જજ તરીકે તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ રહેવા માટે જજનું નાસ્તિક હોવું જરા પણ જરૂરી નથી - જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ

જજ તરીકે તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ રહેવા માટે જજનું નાસ્તિક હોવું જરા પણ જરૂરી નથી - જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ ચંદ્રચૂડ

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડે એ વાતનો ઇનકાર કર્યો છે કે અયોધ્યામાં રામમંદિર બનાવવાના નિર્ણય પહેલાં તેમણે ભગવાનને આ સમસ્યાનો ઉકેલ સૂચવવા માટે પ્રાર્થના કરી હતી.

બીબીસી સંવાદદાતા સ્ટીફન સૈકર સાથેની એક વિશેષ મુલાકાતમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અયોધ્યા ચુકાદો, કલમ 370 અને ન્યાયિક પારદર્શિતા સહિત ઘણા મુદ્દે વાત કરી.

જ્યારે સ્ટીફન સૈકરે તેમને પૂછ્યું, "રામમંદિર વિવાદ પર નિર્ણય પહેલાં શું તમે ભગવાનને તેનો ઉકેલ સૂચવવા માટે પ્રાર્થના કરી હતી?"

તો જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "આ વાત સંપૂર્ણપણે ખોટી છે. આ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યું છે. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે."

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ નવેમ્બર 2022 થી 10 નવેમ્બર, 2024 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળ્યું હતું.

તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત મુખ્ય ન્યાયાધીશોમાંના એક રહેલા જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે.

આમાંના કેટલાક ચુકાદા માટે તેમની ટીકા પણ થઈ છે. ખાસ કરીને રાજકીય દબાણ અંગે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ચંદ્રચૂડ ભારતમાં ન્ચાયતંત્રની સ્વતંત્રતા વિશે શું બોલ્યા?

પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડનો બીબીસીને ઇન્ટરવ્યૂ, જસ્ટિસ ચંદ્રચૂડ ધર્મ, કાયદા, આર્ટિકલ 370 CAA અંગે કેવ અભિપ્રાય ધરાવે છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

2023 માં ન્યૂ યૉર્ક ટાઇમ્સે લખ્યું હતું કે વિશ્લેષકો, રાજદ્વારીઓ અને વિપક્ષો એ બાબતે સંમત હતા કે નરેન્દ્ર મોદીએ ભારતને એકપક્ષીય રાજ્ય તરફ ધકેલી દીધું છે અને તેમની પાર્ટીએ પોતાને બચાવવા અને વિરોધીઓને નિશાન બનાવવા માટે અદાલતોનો સહારો લીધો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સંદર્ભમાં જ્યારે સ્ટીફન સૈકરે પ્રશ્ન પૂછ્યો કે શું તેમારે પણ આ સમયગાળા દરમિયાન રાજકીય દબાણનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, "ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ બિલકુલ ખોટું છે, કારણ કે તેઓ 2024ની ચૂંટણીમાં શું થવાનું છે તે સમજવામાં નિષ્ફળ ગયા છે."

"2024ના ચૂંટણીપરિણામે આ એક પક્ષ, એક રાજ્યની માન્યતાને તોડી નાખી છે. ભારતનાં રાજ્યોમાં પ્રાદેશિક આકાંક્ષાઓ અને ઓળખ સર્વોપરી છે. ઘણાં રાજ્યો એવાં છે જ્યાં વિવિધ પ્રાદેશિક પક્ષો છે, જેમણે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને ત્યાં શાસન કરી રહ્યાં છે."

છેલ્લાં કેટલાક વર્ષોમાં ઘણા વિપક્ષી નેતાઓ, નાગરિક સમાજના કાર્યકરો અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. 2023માં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુજરાતની એક અદાલતે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જેનો અર્થ એ હતો કે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવવું પડ્યું હોત, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી.

જ્યારે સૈકરે જસ્ટિસ ચંદ્રચૂડને પૂછ્યું કે શું સુપ્રીમ કોર્ટ દ્વારા નીચલી અદાલતના નિર્ણય પર સ્ટે આપવાથી એવું નથી દેખાતું કે ભારતમાં ન્યાયતંત્ર (ખાસ કરીને નીચલી અદાલતો) પર રાજકીય દબાણ છે?

આ પ્રશ્ન પર ડીવાય ચંદ્રચૂડે કહ્યું, "ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં 21,300 જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે તે બધા પર નિર્ણય લીધો હતો. આનો અર્થ એ છે કે કાયદો તેનું કામ કરી રહ્યો છે. ભલે અમેરિકા હોય, બ્રિટન હોય કે ઑસ્ટ્રેલિયા, દરેક દેશમાં એક કાનૂની પ્રક્રિયા છે."

"પરંતુ ઉચ્ચ અદાલતો, ખાસ કરીને સુપ્રીમ કોર્ટે, સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવશે. નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવ્યો છે કે ખોટો તે અંગે વિવિધ કેસોમાં મતભેદ હોઈ શકે છે. જોકે, આના માટે ઉપાયો પણ છે. પરંતુ હકીકત એ છે કે ભારતની સુપ્રીમ કોર્ટ વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણમાં મોખરે રહી છે."

જસ્ટિસ ચંદ્રચૂડ અનુચ્છેદ 370ની નાબૂદી વિશે

પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડનો બીબીસીને ઇન્ટરવ્યૂ, જસ્ટિસ ચંદ્રચૂડ ધર્મ, કાયદા, આર્ટિકલ 370 CAA અંગે કેવા અભિપ્રાય ધરાવે છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા સ્ટિફન સૈકરે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનો ઇન્ટરવ્યૂ લીધો

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતો અનુચ્છેદ 370 મોદી સરકારે 5 ઑગસ્ટ, 2019 ના રોજ દૂર કર્યો હતો. સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

2023માં ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સરકારના નિર્ણયને અનુમોદન આપ્યું હતું.

ઘણા કાયદાકીય નિષ્ણાતોએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બંધારણનું સંરક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે.

પોતાના નિર્ણયનો બચાવ કરતા જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મેં આ કેસમાં એક ચુકાદો લખ્યો હતો. કલમ 370 બંધારણની રચના સાથે જ સમાવવામાં આવી હતી અને તે ટ્રાન્ઝિશન પ્રોવિઝન નામના પ્રકરણનો ભાગ હતી. પછી તેનું નામ બદલીને ટેમ્પરરી ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન રાખવામાં આવ્યું."

"એટલે જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ જોગવાઈઓને ધીમે-ધીમે નાબૂદ કરવામાં આવશે. શું 75 વર્ષનો સમય ખૂબ ટૂંકો છે ટ્રાન્ઝિશનલ પ્રોવિઝનને નાબૂદ કરવા માટે?"

જ્યારે સ્ટીફન સૈકરે તેમને પૂછ્યું કે માત્ર કલમ 370 જ નહીં. પરંતુ સાથે સાથે જમ્મુ અને કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો પણ નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. તેના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે કોઈ સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી ન હતી.

આ પ્રશ્નના જવાબમાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયા શરૂ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી હતી અને તે સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2024 હતી અને ચૂંટણીની તારીખ ઑક્ટોબર 2024માં નક્કી કરવામાં આવી હતી."

જોકે, સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલો પ્રશાંત ભૂષણ અને દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

તેમના આરોપો પર પ્રતિક્રિયા આપતાં ડીવાય ચંદ્રચૂડે કહ્યું, "હવે ત્યાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર છે અને સત્તા શાંતિપૂર્ણ રીતે એક એવી પાર્ટીને સોંપવામાં આવી છે જે કેન્દ્રના શાસક પક્ષથી અલગ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી સફળ થઈ છે."

રાજ્યનો દરજ્જો નાબૂદ કરવા અંગે તેમણે કહ્યું, "જમ્મુ અને કાશ્મીર રાજ્યને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂપાંતરિત કરવાના મામલે અમે કેન્દ્ર સરકારના સોગંદનામાનો સ્વીકાર કર્યો છે કે જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવશે."

પરંતુ સુપ્રીમ કોર્ટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી ન હતી. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "એક રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટે લોકશાહીને જવાબદાર ચૂંટાયેલી સરકારની રચના સુનિશ્ચિત કરી હતી. અમે અમારા બંધારણીય અધિકારોનો ઉપયોગ કર્યો નથી તેવી ટીકા યોગ્ય નથી."

જસ્ટિસ ચંદ્રચૂડ ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ વિશે

પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડનો બીબીસીને ઇન્ટરવ્યૂ, જસ્ટિસ ચંદ્રચૂડ ધર્મ, કાયદા, આર્ટિકલ 370 CAA રામમંદિરના ચુકાદા અંગે કેવા અભિપ્રાય ધરાવે છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

નાગરિકતા સુધારો કાયદો (CAA) ફક્ત પડોશી દેશોના હિંદુ નાગરિકોને જ ભારતીય નાગરિકત્વ આપવાની વાત કરે છે. જ્યારે ભારતીય બંધારણ ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના બધા સાથે સમાન વર્તનની વાત કરે છે.

શું આ સુધારા દ્વારા એવું સ્થાપિત ના થયું કે ભારતમાં લઘુમતીઓને બીજા વર્ગના નાગરિક ગણવામાં આવે છે?

આ પ્રશ્ન પર જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, "બ્રિટનમાં કોર્ટને આવા કાયદાને અમાન્ય કરવાનો અધિકાર પણ નથી, પરંતુ ભારતની કોર્ટ તે ધરાવે છે. નાગરિકતાનો મામલો હજુ પણ કોર્ટમાં છે."

"મેં મારા કાર્યકાળ દરમિયાન બંધારણીય બેન્ચ માટે 62 ચુકાદા લખ્યા છે. અમારી પાસે 20 વર્ષથી બંધારણીય કેસો પેન્ડિંગ હતા. જેમાં સંઘીય માળખાનો મુદ્દો પણ સામેલ હતો, જેના પર અમે નિર્ણય લીધો અને રાજ્યોને વધુ સત્તાઓ આપી. અમે નક્કી કર્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો આપવો જોઈએ કે નહીં. અમે 1968માં સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણયને ઉલટાવી દીધો."

આ એક સંતુલનનો પ્રશ્ન છે. જો તમે જૂના કેસોને બદલે નવા કેસ સાંભળશો તો તમારી ટીકા થશે કે આ ચીફ જસ્ટિસ ફક્ત નવા કેસ જ સાંભળે છે. એટલા માટે મેં ઘણા જૂના કેસ પણ સાંભળ્યા.

જસ્ટિસ ચંદ્રચૂડ અને રામ મંદિરનો ચુકાદો

પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડનો બીબીસીને ઇન્ટરવ્યૂ, જસ્ટિસ ચંદ્રચૂડ ધર્મ, કાયદા, આર્ટિકલ 370 CAA રામમંદિરના ચુકાદા અંગે કેવા અભિપ્રાય ધરાવે છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા

બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદ અંગે કોર્ટમાં આવો જ એક જૂનો કેસ ચાલી રહ્યો હતો.

1992માં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે રામમંદિરના નિર્માણના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

પછી એવા ઘણા અહેવાલો આવ્યા કે ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, "નિર્ણય લેતા પહેલાં તેમણે ભગવાનને આ સમસ્યાનો ઉકેલ સૂચવવા માટે પ્રાર્થના કરી હતી."

કેટલાક મીડિયા રિપૉર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે, "હું ભગવાન સમક્ષ બેઠો હતો અને તેમને પ્રાર્થના કરી હતી કે કોઈ ઉકેલ શોધવો પડશે."

પરંતુ બીબીસીને આપેલા આ ઇન્ટરવ્યૂમાં, જસ્ટિસ ચંદ્રચૂડે તેને સોશિયલ મીડિયાના એક વર્ગમાં ફેલાયેલી અફવા ગણાવી અને કહ્યું, "આ સંપૂર્ણપણે ખોટું છે."

તેમણે કહ્યું, "મેં પહેલાં પણ સ્પષ્ટતા કરી છે અને ફરીથી સ્પષ્ટ કરું છું કે આ સંપૂર્ણપણે ખોટું છે. જો તમે સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ ન્યાયાધીશ વિશે જાણવા માંગતા હો તો તમને એનો ખોટો જવાબ જ મળશે."

"હું એ હકીકતનો ઇનકાર નથી કરતો કે હું આસ્તિક છું. આપણા બંધારણમાં સ્વતંત્ર ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને નાસ્તિક હોવું જરૂરી નથી. હું મારા ધર્મને મહત્ત્વ આપું છું. પરંતુ મારો ધર્મ બધા ધર્મોનો આદર કરે છે અને વ્યક્તિ ગમે તે ધર્મની હોય, તમારે સમાન રીતે ન્યાય આપવો જ પડશે. મેં જે કહ્યું તે એ એ હતું કે - આ જ મારો ધર્મ છે."

તેમણે વધુમાં કહ્યું, "ન્યાયિક સર્જનાત્મકતા ફક્ત બૌદ્ધિક ક્ષમતા અને કૌશલ્યનો વિષય નથી. તે ધારણા સાથે પણ સંબંધિત પણ છે. જ્યારે ઘણાં વર્ષોથી વિવાદો ચાલી રહ્યા હોય ત્યારે તમે અંદરોઅંદર શાંતિ કેવી રીતે મેળવશો."

"વિવિધ ન્યાયાધીશો પાસે શાંતિ અને ધીરજ શોધવાની અલગ-અલગ રીતો હોય છે. મારા માટે પ્રાર્થના અને ધ્યાન મહત્ત્વપૂર્ણ છે અને તે મને દેશના દરેક સમુદાય અને જૂથ સાથે સમાન રીતે વર્તન કરવાનું શીખવે છે."

ચંદ્રચૂડ પોતાના ઘરે મોદીના આગમન વિશે શું બોલ્યા?

પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડનો બીબીસીને ઇન્ટરવ્યૂ, જસ્ટિસ ચંદ્રચૂડ ધર્મ, કાયદા, આર્ટિકલ 370 CAA રામમંદિરના ચુકાદા અંગે કેવા અભિપ્રાય ધરાવે છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, X/BJP4INDIA

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદીએ જસ્ટિસ ચંદ્રચૂડ દેશના મુખ્ય ન્યાયાધીશ હતા, ત્યારે તેમના ઘરે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેના કારણે વિવાદ થયો હતો

થોડા મહિના પહેલાં ગણેશપૂજા માટે ન્યાયાધીશ ચંદ્રચૂડના ઘરે વડા પ્રધાનની હાજરીનો ફોટાની ખૂબ ચર્ચા થઈ હતી.

આ બાબતે જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની ઘણી ટીકા થઈ હતી અને એવું કહેવામાં આવ્યું કે આ એક સ્પષ્ટ સંદેશ છે કે જસ્ટિસ ચંદ્રચૂડ પીએમ મોદીની ખૂબ નજીક છે અને કોઈ ચીફ જસ્ટિસ વડાપ્રધાનની આટલી નજીક હોય તો તેના કારણે તેમના નિર્ણયો પણ પ્રભાવિત થઈ શકે છે.

આ ભૂલ હતી કે કેમ તે અંગે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, "બંધારણીય જવાબદારીઓ વિશે વાત કરતી વખતે આવા શિષ્ટાચારને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ. મને લાગે છે કે આપણી સિસ્ટમ એટલી તો પરિપક્વ છે કે તે સમજી શકે કે ઉચ્ચ બંધારણીય પદો પર રહેલા લોકોમાં રહેલા મૂળભૂત શિષ્ટાચારને મુકદ્દમા સાથે કોઈ સંબંધ નથી હોતો."

"આ મુલાકાત પહેલાં અમે ચૂંટણી બૉન્ડ જેવા મુદ્દા પર નિર્ણયો આપ્યા હતા. જેમાં અમે તે કાયદાને રદ કર્યો હતો જેના હેઠળ ચૂંટણીભંડોળ માટે ચૂંટણી બૉન્ડ લાવવામાં આવ્યાં હતાં. આ પછી અમે ઘણા એવા નિર્ણયો આપ્યા જે સરકારની વિરુદ્ધના હોય."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ છેલ્લાં આઠ વર્ષમાં ક્યારેય ઍક્ઝિક્યુટિવ (સરકાર) ઝૂક્યા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમના કાર્યકાળ દરમિયાન તેમના નિર્ણયો ક્યારેય રાજકીય દબાણથી પ્રભાવિત થયા નથી.

જોકે, તેમણે કહ્યું કે ન્યાયતંત્રનું કાર્ય સામૂહિક છે અને ઘણા કિસ્સાઓમાં અન્ય ન્યાયાધીશો પાસેથી સલાહ પણ લેવામાં આવે છે.

તેમણે કહ્યું, "એક વાત ઘણી વખત કહેવામાં આવી છે અને હું ફરી એક વાર તે વાતનું પુનરાવર્તન કરવા માંગુ છું કે લોકશાહીમાં ન્યાયતંત્રની ભૂમિકા સંસદમાં વિપક્ષ જેવી નથી. અમે અહીં કાયદા અનુસાર કામ કરવા અને બંધારણનું રક્ષણ કરવા માટે છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.