You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Exit Poll એટલે શું, તેના વિશે આપ કેટલું જાણો છો?
રવિવારે સાંજે રજાનો દિવસ હોવા છતાંય દિલ્હી સહિત દેશભરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો.
મતદાન પૂર્ણ થવાના ગણતરીના કલાકો પૂર્વે જ ટીવી ચેનલો પર ઍક્ઝિટ પોલ તથા તેના તારણના આધારે આગામી સરકાર વિશેની ચર્ચા છેડાઈ ગઈ.
2014માં માત્ર એક સર્વેનો અંદાજ વાસ્તવિક પરિણામોની નજીક રહ્યો હતો. આ પહેલાં 2004માં મોટા ભાગના ઍક્ઝિટ પોલ પરિણામોથી વિપરીત રહ્યા હતા.
ચૂંટણીપંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાના મતદાનના દિવસે સાંજે સાડા છ વાગ્યા સુધી ઍક્ઝિટ પોલ દર્શાવી ન શકાય.
ઍક્ઝિટ પોલ, પોસ્ટ પોલ તથા સર્વે અંગે નિષ્ણાતો શું માને છે તે જાણો.
તમને આ પણ વાંચવું ગમશે
ઍક્ઝિટ પોલ એટલે...
- મતદાર મત આપીને બહાર નીકળે ત્યારે તેમની સાથે સર્વેક્ષણ કરનારી સંસ્થાના લોકો પ્રશ્નોત્તરી કરે છે.
- પ્રશ્નોત્તરીના આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે મતદારે કોને મત આપ્યો હશે.
- જુદીજુદી બેઠકો પરથી મતદાન વિષેની માહિતી એકત્રિત કરવામાં આવે છે.
- માહિતીનું પૃથક્કરણ કર્યા બાદ અંદાજ કાઢવામાં આવે છે. જે-તે બેઠકો પર ઊભેલા ઉમેદવારોને કેટલા મતો મળશે, તેનું અનુમાન કરવામાં આવે છે.
- આવાં અનુમાનોથી કયા પક્ષની મતદાનની ટકાવારી વધી-ઘટી છે તેનો અંદાજ કાઢવામાં આવે છે. આ બધી બાબતોના આકલનને ઍક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ્ (સીએસડીએસ)ના નિયામક સંજયકુમારે આ વિશે બીબીસી સાથે વાતચીત કરી.
કુમારે ઍૅક્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ સર્વે વચ્ચે તફાવત સમજાવતાં કહ્યું હતું, "ઍક્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ સર્વેમાં એકંદરે ઘણો ફરક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુમારના જણાવ્યા મુજબ, "તેમની સંસ્થા વર્ષોથી પ્રી-પોલ અને પોસ્ટ-પોલ સર્વે કરી રહી છે. ભારતમાં બીજી અનેક એજન્સીઓ પણ ઍક્ઝિટ પોલ હાથ ધરે છે.
"દેશમાં આવી કેટલી એજન્સીઓ કાર્યરત છે અને કેટલા લોકોને આવાં સર્વેક્ષણો દ્વારા રોજગારી મળી રહી છે તે કહેવું અશક્ય છે."
વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં એક જ સંસ્થા છે જે આવાં ચૂંટણીલક્ષી સર્વેક્ષણો હાથ ધરે છે.
ટેક્સસૂત્ર.કોમના ગ્રૂપ એડિટર અને ચૂંટણી વિશ્લેષક અરુણ આનંદગીરી સાથે પણ બીબીસીએ વાત કરી હતી.
અરુણે કહ્યું હતું,"અમેરિકામાં બધી ટેલિવિઝન ચેનલોને એક જ સંસ્થા આ પ્રકારની માહિતી આપે છે. ભારતમાં એવું નથી. એટલે અહીં હાથ ધરવામાં આવતાં સર્વેક્ષણોમાં ઘણી વિવિધતા હોય છે."
ઍક્ઝિટ પોલ કેટલા સાર્થક?
આ પ્રશ્નનો જવાબ આપતા કુમારે કહ્યું હતું ''ઍક્ઝિટ પોલ અર્થપૂર્ણ હોય જ છે. એની સાર્થકતા કે એની વિશ્વસનીયતા સામે આજ સુધી કોઈ સવાલો ઊભા થયા નથી.''
સ્વરાજ પાર્ટીના પ્રમુખ અને સેફોલૉજિસ્ટ ડૉ. યોગેન્દ્ર યાદવનો મત થોડો જુદો છે.
બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. યોગેન્દ્ર યાદવે કહ્યું હતું, ''ઓપિનિયન પોલ અને ઍક્ઝિટ પોલ એક પ્રકારના માપદંડ હોય છે. એટલે જ તે સમયાંતરે બદલાઈ શકે છે.''
કઈ બાબતો પર મદાર?
'કયા વિસ્તારમાં, કયા સમયે અને કયા પ્રકારના મતદાતાઓના અભિપ્રાયો સર્વેક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા છે તેના પર ઍક્ઝિટ પોલનો મદાર હોય છે.'
ઍક્ઝિટ પોલની સાર્થકતા સામે સવાલ કરતા અરુણે કહ્યું હતું, "અમેરિકામાં પાંચ મુખ્ય ટેલિવિઝન ચેનલો એકમાત્ર સંસ્થા પાસેથી ઓપિનિયન કે ઍક્ઝિટ પોલ મેળવે છે, પણ સમાંયતરે આ માહિતી ખોટી ઠરતા પાંચમાંથી બે ચેનલે એ લેવાનું બંધ કર્યું છે."
અરુણે ઉમેર્યું હતું, "ભારત જેવા દેશમાં આવાં સર્વેક્ષણો જ્ઞાતિ આધારિત રાજકીય સમીકરણોને લીધે વૈવિધ્યસભર બને છે.
તેથી તેમાં ક્યારેક કોઈ ખોટા સાબિત થાય છે તો કોઈ સાચા ઠરે છે. ઍક્ઝિટ પોલને બહુ ગંભીરતાથી ન લેવા જોઈએ"
ઍક્ઝિટ પોલ સદંતર ખોટા પણ સાબિત થાય?
ઍક્ઝિટ પોલ ખોટા પડ્યાને અનેક દાખલા છે.
કુમારે કહ્યું હતું, "2004માં લોકસભાની ચૂંટણીમાં ઍક્ઝિટ પોલ ખોટા સાબિત હતા. ભાજપને ફરીથી સત્તા મળશે એવું એ સમયે તમામ ઍક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ એવું થયું નહોતું.
કૉંગ્રેસ પક્ષની આગેવાની હેઠળના યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સે સરકાર બનાવી હતી."
અરુણે ઉમેર્યું હતું, "2004માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પ્રાથમિક ઍક્ઝિટ પોલ મુજબ, જ્હોન કેરી તેમના પ્રતિસ્પર્ધી જ્યોર્જ ડબલ્યુ. બુશને હરાવવાના હતા, પણ એવું ન થયું.
2016માં યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પણ પ્રાથમિક તારણ એવું આવ્યું હતું કે હિલેરી ક્લિન્ટન તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પને માત આપશે, પરંતુ ટ્રમ્પ પ્રમુખ બન્યા હતા."
આપણે ત્યાં તાજેતરમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો