You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીની અસર છે?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, વાયનાડથી, બીબીસી ગુજરાતી માટે
કેરળની વાયનાડ બેઠક પરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉમેદવારી એક તરફ તેમના પક્ષના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહી છે, બીજી તરફ પક્ષના નેતાઓના જૂથવાદ તરફ પણ ઇશારો કરે છે.
એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે લોકોને કૉંગ્રેસની એકતા દેખાય છે. પછી તે ટૅક્સી ડ્રાઇવર હોય, હોટલના કર્મચારી કે પછી કલપેટ્ટામાં રાહુલે ઉમેદવારી નોંધાવી ત્યારે તેમની આસપાસ રહેલા લોકો હોય.
વાયનાડમાં રાહુલ ગાંધીની ઉમેદવારીએ લઘુમતીના એક વર્ગને માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી તરફ જતા અટકાવ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પહેલાં લઘુમતીઓને એ ડર હતો કે કેરળમાં કૉંગ્રેસ એટલી મજબૂત નથી કે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકે અને રાજ્યમાં સીપીએમના નેતૃત્વમાં લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટની સરકાર ચાલે છે.
કેરળના રાજકારણના જાણકારોનું કહેવું છે કે રાજ્ય એકમના આગ્રહથી રાહુલના ચૂંટણી લડવાના નિર્ણય પહેલાં વાયનાડ બેઠક પર રાજ્યના મુખ્ય મંત્રી ઓમેન ચાંડી અને વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલા વચ્ચે પોતાના મનપસંદ ઉમેદવારને ઊભા રાખવા મુદ્દે હોડ ચાલી રહી હતી.
રાજકીય વિશ્લેષક અને એશિયાનેટ ન્યૂઝના એડિટર ઇન ચીફ એમ. જી. રાધાકૃષ્ણને બીબીસીને કહ્યું, "રાહુલની ઉમેદવારીથી સ્થાનિક લઘુમતીના કૉંગ્રેસ પ્રત્યેના વલણથી ફેરફાર થયો અને તેમના કૉમ્યુનિસ્ટ પાર્ટી તરફના ઝોકને અટકાવવાનું કામ કર્યું છે."
"તેમજ તેનાથી સમાજના વિવિધ વર્ગોમાં પાર્ટીની છબિમાં સુધારો થયો છે. સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી મોદીવિરોધી રાજનીતિના પ્રતીક તરીકે ઊભર્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ માત્ર લઘુમતીઓ જ આ લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની ઉમેદવારીથી ઉત્સાહિત છે એવું નથી.
'રાહુલ ગાંધી બહારના નથી'
કલપેટ્ટા રોડ શૉ દરમિયાન આસપાસ ઊભેલા લોકોમાંથી એકને પૂછવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી બહારની વ્યક્તિ છે, એવા એનડીએના ઉમેદવારના આરોપ પર તમારે શું કહેવું છે?
તો તેમણે કહ્યું, "રાહુલ ગાંધી બહારની વ્યક્તિ નથી. એક ભારતીય છે. અમારા નેતા છે. અમારે એક ઉદારવાદી નેતા જોઈએ છે. તેથી અમે અહીં રાહુલ ગાંધીનું સમર્થન કરી રહ્યા છીએ."
અયપ્પા સ્વામીના સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ બાબતે સુપ્રીમ કોર્ટના આદેશને અમલમાં મૂકવાના લેફ્ટ ફ્રન્ટ સરકારના કડક વલણે હિંદુઓના એક મોટા વર્ગને ભાજપ તરફ ધકેલી દીધો હતો.
સામાજિક આધાર પર હિંદુઓની પાર્ટી મનાતી સીપીએમમાંથી પણ ઘણો હિંદુ વર્ગ અલગ થયો હતો, કારણ કે તેમણે મંદિરમાં મહિલાઓના પ્રવેશનું સમર્થન કર્યું હતું.
આ સમયે કૉંગ્રેસને ભાજપની 'બી' ટીમ પણ કહેવામાં આવી, કારણ કે તેમણે પણ મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે પરંપરા ચાલુ રાખવાનું સમર્થન કર્યું હતું. તેનાથી લઘુમતીઓ કૉંગ્રેસથી થોડા સમય માટે દૂર થઈ ગઈ હતી.
