You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાર્ગા ચેટર્જી: હિંદી, હિંદુ અને હિંદુસ્તાનનો વિચાર દેશ માટે જોખમી
- લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
- પદ, બીબીસી તમિલ
દેશમાં રાષ્ટ્રવાદ અને હિંદીને રાષ્ટ્રીય ભાષાના દરજ્જા મુદ્દે વ્યાપક ચર્ચાઓ થાય છે. હિંદીનો રાષ્ટ્રભાષા તરીકેનો વિચાર અને ફેડરલ માળખું બન્ને પરિબળો આ મામલે મહત્ત્વની ભૂમિકા ધરાવે છે.
આ સમગ્ર મામલે ભાષાઓના અધિકાર તથા ફેડરલ સિસ્ટમ વિશે લખતા પશ્ચિમ બંગાળના લેખક ગાર્ગા ચેટર્જી સાથે બીબીસીએ વાતચીત કરી.
ભારતમાં 'રાષ્ટ્રવાદ અને ઉપ-રાષ્ટ્રવાદ' વિશે તેમણે કહ્યું કે ખરેખર 'ઉપ-રાષ્ટ્રવાદ' એ ભયનું પરિણામ છે.
ભારતની એકતા અને રાષ્ટ્રવાદને પડકાર બાબતેની ભીતિને પગલે આ શબ્દ વાપરવામાં આવે છે.
તેમણે કહ્યું, ભાષા રાષ્ટ્રનો આધાર હોય છે. મુસ્લિમ રાષ્ટ્રો પણ ભાષાના આધારે વહેંચાઈ ગયા અને આમ ભાષા રાષ્ટ્રવાદનો પાયો છે.
ભારત એકથી વધુ રાષ્ટ્રીયતાનો સમન્વય છે. તમામ રાષ્ટ્રીયતા માટે પરસ્પર તે લાભદાયી છે.
પણ આ લોકોના વિકાસ માટે તેમના નિર્ણયોની સત્તાની તક તમામ રાષ્ટ્રીયતાને જ આપવી જોઈએ.
1947માં આઝાદી પછી ભારતમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું પણ હવે તેમાં બદલાવની જરૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેને કાયદાકીય અને બંધારણીય રીતે બદલવાની જરૂર છે.
એટલે કે કેન્દ્ર પાસેની કેટલીક સત્તાઓ હવે રાજ્ય સરકારોને આપી દેવાનો સમય છે.
કેમ કે કેન્દ્રીય સત્તાની મદદથી સરકાર રાજ્યોની બાબતોમાં દખલગીરી કરે છે.
તેલંગણાના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવનું પણ આવું જ કહેવું છે. ગત વર્ષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી.
"મમતા બેનર્જીએ પણ કહ્યું હતું કે સરકાર પાસે માત્ર વિદેશ, રક્ષા અને કાયદા તથા રેલવેમાં નિયંત્રણ હોવું જોઇએ.
વળી તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અન્ના દુરાઈ પણ આવું જ કહેતા હતા.
હિંદી, હિંદુ અને હિંદુસ્તાન
હિંદી, હિંદુ અને હિંદુસ્તાનની રીત મામલે તેમને પૂછતા તેમણે કહ્યું કે કેટલાંક સમયથી કેટલાંક લોકો સરકાર આ માર્ગે ચલાવવા માગે છે.
આ વખતે 2019ની લોકસભા ચૂંટણી માત્ર વડાપ્રધાનની પસંદગીની નહીં હોય.
2019 પછીનો સમય ફેડરલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો હોવો જોઈએ.
તમે આ વાંચ્યું કે નહીં?
કેમ કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે દેશનું 'ફેડરલ સ્ટ્રક્ચર' બદલી ન શકાય. આથી ભારતમાં રાષ્ટ્રીયતાના ફેડરલ સ્ટ્રક્ચરનું ભાવિ ઉજળું છે.
શું બંધારણ આ ફેડરલ સિસ્ટમને સ્વીકારે છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે બંધારણને આપણે બે રીતે જોઈએ છીએ એક તે છે તે રીતે અને બીજું તેમાં રહેલી સંભાવનાઓ.
બંધારણમાં ઘણી વખત ફેરફાર કરાયો છે આથી આ મામલે પણ અવકાશ છે.
જો કોઈ બાબત બંધારણની મૂળભૂત વિભાવનાની વિરુદ્ધમાં હોય ફેરફાર ન થઈ શકે.
લોકો રાષ્ટ્રવાદને ભાષા, પ્રદેશ અને ધર્મના આધારે પરિભાષિત કરતા હોય છે. પણ રાષ્ટ્રવાદની તેમની ભાષા વિશે તેમણે કહ્યું, "ભાષા રાષ્ટ્રવાદનો આધાર છે.
વિશ્વમાં પણ આવું જ છે. ભાષાની વાત કરીએ તો ઇજિપ્ત અને સીરિયાને એક કરીને યુએઈની રચના કરવામાં આવી હતી.
આ બન્ને રાષ્ટ્રો મુસ્લિમ રાષ્ટ્રો છે પણ તેમાં રહેતા લોકો વંશની દૃષ્ટિએ આરબ છે.
પણ તેમની ભાષામાં તફાવત હોવાથી તેમનું સહ-અસ્તિત્વ નથી.
પાકિસ્તાન ઇસ્લામ ધર્મ પર રચાયું પણ તેમ છતાં તેને ધર્મ એક રાખી શક્યો નહીં. ધર્મ રાષ્ટ્રવાદ ન સર્જી શકે.
ધર્મ અને ભાષા મામલે રાષ્ટ્રવાદની પરિભાષા વિશે વાત કરતા તેમણે આ મુદ્દે ભારતની વિશેષતા વિશે કહ્યું કે ભારતની વિશેષતા એ છે કે તે વિવિધ મૂલ્યો પર રચાયેલો દેશ છે.
તેમણે કહ્યું,"લોકશાહી અને સમાનતા તેનો પાયો છે. વળી વિવિધ રાષ્ટ્રીયતાઓ વચ્ચે સહકાર પણ વિશેષ બાબત છે.
"આથી દેશમાં રાષ્ટ્રવાદ નહીં પણ માત્ર બંધારણની જરૂર છે."
કેન્દ્રમાં શું છે?
તેમણે ઇતિહાસ અને હિંદી ભાષા વિશે કહ્યું,"જો તમે સીબીએસઈનો ઇતિહાસનો અભ્યાસક્રમ જુઓ તો તેમાં મોટાભાગના પાઠ હિંદી બોલતા લોકો વિશેના છે."
"નાગ અથવા તામિલ સમુદાય સાથે તેને શું સંબંધ છે? જ્યારે હર્ષવર્ધને દક્ષિણ તરફે કૂચ કરી ત્યારે તેની પુલીકેશે હત્યા કરી દીધી અને મુગલોએ પશ્ચિમમાં ચઢાઈ કરી."
આવી રીતે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આમ મધ્ય-કેન્દ્ર પ્રદેશ કયા? હિંદી બોલતા રાજ્ય? આ પ્રકારની માનસિકતા દેશની એકતા માટે જોખમી છે.
ભારતમાં કેવો રાષ્ટ્રવાદ છે?
ભારતમાં પ્રવર્તતા રાષ્ટ્રવાદ વિશે તેમને પૂછતા તેમણે કહ્યું કે ભારતમાં લોકોની એકતા માટે જવાબદાર રાષ્ટ્રવાદ તેમનું બંધારણ છે.
આ મામલે તેમણે વધુમાં કહ્યું, "આ એકતા પર ખતરો છે. હિંદુ, હિંદી અને હિંદુસ્તાનના દમનકારીઓથી એકતાને ખતરો છે."
"આ લોકો દેશમાં એક ભાષા, એક ધર્મ ઇચ્છે છે અને અન્ય લોકોને સેકન્ડ ક્લાસ સિટીઝન ગણે છે. આ બાબત અસ્વીકાર્ય છે."
"જેટલું આપણે સત્તાનું કેન્દ્રીકરણ કરીશું તેનાથી વધુને વધુ ભાગલા પડશે."
"વર્ષ 2026માં લોકસભાના મતક્ષેત્રોની ફરીથી રચના થશે. આ સમયે દેશ હિંદી-હિંદુ બહુમતી રાષ્ટ્ર બનવાની ભીતિ છે. આવું થતા અટકાવવું પડશે."
ગાર્ગા ચેટર્જીએ આ બાબતને એક સમસ્યા ગણાવી. આથી તેને વસતીની દૃષ્ટિએ કઈ રીતે જોવી અને તેનો કઈ રીતે સામનો કરી શકાય તે વિશે તેમણે કહ્યું કે રાજ્ય સરકારોને વધુ સત્તા આપવાથી તેનો સામનો કરી શકાય છે.
તેમણે ઉમેર્યું, "રક્ષા, નાણાં અને કાયદા મંત્રાલયનો પ્રભાર કેન્દ્ર સરકાર પાસે જ રહેવો જોઈએ.
"પણ કેટલીક સત્તા કેન્દ્રમાંથી રાજ્યોને આપવી જોઈએ. આપણી પાસે ઉર્દૂ-ઇસ્લામ અને સિંહાલા-બૌદ્ધ રાષ્ટ્રવાદ શું પરિણામ આપી શકે તે જાણવા જોવા માટે આપણા પડોશી રાષ્ટ્રો તેનું ઉદાહરણ છે."
ઓળખનો અધિકાર
હંમેશાં ભાષા આધારિત રાષ્ટ્રવાદ અંતે જાતિ પર ખતમ થાય છે. આ વિશે તેમનું કહેવું છે કે આપણે આ પડકારનો બંધારણથી સામનો કરવો પડશે.
ભાષા કોઈ પણ હોય તેના આધારે કોઈનો અધિકાર છીનવી લેવાય તેવું ન થવું જોઈએ.
જો આપણે પૂર્વજો વિશે સંશોધન કરીશું તો સાંપ્રદાયિક સંઘર્ષ જ ઊભા થશે.
ખરેખર કેટલાંક દમનકારીઓ દેશને બંધારણ હેઠળ એક કરવાની જગ્યાએ 'હિંદુ, હિંદી અને હિંદુસ્તાન'ના નામથી ભાગલા પાડી રહ્યા છે.
આ 'હિંદુ, હિંદી અને હિંદુસ્તાન' શું છે? તે સમજવું જરૂરી છે. તેમણે કહ્યું, "હિંદી એક કાલ્પનિક વિચાર છે. તેમના અનુસાર રાજસ્થાની, ભોજપુરી, છત્તીસગઢી હિંદીનો જ ભાગ છે. આ ખરેખર ફની વાત છે."
આ લોકો દેશમાં દરેક પર હિંદી ભાષા થોપવા માગે છે. ચેન્નાઈમાં દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભા છે. શું ઉત્તર ભારતમાં ઉત્તર ભારત તામિલ પ્રચાર સભા છે?
આદાનપ્રદાન ખરેખર સમાન અને પરસ્પર હોવું જોઇએ. તો જ તે મૈત્રીપૂર્ણ હશે નહીં તો તે હિંસક બની જશે.
'હિંદુ વિચાર'
હું કાયદા મુજબ હિંદુ છું. પણ બંગાળમાં બું શક્તા પ્રદેશની છું. હું 'કાલીમાતા'ને માંસ ધરાવું છું અને તેમની પૂજા કરું છું.
શું હું હિંદુ દેવીને જે પ્રસાદ ધરાવું છું તેઓ તેને આરોગશે? તેમના અનુસાર શાકાહારી એટલે હિંદુ.
કેન્દ્ર સરકારની ઇવેન્ટ્સમાં માંસાહારી ભોજન નથી હોતું. જ્યારે બીજી તરફ ભારતમાં 70 ટકાથી વધુ લોકો માંસાહારી છે.
આથી આવા ધર્મ આધારિત નિયંત્રણો વાસ્તવિકતાના વિરોધી છે અને તે દેશમાં ભાગલા પાડે છે.
હિંદુસ્તાન શું છે?
હિંદુસ્તાન વિશે તેમણે કહ્યું, "હિંદી ભાષા બોલતા પ્રદેશના રાજકારણીઓ અને બોલીવૂડના સેલેબ્રિટીઝ આ શબ્દનો પ્રયોગ દેશના નામનો ઉલ્લેખ કરવા માટે કરે છે."
"હિંદી બોલતા પ્રદેશ હિંદુસ્તાન છે. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળ હિંદુસ્તાનનો ભાગ નથી."
"આઝાદી પૂર્વે પશ્ચિમ બંગાળના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનો ઉલ્લેખ કરવા હિંદુસ્તાની શબ્દ વાપરતા હતા. એનો અર્થ કે અમે હિંદુસ્તાનનો ભાગ નથી."
"1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન સામે ભારતનો ઉલ્લેખ હિંદુસ્તાન તરીકે કરવામાં આવે છે."
"ત્યાર બાદ હિંદુસ્તાન શબ્દ સમગ્ર ભારતનો ઉલ્લેખ કરવા માટે વપરાવા લાગ્યો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો