચ બેસાડાયું હતું."
"પંચના અહેવાલમાં સાવરકર સામેની શંકાને નકારી કાઢવામાં આવી નહોતી. એવા નેતાને જાહેરમાં આવું સન્માન આપવું તે મોદી માટે એક બહુ મોટું પ્રતીકાત્મક પગલું હતું."

નાસિકના કલેક્ટરની હત્યાના મામલામાં ધરપકડ

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
સાવરકરના રાજકીય વિચારોને કારણે સાવરકરને પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
1910માં જ નાસિકના કલેક્ટરની હત્યામાં સામેલ હોવાના આરોપસર લંડનમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સાવરકર વિશે સંશોધન કરનારા નિરંજન તકલે કહે છે, "1910માં નાસિકના જિલ્લા કલેક્ટર જેક્સનની હત્યાના આરોપમાં પહેલાં સાવરકરના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી."
"સાવરકર પર આરોપ હતો કે તેમણે લંડનથી પોતાના ભાઈને એક પિસ્તોલ મોકલી હતી. તેનો ઉપયોગ હત્યામાં થયો હતો. 'એસએસ મૌર્ય' નામની સ્ટીમરમાં તેમને ભારત લવાઈ રહ્યા હતા."
"જહાજ ફ્રાંસના માર્સે બંદર પર પહોંચ્યું ત્યારે સાવરકરે જહાજના શૌચાલયના પૉર્ટ હોલમાંથી સમુદ્રમાં ઝંપલાવી દીધું હતું."

સ્ટીમરમાંથી સમુદ્રમાં કૂદી પડ્યા સાવરકર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
આશુતોષ દેશમુખે 'બ્રેવહાર્ટ સાવરકર' પુસ્તક લખ્યું છે. આગળ શું થયું તેની વાત કરતાં દેશમુખ કહે છે:
"સાવરકરે ઇરાદાપૂર્વક પોતાનો નાઇટગાઉન જ પહેરી રાખ્યો હતો. શૌચાલયમાં કાચ લગાડેલા હતા, જેથી અંદર જનારા કેદી પર નજર રહે. સાવરકરે પોતાનો ગાઉન ઉતારીને કાચ પર લગાવી દીધો હતો."
"તેમણે પહેલેથી જ શૌચાલયના પૉર્ટ હોલનું માપ લઈ લીધું હતું. તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમાં થઈને બહાર નીકળી શકાશે. તેમણે પોતાનું પાતળું શરીર પૉર્ટ હોલમાં નીચ ઉતાર્યું અને સમુદ્રમાં કૂદી પડ્યા."
"નાસિકમાં હતા ત્યારે તરવાની તાલીમ તેમણે લીધી હતી તે કામ આવી અને તેઓ તરીને કિનારા સુધી પહોંચી ગયા. જોકે તેમના પર ત્યાં રહેલા સૈનિકોએ ગોળીબાર કર્યો હતો, પણ તેઓ બચીને નીકળી ગયા."
દેશમુખ આગળ લખે છે, "તરતી વખતે સાવરકરને વાગ્યું હતું અને ઈજા થતાં લોહી નીકળતું હતું. સૈનિકો પણ તેમની પાછળ સમુદ્રમાં કૂદી પડ્યા હતા અને પીછો કરવા લાગ્યા હતા."
"સાવરકર લગભગ 15 મિનિટ સુધી તરીને કિનારે પહોંચ્યા હતા. કિનારો લપસણો હતો. એક વાર લપસી પડ્યા, પણ ફરી પ્રયાસ કરીને જમીન પર આવી ગયા."
"તેઓ ઝડપથી દોડીને ભાગ્યા અને એક મિનિટમાં લગભગ 450 મિટરનું અંતર કાપી નાખ્યું હશે."
"તેમની બંને તરફ ટ્રામ અને કાર દોડી રહી હતી. સાવરકર લગભવ નિર્વસ્ત્ર અવસ્થામાં હતા. તેમણે એક પોલીસવાળાને જોયો."
"તેમની પાસે જઈને અંગ્રેજીમાં કહ્યું કે, 'મારે રાજકીય આશ્રય લેવાનો છે, મને મૅજિસ્ટ્રેટ પાસે લઈ જાવ.' એ જ વખતે પાછળ આવી રહેલા સૈનિકોએ બૂમો પાડી, 'ચોર! ચોર! પકડો એને.' સાવરકરે ઘણો પ્રતિકાર કર્યો પણ લોકોએ ભેગા થઈને તેમને પકડી લીધા."

આંદામાનની સેલ્યુલર જેલમાં સાવરકર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
આ રીતે થોડી મિનિટો આઝાદ રહ્યા પછી ફરી એક વાર સાવરકર કેદમાં આવી ગયા. તે પછીનાં 25 વર્ષ સુધી કોઈ ને કોઈ રીતે અંગ્રેજોની જેલમાં જ રહ્યા.
તેમને 25-25 વર્ષની કેદની બે સજા થઈ હતી. જેલ ભોગવવા માટે તેમને ભારતથી દૂર આંદામાન એટલે કે 'કાળા પાણી'ની સજા ભોગવવા મોકલી દેવાયા હતા.
698 કોટડી ધરાવતી સેલ્યુલર જેલમાં 52 નંબરની કોટડીમાં તેમને રાખવામાં આવ્યા હતા, જે 13.5 બાય 7.5 ફૂટની હતી.
આંદામાનના જેલનિવાસ વખતની વાત લખતાં દેશમુખ જણાવે છે કે તે વખતે "આંદામાનમાં સરકારી અધિકારીઓ બગીમાં ફરતા. રાજકીય કેદીઓને બગી ખેંચવાનું કામ સોંપાતું."
"ત્યાં સારા રસ્તા પણ નહોતા અને પહાડી વિસ્તાર હતો. કેદીઓ બગી ખેંચી શકે નહીં ત્યારે તેમને ગાળો પડતી અને માર પણ પડતો હતો."
"માથાકૂટ કરે તેવા કેદીઓને કેટલાય દિવસો સુધી પાણી જેવો સૂપ જ આપવામાં આવતો હતો."
"ઉપરાંત ક્વિનાઇનવાળું પાણી પીવા માટે મજબૂર કરાતા. તે પીવાથી ચક્કર આવી જતા હતા. કેટલાકને ઊલટીઓ થતી હતી અને કેટલાકને બહુ પીડા થતી."

હાથકડી અને બેડી પહેરીને ઊભા રહેવાનું

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
દેશમુખ આગળ લખે છે, "કેદીઓ માટે શૌચાલય જવાનો સમય પણ નક્કી રહેતો હતો. કેટલો સમય અંદર રહેવું તેનો સમય પણ નક્કી હતો."
"ક્યારેક એવી હાલત થતી હતી કે કેદીએ પોતાની કોટડીમાં એક ખૂણે જ મળત્યાગ કરવો પડતો હતો."
"જેલકોટડીની દીવાલોમાં કાયમ મળમૂત્રની ગંધ આવતી હોય. ક્યારેક કેદીઓને બેડી અને હાથકડી પહેરીને ઊભા રહેવાની સજા થતી હતી."
"આવી દશામાં શૌચાલય પણ ઊભા ઊભા જવું પડતું હતું. ઊલટી થાય તો પણ બેસવાની મંજૂરી નહોતી."

અંગ્રેજોને માફીનામું

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
અહીંથી સાવરકરની જિંદગીનો બીજો તબક્કો શરૂ થાય છે. સેલ્યુલર જેલમાં 9 વર્ષ 10 મહિના રહ્યા પછી સાવરકરે અંગ્રેજો સામેનો વિરોધ વધારવાના બદલે પાછો ખેંચી લીધો.
નિરંજન તકલે કહે છે, "હું સાવરકરની જિંદગીને ઘણા પડાવમાં જોઉં છું. તેમની જિંદગીનો પહેલો પડાવ રોમૅન્ટિક ક્રાંતિકારીનો હતો. તે વખતે 1857ની લડત વિશે પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકમાં તેમણે બહુ સારા શબ્દોમાં ધર્મનિરપેક્ષતાની તરફેણ કરી હતી."
"ધરપકડ પછી તેમને વાસ્તવિકતાનો પરિચય થયો. 11 જુલાઈ, 1911ના રોજ સાવરકર આંદામાન પહોંચ્યા હતા."
"દોઢ જ મહિનામાં 29 ઑગસ્ટે તેમણે પોતાનું પ્રથમ માફીનામું લખ્યું હતું. ત્યારબાદ 9 વર્ષ દરમિયાન તેમણે છ વાર અંગ્રેજોની માફી માગતા પત્રો લખ્યા હતા."
"જેલના રેકૉર્ડ દર્શાવે છે કે ત્યાં દર મહિને ત્રણથી ચાર કેદીઓને ફાંસી આપી દેવાતી હતી."
"ફાંસીનું સ્થાન તેમની કોટડીની બરાબર નીચે હતું. શક્ય છે કે તે વાતની અસર સાવરકર પર થઈ હોય. કેટલાક લોકો કહે છે કે જેલર બેરીએ સાવરકરને ઘણી છૂટછાટ આપી હતી."
"બીજા એક કેદી બરીન્દ્ર ઘોષે બાદમાં લખ્યું હતું કે સાવરકર બંધુ અમને જેલર સામે આંદોલન કરવા માટે ખાનગીમાં ઉશ્કેરતા હતા."
"અમે કહ્યું કે તમે ખૂલીને અમારી સાથે આવો ત્યારે તેઓએ પીછેહઠ કરી હતી. તેમની પાસે કોઈ આકરું કામ કરાવાતું નહોતું."

હિંસાનો માર્ગ...

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
નિરંજન તકલે કહે છે, "દર 15 દિવસે ત્યાં કેદીઓનું વજન કરાતું. સાવરકર સેલ્યુલર જેલ પહોંચ્યા ત્યારે તેમનું વજન 112 પાઉન્ડ હતું."
"સવા બે વર્ષ પછી તેમણે સર રેજિનૉલ્ડ ક્રેડૉકને પોતાનું ચોથું માફીનામું લખ્યું ત્યારે તેમનું વજન 126 પાઉન્ડ થઈ ગયું હતું. આ રીતે જેલમાં રહીને તેમનું વજન 14 પાઉન્ડ વધી ગયું હતું."
"પોતાના પર દયા કરવા માટે તેમણે સરકારને વિનંતી કરી હતી કે પોતાને ભારતની અન્ય કોઈ જેલમાં મોકલવામાં આવે. તેના બદલામાં તેઓ સરકાર માટે કોઈ પણ સ્થિતિમાં કામ કરવા માટે તૈયાર હતા."
"સાવરકરે એવું પણ કહ્યું હતું કે અંગ્રેજોએ લીધેલાં પગલાંને કારણે બંધારણીય વ્યવસ્થામાં તેમને શ્રદ્ધા થઈ છે. હવે મેં હિંસાનો માર્ગ ત્યજી દીધો છે એમ તેણે લખ્યું હતું."
"કદાચ આ જ કારણસર કાળા પાણીની સજા કાપતા હોવા છતાં 30 અને 31 મે, 1919ના રોજ તેમને પોતાની પત્ની તથા નાના ભાઈ સાથે મુલાકાત કરવાની છૂટ અપાઈ હતી."

જેલમાંથી બહાર આવવા માટે નવો વ્યૂહ

બાદમાં સાવરકરે પોતે અને તેમના સમર્થકોએ એવા ખુલાસા કરવાની કોશિશ કરી હતી કે ચોક્કસ વ્યૂહરચનાના ભાગરૂપે, કેટલીક બાબતોમાં રાહત મળી શકે તે માટે તેમણે અંગ્રેજોની માફી માગી હતી.
સાવરકરે પોતાની આત્મકથામાં લખ્યું હતું, "મેં જેલમાં હડતાળ કરી હોત તો ભારતમાં પત્ર મોકલવાનો મારો અધિકાર છીનવી લેવાયો હોત."
સિનિયર પત્રકાર અને ઇંદિરા ગાંધી સેન્ટર ઑફ આર્ટ્સના અધ્યક્ષ રામ બહાદુર રાયને મેં પૂછ્યું હતું કે માફી માગવાનો વિકલ્પ તો ભગતસિંહ પાસે પણ હતો.
આમ છતાં તેમણે માફી ના માગી, જ્યારે સાવરકરની એવી શું મજબૂરી હતી કે તેમણે માફી માગી?
રામ બહાદુર રાયનો જવાબ હતો, "ભગતસિંહ અને સાવરકરમાં મૂળભૂત તફાવત હતો. ભગતસિંહે બૉમ્બ ફેંકવાનું નક્કી કર્યું ત્યારે જ ફાંસીએ ચડવાનું નક્કી કરી લીધું હતું. બીજી બાજુ સાવરકર ચાલાક ક્રાંતિકારી હતા."
"તેમની કોશિશ એવી હતી કે ભૂગર્ભમાં રહીને થાય એટલી પ્રવૃત્તિઓ કરવી. મને લાગે છે કે સાવરકર એ પંચાતમાં નહોતા પડ્યા કે માફી માગવાની વાત પર લોકો શું કહેશે. તેમનો વિચાર એ હતો કે જેલમાંથી બહાર રહેશે તો પોતાની ઇચ્છા મુજબનું કામ કરી શકશે."

સાવરકરની હિન્દુત્વની વિચારધારા

આંદામાનથી આવ્યા બાદ સાવરકરે 'હિંદુત્વ - વ્હૂ ઈઝ હિંદુ?' એવું પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે પ્રથમ વાર હિંદુત્વનો રાજકીય વિચારધારા તરીકે ઉપયોગ કર્યો હતો.
નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "તેઓ હિંદુત્વનો એક રાજકીય ઢંઢેરા તરીકે ઉપયોગ કરતા હતા. હિંદુત્વની પરિભાષા આપતા તેમણે કહ્યું હતું કે આ દેશનો માણસ મૂળભૂત રીતે હિંદુ છે."
"આ દેશનો નાગરિક એ જ હોઈ શકે, જેની પિતૃભૂમિ, માતૃભૂમિ અને પુણ્યભૂમિ અહીં જ હોય."
"પિતૃ અને માતૃભૂમિ કોઈની પણ હોઈ શકે છે, પણ પુણ્યભૂમિ માત્ર હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈનની જ હોઈ શકે."
"મુસ્લિમો અને ખ્રિસ્તીઓની આ પુણ્યભૂમિ નથી. તે વ્યાખ્યા પ્રમાણે મુસ્લિમ અને ખ્રિસ્તી ક્યારેય આ દેશના નાગરિકો ના બની શકે."
"એક રીતે તેવું થઈ શકે છે કે તેઓ હિંદુ બની જાય. તેઓ એ વિરોધભાસને ક્યારેય ના સમજાવી શક્યા કે તમે હિંદુ રહીને પણ તમારી શ્રદ્ધા અને ધર્મને પાળતા રહી શકો."

અંગ્રેજો સાથે સમજૂતી

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
1924માં સાવરકરને પૂણેની યરવડા જેલમાંથી બે શરતોને આધારે છોડવામાં આવ્યા હતા.
એક શરત હતી કે કોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ ના લેવો અને બીજું રત્નાગિરિ જિલ્લાના કલેક્ટરની પરવાગની વિના જિલ્લાની બહાર ના જવું.
નિરંજન તકલે કહે છે, "સાવરકરે વાઇસરોય લિનલિથગો સાથે લેખિતમાં સમજૂતિ કરી હતી કે તેમનો બંનેનો એકસમાન ઉદ્દેશ છે કે ગાંધી, કૉંગ્રેસ અને મુસ્લિમોનો વિરોધ કરવો."
"અંગ્રેજો તેમને દર મહિને 60 રૂપિયાનું પેન્શન આપતા હતા. તેઓ અંગ્રેજોની એવી શું સેવા કરતા હતા કે અંગ્રેજો તેમને પેન્શન આપતા હતા? આવી રીતે પેન્શન મેળવનારી તેઓ એકમાત્ર વ્યક્તિ હતી."

કાળી ટોપી અને અત્તરની શીશી

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
અતિવાદી વિચારો છતાં અંગત જીવનમાં તેઓ સારી વસ્તુઓના શોખીન હતા. તેમને ચૉકલેટ અને 'જિન્ટાન' બ્રાન્ડની વ્હિસ્કી પસંદ હતી.
તેમની જીવનકથામાં આશુતોષ દેશમુખે લખ્યું છે, "સાવરકર 5 ફૂટ 2 ઇંચ લાંબા હતા. આંદામાન જેલમાં હતા ત્યારે જ ટાલ પડી ગઈ હતી."
"તેમને છીંકણી સૂંઘવાની આદત પડી ગઈ હતી. આંદામાનની કોટડીમાં છીંકણી ના મળે ત્યારે દીવાલો પરનો ચૂનો ઉખાડીને સૂંઘતા હતા. તેના કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી."
"જોકે તેના કારણે તેમનું નાક ખૂલી જતું હતું. તેમણે સિગારેટ અને સિગાર પીવાની પણ કોશિશ કરી હતી. જોકે તેમને માફક ન આવી."
"તેઓ ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા. નાસ્તામાં બાફેલાં બે ઈંડાં લેતાં હતાં. દિવસ દરમિયાન ઘણી વાર ચા પીધા કરતા હતા. તેમને મસાલેદાર ભોજન પસંદ હતું, ખાસ કરીને મચ્છી બહુ ભાવતી હતી."
"તેમને હાફુસ કેરી, આઇસક્રીમ અને ચૉકેલેટ પણ ભાવતાં હતાં. તેઓ એક જ પ્રકારનાં વસ્ત્રો પહેરતાં હતાં... ગોળ કાળી ટોપી, ધોતી અથવા પેન્ટ અને કોટ. કોટના ખિસ્સામાં નાનું હથિયાર અને અત્તરની શીશી રાખતા. એક હાથમાં છત્રી હોય અને બીજા હાથમાં અખબાર!"

મહાત્મા ગાંધી હત્યા કેસમાં ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
1949માં મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં આઠ લોકો સાથે સાવરકરની પણ ધરપકડ થઈ ત્યારે તેમની છાપ બહુ ખરડાઈ હતી. તેમના પર હત્યાંકાડમાં સામેલ થવાનો આરોપ હતો.
જોકે નક્કર પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "ગાંધી હત્યાકાંડનો ડાઘ દૂર કરવામાં સંઘ પરિવારને લાંબો સમય લાગ્યો હતો. સાવરકર આ મામલામાં જેલ ગયા હતા અને પછી છૂટી ગયા હતા."
"1966 સુધી જીવિત રહ્યા હતા, પણ ત્યાર બાદ તેઓ સ્વીકૃત બન્યા નહોતા."
"એ હદે કે આરએસએસે પણ તેમની સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. તેઓ હંમેશાં હાંસિયા જ ધકેલાયા રહ્યા, કેમ કે ગાંધીહત્યાની શંકા તેમના પરથી ક્યારેય પૂરી રીતે ખસી નહોતી."
"કપૂર પંચના અહેવાલમાં પણ સ્પષ્ટ જણાવાયું હતું કે સાવરકરની જાણકારી વિના ગાંધી હત્યાકાંડ થાય તેવું માની શકાય તેમ નથી."

સાવરકરની રાજકીય વિચારધારા

ઇમેજ સ્રોત, NANA GODSE
સાવરકરના છેલ્લા બે દાયકા રાજકીય એકાકીપણા અને અપજશમાં વીત્યા.
તેમની જીવનકથા લખનારા અન્ય એક લેખક ધનંજય કીરે 'સાવરકર ઍન્ડ હિઝ ટાઇમ્સ' પુસ્તકમાં લખ્યું છે કે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો અને તેમને ન્યાયાધીશે છોડી મૂકવાની જાહેરાત કરી.
તે સાથે જ નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા જાહેર થઈ હતી. ચુકાદા પછી કેટલાક આરોપીઓ સાવરકરના પગે પડી ગયા હતા અને તેમની સાથે મળીને સૂત્રોચ્ચાર પોકાર્યા હતાઃ
હિંદુ હિંદી હિન્દુસ્તાન
કભી ના હોગા પાકિસ્તાન
રામ બહાદુર રાય કહે છે, "તેમના અંતિમ દિવસોમાં તેમના પર કલંક લાગ્યું એ કારણે તેમના વારસા પર અંધકાર છવાઈ ગયો હતો."
"દુનિયામાં ભાગ્યે જ એવું ઉદાહરણ મળતું હોય છે, જેમાં ક્રાંતિકારી કવિ પણ હોય, સાહિત્યકાર પણ હોય અને સારા લેખક પણ હોય."
"આંદામાનની જેલમાં રહેતી વખતે પથ્થરના ટુકડાને પેન તરીકે વાપરીને દીવાલો પર 6000 જેટલી કવિતાઓ લખી હતી. આ કવિતાઓને કંઠસ્થ કરી રાખી હતી. એટલું જ નહીં સાવરકરના નામે પાંચ મૌલિક પુસ્તકો પણ છે."
"આમ છતાં મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં સંડોવણીને કારણે સાવરકર ખતમ થઈ ગયા. તેમની રાજકીય વિચારધારા પણ ત્યાં જ સુકાઈ જાય છે."

'ભાગલા પડાવનારું વ્યક્તિત્વ'

1966માં તેમનું મૃત્યુ થયું તે પછીના દાયકાઓ પછી પણ ભારતીય રાજકારણમાં સાવરકરનું નામ ભાગલા પડાવનારી વ્યક્તિ તરીકેનું છે. તે કાં તો કોઈના હીરો હોય, કાં તો વિલન હોય.
નિરંજન તકલે કહે છે, "2014માં સંસદના સેન્ટ્રલ હૉલમાં નરેન્દ્ર મોદી સાવરકરની તસવીર સામે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ત્યારે અજાણપણે તેમણે પોતાની પીઠ મહાત્મા ગાંધી તરફ કરી લીધી હતી."
"તેનું કારણ એ કે ગાંધીજીની તસવીર ત્યાં બરાબર પાછળની બાજુએ લાગેલી હતી."
"આ આજના રાજકારણની વાસ્તવિકતા છે. તમારે સાવરકરને સન્માન આપવું હોય તો ગાંધીની વિચારધારા તરફ પીઠ ફેરવી લેવી પડે."
"તમારે ગાંધીને સ્વીકારવા હોય તો સાવરકરની વિચારધારાને નકારવી જ રહી. કદાચ સાચી રીતે જ આજે પણ સાવરકર ભારતમાં એક ભાગલા પડાવનારું વ્યક્તિત્વ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













