વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ ખરેખર હારી રહ્યો છે?

    • લેેખક, ઉર્મિલેશ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન સાત ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ગયું.

મતદાનની શરૂઆત છત્તીસગઢથી શરૂ થઈ, જ્યાં 12 નવેમ્બરના રોજ 18 બેઠકો માટે મતદાન થયું હતું. મતદાનનો અંત રાજસ્થાન અને તેલંગણાની તમામ બેઠકોના મતદાન સાથે થયો.

દેશની ઘણી ન્યૂઝ ચેનલોએ અલગઅલગ સર્વેક્ષણ એજન્સીઓના સહયોગથી ઍક્ઝિટ પોલનાં પરિણામો શુક્રવારે સાંજે જાહેર કરી દીધાં.

મોટાભાગનાં સર્વેક્ષણોમાં રાજસ્થાનમાં સત્તાધારી પક્ષ ભાજપ હારી રહ્યું છે, તેવું દર્શાવવામાં આવ્યું. ઍક્ઝિટ પોલનાં આ પરિણામોને જોતા ભાજપનું ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ લાગી રહ્યું છે.

જનધારણા મુજબ, હાલમાં મોટાભાગની ન્યૂઝ ચેનલો સત્તા સમર્થક છે, છતાં પણ આ ચેનલો સત્તાધિકારી પક્ષ ભાજપની હારની ભવિષ્યવાણી કરી રહી છે તો અર્થ સ્પષ્ટ છે કે આ રાજ્યો કોંગ્રેસની સ્થિતિ સારી હશે.

બીજું રાજ્ય તેલંગણા છે, જ્યાં દરેક ઍક્ઝિટ પોલ રાજ્યનો હાલનો સત્તાધિકારી પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની જીત દર્શાવે છે.

મધ્ય પ્રદેશમાં ભાજપની હાર?

મિઝોરમની વાત કરીએ તો મોટાભાગની ન્યૂઝ ચેનલ ઍક્ઝિટ પોલમાં સત્તાધિકારી પક્ષ કોંગ્રેસના હારવાની ભવિષ્યવાણી કરી રહ્યું છે, જ્યારે મિઝો નેશનલ ફ્રંટ (એમએનએફ)ની જીતના અણસાર છે.

ઍક્ઝિટ પોલ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અંગે અલગઅલગ પરિણામો રજૂ કરે છે.

રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમની જેમ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢને લઈને સર્વેક્ષણ એજન્સીઓનાં પરિણામોમાં સમાનતા નથી.

ત્રણ મુખ્ય ન્યૂઝ ચેનલ 'ઇન્ડિયા ટુડે- આજ તક', 'રિપબ્લિક ટીવી' અને 'એબીપી' એ પોતાનાં સર્વેક્ષણમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની જીત દર્શાવી છે.

આ ત્રણેય ન્યૂઝ ચેનલે ક્રમશ: એક્સિસ ઇન્ડિયા, સી-વોટર અને સીએસડીએસ પાસે પોતાનાં સર્વેક્ષણ કરાવ્યાં હતાં.

આ ત્રણેય સર્વેક્ષણ મધ્ય પ્રદેશમાં ભાજપની હારની ભવિષ્યવાણી કરી રહ્યાં છે, જ્યાં હિંદુત્વ રાજનીતિ આધારિત પક્ષ છેલ્લાં 15 વર્ષોથી સત્તામાં છે.

ચૂંટણી સર્વેક્ષણ એજન્સીઓએ મધ્ય ભારતના આ મહત્ત્વપૂર્ણ રાજ્યમાં ભાજપની હારનું કારણ ખેડૂતોમાં અસંતોષ અને મતદાતાઓમાં સત્તા પક્ષ વિરુદ્ધના વાતાવરણને જવાબદાર ઠેરવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

છત્તીસગઢમાં ત્રિશંકુ વિધાનસભા

છત્તીસગઢમાં ઍક્ઝિટ પોલનું આકલન સૌથી વધુ ગૂંચવણભર્યું છે. દરેક અલગઅલગ મત રજૂ કરે છે.

મોટાભાગ લોકો માને છે કે ચૂંટણી પરિણામોથી છત્તીસગઢમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સામે આવશે. મતલબ કે કોઈ એક સરકારને પૂર્ણ બહુમતી નહીં મળે.

માત્ર એબીપી અને ઇન્ડિયા ટીવીના સર્વેક્ષણ જણાવે છે કે છત્તીસગઢમાં ભાજપ સતત ચોથીવાર સત્તામાં આવશે અને તેનાથી કામચલાઉ બહુમતી મળશે.

પરંતુ 'ઇન્ડિયા ટુડે-આજ તક' અને 'રિપબ્લિક ટીવી' જેવી ચેનલો છત્તીસગઢમાં કોંગ્રેસની જીતવાની ભવિષ્યવાણી કરી રહી છે.

હારની ભવિષ્યવાણી કેટલી ગંભીર?

આ સર્વેક્ષણો પરથી લાગે છે કે માત્ર પ્રાદેશિક નેતૃત્વ જ નહીં, પરંતુ ભાજપનો જાદૂ પણ ખતમ થઈ રહ્યો છે.

જો સત્તા અને સત્તાધારી દળના પ્રચંડ સમર્થક કહેવાતી આ ન્યૂઝ ચેનલો સત્તાધારી પક્ષની હારની ભવિષ્યવાણી કરે, તો તેને ગંભીરતાથી લેવી જોઈએ.

આનો મતલબ એ છે કે ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિમાં બદલાવ આવી રહ્યો છે.

તો પણ આને હજુ સુધી આકલન તરીકે લેવામાં આવી રહ્યું છે. પ્રથમ વાત એ છે કે આ સર્વેક્ષણોની ભવિષ્યવાણીને ચૂંટણી પરિણામ તરીકે લેવું ઉતાવળ હશે.

ભૂતકાળમાં નજર કરીએ તો મોટાભાગના સર્વેક્ષણો અંદાજિત સાબિત થયા હતા, કારણ કે તેમનાં આકલન અને વાસ્તવિક પરિણામો વચ્ચે સમાનતા નહોતી, પરંતુ અમુક સર્વેક્ષણ સાચા પણ સાબિત થયાં હતાં.

સરવે એજન્સીઓની વિશ્વસનીયતા શંકાસ્પદ

ઍક્ઝિટ પોલમાં મહત્ત્વપૂર્ણ બાબત એ હોય છે કે કે તેઓ કેટલા લોકો સાથે વાતચીત કરે છે. એ પણ જોવાનું હોય છે કે વાતચીત કરનારા મતદાતાઓની પૃષ્ઠભૂમિ અને ક્ષેત્ર અલગઅલગ હતાં કે નહીં?

જેટલા વધુ લોકો અને તેમની પૃષ્ઠભૂમિનું આકલન થઈ શકે તેટલો જ સરવે ચોક્કસ હોવાનું સાબિત થાય છે.

અનેક કિસ્સામાં જોવા મળ્યું છે કે સર્વેક્ષણ એજન્સીના લોકોએ જલદી કામ પૂર્ણ કરવાના લોભમાં માત્ર સહજ રીતે ઉપલબ્ધ શહેરી ક્ષેત્રના મધ્યમવર્ગીય મતદાતાઓ પાસે પોતાનો મત જાણ્યો અને તેને સમગ્ર પ્રદેશનો મત માની લીધો.

મોટાભાગે આવા સર્વેક્ષણ ખોટા સાબિત થાય છે.

બીજી વાત કે આપણા દેશમાં અનેક સર્વેક્ષણ એજન્સીઓની વિશ્વસનીયતા શંકાસ્પદ છે. ઍક્ઝિટ પોલ અથવા ઓપિનિયન પોલ કરનારી અનેક એજન્સીઓ નિહિત સ્વાર્થના ભાગરૂપે કોઈ દળ અથવા સંસ્થા માટે કામ કરતી હોય છે.

થોડાં વર્ષ પહેલાં 'ન્યૂઝ એક્સપ્રેસ' નામની એક ચેનલના બહુચર્ચિત 'સ્ટિંગ ઑપરેશન'માં બહાર આવ્યું હતું કે ઓપિનિયન પોલ અને ઍક્ઝિટ પોલ કરતી ઘણી એજન્સીઓ કોઈ દળ, સંગઠન અથવા નેતા સાથે મળીને સર્વેક્ષણ આપવા તૈયાર હોય છે.

ઍક્ઝિટ પોલ કેટલા સાચા?

આપણે ઘણીવાર જોયું છે કે ન્યૂઝ ચેનલોના સંચાલકોના દબાણમાં સર્વેક્ષણ કરાવનારી એજન્સીઓ પોતાનાં આકલનો અને આંકડાઓ બદલવા રાજી થઈ જાય છે.

જે રાજી નથી થતી તેને ચેનલો બહારનો રસ્તો બતાવી દે છે. તેમની સાથે સંબંધ તોડી તેમની ફી રોકી દેવામાં આવે છે.

વર્ષ 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં તત્કાલીન રાજદ-જદયુ મહાગઠબંધનના વિજયની શક્યતા દર્શાવી રહેલી એક એજન્સીના ઍક્ઝિટ પોલને દેશની એક મોટી ન્યૂઝ ચેનલે પ્રસારિત કરવાની ના પાડી દીધી.

પરંતુ એ વાતનો ઇન્કાર ના કરી શકાય કે સર્વેક્ષણ એજન્સીઓની વધતી સંખ્યા વચ્ચે વિશ્વસનીયતા અને લાક્ષણિકતાની દોડ પણ તેમની વચ્ચે શરૂ થઈ છે.

હવે એ જોવાનું રહ્યું કે આ વખતે આ સર્વેક્ષણ એજન્સીઓ કેટલી હદે સાચી અને સચોટ ઠરે છે? તેને ઓળખવા માટે આપણે વાસ્તવિક ચૂંટણી પરિણામોની રાહ જોવી પડશે જે 11 ડિસેમ્બરના રોજ સામે આવશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો