બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

અબુધાબીના રાજવી પરિવાર સાથે સંકળાયેલી ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ ગયા સોમવારે અદાણી જૂથમાં રૂ. 3260 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

આ કંપની અદાણી જૂથ દ્વારા લાવવામાં આવેલી રૂ. 20 હજાર કરોડની ફૉલો-ઑન જાહેર ઑફરમાં રોકાણ કરવા જઈ રહી છે.

સોમવારે બજાર બંધ થતાં સુધીમાં આ એફપીઓના માત્ર 3% શૅર સબસ્ક્રાઇબ થયા હતા.

ત્યારબાદ અબુ ધાબીના શાહી પરિવાર સાથે સંકળાયેલી ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ અદાણી જૂથમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.

આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સૈયદ બસર શુએબે કહ્યું છે કે, 'અદાણી જૂથમાં અમારી રુચિનું કારણ અદાણી એન્ટરપ્રાઈઝિસની આર્થિક મજબુતાઈમાં અમારો વિશ્વાસ છે. અમારું માનવું છે કે લાંબા ગાળે આ કંપનીમાં વૃદ્ધિની સારી સંભાવના છે.’

આ કંપનીએ એવા સમયે અદાણી જૂથમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે જ્યારે તે ચારે બાજુથી આર્થિક પડકારોનો સામનો કરી રહી છે.

વાંચો ગૌતમ અદાણીને 'જીવતદાન' આપનાર અબુધાબીની કંપનીની કહાણી તમે જાણો છો?

ગામિની સિંગલા લગભગ ત્રણ વર્ષ સુધી દોસ્તોથી દૂર રહ્યાં હતાં, વેકેશન પર ગયાં ન હતાં અને પારિવારિક કાર્યક્રમો તથા ઊજવણીથી પણ દૂર રહ્યાં હતાં.

તેમણે હોટેલમાંથી મગાવેલા ભોજનની મજા માણવાનું અને ફિલ્મો જોવા જવાનું બંધ કર્યું હતું તેમજ સોશિયલ મીડિયાથી પણ દૂર રહ્યાં હતાં. તેઓ ચંદીગઢ નજીક આવેલા તેમના પારિવારિક ઘરમાં સવારે ચાર વાગ્યે ઊઠીને રોજ સતત 10 કલાક અભ્યાસ કરતાં હતાં.

થાકીને ચૂર થઈ જવાય તેટલી મહેનત કરતાં હતાં, મોક ટેસ્ટ્સ ભરતાં હતાં, સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલા લોકોના વીડિયો યુ-ટ્યૂબ પર નિહાળતા હતાં અને અખબારો તથા સેલ્ફ-હેલ્પ પુસ્તકો વાંચતા હતાં.

એ સમયગાળામાં માતા-પિતા અને ભાઈ જ તેમના સાથી હતા. ગામિની સિંગલા કહે છે કે “એકલાપણું આપણો સાથીદાર બને છે. તે આપણને પ્રગતિમાં મદદ કરે છે.”

એ સમયગાળામાં તેઓ દેશની સિવિલ સર્વિસ પરીક્ષા, વિશ્વની સૌથી અઘરી પરીક્ષા પૈકીની એકની તૈયારી કરતાં હતાં.

ચીનની નેશનલ કૉલેજ ઍન્ટ્રન્સ ઍક્ઝામ ગાઓકાઓ વિશ્વમાં એક અઘરામાં અઘરી પરીક્ષા ગણાય છે, તેને જો કોઈ ટક્કર આપતી હોય તો તે ભારતની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની પરીક્ષા છે.

આ પરીક્ષા થકી દર વર્ષે દેશની સિવિલ સર્વિસ માટે સંખ્યાબંધ યુવક-યુવતીઓને પસંદ કરવામાં આવે છે.

વાંચો યુપીએસસીઃ વિશ્વની સૌથી અઘરી ગણાતી આ પરીક્ષામાં ભારતીયો કેવી રીતે સફળતા મેળવે છે?

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 ક્રિકેટ મૅચ પહેલી ફેબ્રુઆરી 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે રમાનારી છે.

બીસીસીઆઈ તથા લગભગ તમામ સ્ટેડિયમના આયોજકો હવે સુરક્ષાની દૃષ્ટિએ કોઈ પગલાં બાકી રાખતા નથી પરંતુ આજથી ત્રણેક દાયકા અગાઉ આવું કંઈ ન હતું. તમને ટિકિટ ચેક કરીને સ્ટેડિયમમાં પ્રવેશ મળે એ પછી ક્યાંય કોઈ રોકટોક નહીં.

તેમાંય તમારી ઓળખાણ હોય તો તમે છેક ડ્રેસિંગરૂમની નજીક પણ પહોંચી શકો. એવા જ સમયમાં મોટેરામાં એક એવી ઘટના બની હતી જેને યાદગાર તો કહી શકાય પરંતુ કદાચ યજમાન ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અને ભારતીય ક્રિકેટ બોર્ડ તેને ભૂલી જવાનું પસંદ કરશે.

હાલની ક્રિકેટ મૅચમાં લગભગ 10થી 15 હજાર પોલીસકર્મીઓ, સંખ્યાબંધ સુરક્ષા કર્મચારીઓ, મૅટલ ડિટેક્ટર, મૉનિટરિંગ કૅમેરા આ તમામ બાબતો લગભગ અનિવાર્ય બની ગઈ છે અને પ્રેક્ષકો પણ તેનાથી ટેવાઈ ગયા છે ત્યારે એમ કહી શકાય કે 1987ના માર્ચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટેરા ટેસ્ટમાં જે ઘટના બની હતી તે ભવિષ્યમાં ફરીથી ના બને તે માટે વ્યવસ્થાઓ છે.

વાંચો એવી તો શી બીક હતી કે પાકિસ્તાનની આખી ટીમ હેલમેટ પહેરીને મેદાનમાં ઊતરી?

બંધકોશ કે મળાવરોધ તરીકે પણ ઓળખાતી કબજિયાતની બીમારી સામાન્ય છે અને તે તમામ ઉંમરના લોકોને થઈ શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય સંજોગોમાં તમે સામાન્ય રીતે તમારા આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો સાથે તેની સારવાર કરી શકો છો.

બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગ અનુસાર, બાળકોને કબજિયાત થવા પાછળના કારણો વયસ્કો કરતા અલગ હોઈ શકે છે.

બાળકોને કબજિયાતનાં કારણોમાં, બાળકે છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત શૌચ ન કર્યું હોય, ઝાડો કઠણ અને વધારે આવે, નાની ગોળીઓ જેવો ઝાડો આવે, બાળકને શૌચ વખતે બળ કરવું પડે અથવા પીડા થાય, બાળકને ભૂખ ઓછી લાગે કે પેટના દુખાવામાં શૌચ કર્યા પછી રાહત થાય વગેરે લક્ષણો છે.

વાંચો કબજિયાત કેમ થાય છે અને તેની કેવી રીતે સારવાર કરી શકાય?

બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું પાંચમું બજેટ રજૂ કર્યું હતું. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં આ નરેન્દ્ર મોદી સરકારનું અતિમ પૂર્ણ બજેટ છે.

આ બજેટમાં કરદાતાઓનું ધ્યાન રખાયું છે. નાણામંત્રીએ કરદાતા માટે આવકવેરાનો વ્યાપ વધારવાનું એલાન કર્યું છે.

હાલ વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર વ્યક્તિએ કોઈ ટૅક્સ આપવો નથી પડતો. આ સ્તરને નવી ટૅક્સવ્યવસ્થામાં સાત લાખ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે.

પરંતુ આ નવી ટૅક્સવ્યવસ્થા શું છે અને તમારે તમારી કમાણી પર અગાઉના હિસાબે કેટલો ટૅક્સ આપવો પડશે?

સરળ ભાષામાં આ બધું તમને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યા છે – ટૅક્સ નિષ્ણાત સીએ ડી. કે. મિશ્રા.

વાંચો બજેટ : હવે તમારે કેટલો ઇન્કમટૅક્સ ભરવો પડશે? ટૅક્સ સાથે જોડાયેલ દરેક પ્રશ્નનો સરળ જવાબ