'ગુજરાતનાં હુલ્લડોનું પાનું કાઢી નાખવાથી ઇતિહાસ બદલાશે?' NCERTનાં પુસ્તકોમાંથી ગોધરા અને બાદનાં તોફાનોનાં પ્રકરણ કેમ હઠાવાયાં?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત પોલીસ દ્વારા 'નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાના' આરોપમાં સમાજસેવિકા તિસ્તા સેતલવાડ, ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને બરતરફ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે ફરિયાદ કરાઈ દાખલ કરાઈ હતી.

જે બાદ શનિવારે તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરાઈ હતી. જ્યારે આર. બી. શ્રીકુમારની પણ ધરપકડ કરાઈ હતી.

નોંધનીય છે કે શુક્રવારે ગુજરાત રમખાણ મામલે SITના અંતિમ રિપોર્ટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી. આ અરજી વર્ષ 2002માં થયેલા ગુલબર્ગ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીનાં વિધવા ઝકીયા જાફરીએ કરી હતી.

જેમાં તીસ્તા સેતલવાડ સહયાચિકાકર્તા હતાં. આ સમગ્ર અમિત શાહ સહિત ભાજપના નેતાઓની તિસ્તા અને અન્ય કથિત ષડ્યંત્રકારો સામે કઠોર પ્રતિક્રિયા આવ્યાના અમુક કલાકોમાં જ ગુજરાત પોલીસ ઍક્શનમાં આવી ગયેલી જોવા મળી હતી.

હવે જ્યારે આ મુદ્દાને કારણે ગુજરાતનાં વર્ષ 2002નાં રમખાણો ફરી ચર્ચામાં આવ્યાં છે ત્યારે ગુજરાત રમખાણોની વાત એનસીઈઆરટીનાં પુસ્તકોમાંથી દૂર કરવાનો મુદ્દો પણ ચર્ચાવા લાગ્યો છે.

ગુજરાતમાં 2022માં થયેલાં હિંસક તોફાનોની વાત નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ યાને કે એનસીઈઆરટીનાં પુસ્તકોમાં ભણાવવામાં આવતી હતી પણ હવે એ નહીં ભણાવવામાં આવે.

એનસીઈઆરટીના ધોરણ-12નાં પુસ્તકોમાં જ્ઞાતિ-કોમ આધારિત હિંસા સહિત 2002નાં તોફાનો અંગે ભણાવવામાં આવતું હતું તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે અને અનેક બાબતો અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવી છે. આ બાબતે તાજેતરમાં અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસે' વિગતવાર અહેવાલો પ્રકાશિત કર્યાં છે.

એનસીઈઆરટીએ પાઠ્યપુસ્તકોમાં આ ફેરફાર પાઠ્યપુસ્તક રેશનલાઇઝ કરવાની પ્રક્રિયા હેઠળ કર્યો છે.

અભ્યાસક્રમમાં ફેરફાર અને 2002નાં ગુજરાત હુલ્લડો વિશે નહીં ભણાવવાની નીતિ અંગે બીબીસી ગુજરાતીએ શિક્ષણશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને એ કોમી તોફાનનો ભોગ બનનાર લોકો સાથે વાતચીત કરી. બીબીસીએ એ જાણવાની કોશિશ કરી કે આ નિષ્ણાતો અને ભોગ બનનાર લોકો અમુક બાબતો અભ્યાક્રમમાં નહીં ભણાવવા અંગે કે ભણાવવા અંગે શું માને છે.

એ પહેલાં જાણીએ કે અત્યાર સુધી એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં પૉલિટીકલ સાયન્સના વિષયમાં ગુજરાતના તોફાનો વિશે શું ભણાવાતું હતું.

શું હતું એ પ્રકરણમાં અને શું ફેરફાર કરવામાં આવ્યો?

'રિસન્ટ ડેવલપમૅન્ટ્સ ઇન ઇન્ડિયન પૉલટીક્સ' યાને કે ભારતના રાજકારણમાં તાજેતરની હિલચાલના 9માં પાઠમાં ભારતીય રાજનિતીની 1990 અને એ પછીનાં થોડાં વર્ષો વિશેની માહિતી આપવામાં આવી હતી.

આ પાઠમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યાની રથયાત્રા, મંડલ કમિશન જેવા મુદ્દાઓ પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવતી હતી.

આ પાઠનો મુખ્ય મુદ્દો ગઠબંધનની રાજનિતી વિશે વિદ્યાર્થીઓને સમજ આપવાનો હતો પણ તેની સાથે તેમાં 2002નાં હુલ્લડોની વાત પણ નોંધવામાં આવી હતી.

આ પાઠ એક કોમવાદ, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી પર ચર્ચા કરે છે, જેમાં દેશમાં હિન્દુત્વના રાજકારણની શરૂઆત, અયોધ્યા મામલો, બાબરી મસ્જિદનો ધ્વંસ અને તે પછીની પરિસ્થિતિ, ગોધરાની સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને સળગાવી દેવાની ઘટના અને એ પછીનાં કોમી તોફાનો વિશે વાત કરવામાં આવી છે.

આ પ્રકરણમાં એ વખતનાં અંગ્રેજી છાપાંની હેડલાઇનોના પેપર કટિંગોને પણ વધુ સારી રીતે સમજણ માટે પાઠ્યપુસ્તકમાં ટાંકવામાં આવ્યાં હતાં.

જેમાં 'Gujarat is burning : An eye for an eye blinds Gandhinagar, no let-up in Gujarat carnage, Gujarat incident a blot-PM' જેવી હેડલાઇનનાં પેપર કટિંગ જોવાં મળતાં હતાં.

તે સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તે સમયના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી વિશે જે વાત કરી હતી, તેને પણ આ પ્રકરણમાં સામેલ કરવામાં આવી હતી, જેમાં તેઓ મુખ્ય મંત્રીને 'રાજધર્મના પાલન'ની વાત કરી રહ્યા છે.

હવે, આ તમામ વિગતો આ પુસ્તકમાં નહીં જોવા નહીં મળે કારણ કે આ વર્ષથી આ તેને કાઢી દેવામાં આવી છે.

નરેન્દ્ર મોદીના શાસનકાળમાં 27 ફેબ્રુઆરી 2002માં ગોધરાકાંડ થયો હતો. એ વખતે અયોધ્યાથી પાછા ફરી રહેલા 59 કારસેવકો સાબરમતી એક્સપ્રેસમાં જીવતા ભૂંજાયા. એ પછી ગુજરાતમાં વ્યાપક હિંસા થઈ હતી.

આ મામલે તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ ટીકા થઈ હતી.

સરકારે સંસદમાં આપેલી માહિતી અનુસાર 2002ની ગુજરાતની હિંસામાં 790 મુસ્લિમો, 254 હિંદુઓ માર્યા ગયા. 223 લોકો લાપતા થયા અને 2500 લોકો ઘાયલ થયા. જ્યારો કરોડો રુપિયાની સંપતિને નુકસાન થયું હતું.

પાનાં હઠાવી દેવાથી ઇતિહાસ નહીં બદલાય

ગુજરાત તોફોનોની ભયાનકતા અને લોકોની દયનીય સ્થિતિનો જીવતો ચિતાર આપતી એક તસવીર છે, જેમાં એક વ્યક્તિ રડતાંરડતાં બે હાથ જોડીને મદદ માગી રહી છે.

આ તસવીર અમદાવાદમાં રહેતા કુતુબુદ્દીન અન્સારીની હતી અને આ તસવીરે ગુજરાતની હિંસાને લઈને દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં કુતુબુદ્દીન અન્સારીએ કહ્યું, "પુસ્તકમાંથી આ વાત કાઢી નાંખવાથી શું થશે? કોમી તોફાનોમાં બન્ને પક્ષોને જે નુકસાન થયું છે, તે વાત કોઈ પુસ્તકનાં પાનાં બદલી નાંખવાથી બદલાઈ નહીં જાય કે નહીં લોકો એને ભૂલી જાય."

"દરેક કોમના લોકો 2002નાં તોફાનોને આવનારાં અનેક વર્ષો સુધી યાદ રાખશે, કારણ કે તેના કારણે અમારા જેવા અનેક લોકોને ખૂબ વેઠવું પડ્યું હતું. "

તેઓ વધુમાં કહે છે કે આ હુલ્લડો અને એની પીડા વિશે જેને જાણવું હશે તે જાણી જ લેશે, એને આ પુસ્તકોની જરૂર નથી.

અન્સારી હાલમાં પોતાના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે અને કોમી એકતા માટે કામ કરે છે.

ગુજરાતમાં 2002ના તોફાનોમાં મોટી કત્લેઆમ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં થઈ હતી.

નરોડા પાટિયા તોફાનોના કોર્ટ કેસના એક મુખ્ય સાક્ષી સલીમ શેખ છે. સલીમ શેખના પરિવારના કેટલાય લોકો આ હુલ્લડોમાં મૃત્યુ પામ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે "નરોડા પાટિયા કેસમાં જે લોકોની સામે અમે કેસ કર્યાં છે, તે લોકો હાલ સત્તાપક્ષના લોકો છે."