એવું લાગે છે કે કૉંગ્રેસે ત્યારે જે તક ઝડપી લીધી હતી તેનો હવે તેને ફાયદો થઈ રહ્યો છે, કારણ કે ભાજપની જેમ કૉંગ્રેસે એલડીએફના વલણના વિરોધમાં હિંસક રીત અપનાવી નહોતી.
કૉંગ્રેસના એક નેતાએ નામ નહીં આપવાની શરતે કહ્યું, "તેમની ઉમેદવારીથી લોકો અમારી પાર્ટીના સમર્થનમાં વધુ વિશ્વાસ મૂકશે તેની અમને ખાતરી છે."
તામિલનાડુ, કર્ણાટકમાં અસર થઈ રહી નથી
એક તરફ કેરળના એકમને રાહુલ ગાંધીની ઉમેદવારીનો જેટલો લાભ થઈ રહ્યો છે તેવો પડોશી રાજ્યો કર્ણાટકના મૈસૂર અને ચામરાજનગર તેમજ તામિલનાડુના થેની અને નીલગિરિમાં નથી દેખાતો.
(કેરળના વાયનાડની લોકસભા બેઠક તામિલનાડુ અને કર્ણાટક સાથે ત્રણ રાજ્યો સાથે મળીને બની છે.)
સમગ્ર દક્ષિણ ભારતમાં રાહુલની હાજરીથી થઈ રહેલી અસરના કૉંગ્રેસના નેતાઓના દાવાથી કર્ણાટક અને તામિલનાડુ રાજ્યોની સ્થિતિ વિપરીત છે.
આ બંને રાજ્યોમાં કૉંગ્રેસના નેતા આ મુદ્દે કોઈ ચર્ચા કરવા માગતા નથી. જેથી કેરળમાં તેમના સમકક્ષોને કોઈ શરમ ન અનુભવવી પડે.
ચેન્નઈ સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના નિદેશક એન. સત્યમૂર્તિએ કહ્યું કે, "ડીએમકે પ્રમુખ એમ. કે. સ્ટાલિન પ્રથમ વ્યક્તિ હતી કે જેમણે રાહુલને વડા પ્રધાન બનાવવા માટે તેમના પક્ષ થકી સમર્થન આપવાની જાહેરાત કરી હતી."
"ડીએમકે તરફથી આ પ્રસ્તાવ સ્થાનિક સ્તરે ઘણું કામ કર્યાં પછી આવ્યો હતો. તામિલનાડુમાં ઘણા મહિનાઓ પહેલાં ચૂંટણી અભિયાન શરૂ થઈ ચૂક્યું છે."
સત્યમૂર્તિએ કહ્યું, "હકીકત એ છે કે તામિલનાડુના લોકોનું ધ્યાન લોકસભા ચૂંટણી કરતાં 18 જિલ્લામાં થનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં વધુ છે."
"ધીમે-ધીમે સત્તામાં રહેલી અન્નાદ્રમુક અને દ્રમુક વચ્ચે રસાકસી વધી રહી છે. જો મુખ્ય મંત્રી ઈ. પલાનીસામીને તેમાંથી 10-11 બેઠકો ન મળી તો તેમની સરકાર પડી શકે છે."
ધારવાડ યુનિવર્સિટીમાં રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર હરીશ રામાસ્વામી પણ માને છે કે રાહુલના વાયનાડમાં ઊભા રહેવાથી મૈસૂર અને ચામરાજનગરની બેઠકોમાં કૉંગ્રેસને કોઈ ફાયદો થશે નહીં.
પ્રોફેસર રામાસ્વામી કહે છે, "અહીં સ્થાનિક સ્તરે ચૂંટણી છે અને તેમાં રાહુલ ગાંધીની કોઈ અસર જણાતી નથી. તેમની ઉમેદવારી તેમના લડવાના પ્રભાવ કરતાં સુરક્ષિત ચૂંટણી ક્ષેત્રની પસંદગી વધુ છે."
ટૂંકમાં કહીએ તો લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના નેતૃત્વવાળી યૂડીએફને વિપક્ષી એલડીએફની સરખામણીમાં હંમેશાં વધુ બેઠકો મળી છે. આ વખતે અગાઉની ચૂંટણીઓ કરતાં વધુ બેઠક મળી શકે છે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો