RCB vs CSK: ધોનીએ બે છગ્ગા, ત્રણ ચોગ્ગા ફટકાર્યા છતાં તેમની ટીકા કેમ થઈ રહી છે?

    • લેેખક, કે. પોથીરાજ
    • પદ, બીબીસી તમિલ માટે

ચેન્નાઈના ચેપોક સ્થિત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વિજય નોંધાવ્યો છે.

પ્રથમ બૅટિંગ કરતા, આરસીબી એ સાત વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા. સીએસકે આઠ વિકેટ ગુમાવીને માત્ર 146 રન બનાવી શક્યું અને 50 રનથી હારી ગયું.

ચેન્નાઈ ટીમની આ ઐતિહાસિક હારનું કારણ શું છે? ગઈકાલની મેચમાં છગ્ગા અને ચોગ્ગા ફટકારવા છતાં ચાહકો સોશિયલ મીડિયા પર ચેન્નાઈ ટીમના સ્ટાર ધોનીની ટીકા કેમ કરી રહ્યા છે?

ફિલ સૉલ્ટની 32 રન બનાવીને વાપસી

સીએસકેએ ખલીલ અહમદ સાથે રમતની શરૂઆત કરી અને બીજે છેડે અશ્વિનને બોલિંગ કરવા માટે ઊતર્યા હતા.

તેમની પહેલી ઓવરમાં ફિલ સૉલ્ટે 16 રન ફટકાર્યા, જેમાં એક છગ્ગો અને એક ચોગ્ગો સામેલ હતો. બીજો કોઈ વિકલ્પ ન હોવાથી, નૂર મોહમ્મદને બોલિંગ માટે ઉતારવામાં આવ્યા.

સૉલ્ટ 32 રન બનાવીને આઉટ થયા હતા. તેઓ નૂર મોહમ્મદની બોલિંગમાં ધોનીના હાથે સ્ટમ્પ આઉટ થયા હતા. ત્યાર પછી આવેલા દેવદત પડિકલે મહત્ત્વનો રોલ ભજવ્યો.

પાવરપ્લેમાં આરસીબીએ એક વિકેટ ગુમાવીને 56 રન બનાવ્યા. આરસીબીએ 10.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા.

જાડેજાની પહેલી ઓવરમાં 15 રન બનાવનારા પડિકલે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો. જ્યારે પડિકલે 27 રન બનાવ્યા, ત્યારે અશ્વિનની બોલિંગમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. આરસીબીએ બે વિકેટ ગુમાવ્યા પછી પણ વિરાટ કોહલીએ શાંતિથી બેટિંગ કરતા રહ્યા.

કોહલીનો બેટિંગમાં સંઘર્ષ

સીએસકે સામેની આ મૅચમાં કોહલી પોતાની અપેક્ષા મુજબ બૅટિંગ કરી શક્યા ન હતા અને ઇચ્છતા હતા એ શૉટ મારી શક્યા નહીં.

ઓપનર તરીકે કોહલીએ છગ્ગા અને ચોગ્ગા માટે ઘણી વાર પ્રયાસ કર્યો. બહુ સારા શૉટ નહોતા. આ કારણે, તે સ્ટ્રાઇક રોટેશન સાથે રમ્યા.

પથિરાના દ્વારા ફેંકાયેલી ઓવરમાં બોલ કોહલીના હેલ્મેટ પર વાગ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ, કોહલીએ એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો.

જોકે, સીએસકે સામે કોહલીનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણેનું નહોતું. પહેલી મૅચમાં 200 ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરનાર કોહલીએ ગઈકાલે 100 ના સ્ટ્રાઇક રેટથી ફક્ત એક છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા.

રજત પાટીદાર મેદાન પર આવ્યા પછી, ચોગ્ગા અને છગ્ગા લાગતા રહ્યા. સીએસકેના ખેલાડીઓએ ત્રણ કૅચ હાથમાંથી ગુમાવ્યા હતા. પાટીદારે આ જીવનદાનનો લાભ લીધો અને સ્પિન અને ઝડપી બૉલિંગ બંને પર પ્રભુત્વ મેળવીને 51 રન બનાવ્યા.

વિરાટ કોહલીના આઉટ થયા પછી, પાટીદાર યોગ્ય જોડીદાર મેળવવામાં કમનસીબ ઠર્યા. લિવિંગસ્ટોન (10) અને જીતેશ શર્મા (12) એ નૂર અહેમદ સામે પોતાની વિકેટ ગુમાવી દીધી. પરંતુ હિંમત ન હાર્યા વગર પાટીદારે 30 બૉલમાં અડધી સદી ફટકારી.

આરસીબીએ 15.6 ઓવરમાં 150 રન પૂરા કર્યા. ડેથ ઓવરોમાં RCB ને થોડો સંઘર્ષ કરવો પડ્યો.

પાટીદારે પોતાની વિકેટ ગુમાવી અને કૃણાલ પંડ્યાએ પણ પોતાની વિકેટ ગુમાવી. પરંતુ સૅમ કુરન દ્વારા ફેંકાયેલી છેલ્લી ઓવરમાં, ટિમ ડેવિડે છગ્ગાની હેટ્રિક ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી.

હેઝલવુડ, ભુવનેશ્વરનો ખતરો

ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડે ગઈકાલે સાબિત કર્યું કે મેદાન પર થોડો ટેકો પણ બોલિંગને બદલી શકે છે.

ભુવનેશ્વરે 6-8 મીટર લંબાઈની બોલિંગ કરીને ચેન્નાઈના બૅટ્સમૅનોને સ્તબ્ધ કરી દીધા, જ્યારે હેઝલવુડે 8-10 મીટર લંબાઈના બાઉન્સર અને સીમિંગ ફેંકીને તેમને સ્તબ્ધ કરી દીધા. ગઈકાલે, ગુણવત્તાયુક્ત ઝડપી બોલિંગ પહેલાં ચેન્નાઈના બૅટ્સમેનોની ક્ષમતાઓનું માપ નીકળ્યું.

ઈજામાંથી હમણાં જ સાજા થયેલા ભુવનેશ્વરની આઉટસ્વિંગ બોલિંગનો સામનો કરવા માટે ચેન્નાઈની ટીમના બૅટ્સમેનોને સંઘર્ષ કરવો પડ્યો.

સીએસકેના બૅટ્સમૅનોએ હેઝલવુડ પાસેથી ટેસ્ટ બૉલરની જેમ બોલિંગ કરવાની અપેક્ષા રાખી ન હોત.

હેઝલવુડે શરૂઆતમાં જ રાહુલ ત્રિપાઠી અને રુતુરાજ ગાયકવાડની વિકેટ લઈને દર્શકોને ચોંકાવી દીધા. ભુવનેશ્વરે પાવરપ્લે ઓવરમાં દીપક હુડાની વિકેટ પોતાની 73મી વિકેટ તરીકે લીધી.

પાવરપ્લેના અંત સુધીમાં, સીએસકેએ ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 30 રન બનાવ્યા હતા. સમકરણ પણ વધારે સ્કોર કરવામાં નિષ્ફળ ગયા અને લિવિંગસ્ટોનના બોલ પર 8 રન બનાવીને આઉટ થયા હતા.

રચિન રવિન્દ્ર અને શિવમ દુબે બંને યશ દયાલની બોલિંગમાં આઉટ થઈ ગયા. યશ દયાલ દ્વારા ફેંકાયેલી 13મી ઓવરમાં રવિન્દ્ર 41 રનના સ્કોર પર તો આ જ ઓવરમાં, શિવમ દુબે પણ 19 રન બનાવીને બોલ્ડ થયા. બંનેના બોલ્ડ થવાથી, ચેન્નાઈની હાર લગભગ નિશ્ચિત હતી.

જીતવા માટે ઘણા રનની જરૂર હતી. પીચ આરસીબીના બોલરોની તરફેણમાં હતી. સીએસકેના બૅટ્સમૅનોને સમજાયું કે આ સ્થિતિમાં રન બનાવવા કોઈ સરળ ખેલ નથી.

અશ્વિન લિવિંગસ્ટોનની બોલિંગમાં 11 રન બનાવીને અને જાડેજા હેઝલવુડની બોલિંગમાં 25 રન બનાવીને આઉટ થયો હતો.

ચાહકોને ખુશ કરવા માટે 9મા નંબરે બૅટિંગ કરવા આવેલા ધોનીએ બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 30 રન બનાવી અણનમ રહ્યા. ધોનીની બૅટિંગ એ ચાહકો માટે આશ્વાસન હતું જે સીએસકેની હાર જોવા માંગતા ન હતા. ધોનીએ પણ આક્રમક રમત રમી અને ઘરઆંગણે શરમજનક હારને ટાળવા માટે રન બનાવ્યા.

કોહલીનો જશ્ન

કોહલીએ શરૂઆતથી જ આરસીબી દ્વારા લેવામાં આવેલી દરેક વિકેટનો મનભરીને આનંદ માણ્યો અને ઉજવણી કરી.

બૉલર ભુવનેશ્વરને પણ ખબર નહોતી કે બૉલ દીપક હુડ્ડાના બૅટને સ્પર્શી ગયો છે. પણ કોહલી આંગળી ઊંચી કરીને "આઉટ"ની બૂમ પાડી.

એટલું જ નહીં, તેમણે પાટીદારને ઇશારા કરીને ટીઆરએસ લેવા માટે પણ વિનંતી કરી. ત્રીજા અમ્પાયરે બૉલ બૅટને સ્પર્શી ગયો હોવાનો ફેંસલો આપ્યો. આમ હુડ્ડાની વિકેટ લેવામાં કોહલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ચેન્નાઈ સુપરકિંગ્સની હારનું કારણ

ચેન્નાઈની ટીમની હારનું કારણ ખરાબ ફિલ્ડિંગ અને જૂના ખેલાડીઓ પર તેમની નિર્ભરતા હતી.

જ્યારે જાડેજા, અશ્વિન, ધોની, સૅમ કરણ અને શિવમ દુબે જેવા ખેલાડીઓ, જેઓ છેલ્લા ઘણા સિઝનથી રમી રહ્યા છે, ત્યારે વિરોધી ટીમ સરળતાથી તેમની સામે બોલિંગ કેવી રીતે કરવી તે અંગે સારી પેઠે વાકેફ હોવાની.

ચેન્નાઈની ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ હોવા છતાં, એક પણ ખેલાડીને ટ્રાયલ ધોરણે તક મળી નથી. જ્યારે અન્ય ટીમો દરેક રમતમાં એક નવા ખેલાડીને ઉતારે છે. આ પ્રયોગ સફળતાની શક્યતા પણ ઊભી કરે છે.

ગઈકાલે ચેન્નાઈની બોલિંગ ખૂબ જ ખરાબ હતી. ખાસ કરીને અશ્વિન અને જાડેજાની બોલિંગ તો સામાન્ય સ્તરની પણ ન હતી. ફક્ત નૂર અહમદ આમાંથી બાકાત હતા. ઝડપી બોલિંગમાં, પથિરાના અને ખલીલ અહમદ પાસે ગતિ છે પરંતુ ચોક્કસ લંબાઈ, બાઉન્સ અને સ્વિંગનો અભાવ છે.

હેઝલવુડ અને ભુવનેશ્વરે પોતાની બોલિંગમાં ભાલાની જેમ જે ચોકસાઈ અને લંબાઈ આપી હતી તે ચેન્નાઈના બોલરોને ઉપલબ્ધ નહોતી.

196 રન પછીના મોટા સ્કોરે ખેલાડીઓ માટે માનસિક તણાવ અને રન ઉમેરવાનું દબાણ બનાવ્યું. વિકેટ પડતાની સાથે જ દબાણને કારણે મોટો શૉટ લેવાનો પ્રયાસ કરતા તેમણે પોતાની વિકેટ ગુમાવી દીધી.

ચાહકો ધોનીની ટીકા કેમ કરે છે?

ધોનીએ 16 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હોવા છતાં, નવમા ક્રમે બૅટિંગમાં ઊતરવા બદલ ટીકા થઈ રહી છે.

યશ દયાલે 13મી ઓવરમાં રચિન રવિન્દ્ર અને શિવમ દુબે બંનેની વિકેટ લીધી.

ચાહકો એવી અપેક્ષા રાખતા હતા કે ધોની એવા સમયે બહાર આવશે જ્યારે ચેન્નાઈને જીતવા માટે પ્રતિ ઓવર સરેરાશ 16 રનની જરૂર હતી.

પરંતુ તેના બદલે, ચેન્નાઈએ રવિચંદ્રન અશ્વિનને મેદાનમાં ઉતાર્યો. મૅચની 16મી ઓવરમાં ધોની મેદાનમાં આવ્યા. તે સમયે, રમત લગભગ ચેન્નાઈના હાથમાંથી બહાર નીકળી ગઈ હતી.

એક એવા સમયે જ્યારે જીતવાની કોઈ શક્યતા દેખાતી ન હતી, ત્યારે ધોનીએ મૅચની છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને પોતાના ચાહકોને ખુશ કરી દીધા.

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 17 વર્ષ પછી ચેન્નાઈ હાર્યું છે. ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા પર ધોનીની ટીકા કરી છે.

ધોનીમાં રન રેટ જાળવી રાખવાની ક્ષમતા છે, તે ટીમને જ્યારે તેની જરૂર હતી ત્યારે તે મહત્ત્વપૂર્ણ સમયે કેમ બહાર ન આવ્યો? એ સૌનો પ્રશ્ન છે.

સીએસકેના ભૂતપૂર્વ કૅપ્ટન, એક અનુભવી ખેલાડી જેણે પાંચ ટ્રૉફી જીતી છે, તેમણે આવા મહત્ત્વપૂર્ણ સમયે મધ્યમ ક્રમમાં આવીને બાજી પોતાના હાથમાં કરી લેવી જોઈતી હતી. જોકે, ઘણા ચાહકો સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ પોસ્ટ કરી રહ્યા છે કે તેઓ ટેઇલંડર્સની જેમ નવમા સ્થાને રહેવાનું સ્વીકારી શકતા નથી.

મૅન ઑફ ધ મૅચ પાટીદાર

આરસીબીએ ત્રીજી વખત જીત સાથે આઈપીએલ શ્રેણીની શરૂઆત કરી છે. આરસીબીએ આઈપીએલ સીઝનની શરૂઆત 2014 સીઝનમાં સતત બે જીત અને 2021 આઈપીએલ સીઝનમાં સતત ચાર જીત સાથે કરી હતી.

આરસીબીની સફળતા માટે મુખ્યત્વે કારણ ઝડપી બૉલરો, કૅપ્ટન પાટીદાર અને સાથી ખેલાડીઓ ફિલ સૉલ્ટ, કોહલી, પડિકલ અને ટિમ ડેવિડના સામૂહિક પ્રયાસને જવાબદાર ગણાવી શકાય.

જેના કારણે ટીમને મધ્ય ઓવરોમાં દસ રનથી વિજય મળ્યો એ કૅપ્ટન રજત પાટીદારને 32 બૉલમાં 51 રન બનાવવા બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો.

ચાહકોને ઉત્સુકતા હતી કે આરસીબી સીએસકેની 12 ઓવરની સ્પિન બોલિંગનો સામનો કેવી રીતે કરશે. પરંતુ હેઝલવુડ અને ભુવનેશ્વરની ગુણવત્તાયુક્ત સ્વિંગ, સીમિંગ અને બાઉન્સ બોલિંગનો સામનો કરવામાં સીએસકેને ભીંસ પડી અને હાર મળી. ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ બંનેએ સાત ઓવર લીધી અને 41 રન આપીને 4 વિકેટ ઝડપી.

એવું કહેવામાં આવે થે કે ચેન્નાઈની ટીમની તાકાત તેની સ્પિન બોલિંગ હતી. પરંતુ ગઈકાલે, અશ્વિન અને જાડેજાની બોલિંગનો ફિલ સૉલ્ટ, પડિકલ અને કોહલીએ ફિઆસ્કો કરી નાખ્યો. પરિણામે, અશ્વિન અને જાડેજાને ફક્ત પાંચ ઓવર આપવામાં આવી.

બંનેએ પાંચ ઓવર ફેંકી અને 59 રન આપ્યા. સ્પિનરોએ નવ ઓવરમાં 95 રન આપીને ચાર વિકેટ લીધી.

રમત બદલી નાખનાર 6 ઓવર

આરસીબીના કૅપ્ટન રજત પાટીદારે કહ્યું, "આ પિચ પર આ એક સારો સ્કોર છે. બૅટિંગ કરવી સરળ નહોતી. ચેપોકમાં સીએસકેને હરાવવું ખૂબ જ સારું રહ્યું."

ચાહકોએ ચેન્નાઈને ટેકો આપ્યો હોવા છતાં, અમે ચેન્નાઈને હરાવ્યું. મારી બૅટિંગ મહત્ત્વપૂર્ણ છે. અમે 200 રન સુધીની અપેક્ષા રાખી રહ્યા હતા. મેં મોટો સ્કોર બનાવવાની યોજના બનાવી હતી. અમારા બૉલરોએ પણ સારી બોલિંગ કરી કારણ કે પિચ અમારી સ્પિન બોલિંગ સાથે માફક આવે એવી હતી.

ખાસ કરીને લિવિંગસ્ટોને સારી બોલિંગ કરી. હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં રમત બદલી નાખી.

તેમણે કહ્યું, "તેઓએ કઠિન પિચ પર બોલિંગ કરી અને બૅટ્સમૅનોને નર્વસ કરી દીધા."

ત્રીજી વખત નિષ્ફળતા

50 રનથી હાર એ ચેન્નાઈ માટે સૌથી મોટી હાર છે.

ચેન્નાઈ આ પહેલાં ફક્ત બે વાર 50 થી વધુ રનથી હારી ગયું છે.

ચેન્નાઈની ટીમ 2013 માં મુંબઈ સામે 60 રનથી અને 2022 માં પંજાબ સામે 54 રનથી હારી ગઈ હતી. ત્યારબાદ, ચેન્નાઈની ટીમ હવે 50 રનથી હારી ગઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.