ગોધરાકાંડ પછીનાં કોમી રમખાણો વિશે મોદીએ અમેરિકન પૉડકાસ્ટમાં શું કહ્યું?

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ત્રણ કલાકથી વધારે લાંબા ચાલેલા ઈન્ટરવ્યૂમાં મોદીએ વિવિધ મુદ્દા પર વાત કરી હતી
વાંચવાનો સમય: 8 મિનિટ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રીડમૅનની યૂટ્યૂબ ચેનલ પર પૉડકાસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યો છે.

ત્રણ કલાક અને 17 મિનિટના આ પૉડકાસ્ટમાં મોદીએ પોતાના જીવન ઉપરાંત આરએસએસ અને હિંદુ રાષ્ટ્ર, મહાત્મા ગાંધી સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

તેમણે ગુજરાતનાં રમખાણો વિશે પણ વિગતવાર વાત કરી હતી. આ ઉપરાંત ચીન, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો પર પણ ચર્ચા થઈ હતી.

બીજી તરફ, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પીએમ મોદીના ઇન્ટરવ્યૂ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, "જે વ્યક્તિ પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયાનો સામનો કરવાથી ડરે છે તેમણે 'જમણેરી વિચારધારાવાળા વિદેશી પૉડકાસ્ટર' સાથે વાત કરી છે."

ઍક્સ પર પોસ્ટમાં જયરામ રમેશે લખ્યું, "અને તેઓ એમ કહેવાની હિંમત કરે છે કે 'ટીકા તો લોકશાહીનો આત્મા છે' જ્યારે તેમણે પોતાની સરકારને જવાબદાર ગણાવતી દરેક સંસ્થાને વ્યવસ્થિત રીતે ખતમ કરી છે. અને ટીકાકારો પર એવી રીતે હુમલા કર્યા છે, જેની તુલના તાજેતરના ઇતિહાસમાં કોઈની સાથે કરી શકાય તેમ નથી."

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

'આતંકવાદ ગમે ત્યાં હોય, મૂળ પાકિસ્તાનમાં નીકળે'

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા પર 9/11ના હુમલાનું દૃશ્ય

પાડોશી દેશ પાકિસ્તાન વિશે પીએમ મોદીએ કહ્યું, "દુનિયામાં ક્યાંય પણ આતંકવાદની ઘટના બને, તેનું મૂળ પાકિસ્તાનમાં જઈને અટકે છે."

તેમણે કહ્યું, "9/11ની આટલી મોટી ઘટના અમેરિકામાં બની હતી. તેના મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન આખરે ક્યાંથી મળ્યા? તેમણે પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો."

વડા પ્રધાન મોદીએ કહ્યું, "પાકિસ્તાન માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે. અમે તેને સતત કહી રહ્યા છીએ કે આ માર્ગથી કોને ફાયદો થશે. આતંકવાદનો માર્ગ છોડી દો. સરકાર પ્રેરિત આતંકવાદ બંધ થવો જોઈએ."

ફ્રીડમૅન સાથે વાત કરતા તેમણે કહ્યું કે "શાંતિના પ્રયાસો માટે હું જાતે લાહોર ગયો હતો. વડા પ્રધાન બન્યા પછી પોતાના શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને ખાસ આમંત્રિત કર્યું હતું જેથી એક સારી શરૂઆત થાય. દરેક વખતે સારા પ્રયાસોનું પરિણામ નકારાત્મક આવ્યું. અમે આશા રાખીએ કે તેમને સદબુદ્ધિ મળે."

ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ અને પછીનાં રમખાણો વિશે મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાબરમતી એક્સપ્રેસનો કોચ જેમાં ગોધરામાં આગ લાગી હતી

ઇન્ટરવ્યૂ દરમિયાન ફ્રીડમૅને પીએમ મોદીને વર્ષ 2002માં થયેલાં ગુજરાત રમખાણો વિશે પણ સવાલ પૂછ્યો હતો.

મોદીએ આ મામલે કહ્યું કે "હું તમને તેનાથી અગાઉની સ્થિતિ જણાવવા માગું છું. 24 ડિસેમ્બર 1999ના રોજ વિમાન હાઇજેક કરીને કંદહાર લઈ જવાયું હતું.

2000માં દિલ્હીમાં લાલ કિલ્લા પર આતંકી હુમલો થયો હતો."

"11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના ટ્વિન ટાવર્સ પર હુમલો થયો હતો. ઑક્ટોબર 2001માં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા પર આતંકી હુમલો થયો. 13 ડિસેમ્બર 2001ના દિવસે ભારતીય સંસદ પર હુમલો થયો."

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોદીએ કહ્યું કે, "તે સમયે આઠથી 10 મહિના દરમિયાન બનેલી ઘટના જુઓ. તેવામાં મને મુખ્ય મંત્રીપદની જવાબદારી મળી. તેનાથી અગાઉ સદીનો સૌથી ભયંકર ભૂકંપ આવ્યો હતો. શપથ લેતાની સાથે જ હું કામે લાગી ગયો."

તેમણે કહ્યું, "27 ફેબ્રુઆરી 2002ના દિવસે વિધાનસભામાં મારું બજેટ સત્ર હતું. અમે સદનમાં બેઠા હતા. તે વખતે મને ધારાસભ્ય બન્યાને હજુ ત્રણ જ દિવસ થયા હતા અને ગોધરાની ઘટના બની. તે ભયંકર ઘટના હતી. લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. કંદહાર વિમાનથી લઈને અનેક મોટી ઘટનાઓ બની હતી. આવામાં મોટી સંખ્યામાં લોકો મરી જાય, જીવતા સળગાવી દેવાય. તમે કલ્પના કરી શકો કે કેવી સ્થિતિ હશે?"

તેમણે કહ્યું કે "જે લોકો કહે છે કે બહુ મોટાં રમખાણો હતાં એવું કહેનારા લોકો ભ્રમ ફેલાવે છે."

પીએમ મોદીએ કહ્યું, "2002 અગાઉનો ડેટા જોવામાં આવે કે ગુજરાતમાં કેટલાં રમખાણો થતાં હતાં. પતંગ માટે પણ કોમી હિંસા થઈ જતી હતી. સાઇકલ ટકરાય તો પણ કોમી રમખાણ થતાં હતાં. 2002 અગાઉ ગુજરાતમાં 250થી વધુ મોટાં રમખાણો થયાં હતાં. 1969માં જે રમખાણો થયાં તે છ મહિના સુધી ચાલ્યાં હતાં. આટલી મોટી ઘટના સ્પાર્કિંગ પૉઇન્ટ બની ગઈ અને કેટલાક લોકોની હિંસા થઈ."

'હું યુદ્ધ નહીં, શાંતિના પક્ષમાં છું'

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્ટરવ્યૂમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, "અમારી પૃષ્ઠભૂમિ એટલી મજબૂત છે કે જ્યારે પણ અમે શાંતિ માટે વાત કરીએ છીએ, ત્યારે વિશ્વ અમને સાંભળે છે, કારણ કે આ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે."

રશિયા-યુક્રેનને લઈને તેમણે કહ્યું, "રશિયા અને યુક્રેન બંને સાથે મારા સારા સંબંધો છે. હું રાષ્ટ્રપતિ પુતિનને કહી શકું છું કે આ યુદ્ધનો સમય નથી. અને મિત્રતાપૂર્ણ રીતે હું ઝેલેન્સ્કીને પણ કહું છું કે દુનિયા તમારી સાથે ગમે તેટલી ઊભી રહે, પણ યુદ્ધના મેદાનમાં ક્યારેય પરિણામ આવશે નહીં."

પીએમ મોદીએ કહ્યું કે તેઓ માને છે કે યુદ્ધનું પરિણામ ટેબલ પર આવવાનું છે અને તે ત્યારે જ બહાર આવશે જ્યારે રશિયા અને યુક્રેન બંને ટેબલ પર હાજર હશે.

વડા પ્રધાને કહ્યું, "આખી દુનિયા યુક્રેન સાથે બેસીને ભલે ગમે તેટલી વાતચીત કરે, બંને પક્ષોનું હોવું જરૂરી છે. હું હંમેશં કહું છું કે હું શાંતિના પક્ષમાં છું."

આરએસએસ અને ગાંધીજી વિશે મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરએસએસના એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ

પીએમ મોદીએ ઇન્ટરવ્યૂ દરમિયાન આરએસએસ વિશે પણ વિસ્તૃત વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "સંઘ એક મોટું સંગઠન છે. તેનાં 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. દુનિયામાં આટલું મોટું સ્વૈચ્છિક સંગઠન ક્યાં હશે? તેની સાથે કરોડો લોકો જોડાયેલા છે. સંઘને સમજવું એટલું સરળ નથી. સંઘનું કામ સમજવું જોઈએ. સંઘ જીવનના ઉદ્દેશ્યને દિશા આપે છે."

પીએમ મોદીએ કહ્યું, "સંઘના કેટલાક સ્વયંસેવકો જંગલોમાં વનવાસી કલ્યાણ આશ્રમ ચલાવે છે. તેઓ આદિવાસીઓ માટે એકલવ્ય વિદ્યાલય ચલાવે છે. અમેરિકામાં કેટલાક લોકો છે જે તેમને 10થી 15 ડૉલરનું દાન આપે છે. આવી 70 હજાર શાળાઓ ચાલી રહી છે. આવી જ રીતે શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે વિદ્યાભારતી નામે સંગઠન સ્થાપવામાં આવ્યું. દેશમાં તેમની લગભગ 25 હજાર શાળાઓ છે."

પીએમ મોદીએ ભારતીય મજદૂર સંઘ વિશે પણ ચર્ચા કરી.

તેમણે કહ્યું, "ડાબેરી મજૂર સંગઠનો કહે છે, વિશ્વના મજૂરો, એક થાવ. જે લોકો આરએસએસની શાખામાંથી બહાર આવીને મજૂર સંગઠનો ચલાવે છે તેઓ કહે છે, 'મજૂરો, વિશ્વને એક કરો'. માત્ર બે શબ્દોમાં ફેરફાર છે પણ વૈચારિક પરિવર્તન મોટું છે. સંઘની સેવાની ભાવનાએ મને ઘડવામાં મદદ કરી છે."

પીએમ મોદીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "મહાત્મા ગાંધીનો પ્રભાવ આજે કોઈને કોઈ રીતે ભારતીય જીવન પર જોવા મળે છે."

તેમણે કહ્યું, "આઝાદીની વાત કરીએ તો અહીં લાખો લોકોએ બલિદાન આપ્યાં, યુવાની જેલમાં વિતાવી. તેઓ દેશ માટે શહીદ થઈ જતા હતા. પરંપરા બની રહી અને તેણે એક વાતાવરણ પણ બનાવ્યું. પરંતુ ગાંધીએ જનઆંદોલન પેદા કર્યું. તેમણે દરેક કામને આઝાદીના રંગે રંગી નાખ્યું. અંગ્રેજોને ક્યારેય અંદાજ પણ ન હતો કે દાંડીયાત્રા એક બહુ મોટી ક્રાંતિ પેદા કરશે."

મોદીએ કહ્યું કે, "તેમણે સામૂહિકતાનો ભાવ જગાવ્યો અને જનશક્તિની ક્ષમતાને ઓળખી. મારા માટે તે આજે પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. હું જે કામ કરું તેને જનસામાન્ય સાથે જોડીને કરું છું."

'આંખમાં આંખ મિલાવીને વાત કરી'

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કતારના અમીર શેખ તમીમ બિન હમીદ અલ થાનીને આવકારતા નરેન્દ્ર મોદી

વડા પ્રધાન મોદીએ કહ્યું કે 2013માં જ્યારે પાર્ટીએ તેમને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે લોકો કહેતા હતા કે તેમણે એક રાજ્ય ચલાવ્યું છે. તેમને વિદેશનીતિમાં શું ખબર પડે?

પીએમ મોદીએ કહ્યું, "પછી મેં કહ્યું કે ભાઈ, હું એક ઇન્ટરવ્યૂમાં આખી વિદેશનીતિ સમજાવી શકતો નથી, પરંતુ હું તમને એટલું કહું છું કે ભારત ન તો નજર ઝુકાવીને વાત કરશે કે ન આંખો કાઢશે. ભારત આંખમાં આંખ મિલાવીને વાત કરશે. આજે પણ હું તે વિચારને અનુસરું છું."

તેમણે કહ્યું, "મારા માટે મારો દેશ પ્રથમ છે. પરંતુ કોઈને નીચા દેખાડવા, ખરાબ સંભળાવવું, એ મારી સંસ્કૃતિના સંસ્કાર નથી અને મારી સાંસ્કૃતિક પરંપરા પણ નથી."

મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે શું કહ્યું?

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનના સ્ટેડિયમમાં હાઉડી મોદી કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ભાષણ પછી તરત ટ્રમ્પને પૂછ્યું કે સ્ટેડિયમનું ચક્કર લગાવવું છે, તો તેઓ તરત તૈયાર થઈ ગયા.

મોદીએ કહ્યું, "અમેરિકાનું સુરક્ષાતંત્ર બેચેન થઈ ગયું. તમે જાણો છો કે સુરક્ષા કેટલી ચુસ્ત હોય છે. કેટલી તપાસ થાય છે. મને એ વાત પસંદ પડી કે આ વ્યક્તિમાં હિંમત છે. તેઓ જાતે નિર્ણય લે છે, અને બીજું તેમને મોદી પર ભરોસો છે કે મોદી તેમને લઈ જાય છે તો ચાલો જઈએ."

પીએમ મોદીએ કહ્યું કે ટ્રમ્પે પ્રોટોકૉલ તોડીને તેમને આખું ભવન દેખાડ્યું હતું.

મોદીએ કહ્યું કે, "તેઓ અમેરિકા ફર્સ્ટમાં માને છે, હું ભારત ફર્સ્ટમાં માનું છું. અમારી જોડી બરાબર જામે છે."

ચીન સાથેના સંબંધો વિશે મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગોધરાકાંડ, ગુજરાત રમખાણ, ગુજરાતમાં થયેલાં રમખાણો, ગુજરાત 2002, 2002માં થયેલાં ગુજરાતમાં રમખાણો, આરએસએસ, સંઘ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે

પીએમ મોદીએ ચીન સાથેના સંબંધો વિશે પુછાયેલા સવાલોના પણ જવાબ આપ્યા હતા.

તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સદીઓ જૂના સંબંધ છે. એક જમાનામાં દુનિયાની જીડીપીનો અડધો હિસ્સો ભારત અને ચીનનો હતો.

તેમણે કહ્યું કે "બંને દેશો વચ્ચે સંઘર્ષનો કોઈ ઇતિહાસ નથી રહ્યો."

પીએમ મોદીએ કહ્યું કે, "એક સમયે ચીનમાં બુદ્ધનો ઘણો પ્રભાવ હતો. અહીંથી જ તે વિચાર ત્યાં ગયો હતો."

"આ સંબંધો આવી જ રીતે મજબૂત ટકી રહેવા જોઈએ. બે પડોશી દેશો વચ્ચે કંઈને કંઈ થવાનું જ છે. ક્યારેક અસહમતિ પણ થઈ શકે. આવું પરિવારમાં પણ થાય છે. પરંતુ અમારો પ્રયાસ છે કે અમારા મતભેદ વિવાદમાં ન ફેરવાય."

ગલવાન તરફ ઈશારો કરતા મોદીએ કહ્યું કે, "2020માં સરહદે જે ઘટના બની તેના કારણે અમારી વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ પેદા થઈ હતી. તાજેતરમાં રાષ્ટ્રપતિ શી સાથે મારી મુલાકાત થઈ. ત્યાર પછી સરહદે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.