You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલકીસબાનો કેસના દોષિતે સરકારી કાર્યક્રમમાં ભાજપના નેતા સાથે મંચ શૅર કર્યા બાદ પીડિત પરિવાર ભયમાં કેમ છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
"ગૅંગરેપ, હત્યા જેવા ગંભીર આરોપોમાં દોષિત લોકો જો ચૂંટાયેલા નેતાઓ સાથે બેસી જશે, તો પછી બીક તો લાગશે જ ને."
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન સામૂહિક બળાત્કારનો ભોગ બનેલાં બિલકીસબાનોએ તાજેતરમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે ફેસબુક પર પોસ્ટ કરેલી તસવીરો જોઈને પોતાના પતિ યાકુબને આ વાત કહી હતી.
જસવંતસિંહ ભાભોરે 25 માર્ચ 2023ના રોજ યોજાયેલા એક કાર્યક્રમની તસવીરો શૅર કરી હતી. જેમાં લીમખેડાના ધારાસભ્ય અને તેમના ભાઈ શૈલેષ ભાભોર સહિત બિલકીસબાનો સામૂહિક બળાત્કાર કેસના દોષિત શૈલેષ ભટ્ટ મંચ પર એક સાથે જોવા મળ્યા હતા.
સામૂહિક બળાત્કારના કેસમાં શૈલેષ ભટ્ટ સહિત 11 દોષિતોને 14 કે તેથી વધુ વર્ષની સજા ભોગવ્યા બાદ ગુજરાત સરકારની સજામાફીની નીતિ અંતર્ગત છોડવામાં આવ્યા હતા.
દોષિતો હાલ મુક્ત થઈ ગયા છે અને તાજેતરની તસવીરો જોયા બાદ બિલકીસબાનો અને તેમના પરિવારમાં ભયનો માહોલ છે.
'આવું કંઈ પહેલી વખત નથી થયું'
આ ઘટના વિશે બીબીસીએ બિલકીસબાનોના પતિ યાકુબ રસૂલ પટેલ સાથે વાત કરી હતી. તેઓ હાલ સહપરિવાર દાહોદમાં જ રહે છે.
તેમણે કહ્યું, "હાલ તો અમને બધાને બીક લાગી રહી છે. તસવીરો જોયા બાદ હવે એક વાત તો નક્કી થઈ ગઈ છે કે સરકાર દોષિતોની સાથે જ છે. બિલકીસની તબિયત પણ હાલ સારી રહેતી નથી. આ તસવીરો જોયા બાદ અમને એક-એક દિવસ વિતાવવો મુશ્કેલ થઈ રહ્યો છે. અમને ડર છે કે અમારી સાથે કંઈ પણ થઈ શકે છે."
તેઓ આગળ કહે છે, "આ કંઈ પહેલી વખત નથી કે શૈલેષ ભટ્ટ આ રીતે જસવંત ભાભોર સાથે જોવા મળ્યા હોય. આ પહેલાં પણ વર્ષ 2020માં જ્યારે શૈલેષ ભટ્ટ પેરોલ પર બહાર આવ્યા ત્યારે આવા જ એક કાર્યક્રમમાં તે જસવંતસિંહ ભાભોર સાથે જોવા મળ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યાકુબ આગળ જણાવે છે, "જ્યારે શૈલેષ ભટ્ટ સહિતના દોષિતોને સજામાફી થઈ અને તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે પણ જસવંતસિંહ ભાભોરે તેમની તસવીરો પોસ્ટ કરી હતી."
બીબીસીએ જસંવતસિંહ ભાભોર અને અને શૈલેષ ભટ્ટ વચ્ચેના સંબંધો જાણવા માટે જસવંતસિંહ ભાભોર અને તેમના ભાઈ તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરનો સંપર્ક કર્યો હતો. જોકે, તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો.
આ સિવાય 2002નાં રમખાણો વખતે જસવંતસિંહ ભાભોરના અંગત મદદનીશ તરીકે કામ કરતા રમેશ ચંદાણા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ આ મુદ્દા પર વાત કરવા માટે તૈયાર ન હતા.
જોકે, દાહોદના એક સ્થાનિક નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે "શૈલેષ ભટ્ટ આરએસએસના પાયાના અગ્રણી અને અહીં ભાજપનો પાયો નાખનારી વ્યક્તિઓમાંના એક છે."
કોણે આપ્યું હતું આમંત્રણ?
25 માર્ચે રાજ્ય સરકારના પાણીપુરવઠા વિભાગ દ્વારા લીમખેડા જૂથ પાણીપુરવઠાની 101.89 કરોડની યોજનાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા મંચની પ્રથમ હરોળમાં સાંસદ જસવંતસિંહ ભાભોરની બાજુમાં શૈલેષ ભટ્ટને સ્થાન આપવામાં આવ્યું હતું.
શૈલેષ ભટ્ટને આ કાર્યક્રમમાં આમંત્રણ કોણે આપ્યું?
એ પ્રશ્નના જવાબમાં દાહોદ ભાજપના પ્રમુખ શંકર અમલિયાર જણાવે છે, "અમે તેમને આમંત્રણ આપ્યું ન હતું. તેઓ સામાન્ય વ્યક્તિ તરીકે આવી જાય એ વાત જુદી છે." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું શૈલેષ ભટ્ટ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે? તો તેમણે ‘ના’ કહ્યું હતું.
દાહોદ ભાજપના મહામંત્રી નરેન્દ્ર સોનીએ કહ્યું, "આ એક સરકારી કાર્યક્રમ હતો અને તેમાં કોઈ પણ વ્યક્તિ આવી શકતી હતી. એ બધા માટે ખુલ્લો હતો." આમ કહીને તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એ કાર્યક્રમમાં તેઓ ખુદ હાજર નહોતા.
ભાજપના પદાધિકારીઓ પાસેથી શૈલેષ ભટ્ટને કોણે આમંત્રણ આપ્યું? એ અંગે સ્પષ્ટ જવાબ ન મળતાં બીબીસીએ દાહોદ જિલ્લા પાણીપુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેર પી. એમ. પરમાર સાથે વાત કરી.
તેમણે કહ્યું, "કાર્યક્રમનું આયોજન અમારા વિભાગે જ કર્યું હતું પણ તેમાં કોણ આવશે અને ક્યાં બેસશે એ અમારે જોવાનું નહોતું."
આ કાર્યક્રમ જે ગામમાં યોજાયો હતો ત્યાંનાં સરપંચ લખીબહેન વહોરિયાના પુત્ર અને પૂર્વ સરપંચ જીવણલાલ વહોરિયાએ કહ્યું, "અમારે તો માત્ર કાર્યક્રમના સંચાલનની કામગીરી કરવાની હતી. એમાં કોણ આવવાનું છે અને ક્યાં બેસવાનું છે એ વિશે અમને કંઈ કહેવામાં આવ્યું ન હતું."
દોષિતોનો ભાજપ સાથે સંબંધ?
બિલકીસબાનોના પતિ યાકુબભાઈના કહેવા પ્રમાણે તેમનાં પત્ની પર થયેલાં સામૂહિક બળાત્કારના તમામ 11 દોષિતો પહેલેથી યેનકેન રીતે ભાજપ સાથે જોડાયેલા હતા. તેમનો દાવો છે કે 11માંથી બે દોષિતો સીધી રીતે ભાજપ સાથે જોડાયેલા છે.
સામૂહિક બળાત્કારના દોષિતો અને સત્તાધારી પક્ષના નેતાઓ એક મંચ પર સાથે જોવા મળવાની ઘટના કેટલી ગંભીર કહેવાય? આ પ્રશ્નનો જવાબ મેળવવા બીબીસીએ રાજકીય જાણકારોનો સંપર્ક કર્યો.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના ભૂતપૂર્વ પ્રોફૅસર ઘનશ્યામ શાહ જણાવે છે, "આ લોકો (બિલકીસબાનો કેસના દોષિતો)ની ભાજપમાં હાજરીથી વધારે તેનો જે સંદેશ લોકો સુધી પહોંચે છે, એ વધારે મહત્ત્વનો છે. ભાજપ એ કહેવા માગે છે કે તેઓ હિંદુત્વની સાથે છે અને સાથે રહેશે જ."
તેઓ આગળ કહે છે, "આ સંદેશો તેઓ વારંવાર લોકો સુધી પહોંચાડવા માગે છે. જેથી લોકોને યાદ રહે કે ભાજપ જ મુસ્લિમોથી તેમનું રક્ષણ કરશે."
ઘનશ્યામ શાહનું માનવું છે કે ભાજપ આ પ્રકારનું કામ મુખ્યત્વે સવર્ણોને રાજી રાખવા માટે કરે છે. આ પાછળનું રાજકીય ગણિત સમજાવતાં તેઓ કહે છે, "જો સવર્ણો રાજી રહેશે તો ઓબીસી પણ રાજી રહેશે. જે ભાજપ માટે તો ફાયદાકારક જ છે."
ગુજરાતી લેખક, પત્રકાર અને પદ્મશ્રી ગુણવંત શાહ કહે છે, "જો બિલકીસબાનો કેસના દોષિતોને જાહેર મંચ પર જગ્યા મળી હોય તો એ યોગ્ય નથી. તેની ટીકા પણ થવી જોઈએ. હું માનું છું કે આ કેસના આરોપીઓ પર કોઈ દયા રાખવી જોઈએ નહીં."
જોકે, રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા તેનાંથી વિપરીત માને છે. તેઓ કહે છે, "તેમને કોર્ટે સજા કરી, જે તેમણે પૂર્ણ કરી અને સરકારી ધારાધોરણો મુજબ જ તેમનો છૂટકારો થયો. એક વખત જેલમાંથી બહાર નીકળ્યા બાદ તો તેઓ સમાજના લોકોને મળેને? હવે તેઓ આઝાદ છે. દેશમાં લોકશાહી છે. માટે જો શૈલેષ ભટ્ટ કોઈ કાર્યક્રમમાં જાય તો તેમાં મને કોઈ વાંધાજનક બાબત લાગતી નથી."
શું હતો બિલકિસબાનો કેસ?
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.
બળાત્કાર ગુજારાયા બાદ અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.
ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું કે, "પોલીસ અને તંત્રે હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું જણાવતા નથી."
આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.
આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.
દોષિતોની સજામાફી મામલે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ
બિલકીસબાનો સામૂહિક દુષ્કર્મ કેસના 11 દોષિતોની સજામાફીને પડકારતી અરજીની 27 માર્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ બી. વી. નાગરત્નાની બૅન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં સુપ્રીમે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી.
બીબીસીના સહયોગી સુચિત્ર મોહંતીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે એવા કેસોની પણ વિગતો માગી છે, જેમાં આ સજામાફીની નીતિનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
સુપ્રીમ કોર્ટે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે આ એક જઘન્ય કૃત્ય છે. શું રાજ્ય પાસે પૉલિસી છે? કારણ કે એવા ઘણા લોકો જેલોમાં છે જે હત્યા માટે સજા ભોગવી રહ્યા છે."
અરજદારો પૈકીના એક માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું, " માફી આપવાનું જે કારણ છે એ સ્પષ્ટ નથી. કોર્ટે માફી આપવા માટે એક વ્યાપક રૂપરેખા નક્કી કરવી પડશે."
તેમણે આગળ દલીલ કરી હતી કે "આ કોઈ સામાન્ય કિસ્સો નથી. ગુજરાતમાં ભરોસો ન હોવાથી કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર થયો હતો અને ગુજરાતે દોષિતોને માફી આપવાનો નિર્ણય લીધો છે. આ શું છે?"
જ્યારે દોષિતો પૈકીના એક તરફથી હાજર રહેલાં વકીલ ઋષિ મલ્હોત્રાએ અરજદારોની દલીલનો વિરોધ કર્યો અને કહ્યું કે સરકાર પાસે વિગતવાર સલાહકાર બોર્ડ છે અને તેમની પાસે સામાજિક કાર્યકરોથી લઈને નિષ્ણાતો સુધીના સભ્યો છે.
તેમણે આગળ કહ્યું, "બોર્ડે નોંધ્યું હતું કે તેમની વર્તણૂક સારી હતી. તેમને સાડા પંદર વર્ષની વાસ્તવિક સજા કરવામાં આવી હતી અને માફી માટેની આવશ્યક્તા 14 વર્ષ છે. આ નિયમિત અરજી કરતાં વધુ ભાવનાત્મક અરજી છે."
આ સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સજામાફી નીતિ અંગેની ચોખવટ સાથે 18 એપ્રિલે હાજર રહેવાં કહ્યું છે.
આ મામલે બિલકીસના પતિ યાકુબ કહે છે, "સુપ્રીમથી અમને ખુબ આશા છે. જે રીતે સજામાફીને રદ કરવાની અરજીને સાંભળવામાં આવી રહી છે. તેનાથી અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જ અમારો આ ભય ઓછો થશે."
યાકુબને જ્યારે પૂછવામાં આવ્યું કે હવે તેઓ શું કરશે તો તેમણે કહ્યું, "ચુકાદાની રાહ જોઈશું"
સજામાફી અંગે ગુજરાત સરકારે શું કહ્યું હતું?
ઍફિડેવિટમાં, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે તેણે 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેઓએ "14 વર્ષ કરતાં વધુ વખત જેલમાં વિતાવ્યાં હતાં...(અને) તેમની વર્તણૂક સારી હોવાનું જણાયું હતું."
આ પહેલાં ગુજરાત સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે બળાત્કારના દોષિતોની મુક્તિને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે પોતાની ક્ષમાનીતિ અંતર્ગત જ સમયપૂર્ણ દોષિતોની મુક્તિને મંજૂરી આપી હતી.
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો હતો
કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું.
બિલકીસે કહ્યું કે આ ચુકાદાથી મહિલા અને નાગરિક તરીકેની તેમની ગરિમા પુનઃસ્થાપિત થઈ.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું હતું કે દોષિત અધિકારીઓ કે જેમણે 'બિલકીસ સામૂહિક બળાત્કાર મામલે' પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો, એમાંથી ઘણાના પેન્શનના લાભ પરત લઈ લેવાયા છે.