કોણ હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પીઆરઓ જગદીશ ઠક્કર?

વડા પ્રધાન મોદીના નજીકના ગણાતા અને પીએમઓના પબ્લિક રિલેશન ઑફિસર જગદીશ ઠક્કરનું 72 વષની વયે અવસાન થયું છે.

વડા પ્રધાન મોદીએ સોમવારે 10મી ડિસેમ્બરે સવારે ટ્વિટર પર બે ટ્વીટ કરીને તેમના અવસાન વિશે જાણકારી આપી હતી.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારબાદ જગદીશ ઠક્કરની નિયુક્તિ પીએમઓના પબ્લિક રિલેશન ઑફિસર તરીકે કરી હતી.

જગદીશ ઠક્કર વર્ષ 1986થી લઈને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યાં સુધી ગુજરાતના સીએમના પીઆરઓ હતા.

તેમણે વર્ષ 2001માં નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની શરૂઆત કરી હતી અને 2014માં પીએમઓનાં પીઆરઓ બન્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ હતા જગદીશ ઠક્કર?

મૂળ ભાવનગરના વતની જગદીશ ઠક્કરે 1970ના દાયકામાં ગુજરાતના માહિતી ખાતામાં કામ કરવાની શરૂઆત કરી હતી.

વર્ષ 1985માં જગદીશ ઠક્કરની નિયુક્તિ કૉંગ્રેસના શાસનમાં મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીની ઑફિસમાં થઈ હતી.

વર્ષ 1985માં અમરસિંહ ચૌધરીની ઑફિસમાં કામ શરૂ કર્યા બાદ જગદીશ ઠક્કરે ગુજરાતના મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકી, ચિમનભાઈ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ અને નરેન્દ્ર મોદી માટે કામ કર્યું હતું.

વર્ષ 2004માં નિવૃત થઈ ગયા હોવા છતાં જગદીશ ઠક્કરને મુખ્ય મંત્રી મોદીએ પોતાના જનસંપર્ક અધિકારી તરીકે નિમ્યા હતા. નરેન્દ્ર મોદી માટે વક્તવ્યો તૈયાર કરવા અને તેમના માટે અખબારી યાદી કરવાની જવાબદારી જગદીશ ઠક્કરની હતી.

તેઓ નરેન્દ્ર મોદી સાથે પ્રવાસમાં પણ જોડાતા હતા. ઝડપી અને નરેન્દ્ર મોદીની કાર્યશૈલી મુજબની અખબારી યાદીઓ તૈયાર કરવાની તેમની વિશેષતા હતી.

'પત્રકારો સાથે પ્રેમાળ સ્વભાવે વર્તતા'

જગદીશ ઠક્કર વિશે પ્રતિભાવ આપતા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે કહ્યું, "સીએમ ઑફિસમાં આવતા પત્રકારો અને મુલાકાતીઓ સાથે ઠક્કર હસતા ચહેરે અને પ્રેમાળ સ્વભાવે વર્તતા હતા."

"જગદીશ ઠક્કરનો સ્વભાવ એવો હતો કે સીએમ ઑફિસની નિયમિત મુલાકાતે આવતા પત્રકારોને તેમના સમાચાર માટે મુખ્ય મંત્રીનો પ્રતિભાવ અપાવવા માટે મદદ કરતા હતા."

"જો કોઈ પત્રકાર પ્રજા પર નકારાત્મક અસર થાય તેવા સમાચાર લખવાના હોય તેવી ગંધ જગદીશ ઠક્કરને આવી જાય તો તેની સાથે કડક વર્તન પણ કરતા હતા."

"જોકે, ઠક્કરે આવા કિસ્સામાં ક્યારેય પત્રકારનું મનોબળ તોડ્યું નહોતું. પરંતુ તેઓ જેતે પત્રકારને વિસ્તૃત પરિપ્રેક્ષ્ય સમજાવીને તેના વિચારો બદલવાનો પ્રયાસ કરતા હતા."

અજય ઉમટના મતે જગદીશ ઠક્કરે રાજ્યના અને દેશના વડાઓ સાથે કામ કર્યું હોવા છતાં તેમણે ક્યારેય રાજકીય પક્ષો પ્રત્યે એક તરફે ઢળી જવાનું પસંદ કર્યુ ન હતું.

તસવીર મેળવવી દુર્લભ

જદગદીશ ઠક્કર વિશે વર્ષ 2014માં પત્રકાર કિંગશુક નાગે ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા માટે લખેલા બ્લૉગમાં લખ્યું હતું કે જગદીશ ઠક્કર લો પ્રોફાઇલ વ્યક્તિ હતા જે ગુજરાત માહિતી ખાતાના કર્મચારી હતા.

કિંગશુક નાગે લખ્યું હતું કે જ્યારે વડા પ્રધાન મોદી દ્વારા પીએમઓમાં તેમની જનસંપર્ક અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ તે સૌના માટે આશ્ચર્યજનક હતી.

જો કોઈ પત્રકારને નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવી હોય તો તેમના માટે જગદીશ ઠક્કર એક માત્ર સ્રોત હતા.

વર્ષ 2014થી વડા પ્રધાન કાર્યાલયના જનસંપર્ક અધિકારી હોવા છતાં અને અગાઉ ગુજરાતના મુખ્ય મંત્રીઓ માટે ત્રણ દાયકા સુધી ફરજ બજાવી હોવા છતાં જગદીશ ઠક્કરનો ફોટોગ્રાફ મેળવવો મુશ્કેલ હતો.

ટ્વીટર પર શ્રદ્ધાંજલી

જગદીશ ઠક્કરના અવસાન થતા જ વડા પ્રધાન સહિત દેશના પત્રકારોએ જગદીશ ઠક્કરને શ્રદ્ધાંજલી આપી હતી.

વડા પ્રધાન મોદીએ સોમવારે સવારે ટ્વીટર જણાવ્યું હતું કે પીએમઓના પીઆરઓ અને પૂર્વ પત્રકાર જગદીશ ઠક્કરનું નિધન થયું છે.

તેમના નિધનથી ખૂબ જ દુખ થયું છે. તેમની સાથે મને દિલ્હી અને ગુજરાતમાં કામ કરવાની તક મળી હતી.

બીજા ટ્વીટમાં વડા પ્રધાન જણાવ્યું હતું કે અનેક પત્રકારો જગદીશ ભાઈ સાથે નિયમિત સંપર્કમાં રહેતા હતા.

તેમણે ભૂતકાળમાં ગુજરાતના અનેક મુખ્ય મંત્રીઓ માટે ફરજ બજાવી હતી. અમે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ ગુમાવી છે.

પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જગદીશ ઠક્કર સાથે મારો પરિચય ગુજરાતથી જ હતો.

તેઓ ગુજરાત સીએમઓમાં કામ કરતા હતા ત્યારથી તેમને જાણું છું. તેઓ મળતાવડા સ્વભાવના હતા, અમારા બંનેમાં એક સામ્યતા હતી કે અમને બંનેને રાજકારણ કરતાં વધારે ક્રિકેટમાં રસ હતો.

કેન્દ્રના કપડાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જગદીશભાઈના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. તેઓ એક ખેલદિલ મિત્ર હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો