ગ્રાઉન્ડ રિપોર્ટ : હીરો સબ-ઇન્સ્પેક્ટર ગગનદીપ સિંઘ 'અન્ડરગ્રાઉન્ડ'

    • લેેખક, સુનિલ કટારિયા
    • પદ, બીબીસી સંવાદદાતા, નૈનિતાલ (ઉત્તરાખંડ)થી

નૈનિતાલના રામનગરના ગરજીયા મંદિરની બહાર ઉગ્ર હિંદુ યુવકોની ભીડમાંથી એક મુસલમાનને બચાવનારા પોલીસ ઇન્સ્પેક્ટર ગગનદીપ સિંઘે કદાચ જ વિચાર્યું હશે કે તેઓ રાતોરાત સમાચારોમાં છવાઈ જશે અને એ પણ એમની નોકરીના પ્રથમ છ મહિનામાં જ!

આમ તો તેમણે પોતાની ફરજ જ નિભાવી છે, પણ હિંદુ-મુસલમાન, કથિત લવ જેહાદ અને ઉપરથી તેમનું શીખ હોવું, આ બધા પરીબળો એક સાથે ભળ્યાં અને જોતજોતામાં 27 વર્ષના આ યુવા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની જિંદગીમાં તોફાન આવી ગયું.

એ તોફાન એવું છે કે સોશિયલ મીડિયા તથા અન્ય પ્લૅટફોર્મમાં જે પોલીસ અધિકારીને 'હીરો' બનાવ્યા છે, એ જ આજે મીડિયાની સામે આવવાનું સહજ નથી અનુભવી રહ્યા.

જ્યારે બીબીસીએ તેમની સાથે ફોન પર વાત કરી, તેમને મળીને તેમની કહાણી જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે એટલું જ કહ્યું કે આ મામલે તેમના સીનિયર અધિકારીઓ જ કોઈ નિર્ણય લેશે.

ગગનદીપ સિંઘ ના મળ્યા

નૈનિતાલના સીનિયર એસપી જનમેજય ખંડૂરીએ બીબીસીની મુલાકાત ગગનદીપ સિંઘ સાથે કરાવવાનું વચન આપ્યું હતું, પણ આખા દિવસની રાહ જોયા બાદ પણ એ વચન પૂરું ના થઈ શક્યું.

ખંડૂરીના કહ્યા મુજબ, જ્યારે અમે દિલ્હીથી નૈનિતાલ પહોંચ્યા તો તેમણે અમને સિટી સતીનું નામ આગળ ધરીને એમ સંપર્ક સાધવા કહ્યું.

સતીએ ગગનદીપ સાથે મુલાકાત કરાવી આપવાનો ભરોસો અપાવ્યો, પણ થોડાં જ કલાકમાં તેમનો ફોન આવ્યો કે ''ગગનદીપ સિંઘ ક્યાં છે એ અંગે કંશુંય જાણવા નથી મળી રહ્યું.

''તેઓ ના તો ઘરે છે કે ના તો પોલીસ સ્ટેશન આવ્યા છે. એમનો નંબર પણ બંધ આવી રહ્યો છે. અમે તેમને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.''

એક દિવસ પહેલાં જે પોલીસ અધિકારીના વખાણ આખો દેશ કરી રહ્યો હતો, એ આજે ક્યાં છે એની કોઈને પણ જાણ નથી.

પોલીસ અધિકારીઓ સાથેની વાતચીતમાં એવું સ્પષ્ટ લાગી રહ્યું હતું કે કંઈક ગડબડ તો છે જ.

અમારા માટે એ સમજવું પણ મુશ્કેલ નહોતું કે અચાનક જ મીડિયા દ્વારા ઇન્ટરવ્યૂ માટે કરાઈ રહેલી માગને કારણે નૈનિતાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હશે.

રજા પર મોકલી દેવાયા?

જોકે, સીનિયર એસપી ખંડૂરીએ પોતાની ઑફિસમાં અમને જણાવ્યું, "ગગનદીપ સાથે મારી વાત થઈ છે અને તે અત્યારે મીડિયા સાથે વાત કરવા સહજ નથી અનુભવી રહ્યા.

"તેમનું કાઉન્સિલિંગ કરાવવામાં આવશે."

જોકે, આ મામલો ગગનદીપ સિંઘના અચાનક જ 'હીરો' બની જવા પૂરતો નથી.

સોશિયલ મીડિયા પર ગગનદીપના જેટલા વખાણ થઈ રહ્યાં છે એટલી જ ગાળો પણ પડી રહી છે.

આવું કોઈ પણ પ્રકારનું દબાણ સહન કરવાનો અનુભવ એમની પાસે નથી.

અલબત્ત, પોતાની પોલીસ ટ્રેનિંગને કારણે તેઓ ભીડ સામે ઊભા ચોક્કસથી રહી ગયા, પણ સોશિયલ પ્લેટફોર્મ પર, પોતાના પોતાના લોકો વચ્ચે ટ્રોલ થવાનો અનુભવ કદાચ એમની પાસે નહીં હોય.

એમની બહાદુરીના વખાણ તો ફરહાન અખ્તર, અદિતી રાવ હૈદરી, રિચા ચઠ્ઠા જેવા સ્ટાર્સ પણ કરી ચૂક્યા છે, પણ, આ વખાણથી ખુશ થવાની તક પણ ગગનદીપને નથી મળી.

તેમના પર ગર્વ અનુભવતા તેમના જ વિભાગના ઉચ્ચ અધિકારીઓના મતે ગગનદીપ સિંઘને કેટલાંક દિવસ માટે રજા પર મોકલી દેવાયા છે.

રામનગરમાં ચર્ચા

પોલીસ અધિકારીઓના હાવભાવ પણ કંઈક એવું પૂછી રહ્યા હતા કે માત્ર 27 વર્ષની ઉંમરના એક સબ ઇન્સ્પેક્ટરને મીડિયા રાતોરાત 'હીરો' કેમ બનાવવા માગે છે?

જોકે, એમના 'અંડર ગ્રાઉન્ડ'થવા પાછળનું સાચું કારણ રામનગરની આબોહવામાં જોવા મળે છે.

ગગનદીપ સિંઘે જે યુવકને બચાવ્યો એ મુસ્લિમ સમુદાયનો યુવક હતો અને હિંદુ યુવતી સાથે મંદિર સંકુલની આસપાસ 'પકડાયો' હતો.

આ વાતને રાજ્યના શાસક ભાજપના કેટલાય નેતાઓ 'લવ જેહાદ'નો મામલો ગણાવી રહ્યા છે.

રુદ્રપુરના ભાજપના ધારાસભ્ય કુમાર ઠુકરાલે મીડિયા સમક્ષ આ મામલાને કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી.

તેમણે કહ્યું, "લવ જેહાદના કોઈ પણ મામલાને સહન કરવામાં નહીં આવે."

તેમના આ નિવેદનની અસર સ્થાનિક પોલીસ અધિકારીઓ પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

વાતાવરણ ડહોળાવવાનો પ્રયાસ

રામનગરના ગરજીયા મંદિરની આસપાસના લોકોના ચહેરાના હાવભાવમાં ચારેય બાજુ છવાયેલી શાંતિ છતાં એ દર્શાવી રહ્યાં છે કે અહીં કંઈક તો છૂપાવાઈ રહ્યું છે.

ભાજપના જિલ્લા મહામંત્રી તેમજ સ્થાનિક ગ્રામ પ્રધાન રાકેશ નૈનવાલે બીબીસીને કહ્યું:

"આ ઘટના એટલી મોટી નથી કે આટલા વખાણ કરવા પડે. અમારા કાર્યકરોએ પેલા છોકરાને બે લાફા જ ઝીંક્યા હતા. તમે વીડિયો પણ જોઈ લો, કોઈના પાસે હથિયાર નહોતા.