"આ પક્ષના ધારાસભ્ય વગેરેને આ કેસમાં સજા થઈ છે. હવે જ્યારે આ લોકોની પાસે સંપૂર્ણ સત્તા છે ત્યારે તેઓ ઇતિહાસને બદલવાની કોશિશ કરી રહ્યા છે. નરોડા પાટિયા શું, તેઓ તો તાજમહેલનો ઇતિહાસ પણ બદલવા ઇચ્છે છે. આવામાં અમારી તો શું વાત થાય!"

સરકાર આવી ઐતિહાસિક ચર્ચાથી ડરે છે?

એનસીઈઆરટીએ સંબંધિત પ્રકરણો હઠાવવા એનસીઈઆરટીનો મત જાણવા પ્રયાસ કર્યો. આ અંગે એનસીઈઆરટીને ઇમેલ પણ કરાયો, પણ એણે કોઈ જવાબ આપ્યો નથી.

એનસીઈઆરટીએ પાઠ્યપુસ્તકોમાં આવો ફેરફાર કરવાનો નિર્ણય કેમ લીધો અને એ નિર્ણય લેવાની પ્રક્રિયા શું હતી તે અંગે આ મામલાની તપાસ કરનાર 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારે એનસીઈઆરટીના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાની સાથે વાત કરી હતી. અખબારના અહેવાલ અનુસાર દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું હતું કે, "આ આખી પ્રક્રિયા તેમણે ચાર્જ સંભાળ્યો એ પહેલાં થઈ હતી અને તેથી તેઓ એની વિગતોથી અવગત નથી. "

સકલાણીની નિમણૂક ફેબ્રુઆરી 2022માં થઈ હતી.

અગાઉ તેમને સ્થાને શ્રીધર શ્રીવાસ્તવ હતા. જોકે, શ્રીધર શ્રીવાસ્તવે પણ અખબારને એટલું જ કહ્યું હતું કે "આ એનસીઈઆરટીનો નિર્ણય છે અને હવે સાર્વજનિક છે. હું એટલું જ કહેવા માગું છું."

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ અરુણ વાઘેલા બીબીસી સાથેની વાતચીતમાં આ અંગે જણાવે છે :

"હું માનું છું કે ઇતિહાસ ત્યાં સુધી ન ભણાવવો જોઈએ જ્યાં સુધી તેની માહિતી આર્કાઇવ્સમાં ન આવી જાય અને તે માટે 30 વર્ષનો સમય લાગતો હોય છે. "

"કોઈ પણ ઘટનાનાં 30 વર્ષ બાદ તેની તમામ માહિતી સરકારી ચોપડેથી બહાર આવીને ઓપન સોર્સમાં આવી જાય છે. માટે હું માનું છું કે ગુજરાતનાં હુલ્લડોની વાત શૈક્ષણિક રીતે હાલ ન કરવી જોઈએ, કારણ કે એની માહિતી ઓપન સોર્સ તરીકે ઉપલબ્ધ નથી."

સમાજશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર ગૌરાંગ જાની અગાઉ પોતાના વિદ્યાર્થીઓને ગુજરાતની હિંસા સહિત અનેક સામાજિક બાબતો પર ભણાવતા રહ્યા છે.

જાની આ અંગે વાત કરતાં શિક્ષકોની નિષ્ઠાની વાત કરે છે.

તેઓ કહે છે, "ભલે પુસ્તકમાં ન હોય પરંતુ વિદ્યાર્થીઓને 2002નાં હુલ્લડો વિશે વાત કરવી એ દરેક શિક્ષકની જવાબદારી છે."

"હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આ તોફાનોમાં સીધી સંડોવણીનો આરોપ હતો અને આ સ્થિતિમાં તેઓ પોતાની જે બિનસાંપ્રદાયિક છબિ બનાવવા ઇચ્છે છે તેમાં એનસીઈઆરટીનું આ પ્રકરણ અડચણરૂપ છે માટે એ દૂર તો થવાનું જ હતું."

ગૌરાંગ જાની કહે છે કે, "આ તો એનસીઈઆરટીની વાત છે, પરંતુ ગુજરાતનાં પાઠ્યપુસ્તકોમાં તો આ વિશે ક્યારેય કોઈ માહિતી નહોતી. હવે જ્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ વગેરેની તપાસોમાં નરેન્દ્ર મોદી સહિત તમામને ક્લીન ચીટ આપી દેવાઈ છે ત્યારે આ વિશે ચર્ચા કરવામાં શું ભય વાગી રહ્યો છે."

ગૌરાંગ જાની કહે છે કે હવેથી 1975ની ઇમર્જન્સી વિશે પણ ગુજરાતનાં હુલ્લડોની માફક ભણાવવામાં નહીં આવે અને કદાચ એટલા માટે જ આ મુદ્દો ચર્ચાઈ નથી રહ્યો, એનો કોઈ વિરોધ નથી કરી રહ્યા!

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો