You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાંડ કે મધમાંથી શું વધુ સલામત, ડાયાબિટીસના દર્દી ખાંડની જગ્યાએ મધ ખાઈ શકે?
મોટા ભાગના લોકો મધને ખાંડનો વધુ સારો વિકલ્પ માને છે. તમારી આસપાસ પણ એવા ઘણા લોકો હશે જેઓ હવે ખાંડને સ્થાને પોતાના રોજિંદા ખોરાકમાં મધને સામેલ કરવા લાગ્યા છે.
ખાંડ અને મધ બંને આમ તો મીઠાશના પર્યાય છે. જોકે, બંનેના સ્વાદ, રચના અને પોષકતત્ત્વો અલગ-અલગ છે.
સામાન્ય રીતે અપાતી સલાહ પ્રમાણે શું ખરેખર મધ ખાંડ કરતાં વધુ લાભદાયક હોય છે? શું ડાયાબિટીઝના દર્દી છૂટથી તેનો ઉપયોગ કરી શકે?
મધ કેવી રીતે બને છે?
લગભગ આપણને બધાને ખ્યાલ છે એ પ્રમાણે મધમાખીના સમૂહ દ્વારા ફૂલોનો પુષ્પરસ એકત્રિત કરીને મધ માટે જરૂરી તત્ત્વોમાં તેનું રૂપાંતર કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ તત્ત્વો છે ફ્રુકટોઝ અને ગ્લુકોઝ.
ઠંડીની ઋતુમાં મધમાખી પોતાના માટે ખોરાકનો સંગ્રહ કરવા માટે મધપૂડામાં આ તત્ત્વો સંઘરે છે.
પ્રાચીન ગ્રીસમાં મધને 'દેવોના ખોરાક' તરીકે વર્ણવવામાં આવ્યું છે. જ્યારે ચીનમાં ઔષધી ગણવામાં આવતું.
મધથી થતા સ્વાસ્થ્યસંબંધી લાભોનો આધાર મધમાખીએ કેવી ગુણવત્તાવાળાં ફૂલોનો રસ એકત્રિત કર્યો છે તેના પર અને મધ બનાવવાની પ્રક્રિયા પર રહે છે.
કાચા મધને કોઈ પણ રીતે ગરમ, પૅશ્ચરાઇઝ્ડ, શુદ્ધ અથવા ફિલ્ટર કરવામાં આવતું નથી અને મધના આ સ્વરૂપમાં સામાન્ય રીતે આરોગ્ય માટે લાભકારક પોષકતત્ત્વોને જળવાયેલાં રહે છે. જયારે મધને પ્રોસેસ કરાય તો તેનાં પોષકતત્ત્વો ઘટે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધનો ઉપયોગ વર્ષોથી ઍન્ટિસેપ્ટિક તરીકે કરવામાં આવે છે.
એવી માન્યતા છે કે તે હળવા ઘા, ગૂમડા, ફોલ્લા અને દાઝેલાને રૂઝ વળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
મધ ખાસ કરીને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી બનતું હોય છે. આ બંને એવાં તત્ત્વો છે જેને પાણીની ખૂબ જ જરૂર રહે છે. આ તત્ત્વોને કારણે જ મધ પાસે આ ઔષધીય ગુણો છે. મધ ઇજા પરનું પાણી શોષી લે છે જેથી ઈજા જલદી શુકાઈ જાય છે અને બેક્ટેરિયા અને ફૂગ થવાની પ્રક્રિયા અટકી જાય છે.
ઘાટું મધ મધ ફલેવોનોઇડ્સ જેવાં રાસાયણિક સંયોજનોનો સમૃદ્ધ સ્રોત છે.
ફ્લેવોનોઇડ્સમાં ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિવાઇરલ, ઍન્ટિઇન્ફ્લેમેટરી અને ઍન્ટિએલર્જેનિક ગુણધર્મો હોય છે.
ફ્લેવોનોઇડ હોવાના લીધે કેટલાક લોકો એવું માને છે કે મધ ખાંડ કરતાં વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે અને તેને ઍન્ટીઑકિસડન્ટ્સના સ્રોત તરીકે જુએ છે.
જોકે, ઘરગથ્થુ ખાંડ કરતાં મધની ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચી હોવા છતાં, તેમાં કૅલરીનું પ્રમાણ વધુ હોય છે અને તેનાથી લોહીમાં સુગર વધવાની શક્યતાઓ રહેલી છે તેથી તેનું સેવન નિયંત્રણમાં જ કરવું જોઈએ.
મધની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખાંડ કરતાં ઓછી છે. તેનો અર્થ એ છે કે તે લોહીમાં સુગરના સ્તરને ઝડપથી વધારતું નથી.
મધ ખાંડ કરતાં વધુ મીઠું હોય છે, તેથી તમારે તેની ઓછી જરૂર પડી શકે છે, પરંતુ તેમાં ચમચી દીઠ થોડી વધુ કૅલરી હોય છે, તેથી એ જરૂરી છે કે તેનો સમજી વિચારીને ખોરાકમાં લેવામાં આવે.
જો તમે તમારા ખોરાકમાં મધને પ્રાધાન્ય આપવા માંગતા હોવ તો તેને તેના કાચા સ્વરૂપમાં એટલે કે અનપ્રોસેસ્ડ અવસ્થામાં લેવાનું રાખો.
કેમ કે તેમાં વધારે વિટામિન્સ, એન્ઝાઇમ્સ, ઍન્ટિઑકિસડન્ટ અને સફેદ ખાંડ કરતાં અન્ય પોષકતત્ત્વો વધારે છે.
જોકે, એ યાદ રાખવું જરૂરી છે કે અનપ્રોસેસ્ડ મધના સેવનથી થતાં પોષણસંબંધી લાભો પણ નહિવત્ જેવા જ છે.
આમ તો મધ દરેક પુખ્ત વયની વ્યક્તિ માટે સલામત છે. જોકે, ડાયાબિટીસ હોય એવી વ્યક્તિએ તેનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ કરવું જોઈએ.
ડાયાબિટીસથી પીડાતા કે પોતાનો બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવા મથતા લોકોને ખાંડને સ્થાને મધ ખાવાથી કોઈ વાસ્તવિક લાભ નથી થવાનો, કારણે બંને અંતે તો બ્લડ સુગરના લેવલ પર અસર કરશે.