ગુજરાતીઓ અમેરિકામાં 'ગેરકાયદે' પહોંચી ગયા બાદ ત્યાં રહેવા માટે કેવાં બહાનાં બતાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
'માતાપિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં છે, ઓનર કીલીંગનો ભય છે. કોઈ ચોક્કસ રાજકીય અભિપ્રાય ધરાવતા હોવાથી ખોટા કેસ થવાનો ભય છે. અન્ય ધર્મના લોકોની સંખ્યા વધારે હોવાથી ભય છે કે ગામમાં માથાભારે લોકોને કારણે જીવનું જોખમ છે'.
કોઈ એક કે બે ભારતીય નહીં પરંતુ હજારો ભારતીયો એવા છે કે જેમણે પોતાને આ પ્રકારનો ડર સતાવતો હોવાનાં કારણો આપીને સુરક્ષા માટે અમેરિકામાં આશ્રય મેળવવા માટે અરજી કરી છે.
કાયદેસરના દસ્તાવેજ વગર અમેરિકા જનારા ભારત સહિતના અન્ય દેશના નાગરીકો ત્યાં પહોંચ્યા બાદ ત્યાંની સરકાર પાસે રાજ્યાશ્રય માગે છે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલ ભારતીયો અમેરિકામાં આશ્રય મેળવવા માટે તેમની વ્યકિતગત સુરક્ષાને ખતરો હોવા અંગેની ઍફિડેવિટ પણ આપે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે. ભારતના 104 લોકોને લઈને અમેરિકાનું સૈન્યવિમાન 5 ફેબ્રુઆરીના રોજ અમૃતસર પહોચ્યું હતું. આ ડિપૉર્ટ થયેલા ભારતીયોમાં ગુજરાતના 33 લોકો હતા જેઓ કાયદેસરના દસ્તાવેજો વગર અમેરિકામાં ગયા હતા.
વ્યકિતની સુરક્ષાને ખતરો હોવાનું જણાય તેવાં કેટલાંક કારણોને ધ્યાનમાં રાખીને અમેરિકામાં વિદેશી નાગરીકોને આશ્રય આપવામાં આવતો હોય છે.
અમેરિકા પહોંચી ગયેલા લોકોના પરિવારજનો ભારતમાં પરત આવે તો તેમની જાનને કેમ ખતરો છે તે અંગેની નોટરાઇઝ ઍફિડેવિટ કરાવીને તેમને અમેરિકા મોકલે છે. જોકે કોઈ કિસ્સામાં કેટલાક લોકો અમેરિકા જતા પહેલાં પણ ઍફિડેવિટ કરાવી પોતાની સાથે લઈને જાય છે.
કયાં કારણોસર અમેરિકામાં આશ્રય મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુ.એસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર પાંચ સંજોગો આપવામાં આવ્યા છે જેમાં રાજ્યાશ્રય મળી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સંજોગોને કારણે વ્યક્તિની સુરક્ષાને જોખમ હોય તો તેને ધ્યાનમાં રાખીને અમેરિકામાં વિદેશી નાગરીકોને આશ્રય આપવામાં આવે છે.
આ પરિસ્થિતિઓમાં વંશીય ભેદભાવ, ધર્મ, રાષ્ટ્રીયતા, કોઈ ખાસ સામાજિક સંગઠનોમાં સભ્યપદ, રાજકીય અભિપ્રાયના આધાર પર થતી સતામણીના ડરને કારણે રક્ષણ મેળવવા માટે વિદેશી નાગરીકો અમેરિકામાં આશ્રય મેળવવા માટે અરજી કરી શકે છે.
અમેરિકામાં એવા લોકો આશ્રય મેળવવા માટે અરજી કરી શકે છે જે અમેરિકાના નાગરિક નથી પરંતુ તેઓ અમેરિકાની ધરતી પર પહોંચી ગયા છે.
અમેરિકામાં આશ્રય મેળવવાની ઑનલાઇન અરજી કરવાની હોય છે. આશ્રય મેળવવાની અરજી કરનારે કોઈ ફી ભરવાની હોતી નથી.
આશ્રય મેળવવા માટે કયાં કારણો આપવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ગુજરાતીઓ અમેરિકામાં આશ્રય મેળવવા માટે જે કારણો આપે છે તેમાં તેમને ભારત પરત જવામાં તેમની સુરક્ષાને ખતરો હોવાનું કહેવામાં આવે છે. તેમજ તે માટેના જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરે છે.
એક એજન્ટે નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "વ્યક્તિ જ્યારે અમેરિકામાં પ્રવેશ કરે અને પકડાઈ જાય ત્યારે તેનું નિવેદન લેવામાં આવતું હોય છે. નિવેદનમાં શું બોલવું કેટલા શબ્દો બોલવા તે વિશેની તેમને તેમના એજન્ટ દ્વારા અગાઉથી જ તૈયારી કરાવી હોય છે."
તેઓ કહે છે, "કયારેક વધારે શબ્દો બોલી જાય તો તેના પેટા પ્રશ્નો વધી જતા હોય છે. જેથી એજન્ટો તેમને ટૂંકમાં બોલવાનું જ સમજાવે છે. અમેરિકા પહોંચવા અંગે નિવેદનમાં જે કારણ આપ્યું હોય તે જ સંજોગો માટે સુરક્ષા મેળવવા માટે આશ્રયની માટેની કોર્ટમાં અરજી કરવામાં આવે છે."
આ એજન્ટે વધુમાં જણાવ્યું, "કોર્ટ તેમને સાંભળે છે. કોર્ટમાં જ્યારે કેસ ચાલે છે ત્યારે તેમની સુરક્ષાને ખતરો હોવા અંગેની એક ઍફિડેવિટ રજૂ કરવાની હોય છે. ભારતમાં રહેતા તેમના પરિવારજનો આ ઍફિડેવિટ કરાવીને તેમને અમેરિકા મોકલે છે."
અમદાવાદ નોટરી ઍસોશિયેશનના પ્રમુખ વકીલ પ્રવીણ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "વિદેશમાં ગયેલા લોકોના પરિવારજનો અમારી પાસે નોટરાઇઝ ઍફિડેવિટ કરાવવા માટે આવે છે. તે માટે તેઓ પુરાવારૂપ દસ્તાવેજો લઈને આવે છે. આ દસ્તાવેજો ગુજરાતીમાં હોય તો તેને અંગ્રેજીમાં ભાષાતંર કરીને પણ આવે છે."
પ્રવીણ સોલંકી જણાવે છે, "જો કોઈ પર અહીંયા ગુનો નોંધાયો હોય તો તેની એફઆઈઆરની કૉપી, રહેણાકના પુરાવા તેમજ જે કારણે તેમને સુરક્ષાને ખતરો લાગતો હોય તે અંગેના પુરાવા સાથે પરિવારના સભ્યો અમારી પાસે ઍફિડેવિટ કરાવવા માટે આવે છે."

ઇમેજ સ્રોત, US Govt/Representative
પ્રવીણ સોલંકી વધુમાં જણાવે છે કે "પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં છે. તેવા કપલના પરિવારના લોકો ઍફિડેવિટ કરાવે છે કે તેમનાં લગ્નથી પરિવારના નાખુશ છે જેથી અમને ઑનર કિલિંગનો ભય છે. જો તે ભારત પરત ફરશે તો જાનને ખતરો છે. આ પ્રકારના કિસ્સામાં જો યુવતીના પરિવાર તરફથી કોઈ પાલીસ સ્ટેશનમાં ફરિયાદ કે અરજી દાખલ કરી હોય તો તેની કૉપી પણ રજૂ કરવામાં આવે છે."
"આ ઉપરાંત કોઈ વિસ્તારમાં અમારા રહેણાકના વિસ્તારમાં કોઈ એક ચોક્કસ ધર્મના લોકો રહે છે જ્યાં અમારી જાનને ખતરો છે."
"અમેરિકા ગયેલા વ્યકિત ભારતમાં હોય ત્યારે તેની સામે કે તેને કોઈ મારા મારીનો કેસ નોંધાયો હોય તો તેવા કિસ્સામાં ઍફિડેવિટ કરાવવામાં આવે છે કે સામા પક્ષના લોકો માથાભારે છે અમે ત્યાંથી અમારો જીવ બચાવવા માટે ભાગીને આવ્યા છીએ. અમે ભારત પરત જઈશું તો અમારા જીવને જોખમ છે."
"આ ઉપરાંત રાજકીય અભિપ્રાય રાખવાને કારણે અમારી સામે કિન્નાખોરી રાખવામાં આવે છે. આ પ્રકારના કિસ્સામાં રાજકીય પાર્ટીના સદસ્ય હોય અને તેમની સામે કોઈ ધરણા કે આંદોલનને કારણે ફરિયાદ થઈ હોય તેની પણ ઍફિડેવિટ કરાવવામાં આવે છે."
એક એજન્ટે જણાવ્યું હતું કે, "લોકો પોતાના વિસ્તારમાં કોઈ ધમાલ કે બબાલ થઈ હોય તો તે અંગે અખબારમાં છપાયેલ લેખને પણ રજૂ કરે છે. ગામના સરપંચની ચૂંટણી થઈ હોય અને ગામમાં કોઈ ઝઘડો થયો હોય તો તે અંગેના પુરાવા પણ રજૂ કરવામાં આવે છે."
બાર કાઉન્સિલ ઑફ ગુજરાતનાં સભ્ય અને વકીલ ગુલાબખાન પઠાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "કોઈપણ વ્યકિત સોગંદનામું કરવા આવે ત્યારે તે વ્યકિત જે રજૂઆત કરે તેને ટાઇપ કરવામાં આવે છે. ત્યારબાદ નોટરી કે ઍફિડેવિટ કરનાર સત્તાધારી વ્યક્તિ ટાઇપ કરેલ લખાણ તેમને વાંચી સંભળાવે છે અને પૂછે છે કે તે ઈશ્વરને માથે રાખી વાંચી ખરાઈ કરો કે તમે જે રજૂઆત કરી છે તે સાચી છે. આ ઓથ લેવડાવીને વ્યક્તિની રજૂઆતને આઇડેન્ટિફાય કરી આપે છે."
કેટલા ભારતીય નાગરીકોએ અમેરિકામાં આશ્રયની માંગણી કરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુ એસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી દ્વારા જાહેર કરવામાં આવતા રિપોર્ટ અનુસાર દર વર્ષે હજારો ભારતીયો અમેરિકામાં આશ્રય મેળવવા માટે અરજી કરે છે. અમેરિકામાં આશ્રયની માંગ કરનારા ભારતીયોની સંખ્યામાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે.
વિદેશી નાગરીકોને અમેરિકામાં અફરમેટિવ અસાયલમ અને ડિફરમેટિવ અસાયલમ એવા બે પ્રકારના આશ્રય(અસાયલમ) આપવામાં આવે છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના રીપોર્ટમાં આપેલા આંકડા અનુસાર વર્ષ 2021માં 5,310 ભારતીય નાગરિકોએ આશ્રય માટે અરજી કરી હતી.
વર્ષ 2022માં આશ્રય અમેરિકામાં આશ્રય માટે અરજી કરનાર ભારતીય નાગરિકોની સંખ્યા 16,500 થઈ હતી.
વર્ષ 2023માં તો આશ્રય મેળવવા અરજી કરનાર ભારતીયોની સંખ્યામાં અધધ વધારો જોવા મળ્યો હતો.
વર્ષ 2023માં 45,650 ભારતીય નાગરીકોએ આશ્રય મેળવવા માટે અરજી કરી હતી.
વિદેશમાં આશ્રય માંગનાર ભારતીયો અંગે સરકારે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય નાગરીકોને વિદેશમાં આશ્રય માગી રહ્યા હોવા મામલે રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો સરકારે જવાબ પણ રજૂ કર્યો હતો.
કૉંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે નવેમ્બર 2024માં રાજ્યસભામાં ભારતીય નાગરીકોએ વિદેશમાં માંગેલા આશ્રય(અસાયલમ) અંગે પ્રશ્ન પૂછ્યા હતા.
તેમણે પૂછ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલા ભારતીય લોકોએ વિદેશમાં આશ્રયની માંગ કરી છે.
કપિલ સિબ્બલે દેશ મુજબ આંકડાની માહિતી માંગી હતી.
તેમણે વધુમાં પૂછ્યું હતું કે વર્ષ 2021-2013માં અમેરિકામાં આશ્રય માંગનાર ભારતીયોની સંખ્યામાં 800 ટકા વધારો જોવા મળ્યો છે. જેમાંથી અડધા ગુજરાતી છે. જો આમ હોય તો વિદેશમાં આશ્રય માંગનાર ભારતીયોના મુદ્દાને ઉકેલવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે.
કપિલ સિબ્બલના પ્રશ્ન અંગે જવાબ આપતા વિદેશ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો.
'વિદેશમાં આશ્રય મેળવવા માટે અરજી કરનારની સંખ્યા આશ્રય આપવામાં આવેલા લોકોની સંખ્યા તેમજ કયા આધારે આશ્રય મેળવવાની અરજી કરવામાં આવી છે કે મંજૂર કરવામાં આવી છે તે અંગેનો ડેટા ઉપલબ્ધ નથી. કારણ કે વિદેશી સરકારો ગોપનીયતા અને ડેટા સંરક્ષણ કાયદાને કારણે આવા ડેટાને શૅર કરવામાં અસમર્થતા દર્શાવે છે.'
'ભારત સરકાર એવું માને છે કે વિદેશમાં આશ્રય મેળવવાની અરજી કરનાર પોતાના વ્યક્તિગત ફાયદા માટે ભારત દેશ અને ભારતીય સમાજને બદનામ કરે છે. જ્યારે હકીકત એવી છે કે ભારત એક લોકશાહી દેશ છે.જે તમામને સમાન તક અને સમસ્યાઓના કાયદેસર રીતે નિવારણ કરવાની ક્ષમતા આપે છે.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.