"તમે એ પણ જુઓ કે એ લોકો મંદિરના પરિસરમાં શું કરવા આવી રહ્યા છે. લંપટતા કરવા આવી રહ્યા છે. પોલીસ એવા લોકો પર કેમ ધ્યાન નથી આપતી. "

તો આ દરમિયાન રામનગરમાં એવા લોકો પણ મળ્યા કે જેમણે આરોપ લગાવ્યો કે માહોલ બગાડવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આવી તસવીર જોવા માટે તસરી રહ્યા છીએ...

સ્થાનિક નાગરિક કેસર રાણાએ જણાવ્યું, "છેલ્લા કેટલાક સમયથી રામનગરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

"લવ જેહાદના નામે મુસલમાનોને ઘેરવામાં આવી રહ્યા છે. જો યુવક-યુવતી મળે તો કોઈ એવું ફરમાન કઈ રીતે આપી શકે કે આ 'લવ જેહાદ' છે? "

રામનગરના અન્ય એક રહેવાસી અને રંગકર્મી અજીત સહાની જણાવે છે, "ધર્મ કી બૈસાખીયોં પર યે સિયાસત કા સફર, આદમી પર આદમી કી જાનવર જૈસી નઝર."સાથે જ ઉમેરે છે, "ગગનદીપસિંઘે જે રીતે એક યુવકને પોતાની છાતીમાં લગાવીને એનું રક્ષણ કર્યુ, એવી તસવીર અમે આખા ભારતમાં જોવા માટે તરસી રહ્યા છીએ."

આવામાં એવું સમજવું અઘરું નથી કે ભાજપના નેતાઓનુ આક્રમક વલણ અને એમનું દબાણ સ્થાનિક પોલીસ પર નહીં હોય.

જોકે, એસએસપી જનમેજય ખંડૂરી જણાવે છે, "અમારા પર કોઈ પણ જાતનું દબાણ નથી. "

તેઓ સતત એક જ વાત કરી રહ્યા છે કે હાલની પરિસ્થિતિમાં ગગનદીપ સાથે વાત કરવું યોગ્ય નહીં રહે.

ગગનદીપ સિંઘની કહાણી

એવું બની શકે કે પોલીસ વિભાગ પોતાના આ યુવા અધિકારીને વધુ પડતા મીડિયા એક્સપૉઝરથી બચાવવા માગતો હોય પણ ઉત્તરખંડ પોલીસ અન્ય પોલીસ ફૉર્સ સામે ગગનદીપ સિંઘનું ઉદાહરણ રજૂ કરતા ચૂકી ગઈ છે.

ઉત્તરાખંડ રાજ્ય પોલીસના કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ અને ડીજીપી મુખ્યાલયના મીડિયા સેલ પ્રભારી પ્રદિપ ગોડબોલે પણ સતત એ જ દર્શાવ્યું કે ગગનદીપસિંઘની કહાણી એક પોઝિટિવ સ્ટોરી છે.

ગગનદીપને સન્માનિત કરવાની હાલમાં તો રાજ્ય સરકારે પહેલ નથી કરી, જ્યારે પોલીસ માટે પડકાર એ છે કે ગગનદીપ સિંઘ જેવા પોલીસ ઇન્સ્પેક્ટર દરેક વિસ્તારમાં હોય.

પણ આ બધા વચ્ચે ગગનદીપ સિંઘના હોંસલો બુલંદ જણાઈ રહ્યો છે.

28મી મેએ જ્યારે તેમનો વિભાગ તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ તેમણે ફેસબુક પર પોતાની તસવીર બદલી હતી.

જોકે, સૌથી રસપ્રદ તો તેમનું વ્હૉટ્સએપ સ્ટેટસ જ છે, 'હું કોઈથી સારું કરું... શું ફેર પડે છે...! હું 'કોઈનું' સારું કરું..બહુ ફેર પડે છે...!'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો