You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિમિષા પ્રિયાની મોતની સજાનો દિવસ ટળ્યો, ભારતીય નર્સને આ સજા કેમ મળી હતી?
યમનમાં હત્યા કેસમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મોતની સજા મોકૂફ રાખવામાં આવી છે. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યા છે.
અગાઉ નિમિષા પ્રિયાને બુધવાર, 16 જુલાઈએ મોતની સજા આપવાનો નિર્ણય લેવાયો હતો.
મૂળ કેરળના પલક્કડ જિલ્લાનાં કોલેંગોડે ગામના વતની નિમિષા પ્રિયા યમનમાં કામ કરતાં હતાં. જુલાઈ 2017માં તેમના પર યમનના એક નાગરિકની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો.
સૂત્રોએ કહ્યું કે યમનના સ્થાનિક સત્તાવાળાઓએ મૃત્યુદંડ આપવાનું મોકૂફ રાખ્યું હોવાનું જાણવા મળ્યું છે.
2020માં યમનની એક અદાલતે નિમિષા પ્રિયાને મોતની સજા સંભળાવી હતી. તેની સામે નિમિષા પ્રિયાએ અપીલ કરી હતી જેને યમનની સુપ્રીમ જ્યૂ ડિશિયલ કાઉન્સિલે નકારી કાઢી હતી.
38 વર્ષીય નર્સ હાલમાં યમનની રાજધાની સના ખાતે જેલમાં છે. આ શહેર હાલમાં ઈરાનનો ટેકો ધરાવતા હૂતી બળવાખોરોના કબજામાં છે.
નિમિષા પ્રિયાનો આખો મામલો શું છે?
ડિસેમ્બર 2023માં બીબીસીનાં સંવાદદાતા ગીતા પાંડેના એક અહેવાલ પ્રમાણે નિમિષા પ્રિયા એક તાલીમબદ્ધ નર્સ છે અને 2008માં તેઓ કેરળથી યમન નોકરી કરવા ગયાં હતાં. તેમને યમનની રાજધાની સનાની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી મળી હતી.
નિમિષા 2011માં કેરળ આવ્યાં અને ટોમી થૉમસ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી પતિ-પત્ની બંને યમન ગયાં, જ્યાં ડિસેમ્બર 2012માં તેમને એક દીકરીનો જન્મ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થૉમસે બીબીસીને જણાવ્યું કે તેમને ત્યાં કોઈ સારી નોકરી ન મળવાથી નાણાકીય તકલીફો વધી ગઈ. તેથી તેઓ 2014માં દીકરીને લઈને કોચીન આવી ગયા.
તે જ વર્ષે નિમિષાએ પોતાની ઓછા પગારની નોકરી છોડીને એક ક્લિનિક ખોલવાનો નિર્ણય લીધો. યમનના કાયદા મુજબ તેના માટે એક સ્થાનિક ભાગીદાર રાખવાનું જરૂરી હતું. તેથી નિમિષાએ મહદીને પોતાના ભાગીદાર બનાવ્યા.
મહદી પાસે કપડાંની દુકાન હતી અને તેમનાં પત્નીએ નિમિષા જ્યાં કામ કરતાં હતાં તે જ ક્લિનિકમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. જાન્યુઆરી 2015માં નિમિષા જ્યારે ભારત આવ્યાં ત્યારે મહદી પણ તેમની સાથે આવ્યા હતા.
નિમિષા અને તેમના પતિએ મિત્રો અને પરિવારજનોની મદદથી નાણાકીય ટેકા માટે 50 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. એક મહિના પછી નિમિષા પોતાનું ક્લિનિક શરૂ કરવા યમન પરત ફર્યાં હતાં.
તેઓ પોતાના પતિ થૉમસ અને દીકરીને ત્યાં બોલાવવા પ્રયાસ કરી રહ્યાં હતાં, એ જ સમયે યમનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું.
આ ગાળામાં ભારતે યમનમાંથી 4600 ભારતીયો અને એક હજાર વિદેશી નાગરિકોને સલામત બહાર કાઢ્યા. પરંતુ નિમિષા તે વખતે ભારત પાછાં ન આવ્યાં.
થોડા જ સમયમાં નિમિષાની તકલીફો શરૂ થઈ ગઈ. તેમણે પોતાના ભાગીદાર મહદી સામે ફરિયાદો શરૂ કરી.
નિમિષાનાં માતા પ્રેમકુમારીએ દિલ્હી હાઇકોર્ટમાં 2023માં એક અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું, "મહદીએ નિમિષાના ઘરમાંથી તેમનાં લગ્નના ફોટા ચોરી લીધા હતા. ત્યાર બાદ તેણે આ ફોટામાં ચેડાં કર્યાં અને તેણે નિમિષા સાથે લગ્ન કર્યાં હોવાનો દાવો કરવા લાગ્યો."
તેમાં જણાવાયું હતું કે મહદીએ ઘણી વાર નિમિષાને ધમકી આપી હતી. તેમણે "નિમિષાનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. નિમિષાએ જ્યારે પોલીસને ફરિયાદ કરી તો પોલીસે તેમની છ દિવસ સુધી ધરપકડ કરી લીધી હતી."
નિમિષા પ્રિયા પર હત્યાનો આરોપ અને સજા
2017માં નિમિષાના પતિ થૉમસને માહિતી મળી કે મહદીની હત્યા થઈ ગઈ છે.
થૉમસને યમનથી સમાચાર મળ્યા કે, "નિમિષાને તેના પતિની હત્યાના આરોપમાં પકડવામાં આવ્યાં છે".
થૉમસ માટે આ આઘાતજનક સમાચાર હતા, કારણ કે નિમિષાના પતિ તો તેઓ હતા. પરિવારનું કહેવું છે કે મહદીએ નિમિષાના ફોટોગ્રાફને એડિટ કર્યા હતા અને પોતે નિમિષા સાથે લગ્ન કર્યાંનો દાવો કર્યો.
પાણીની એક ટાંકીમાંથી મહદીના શરીરના ટુકડા મળી આવ્યા હતા. એક મહિના પછી યમન-સાઉદી અરેબિયા સરહદે નિમિષાની ધરપકડ કરવામાં આવી.
બીબીસી ન્યૂઝ મુજબ, "દિલ્હી હાઇકોર્ટમાં ફાઇલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે મહદીએ ક્લિનિકની માલિકીના બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા અને તેના પર પોતાની માલિકીનો દાવો કર્યો હતો. તે ક્લિનિકમાંથી રૂપિયા પણ લેતો હતો અને નિમિષાનો પાસપોર્ટ પણ આંચકી લીધો હતો."
નિમિષા પ્રિયા પાસે હવે કયા કાનૂની વિકલ્પો બચ્યા છે?
નિમિષા પ્રિયાના પરિવારના વકીલ સુભાષચંદ્રને મહિનાઓ અગાઉ એક સમાચાર ચેનલને જણાવ્યું કે આ કેસમાં હજુ પણ કાનૂની વિકલ્પો ખુલ્લા છે.
તેમણે કહ્યું, "યમનમાં શરિયતના કાયદા છે. તે કાયદા મુજબ જો મહદીનો પરિવાર નિમિષાને માફ કરી દે તો નિમિષાને મૃત્યુદંડમાંથી બચાવી શકાય છે. પરંતુ યમનની હાલની સ્થિતિના કારણે અમે ત્યાં જઈ શકતા નથી. તેના કારણે અમે ભારત સરકારની મદદ માંગી છે."
સુભાષચંદ્રને વધુમાં જણાવ્યું કે, "જો ભારત સરકાર હસ્તક્ષેપ કરે અને પીડિતાના પરિવાર સાથે વાતચીત કરાવે તો ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ દ્વારા નક્કી થયેલી રકમ ચૂકવવા માટે નિમિષા પ્રિયાનો પરિવાર તૈયાર છે."
તેમણે કહ્યું કે, "શરૂઆતમાં જ જૂથના નેતાઓ સાથે વાતચીત થઈ હતી. પરંતુ મૃતકના પરિવારે હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો. મૃતકનો પરિવાર નાણાંના બદલામાં માફી આપવા તૈયાર થાય તો આ મામલો તાત્કાલિક ઉકેલાઈ જશે."
સુભાષચંદ્રને જણાવ્યું કે નિમિષાને બચાવવા માટે હવે માત્ર 30 દિવસનો સમય છે. જે બહુ ઓછો છે.
સુભાષચંદ્રને કહ્યું કે, "2017માં યમનમાં રાજકીય સંઘર્ષ થયો હતો અને તે જ સમયે આ ઘટના બની હતી. તેથી તે સમયે આ મામલે કોઈ કાયદાકીય મદદ મળી શકી ન હતી. તે દરમિયાન નિમિષા પાસે ઘણા દસ્તાવેજો પર સહી કરાવવામાં આવી હતી. આ હત્યાના ગુનાની કબૂલાત કરતા દસ્તાવેજો હતા."
તેમણે દાવો કર્યો કે સ્થાનિક કોર્ટમાંથી નિમિષાને કોઈ કાનૂની સહાયતા નહોતી મળી. "સજા જાહેર કરાયા પછી સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલમાં એક અપીલ દાખલ કરાઈ હતી. પરંતુ તેમાં પણ સજા ચાલુ રખાઈ હતી."
તેમણે જણાવ્યું કે યમનમાં હાલમાં ચાલતા રાજકીય સંઘર્ષના કારણે ભારત સરકારે લોકોને ત્યાં જવાની મનાઈ કરી છે. નિમિષા પ્રિયાનાં માતા પ્રેમાકુમારી ત્યાં જઈ શકે તે માટે મંજૂરી આપવા દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.
મંજૂરી મળ્યા પછી પ્રેમાકુમારી યમન ગયાં અને નવ મહિનાથી ત્યાં જ છે.
સુભાષચંદ્રનના કહેવા મુજબ, "આ કેસમાં હવે માત્ર કેન્દ્ર સરકાર જ કંઈક કરી શકે છે."
નિમિષાની સજા માફ કરાવવા કરાયેલ મધ્યસ્થીના પ્રયાસો કેમ નિષ્ફળ રહ્યા?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિમિષા પર જે વ્યક્તિની હત્યાનો આરોપ છે, તે તલાલ અબ્દો મહદીના પરિવાર પાસેથી માફી મેળવવા પ્રયાસ કરાયા હતા, પરંતુ તેમાં સફળતા નથી મળી.
કેટલાક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે મધ્યસ્થી કરવા માટે જેટલા ભંડોળની જરૂર હતી એટલું ભંડોળ એકઠું કરી શકાયું ન હતું.
મનોરમા ઑનલાઇન મુજબ, "યમનમાં નિમિષાની મુક્તિ માટે સેમ્યુઅલ જેરોમે પહેલ કરી છે. સેમ્યુઅલે કહ્યું કે મધ્યસ્થી માટે જૂથના નેતાઓ સાથે વાતચીત કરવા જેટલાં જોઈએ એટલાં નાણાં એકઠાં થઈ શક્યાં ન હતાં."
સેમ્યુઅલ જેરોમે કહ્યું કે, "નાણાં ન ચૂકવાયા તેના કારણે વાતચીત અટકી ગઈ. જો વાતચીત ચાલુ રહી હોત તો અત્યાર સુધીમાં નિમિષાનો છુટકારો થઈ ગયો હોત."
જોકે, નિમિષાના પરિવારના વકીલ સુભાષચંદ્રને દાવો રકર્યો છે કે યમનમાં મધ્યસ્થી તરીકે કામ કરતી ટીમે જુલાઈ 2024માં 20 હજાર ડૉલર (લગભગ 19 લાખ રૂપિયા) માંગ્યા હતા. તેમણે કહ્યું કે,"ગયા અઠવાડિયે તેમણે ફરીથી 20 હજાર ડૉલર માંગ્યા. અમે તે રકમ મોકલાવી દીધી. અમે ભારતીય દૂતાવાસ મારફત યમનના વકીલોને કુલ 38 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પરંતુ કમનસીબે બે દિવસ અગાઉ જ સમાચાર મળ્યા કે યમનના રાષ્ટ્રપતિએ નિમિષાની મોતની સજાને મંજૂરી આપી દીધી છે."
સુભાષચંદ્રને એમ પણ કહ્યું કે, "અત્યાર સુધી મૃતક (તલાલ અબ્દો મહદી)ના પરિવાર સાથે કોઈ સીધી વાતચીત કે ચર્ચા થઈ શકી નથી. યમનમાં રાજકીય સંઘર્ષની સ્થિતિ હોવાના કારણે આ વાતચીત કરવાનું વધુ મુશ્કેલ બની ગયું છે."
ભારત સરકારે શું કર્યું હતું?
ગયા વર્ષે ડિસેમ્બરમાં, નિમિષાના પરિવારે આ મામલે ભારત સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું હતું અને શક્ય એટલી તમામ મદદની ખાતરી આપી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "અમે યમનમાં નિમિષા પ્રિયાને આપવામાં આવેલી સજાથી વાકેફ છીએ. અમે સમજીએ છીએ કે પ્રિયાનો પરિવાર વિકલ્પો શોધી રહ્યા છે."
જયસ્વાલે કહ્યું હતું કે, "ભારત સરકાર આ મામલે શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે."
ગયા વર્ષે ડિસેમ્બરમાં, મીડિયા અહેવાલો બહાર આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહદી પરિવાર સાથે વાટાઘાટો દ્વારા માફી મેળવવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે મધ્યસ્થી પ્રયાસો માટે જરૂરી ભંડોળ એકત્ર કરી શકાયું નથી.
મનોરમા ઑનલાઇન અનુસાર, યમનમાં નિમિષાની મુક્તિ માટે મધ્યસ્થી પ્રયાસોનું નેતૃત્વ કરનારા સૅમ્યુઅલ જેરોમે કહ્યું કે આદિવાસી નેતાઓ સાથે મધ્યસ્થી વાટાઘાટો માટે પૈસા એકઠા કરી શકાયા નથી.
જેરોમે કહ્યું હતું કે, "પૈસા ચૂકવવામાં અસમર્થતાને કારણે વાટાઘાટો અટકી ગઈ. જો વાટાઘાટો ચાલુ રહી હોત, તો નિમિષા અત્યાર સુધીમાં મુક્ત થઈ ગઈ હોત"
જોકે, નિમિષાના પરિવારના વકીલ સુભાષ ચંદ્રને દાવો કર્યો હતો કે યમનમાં મધ્યસ્થી વાટાઘાટો કરી રહેલી ટીમે જુલાઈ 2024માં વીસ હજાર ડૉલરની માંગણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "તેમણે ફરીથી 20,000 ડૉલર માંગ્યા, જે અમે મોકલી દીધા. અમે ભારતીય દૂતાવાસ દ્વારા યમનના વકીલને કુલ 38 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પરંતુ કમનસીબે રાષ્ટ્રપતિ તરફથી સજા મંજૂર થઈ હોવાના સમાચાર મળ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન