You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૈજ્ઞાનિકોએ શોધી એ 'ત્રીજી શક્તિ' જે પૃથ્વીની આપણી સમજમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે
વૈજ્ઞાનિકોએ એક ઍમ્બિપોલાર ફિલ્ડની શોધ કરી છે જે પૃથ્વીની ચારેતરફ ફેલાયેલું છે. નાસાના ઍન્ડ્યોરન્સ રૉકેટ નામના મિશને તેની શોધ કરી છે.
વૈજ્ઞાનિકો તેને 'અરાજકતાના એજન્ટ' તરીકે ઓળખાવે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઍમ્બિપોલાર ફિલ્ડની શોધને કારણે પૃથ્વી વિશેની આપણી સમજણમાં ક્રાંતિકારી ફેરફાર થઈ શકે છે.
તેમણે કહ્યું કે પૃથ્વી કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે ઍમ્બિપોલર એક મહત્ત્વપૂર્ણ વિષય છે.
વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત ઍમ્બિપોલાર ફિલ્ડને માપવામાં સફળતા મેળવી છે.
અત્યાર સુધી આપણા ગ્રહ દ્વારા ઉત્પન્ન થયેલા બે એનર્જી ફિલ્ડ વિશે જાણકારી હતી. પ્રથમ છે ગુરુત્વાકર્ષણ બળ જે વાયુમંડળને પૃથ્વી સાથે જકડી રાખે છે. જો યોગ્ય પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો વાયુમંડળ પૃથ્વીને છોડી દેશે.
બીજું છે ચુંબકીય ક્ષેત્ર જે પૃથ્વી માટે ઢાલનું કામ કરે છે. આ ક્ષેત્ર સૂર્ય દ્વારા પ્રકાશિત ચાર્જ કણોના પ્રવાહથી પૃથ્વીને બચાવે છે.
વર્ષોની શોધ બાદ હવે ત્રીજા ફિલ્ડ વિશે માહિતી મળી છે જેને ઍમ્બિપોલાર ફિલ્ડ કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍમ્બિપોલાર ફિલ્ડનું કામ ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવાનું અને કણોને અવકાશમાં ધકેલવાનું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઍમ્બિપોલાર ફિલ્ડ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય ક્ષેત્ર જેટલું જ મહત્ત્વપૂર્ણ છે.
એક જૂની ધારણા
ઍમ્બિપોલાર ફિલ્ડના અસ્તિત્વની ધારણા સૌપ્રથમ વખત 60 વર્ષ પહેલાં કરાઈ હતી.
એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્ડ આપણા ગ્રહના વાયુમંડળના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની ઉપર અંતરિક્ષમાં પ્રવેશનું કારણ છે.
ગ્લિન કોલિન્સન અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના ઍન્ડ્યોરેન્સ રૉકેટ મિશનના પ્રમુખ શોધકર્તા છે.
તેમણે કહ્યું, "એક અંતરિક્ષ યાન જ્યારે પૃથ્વીના ધ્રુવોની ઉપરથી ઉડાણ ભરે છે ત્યારે તમે કણોના એક સુપરસૉનિક પ્રવાહનો અનુભવ કરો છે જેને પોલાર વિન્ડ કહેવામાં આવે છે."
"કહેવામાં આવતું કે ત્યાં કોઈ અદૃશ્ય શક્તિ છુપાયેલી છે જે આ પ્રસ્થાન માટે જવાબદાર છે. જોકે, અમે તેને પહેલાં ક્યારેય માપી ન શક્યા કારણ કે તેને માપવા માટે જરૂરી ટેકનૉલૉજી અમારી પાસે ન હતી."
આ અદૃશ્ય શક્તિ શું છે તેનું વિશ્લેષણ કરવા માટે શોધકર્તાની એક ટીમ ઍન્ડ્યોરન્સ રૉકેટ બનાવ્યું હતું.
આ રૉકેટને મે 2022માં નૉર્વેની ઉત્તરે આવેલા એક નાનકડા ટાપુ સ્વાલબાર્ડ પરથી લૉન્ચ કર્યું હતું.
બ્રિટેનના લેસ્ટર યૂનિવર્સિટીના અવકાશ ભૌતિકશાસ્ત્રી અને અધ્યયનના સહલેખક સૂઝી ઇમબરે કહ્યું, "સ્વાલબાર્ડ વિશ્વની એકમાત્ર રૉકેટ સાઇટ છે જ્યાંથી રૉકેડ પોલાર વિન્ડ થકી ઊડી શકે છે અને અમે જરૂરી માપ કરી શકીએ છીએ."
ઍન્ડયોરન્સ 768 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યું અને 19 મિનિટ પછી ગ્રીનલૅન્ડ સાગર પર દુર્ઘટનાગ્રસ્ત થયું.
15 મિનિટની સબઑર્બિટલ ફ્લાઇટ દરમિયાન ઍન્ડ્યોરન્સની વિદ્યુત ક્ષમતામાં માત્ર 0.55 વોલ્ટનું પરિવર્તન થયું હતું.
કોલિન્સને કહ્યું, "અડધો વોલ્ટ કંઈ નથી, બરોબર? આ નાનકડી ઘડિયાળની બેટરી જેટલો છે. જોકે, આ અડધો વોલ્ટ જ પોલાર વિન્ડ એસ્કેપને સમજવા માટે જરૂરી છે."
ગુરુત્વાકર્ષણનો પ્રતિકાર
પોલાર વિન્ડમાં સૌથી વધારે હાઇડ્રોજન આયન કણ હોય છે. આ ઍમ્બિપોલાર ફિલ્ડમાં ગુરુત્વાકર્ષણની તુલનામાં 10.6 ગણાથી વધારે મજબૂત બહાર તરફી બળનો અનુભવ કરે છે.
શોધકર્તાઓનું કહેવું છે કે આ બળ ગુરુત્વાકર્ષણ બળનો પ્રતિકાર કરવા માટે જરૂરી બળથી ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે આ કણો સુપરસૉનિક ગતિથી અંતરિક્ષમાં મોકલવા માટે પૂરતા છે.
મૂળભૂત રીતે ઍમ્બિપોલાર ફિલ્ડની ઉપર વાયુમંડળનું એક પળ આયનમંડળને આકાર આપે છે.
કોલિન્સને જણાવ્યું, "આ એક કન્વેયર બેલ્ટની જેમ છે જે વાતાવરણને અંતરિક્ષની તરફ ધક્કો મારે છે."
આ એક ઍમ્બિપોલાર ફિલ્ડ છે કારણ કે તે બંને દિશામાં કામ કરે છે. આયન ઇલેક્ટ્રૉનને નીચેની તરફ ખેંચે છે કારણ કે તેઓ ગુરુત્વાકર્ષણ બળની હેઠળ છે. જોકે, અંતરિક્ષમાં જવાનો પ્રયત્ન કરતા ઇલેકટ્રૉન આયનોને ઉપરની તરફ ધક્કો મારે છે.
ઍમ્બિપોલાર ફિલ્ડ ચાર્જડ કણોને ઉપર વાયુમંડળમાં તેમની ક્ષમતા કરતા વધારે ઊંચાઈ પર પહોંચાડે છે. કદાચ આ જ કારણે અપણા ગ્રહના વિકાસને એ રીતે આકાર આપ્યો છે જે વિશે હજુ શોધખોળ થઈ નથી.
શોધકર્તાઓએ કહ્યું કે ઍન્ડયોરન્સ મિશનની નવી શોધને કારણે ઘણા નવા સવાલો ઊભા થયા છે જેનો જવાબ કદાચ હવે મળી શકે છે.
ઉદાહરણ તરીકે ઍમ્બિપોલાર ફિલ્ડનું ચોક્કસ કામ શું છે અને તેને આપણા ગ્રહને કેવી રીતે આકાર આપ્યો.
કોલિન્સને કહ્યું, “ઍમ્બિપોલાર ફિલ્ડે શક્ય છે કે વાયુમંડળના વિકાસ પર અસર કરી હોય અને કદાચ મહાસાગરો ઉપર પણ પોતાની છાપ છોડી છે.”
જોકે, કેટલાક પ્રશ્નોના જવાબ હજુ પણ મળ્યા નથી. તથ્ય એ છે કે પૃથ્વીના આ ત્રીજા ઊર્જા ક્ષેત્રને પ્રથમ વખત માપવામાં આવ્યું છે જે નવી શોધખોળ માટે ઘણા રસ્તાઓ ખોલશે.
કોલિન્સને કહ્યું, "વાતાવરણ ધરાવતા કોઈ પણ ગ્રહ પર એક દ્વિધ્રુવીય ક્ષેત્ર હોવું જોઈએ."
તેમણે ઉમેર્યું, "અમે અંતે ઍમ્બિપોલાર ફિલ્ડને માપી લીધું છે. અમે હવે એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ ફિલ્ડે સમયની સાથે આપણા ગ્રહ અને બીજાં કાર્યોને કેવી રીતે આકાર આપ્યો."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)