પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી માટે વર્ષ 2025 કેવું રહ્યું અને હવે પછી 2026 કેવું રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં કુંભમેળા દરમિયાન નાસભાગની ઘટના ઘટી. જેમાં મૃતકોની સંખ્યા અંગે લાંબા સમય સુધી વિવાદ રહ્યો. બીબીસીની વિશેષ તપાસમાં મૃતકોની સંખ્યા સરકારી આંકડા કરતાં વધુ હોવાનું જણાયું.
એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્યસંઘર્ષ થયો, જેના કારણે આ વિસ્તારમાં ચિંતા ફેલાઈ. બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉપર ટેરિફ લાદ્યાં, જેની અસર માત્ર આંતરરાષ્ટ્રીય સંબંધ ઉપર ન થઈ, પરંતુ ઘર આંગણે રાજકારણમાં પણ તેનો પડઘો સંભળાયો.
બિહાર ચૂંટણી પૂર્વે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) મુદ્દે રાજકારણ થયું. કૉંગ્રેસે 'વોટ ચોરી'ના આરોપ મૂકીને અભિયાન હાથ ધર્યું, એ પછી ચૂંટણી પંચે વધુ કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરી.
આવતા વર્ષે પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરી જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેનાં પરિણામની અસર રાજકીય રાજકારણ ઉપર પડશે.
વર્ષ 2025ની મુખ્ય રાજકીય ઘટનાઓ આવતા વર્ષે કેવી અસર દેખાડે છે, તે જોવું રસપ્રદ બની રહેશે. કારણ કે, વર્ષ 2024નાં ચૂંટણીપરિણામ બાદ એનડીએ પુનરાગમન કર્યું છે. 'ઇન્ડિયા ગઠબંધન'નું ભવિષ્ય શું છે? કૉંગ્રેસની રણનીતિ અને પાર્ટીના નેતૃત્વને લઈને કેવા સંકેત મળે છે?
આ સિવાય શું ભારતના 'ઑપરેશન સિંદૂર' કે અમેરિકાના ટેરિફની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા ઉપર કોઈ અસર થઈ, તથા અલગ-અલગ નિમણૂકો દ્વારા ભાજપ આગામી પેઢીને નેતૃત્વ અંગે શું સંદેશ આપવા માંગે છે.
બીબીસી હિંદીના સાપ્તાહિક કાર્યક્રમ 'ધ લૅન્સ'માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝમ મુકેશ શર્માએ આ બધા મુદ્દે ચર્ચા કરી.
આ ચર્ચામાં 'ધ ટ્રિબ્યૂન' અખબારના ઍસોસિયેટ ઍડિટર તથા દિલ્હીના બ્યૂરો ચીફ અદિતિ ટંડન તથા સેન્ટર ફૉર ધ સ્ટડીઝ ઑફ ડેવલપિંગ સોસાઇટીઝના ડાયરેક્ટર સંજયકુમાર સામેલ થયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ઇન્ડિયા ગઠબંધન'નું ભવિષ્ય

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડિયા ગઠબંધનના ભાવિ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા છે. અદિતિ ટંડનનું કહેવું છે કે ઇન્ડિયા બ્લૉકનું ભાવિ કેવું હશે, તેના વિશેના સમાચાર આવતા વર્ષે રાજકારણક્ષેત્રે છવાયેલી રહેશે.
અદિતિ ટંડન કહે છે કે આસામમાં ભાજપ અને પુડ્ડુચેરીમાં એનડીએની સરકાર છે. તેમને બાકાત કરી દઈએ તો મોટાભાગનાં રાજ્યોમાં 'ઇન્ડિયા ગઠબંધન' સાથે જોડાયેલા પક્ષોની સરકારો છે. આ સરકારો તેમના રાજકીય જનાધારને કેટલો ટકાવી શકે છે અને કેટલો વિસ્તારી શકે છે, એ સવાલ મોટો છે. એના પરથી જ 'ઇન્ડિયા બ્લૉક'નું ભાવિ કેવું રહેશે, તે નક્કી થશે.
અદિતિ ટંડન કહે છે કે કૉંગ્રેસની વર્તમાન સ્થિતિ પણ સમગ્ર સમીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અદિતિ ટંડન કહે છે, "પ્રવર્તમાન પરિસ્થિતિ કૉંગ્રેસ માટે ખાસ ઉત્સાહજનક નથી જણાતી. આંતરિક પડકારો તથા આંતર્વિરોધને કારણે પાર્ટી સતત સંકોચાતી નજરે પડે છે. લોકશાહી માટે સશક્ત વિપક્ષ જરૂરી છે, પરંતુ તે કેવી રીતે બને, એ જોવાની ફરજ પણ વિપક્ષની જ છે."
"એનો આધાર જનતા કે ભાજપ ઉપર નથી. પાર્ટી તથા ઇન્ડિયા ગઠબંધનના ભાવિ વિશે કૉંગ્રેસના નેતૃત્વે જ નિર્ણય કરવાનો છે. ભારતની લોકશાહી કઈ દિશામાં આગળ વધશે, એ તેના પરથી જ નક્કી થશે."
બીજી બાજુ, રાજકીય વિશ્લેષક સંજયકુમારનું કહેવું છે કે તાજેતરમાં આવેલાં ચૂંટણીપરિણામ 'ઇન્ડિયા ગઠબંધન' માટે ઉત્સાહજનક નથી જણાતા.
સંજયકુમાર કહે છે, "ચૂંટણીપરિણામના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ચૂંટણીપરિણામોની દૃષ્ટિએ 2025નું વર્ષ ઇન્ડિયા ગઠબંધન માટે બિલકુલ અનુકૂળ ન હતું. યુતિએ એક પછી એક ચૂંટણીઓમાં પરાજયનો સામનો કરવો પડ્યો."
સંજયકુમાર કહે છે કે કેટલાંક રાજ્ય 'ઇન્ડિયા ગઠબંધન'ને અપેક્ષાઓ હતી.
સંજયકુમાર કહે છે, "એવું માનવામાં આવતું હતું કે હરિયાણામાં કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સારું પ્રદર્શન કરશે, પરંતુ ત્યાં અપેક્ષાકૃત પરિણામ નહોતાં આવ્યાં."
ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધ

ઇમેજ સ્રોત, ANI
ભાજપ અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ) વચ્ચેના સંબંધ અંગે ચર્ચાઓ થતી રહે છે, જોકે, અદિતિ ટંડનનું કહેવું છે કે પરિસ્થિતિ સામાન્ય છે.
સરસંઘચાલક મોહન ભાગવતે નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં કહ્યું કે પરિવારની વચ્ચે મતભેદ હોય શકે છે, પરંતુ મનભેદ નહીં. આ નિવેદન દ્વારા તેમણે ભાજપ અને સંઘ વચ્ચે મતભેદ હોવાની ચર્ચા ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો.
અદિતિ ટંડન કહે છે, "જોકે, એ જ સંમેલનમાં મોહન ભાગવતે ભાજપને એ પણ યાદ અપાવ્યું કે પાર્ટીએ તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરી દેવી જોઈએ અને તેનો સમય થઈ ગયો છે."
અદિતિ ટંડન કહે છે, "તેમણે પોતાની રીતે ઝડપ કરવા માટેનો સંદેશ પણ આપ્યો. કારણ કે ખાસ્સો સમય નીકળી ગયો હતો અને જો પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ન હોય, તો સંગઠનાત્મક શિસ્ત ઉપર પણ તેની અસર પડે છે, એવું લાગવા માંડ્યું હતું."
અદિતિ ટંડન કહે છે કે સંઘ ભલે સાર્વજનિક રીતે એમ કહે કે તે આવી બાબતોમાં સીધી દખલ નથી દેતું, પરંતુ આરએસએસની કાર્યશૈલી સમજવી સરળ નથી. તે ખૂબ જ જટિલ સંગઠન છે.

ઇમેજ સ્રોત, ANI
અદિતિ ટંડનની સમજ પ્રમાણે, સંઘ દ્વારા ભાજપને નામ સૂચવવામાં નથી આવતું,પરંતુ વ્યાપક માળખું સૂચવવામાં આવે છે. મતલબ કે કેવી પાત્રતાવાળી વ્યક્તિ આ પદ માટે યોગ્ય રહેશે, જેથી કરીને તેમની સાથે કામ કરવામાં સંઘને પણ સહજતા રહે, તેવું સૂચવે છે.
અદિતિ ટંડન કહે છે કે નીતિન નબીનની નિયુક્તિ સાથે આ તસવીર સ્પષ્ટ થઈ ગઈ. સંઘ દ્વારા ભાજપને ચાર મહત્ત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી હતી, જેનો ઉલ્લેખ અદિતિ ટંડને તેમની કોલમમાં પણ કર્યો હતો.
જમ કે, દાવેદાર 50 વર્ષથી ઓછી ઉંમરનો હોય, દિલ્હી સર્કલનો પરંપરાગત નેતા ન હોય, સંસદીય લોકશાહી તથા સંગઠન એમ બંનેનો પૂરતો અનુભવ હોય તથા નિમણૂક સમયે જાતિગત સંતુલનથી ઉપર ઊઠીને એટલે કે કાસ્ટ ન્યૂટ્રાલિટીને ધ્યાને લેવામાં આવે.
અદિતિ ટંડન કહે છે, "રાજ્યો કે અન્ય સંગઠનાત્મક પદો ઉપર પ્રાદેશિક અને જાતિગત સંતુલન સાધવાની મજબૂરી હોય શકે છે, પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાતિનિરપેક્ષ વ્યક્તિને લાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો. આ સંદર્ભમાં પણ નીતિન નબીનનું નામ સામે આવે છે."
"તેઓ કાયસ્થ સમાજના છે, જેમની વસ્તી બિહારમાં એક ટકા કરતાં પણ ઓછી છે. એટલે તેઓ કાસ્ટ ન્યૂટ્રાલિટી સહિતના સંઘ દ્વારા નિર્ધારિત તમામ પરિમાણો ઉપર પાર ઉતરે છે."
સંજયકુમારનું ભાજપની વ્યૂહરચના અંગે કહેવું છે કે પાર્ટીએ તાજેતરનાં વર્ષો દરમિયાન નેતૃત્વ અંગે સ્પષ્ટ સંકેત આપ્યા છે.
સંજયકુમાર કહે છે, "તમે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા અને દિલ્હીને જોશો, તો આ રાજ્યોના મુખ્ય મંત્રી તરીકે મોટાભાગે યુવા ચહેરા નજરે પડે છે. આ બધા પોત-પોતાનાં રાજ્યોમાં પાર્ટીના આગળ આવી રહેલા યુવા નેતા છે."
"પાર્ટી દેખાડવા માંગે છે કે યુવાનોને આગળ લાવવાની જરૂર છે. તેનો અર્થ માત્ર ચૂંટણી લડાવવાનો જ નથી, પરંતુ તેમને મોટી જવાબદારીઓ આપવાનો પણ છે. મુખ્ય મંત્રી બનાવવા સિવાય કોઈપણ રાજ્યમાં બીજી મોટી જવાબદારી કઈ હોય?"
આગામી વર્ષની ચૂંટણીઓ

ઇમેજ સ્રોત, Getty Images
સંજયકુમાર કહે છેકે વર્ષ 2026માં જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યાં 'ઇન્ડિયા ગઠબંધન'નાં ઘટકદળોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે.
સંજયકુમાર કહે છે, "જો આ રાજ્યો ઉપર નજર કરીએ તો આસામમાં ભાજપની સરકાર છે. પશ્ચિમ બંગાળમાં ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે ભારે જોર લગાવ્યું હતું અને તૃણમુલ કૉંગ્રેસને ખાસ્સી ટક્કર આપી હતી. આ બે રાજ્યોમાં ભાજપની દાવેદારી ખાસ્સી મજબૂત રહેશે."
સંજયકુમારનું કહેવું છે કે દક્ષિણ ભારતમાં પરિસ્થિતિ થોડી અલગ છે. તેમનું કહેવું છે, "સંગઠનના સ્તરે તામિલનાડુમાં ભાજપનો કોઈ વિસ્તાર નથી થયો. અહીં ચૂંટણી મુખ્યત્વે પ્રાદેશિકદળો વચ્ચે લડાતી હોય છે. ત્યારે ભાજપ કેવાં ગઠબંધન સાધી શકે છે, જેથી કરીને પાર્ટી સાથે મળીને ચૂંટણી જીતી શકે અથવા કમ સે કેમ ટક્કર આપી શકે છે, તે જોવું રહ્યું."
સંજયકુમારનું કહેવું છે કે કેરળનું રાજકીય પરિદૃશ્ય પરંપરાગત રીતે અલગ છે.
સંજયકુમાર કહે છે, "ત્યાં સામાન્ય રીતે એલડીએફ (લૅફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટ) અને યુડીએફ (યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ) વચ્ચે સત્તાપરિવર્તન થતું રહે છે. જોકે, તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ, તેણે નવા અણસાર આપ્યા છે. તિરુવનંતપુરમમાં ભાજપના મેયરની ચૂંટણી થઈ છે. એવામાં કેરળની ચૂંટણી ઉપર નજર રહેશે, ભાજપ ખાસ્સી મહેનત કરી રહ્યો છે."

ઇમેજ સ્રોત, Getty Images
અદિતિ ટંડન કહે છે કે વર્ષ 2024નાં લોકસભા ચૂંટણીપરિણામમાંથી મળેલો પદાર્થપાઠ ભાજપે તરત જ શીખી લીધો છે.
અદિતિ ટંડન કહે છે, "એ સમયે આરએસએસ અને ભાજપના સંબંધો અંગે ખાસ્સી વાતો વહેતી થઈ હતી, જેમાંથી કેટલીક વાતો ખરી પણ હતી, પરંતુ એ પછી આરએસએસ અને ભાજપ સાથે થયા. જેની અસર દિલ્હી અને બિહાર પહેલાં મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણીમાં જોવા મળી."
અદિતિ ટંડન કહે છે કે ભાજપને પશ્ચિમ બંગાળ અંગે અત્યારે સૌથી સારી તક દેખાય રહી છે. "ભાજપને લાગે છે કે હાલ તેના માટે સૌથી સારી તક છે."
અદિતિ ટંડનનું કહેવું છે કે જો રાષ્ટ્રીયસ્તરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ નેતા સીધી ટક્કર આપી શકે તેમ હોય, તો તેના માટે અનેક રાજકીય વિશ્લેષક મમતા બૅનર્જીનું જ નામ લે છે.
અદિતિ ટંડન કહે છે, "ભાજપ અને તૃણમુલ કૉંગ્રેસ એમ બંને જાણે છે કે તેમની વચ્ચે સઘન ટક્કર થશે. ભાજપ પાસે ગુમાવવા માટે ખાસ કંઈ નથી, જ્યારે તૃણમુલ કૉંગ્રેસનો દાવ મોટો છે."
નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને અસર

ઇમેજ સ્રોત, AFP via Getty Images
અદિતિ ટંડનનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષની કોઈ નકારાત્મક અસર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા ઉપર નથી પડી.
અદિતિ ટંડન કહે છે, "મને નથી લાગતું કે વડા પ્રધાનની પ્રતિષ્ઠા ઉપર તેની જરા પણ અસર થઈ છે. જો એવું હોત તો 'ઑપરેશન સિંદૂર' પછી યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન તેની અસર સ્પષ્ટપણે જોવા મળી હોત. જોકે, ભાજપ અને એનડીએને કેવો વિજય મળ્યો, તે આપણે આ ચૂંટણીઓ દરમિયાન જોયું."
અદિતિ ટંડન કહે છે, એ સમયે કૂટનીતિના જાણકારો સાથેની વાતચીત દરમિયાન પણ એક વાત સ્પષ્ટપણે થઈ રહી હતી કે, "ડિપ્લોમેટિક ઍક્સપર્ટ્સનું માનવું હતું કે સંયમ રાખવાનો સમય છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્તરે જઈને સીધા જ સામેલ થવાની જરૂર નથી. આ વાત બે સ્વતંત્ર દેશ વચ્ચે છે, જેઓ પોત-પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે."
અદિતિ કહે છે કે લોકશાહીમાં કોઈપણ નેતાની પ્રતિષ્ઠાને માપવાનું ઉત્તમ પરિમાણ ચૂંટણી હોય છે.
અદિતિ ટંડનનું કહેવું છે કે કૂટનીતિક મોરચે પણ ભારતે સ્વતંત્ર તથા સંતુલિત વિદેશનીતિના સંકેત આપ્યા છે.
અદિતિ ટંડન કહે છે, "અમેરિકાના દબાણ છતાં ટેરિફ મુદ્દે વડા પ્રધાને અત્યાર સુધી પોતાની જે સ્થિતિ જાળવી રાખી છે, એના કારણે પહેલીવાર સ્પષ્ટપણે એવું લાગ્યું કે ભારત સશક્ત અને સ્વતંત્ર વિદેશનીતિને આગળ ધપાવતા અમેરિકા સાથેના સંબંધોને પણ સંતુલિત રાખવામાં સફળ રહ્યું છે."
કૉંગ્રેસના નેતૃત્વ અંગે સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના નેતૃત્વ અંગે સવાલ ઊઠી રહ્યા છે, ત્યારે અદિતિ ટંડનનું કહેવું છે કે કૉંગ્રેસનાં નેતૃત્વની સંરચનામાં ગૂંચ છે, જે કૉગ્રેસ સામેનો સૌથી મોટો પડકાર છે.
અદિતિ ટંડન કહે છે, "કૉંગ્રેસ સામેનો સૌથી મોટો પડકાર તેની કન્ફ્યુઝ્ડ લીડરશિપ છે. રાહુલ ગાંધીએ બિહાર ચૂંટણી દરમિયાન એસઆઈઆરને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો નિર્ણય કર્યો હતો."
અદિતિ ટંડન કહે છે કે સંસદસત્ર દરમિયાન પણ રાહુલ ગાંધીની ભૂમિકા વિશે સતત સવાલ ઊઠ્યા હતા.
અદિતિ ટંડન કહે છે, "શિયાળુ સત્રના શરૂઆતના દિવસો દરમિયાન રાહુલ ગાંધી ગૃહમાં આવ્યા અને પ્રદૂષણનો મુદ્દો ઊઠાવ્યો, પરંતુ એ પછી તેઓ નજરે ન પડ્યા અને જર્મની જતા રહ્યા. લોકોમાં રાહુલ ગાંધીની અપીલ છે, પરંતુ તેમની રાજનીતિ અસ્થિર જણાય આવે છે."
અદિતિ ટંડનનું માનવું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાનો સાર્વજનિક સંવાદ રાહુલ ગાંધી કરતાં અલગ જણાય આવે છે.
અદિતિ ટંડન કહે છે, "જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા બોલે, ત્યારે તેમની વાતો વધુ તાર્કિક અને વિશ્વસનીય જણાય આવે છે. તેઓ શાંત લાગે છે અને પોતાની વાતને રજૂ કરવાની તેમની રીત અલગ છે. આથી વિપરીત રાહુલ ગાંધીમાં ગુસ્સો દેખાય આવે છે અને વડા પ્રધાનની ઉપર વ્યક્તિગત રીતે વાર કરે છે."
અદિતિ ટંડનના મતે, ભાષણોને કારણે પ્રિયંકા ગાંધીની ખૂબ જ પ્રશંસા પણ થઈ છે. લોકશાહીમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સંવાદ ન હોય, તે ઇચ્છનીય સ્થિતિ નથી.
અદિતિ ટંડન કહે છે, "હાલ રાહુલ ગાંધી અને સરકારની વચ્ચે જેટલો સંવાદ થવો જોઈએ, એટલો નથી. સરકારે સંવાદ માટેના માર્ગો શોધે અને કૉંગ્રેસ પણ સેતુનિર્માણના પ્રયાસ કરે તે જરૂરી છે, કારણ કે લોકશાહી માટે બંને મહત્ત્વપૂર્ણ સંતભ છે."
સંજયકુમારનું કહેવું છે કે એસઆઈઆરને ચૂંટણીનો મુદ્દો બનાવવો સરળ નહીં અને તેની પાછળ બે મોટાં કારણ જવાબદાર છે.
સંજયકુમાર કહે છે કે જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી બાકાત થઈ જાય, તો તકનીકી રીતે તે મતદાર નથી રહેતી. એટલે તેનો મુદ્દો ચૂંટણી માટે અસરકારક નથી રહેતી.
સંજયકુમાર કહે છે, "એવામાં ચૂંટણીપ્રક્રિયામાં તેની ભાગીદારીનો કોઈ અર્થ નથી રહેતો. બીજી બાજુ, જે લોકો વોટનું નામ મતદારયાદીમાં હોય અને રાજકીયપક્ષો તેમને કહે કે વોટરોના નામ હઠાવવામાં આવી રહ્યા છે, તો તેમની ઉપર ખાસ અસર નથી થતી, કારણ કે તેઓ મત આપી શકે એમ હોય છે."
સંજયકુમાર કહે છે, "એટલે જ બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન તે મોટો મુદ્દો ન બન્યો. તે મહદંશે પાર્ટીઓ પૂરતો મર્યાદિત રહ્યો."
સંજયકુમારનું માનવું છે કે વિપક્ષે ધરાતલ ઉપર તથા રોજબરોજ અસર કરતા મુદ્દા ઉપરધ્યાન આપવું જોઈએ.
સંજયકુમારનું કહેવું છે, "જો વિપક્ષી દળો બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે ચૂંટણી લડે, તો અનેકગણાં અસરકારક નિવડી શકે છે. વિપક્ષે સરકારની નબળાઈઓને લોકોની વચ્ચે લઈ જવી પડશે અને તેમને સ્પષ્ટપણે સમજાવવી પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













