You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસભાના પ્રવચનમાં શું કહ્યું હતું?
કોલકાતામાં 1863ની 12 જાન્યુઆરીએ જન્મેલા નરેન્દ્રનાથ, તા. ચોથી જુલાઈ 1902ના દિવસે મૃત્યુ પામ્યા. પરંતુ આ દરમિયાન તેઓ સ્વામી વિવેકાનંદના નામે વિખ્યાત થયા હતા.
સ્વામી વિવેકાનંદની વાત થાય ત્યારે તેમણે અમેરિકાના શિકાગોની ધર્મ સંસદમાં 1893માં 11મી સપ્ટેમ્બરે આપેલાં પ્રવચનની ચર્ચા જરૂર થાય છે.
એ પ્રવચને સમગ્ર દુનિયા સામે ભારતને મજબૂત ઇમેજ સાથે રજૂ કર્યું હતું, પણ એ પ્રવચનમાં સ્વામીજીએ શું કહ્યું હતું એ બહુ ઓછા લોકો જણાવી શકે છે.
સ્વામી વિવેકાનંદના એ પ્રવચનના ખાસ અંશો વાંચોઃ
- અમેરિકન ભાઈઓ અને બહેનો, તમે જે સ્નેહ સાથે મારું સ્વાગત કર્યું છે તેનાથી હું ગદગદ થઈ ગયો છું.
- હું દુનિયાની સૌથી જૂની સંત પરંપરા અને તમામ ધર્મોની જનેતા તરફથી આપને ધન્યવાદ આપું છું.
- તમામ જ્ઞાતિઓ અને સંપ્રદાયોના લાખો-કરોડો હિંદુઓ તરફથી આપનો આભાર માનું છું.
- વિશ્વમાં સહિષ્ણુતાનો વિચાર પૂર્વના દેશોમાંથી ફેલાયો હોવાનું આ મંચ પર અગાઉના જે વક્તાઓએ જાહેર કર્યું હતું તેમનો પણ આભાર માનું છું.
- મને એ વાતનો ગર્વ છે કે હું એ ધર્મને અનુસરું છું, જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનું જ્ઞાન આપ્યું છે.
- અમે માત્ર સાર્વભૌમિક સહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી રાખતા, અમે તમામ ધર્મોનો સત્યના સ્વરૂપમાં સ્વીકાર કરીએ છીએ.
• મને ગર્વ છે કે હું એ દેશમાંથી આવું છું, જે દેશે તમામ ધર્મો અને દેશો દ્વારા હેરાન કરવામાં આવેલા લોકોને શરણ આપ્યું છે.
• મને ગર્વ છે કે અમે અમારાં હૃદયમાં ઈઝરાયલની એ પવિત્ર સ્મૃતિને જાળવી રાખી છે, જેમાં તેમનાં ધર્મસ્થળોને રોમન હુમલાખોરોએ લગભગ નષ્ટ કરી નાખ્યાં હતાં. પછી તેમણે દક્ષિણ ભારતમાં આશ્રય લીધો હતો.
• મને ગર્વ છે કે હું એક એવા ધર્મને અનુસરું છું, જેણે પારસી ધર્મના લોકોને આશ્રય આપ્યો છે અને તેની સતત મદદ કરી રહ્યો છે.
• હું આ પ્રસંગે એક શ્લોક સંભળાવવા ઇચ્છું છું. આ શ્લોકનું પઠન હું બાળપણથી કરતો રહ્યો છું અને રોજ કરોડો લોકો તેનું પઠન કરે છે. એ શ્લોક આ મુજબ છેઃ "જે રીતે અલગ-અલગ સ્થળોએથી નિકળેલી નદીઓ અલગ-અલગ માર્ગોથી આગળ વધીને આખરે સમુદ્રમાં ભળી જાય છે તેવી જ રીતે મનુષ્ય પોતાની ઇચ્છાથી અલગ-અલગ માર્ગ પસંદ કરે છે"
"એ માર્ગો ભલે અલગ-અલગ દેખાય, પણ બધા રસ્તા આખરે તો ઈશ્વર ભણી જ જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
• આજનું સંમેલન અત્યાર સુધીની સૌથી પવિત્ર સભાઓ પૈકીનું એક છે. આ સંમેલન ગીતામાં આપવામાં આવેલા એક ઉપદેશ મુજબનું છે. ગીતામાં એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે "જે વ્યક્તિ મારા સુધી આવે છે, એ ભલે ગમે તેવી હોય, પણ હું તેમના સુધી પહોંચું છું." "લોકો અલગ-અલગ માર્ગો પસંદ કરે છે, મુશ્કેલીઓનો સામનો કરે છે, પણ આખરે મારા સુધી પહોંચે છે."
• સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને તેના ભયાનક વંશજોની ધાર્મિક હઠે આ સુંદર ધરતીને લાંબા સમયથી જકડી રાખી છે. તેમણે આ વિશ્વમાં પારાવાર હિંસા ફેલાવી છે અને અનેક વખત આ ધરતી લોહીથી લાલ થઈ ચૂકી છે. તેમાં સંખ્યાબંધ સંસ્કૃતિઓ તથા દેશોનો નાશ થયો છે.
• આ ખૌફનાક રાક્ષસો ન હોત તો માનવસમાજ અત્યાર કરતાં અનેકગણો બહેતર હોત, પણ એ રાક્ષસોનો સમય પુરો થઈ ગયો છે. મને આશા છે કે આ સમેલનનું બ્યુગલ તમામ પ્રકારની કટ્ટરતા, હઠધર્મિતા અને દુઃખોનો વિનાશ કરશે. એ વિનાશ ભલે તલવાર વડે થાય કે કલમ વડે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો