ભાજપમાં અધ્યક્ષપદની ચૂંટણી કઈ રીતે થાય છે, નવા અધ્યક્ષ બનાવવામાં પાર્ટીને આટલો વિલંબ શા માટે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદનકુમાર જજવાડે
ભાજપના હાલના અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લગભગ બે વર્ષ પહેલાં સમાપ્ત થયા પછી તેમને સતત ઍક્સ્ટેન્શન અપાઈ રહ્યું છે.
ભાજપના ઇતિહાસમાં આવું પ્રથમ વાર બન્યું છે, જેમાં કોઈ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થયા પછી આટલા લાંબા સમય સુધી નવા અધ્યક્ષ ચૂંટવામાં ન આવ્યા હોય.
જોકે, આ સમયગાળામાં ભાજપે મહત્ત્વની ઘણી ચૂંટણીમાં જીત મેળવી છે, એટલે કે, તેના ચૂંટણી પ્રદર્શન પર તેની વધારે વિપરીત અસર નથી થઈ.
આ કહાણીમાં આપણે એ જાણવાની કોશિશ કરીશું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થાય છે અને શું તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ કશી ભૂમિકા હોય છે?
ભાજપનું બંધારણ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના બંધારણ અનુસાર, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ જ વ્યક્તિ બની શકે છે, જેઓ ઓછામાં ઓછાં 15 વર્ષથી પાર્ટીના સભ્ય હોય.
ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની 'ચૂંટણી' મતદાર મંડળ કરે છે, જેમાં રાષ્ટ્રીય પરિષદના સભ્ય અને પ્રદેશ પરિષદોના સભ્ય સામેલ હોય છે.
ભાજપના બંધારણામાં એમ પણ લખ્યું છે કે, મતદાર મંડળમાંથી કોઈ પણ વીસ સભ્ય રાષ્ટ્રીય અધ્યક્ષપદની ચૂંટણી લડનારા વ્યક્તિનાં નામનો સંયુક્ત રીતે પ્રસ્તાવ કરી શકે છે.
આ સંયુક્ત પ્રસ્તાવ ઓછામાં ઓછા એવા પાંચ પ્રદેશોમાંથી આવવા જરૂરી છે જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી થઈ ગઈ હોય. સાથે જ, નામાંકન પત્ર માટે ઉમેદવારની મંજૂરી હોવી જ જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી ઘણા સમયથી ભાજપની રાજનીતિ પર નજર રાખે છે.
તેમનું કહેવું છે કે, "ભાજપના બંધારણને જોઈએ, જો તેમની ઔપચારિકતાઓ જોઈએ તો, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પહેલાં જિલ્લા સંગઠનોની ચૂંટણી, પ્રદેશ સંગઠન અને રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી થાય છે."
સંગઠનની દૃષ્ટિએ ભાજપે ભારતને 36 રાજ્યમાં વહેંચ્યું છે અને અડધાંથી વધારે રાજ્યોનાં સંગઠનની ચૂંટણી થયા પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થાય છે.
વિજય ત્રિવેદી કહે છે, "શરૂઆતથી આજ સુધી ભાજપમાં બંધારણની પ્રક્રિયા તો એ જ છે, પરંતુ અધ્યક્ષની ચૂંટણી સામૂહિક વિચાર કરીને સર્વસંમતિથી કરે છે. તેથી છેલ્લાં લગભગ 45 વર્ષમાં એક પણ અધ્યક્ષ માટે વોટિંગ નથી થયું. એટલે કે, જ્યારે ઓછામાં ઓછા બે લોકો ઊભા હોય અને તેમની વચ્ચે વોટિંગથી નિર્ણય થાય."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપના બંધારણ અનુસાર, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ જ વ્યક્તિ બની શકે છે, જેઓ ઓછામાં ઓછાં 15 વર્ષથી પાર્ટીના સભ્ય હોય.
ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની 'ચૂંટણી' મતદાર મંડળ કરે છે, જેમાં રાષ્ટ્રીય પરિષદના સભ્ય અને પ્રદેશ પરિષદોના સભ્ય સામેલ હોય છે.
ભાજપના બંધારણામાં એમ પણ લખ્યું છે કે, મતદાર મંડળમાંથી કોઈ પણ વીસ સભ્ય રાષ્ટ્રીય અધ્યક્ષપદની ચૂંટણી લડનારા વ્યક્તિનાં નામનો સંયુક્ત રીતે પ્રસ્તાવ કરી શકે છે.
આ સંયુક્ત પ્રસ્તાવ ઓછામાં ઓછા એવા પાંચ પ્રદેશોમાંથી આવવા જરૂરી છે જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી થઈ ગઈ હોય. સાથે જ, નામાંકન પત્ર માટે ઉમેદવારની મંજૂરી હોવી જ જોઈએ.
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી ઘણા સમયથી ભાજપની રાજનીતિ પર નજર રાખે છે.
તેમનું કહેવું છે કે, "ભાજપના બંધારણને જોઈએ, જો તેમની ઔપચારિકતાઓ જોઈએ તો, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પહેલાં જિલ્લા સંગઠનોની ચૂંટણી, પ્રદેશ સંગઠન અને રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી થાય છે."
સંગઠનની દૃષ્ટિએ ભાજપે ભારતને 36 રાજ્યમાં વહેંચ્યું છે અને અડધાંથી વધારે રાજ્યોનાં સંગઠનની ચૂંટણી થયા પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થાય છે.
વિજય ત્રિવેદી કહે છે, "શરૂઆતથી આજ સુધી ભાજપમાં બંધારણની પ્રક્રિયા તો એ જ છે, પરંતુ અધ્યક્ષની ચૂંટણી સામૂહિક વિચાર કરીને સર્વસંમતિથી કરે છે. તેથી છેલ્લાં લગભગ 45 વર્ષમાં એક પણ અધ્યક્ષ માટે વોટિંગ નથી થયું. એટલે કે, જ્યારે ઓછામાં ઓછા બે લોકો ઊભા હોય અને તેમની વચ્ચે વોટિંગથી નિર્ણય થાય."
ભાજપમાં ક્યારેય એક પણ અધ્યક્ષપદ માટે વોટિંગ નથી થયું. પ્રયત્ન એવો થાય છે કે, ભાજપના લોકો અને સંઘના લોકો એકબીજા સાથે વિચારવિમર્શ કરે છે અને પાર્ટીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અધ્યક્ષની પસંદગી કરવામાં આવે.
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ કહે છે, "રાજકીય પક્ષોમાં ભાજપ કંઈ અપવાદ નથી. પાર્ટીના અધ્યક્ષ ચૂંટવાની કવાયત લોકશાહી ઢબે નથી કરવામાં આવતી. તેના માટે સભ્યો વોટ નથી આપતા. ભાજપમાં ક્યારેય આ પદ માટે વોટિંગ નથી થયું. કૉંગ્રેસમાં પણ આવું જ થતું રહ્યું છે."
"આનું એક સારું પાસું એ છે કે નેતાઓ વચ્ચે કશો સંઘર્ષ નથી થતો, તેથી રાજકીય પક્ષ સર્વસંમતિથી પાર્ટી અધ્યક્ષ પસંદ કરે છે, જે કામ પાર્ટીનો રાજકીય ચહેરો કરે છે."
વિજય ત્રિવેદી કહે છે, "ઘણી વાર સવાલ ઊભો કરવામાં આવે છે કે, સંઘ ભાજપને કશા દિશાનિર્દેશ આપે છે. એમ કહેવું કે સંઘનો કશો હસ્તક્ષેપ નથી હોતો અને એમ પણ કહેવું કે સંઘે સૂચન કરી દીધું છે અને આ નામની ચિઠ્ઠી બનાવી દીધી છે – એ બરાબર નથી. પરંતુ, બંને વચ્ચે વિચારવિમર્શ ચોક્કસ થાય છે."
એવું પહેલી વાર બની રહ્યું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને આટલા લાંબા સમય સુધી એક્સ્ટેન્શન પર ચાલુ રાખવામાં આવ્યા છે.
અધ્યક્ષનો કાર્યકાળ

ઇમેજ સ્રોત, ANI
ભાજપના બંધારણ અનુસાર, તેના અધ્યક્ષનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે.
વર્ષ 2010માં નીતિન ગડકરી પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને તેમના કાર્યકાળમાં પાર્ટીના બંધારણમાં એક સુધારો કરવામાં આવ્યો હતો.
વિજય ત્રિવેદી કહે છે કે, "સંઘ એ વખતે ગડકરીજીને ફરી વાર અધ્યક્ષ બનાવવા માગતો હતો, એટલે કે, બે વાર. એ સમયે પાર્ટીના બંધારણમાં તો ફેરફાર થઈ ગયો કે એક પછી એક એમ સતત બે વાર તમે પાર્ટીના અધ્યક્ષ બની શકો છો; પરંતુ, ગડકરીજી ફરીથી અધ્યક્ષ ન બની શક્યા—આંતરિક કે અન્ય કોઈ કારણોથી."
આ બધા વચ્ચે, પાર્ટીના હાલના અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થયાને પણ ઘણો સમય વીતી ગયો છે. તેઓ જાન્યુઆરી 2020માં પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને જાન્યુઆરી 2023માં તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો.
વિજય ત્રિવેદી કહે છે, "કહેવામાં આવ્યું કે, લોકસભા ચૂંટણી થવાની છે, તે કારણે જેપી નડ્ડાને ઍક્સ્ટેન્શન આપી દેવાયું. જ્યારે લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ ત્યારે તેમને 20 દિવસનું ઍક્સ્ટેન્શન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે, પાર્ટી અધ્યક્ષની ચૂંટણી થશે. પછી કહેવામાં આવ્યું કે, પ્રદેશ સ્તરે અડધાં રાજ્યોનાં જરૂરી સંગઠનોની ચૂંટણી હજી નથી થઈ. આ રીતે જેપી નડ્ડાને ફરીથી અધ્યક્ષ ન બનાવાયા અને તેઓ સતત ઍક્સ્ટેન્શન પર ચાલી રહ્યા છે."
ભાજપને અધ્યક્ષ પસંદ કરવામાં વિલંબ શા માટે થાય છે?

ઇમેજ સ્રોત, ANI
વિજય ત્રિવેદી કહે છે, "સ્પષ્ટ શબ્દોમાં કહું તો, જો તેના માટે કોઈ નામ પર સંમતિ થઈ હોત તો વિલંબ શા માટે થાત? અને સહમતી કોણે કરવાની છે? જો માત્ર ભાજપની વાત હોય તો તર્કના આધારે વડા પ્રધાને આનો નિર્ણય કરવાનો છે. ખરેખર આ સાચું છે કે નહીં; મને ખબર નથી."
"હવે આમાં બીજા ભાગીદાર આરએસએસ છે, જેણે અધ્યક્ષના નામ અંગે સહમતી સાધવાની છે. એટલે સ્પષ્ટ છે કે, આરએસએસ અને ભાજપ એક નામ કે એક પૉઇન્ટ પર સહમત નહીં થઈ શકતા હોય. આ કારણે પાર્ટી અધ્યક્ષ પસંદ કરવામાં વિલંબ થઈ રહ્યો છે."
"અત્યાર સુધી તો એવું જ છે કે, નડ્ડાજીને બીજી વાર અધ્યક્ષ નહીં બનાવાય અને તેમનું જે નિવેદન વર્ષ 2024ની ચૂંટણી દરમિયાન આવ્યું, તેનાથી પણ થોડીક નારાજગી વધી."
હકીકતમાં, વર્ષ 2024ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહેલું કે, જ્યારે ભાજપ નબળો હતો ત્યારે તેને આરએસએસની જરૂર હતી, હવે ભાજપ પોતે મજબૂત છે, એટલે તેને આરએસએસની એવી જરૂરિયાત નથી રહી.
રશીદ કિદવઈ કહે છે, "આ ખૂબ જ રસપ્રદ સવાલ છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં આરએસએસની શી ભૂમિકા હોય છે? સ્પષ્ટપણે તો કોઈ નથી કહેતું, પરંતુ એવું લાગે છે કે, અંદરોઅંદર રસ્સાકસી થઈ રહી છે. પરંતુ, આરએસએસનો એક મત છે કે, તે શરૂઆતથી વ્યક્તિવાદની વિરુદ્ધ રહ્યો છે."

"આરએસએસ નથી ઇચ્છતો કે સંગઠન કરતાં વ્યક્તિ વધારે મહત્ત્વપૂર્ણ હોય. તેથી તે ઇચ્છે છે કે, કોઈ એવો ચહેરો હોય જે નરેન્દ્ર મોદી અને અમિત શાહની વચ્ચે મજબૂતીથી કામ કરી શકે. જ્યારે મોદી અને શાહની વિચારધારા એવી છે કે નવા અધ્યક્ષ તેમના જ મત અને વિચારધારાના હોય."
"ભાજપમાં નેતાઓની કમી નથી, પરંતુ તેમની વચ્ચે સર્વસંમતિ નથી સધાઈ શકી. જોકે, આ બધી માત્ર અટકળો છે, તેનું કશું પ્રમાણ નથી."
રશીદ કિદવઈનું માનવું છે કે, સત્તાનો નશો કે તાકાત (ભલે તેને કશું નામ ન આપીએ) જે નિર્ણયો કરે છે, તેનાથી ઘણી વાર સંગઠન નબળું પડી જાય છે; જેવું કૉંગ્રેસમાં પણ થયું છે.
રશીદ કિદવઈ કહે છે, "ઇન્દિરા ગાંધીએ ઘણા બધા એવા મુખ્ય મંત્રી બનાવ્યા, જેમની પાસે દસ-વીસ ધારાસભ્યોનું પણ સમર્થન નહોતું. આપણે આ જ વસ્તુ ભાજપમાં જોઈ—જ્યારે તેમણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય મંત્રી પસંદ કર્યા. આજે તો આવા નિર્ણય કરી લેવાય છે, પરંતુ દસ-વીસ-ત્રીસ વર્ષ પછી તેની શી અસર થશે, તે કોઈ ન કહી શકે."
જોકે, નડ્ડાના કાર્યકાળને જોઈએ તો, પાર્ટી અધ્યક્ષ તરીકે તેઓ ઘણા સફળ સાબિત થયા છે. તેમના કાર્યકાળમાં પાર્ટીએ લોકસભા ચૂંટણીથી લઈને ઘણાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ જીતી છે.
વિજય ત્રિવેદી કહે છે, "આ બાબતમાં પ્રદર્શન મુદ્દો નથી. જોકે, ભાજપે આ મુદ્દે સ્પષ્ટરૂપે ક્યારેય નથી કહ્યું, પરંતુ સર્વસંમતિ નથી સધાઈ, નહીંતર વિલંબ શા માટે થઈ રહ્યો છે."

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત, ભાજપ માટે તેના નવા અધ્યક્ષ ખૂબ જ મહત્ત્વના રહેશે, કેમ કે, તેમણે જ વર્ષ 2029ની લોકસભા ચૂંટણીની તૈયારી કરવાની રહેશે.
આની પહેલાં ડિલિમિટેશન, લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલા અનામતના કારણે જે પરિવર્તન થવાનું છે, તેનું પણ ધ્યાન રાખવું પડશે.
બીજી તરફ, ભાજપ માટે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી પણ પાર્ટી માટે એક મોટો પડકાર છે.
વિજય ત્રિવેદી કહે છે, "આ બધાં જાહેર કારણો છે અને જે જાહેર નથી, હું સમજું છું કે તે જાતિ આધારિત વસ્તીગણતરી અને કાસ્ટ પોલિટિક્સનો મુદ્દો છે. આ રાજકીય હકીકતનો જવાબ પણ ભાજપે શોધવાનો છે. આ ઉપરાંત, મહિલા પણ એક મુદ્દો છે, કેમ કે, કૉંગ્રેસ પાસે કંઈ નહીં તો એમ કહેવા જેવું તો છે કે સોનિયા ગાંધી પાર્ટીનાં અધ્યક્ષ હતાં, જ્યારે ભાજપમાં અત્યાર સુધીમાં એક પણ મહિલા અધ્યક્ષ નથી બન્યાં."
એવું મનાય છે કે હાલના સમયે ભાજપની દૃષ્ટિ દક્ષિણ ભારત પર પણ છે, જ્યાં તે પાર્ટીનું વિસ્તરણ કરવા માંગે છે. તો શું ભાજપ દક્ષિણ ભારતમાંથી કોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે?
જોકે દક્ષિણ ભારતના અધ્યક્ષોના કાર્યકાળમાં ભાજપનું પ્રદર્શન વધુ સારું નથી રહ્યું.
ભાજપનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્દિરા ગાંધીની સરકાર સમયે લાગુ કરવામાં આવેલી કટોકટી પછી દેશનાં દરેક વિપક્ષી દળોએ જનતા પાર્ટીના નામથી મોરચો બનાવીને કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી હતી. જોકે, વર્ષ 1977ની સામાન્ય ચૂંટણીઓ પછી બનેલી આ સરકાર લગભગ ત્રણ વર્ષમાં જ ભંગ થઈ ગઈ.
ત્યાર પછી 1980માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં જનતા પાર્ટી માત્ર 31 સીટોમાં સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન, બેવડા સભ્યપદનો મુદ્દો સતત રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો.
જનતા પાર્ટીના નૅશનલ એક્ઝિક્યૂટિવે પોતાના સભ્યો માટે બેવડા સભ્યપદ પર પ્રતિબંધ મૂકી દીધો. તેના હેઠળ, પાર્ટી સભ્યો પર આરએસએસ અને પાર્ટી બંનેના એકસાથે સભ્ય હોવા પર પ્રતિબંધ મૂકી દેવાયો.
ત્યાર પછી આરએસએસ સાથે જોડાયેલા રાજકીય પક્ષ 'જનસંઘ'ના જે સભ્યો જનતા પાર્ટીમાં સામેલ થયા હતા, તેમણે 6 એપ્રિલ 1980એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્થાપના કરી.
તે સમયે અટલ બિહારી બાજપેયીને ભાજપના સંસ્થાપક અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
ત્યાર પછી 1984માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલી સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસની લહેર ચાલી, જેમાં ભાજપ લગભગ બે સીટ જ જીતી શક્યો, જ્યારે કૉંગ્રેસને 404 લોકસભા સીટો મળી હતી.
વર્ષ 1986માં લાલકૃષ્ણ અડવાણીને ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા. વર્ષ 1990માં લાલકૃષ્ણ અડવાણીએ ઐતિહાસિક રામરથ યાત્રા કાઢી.
તેણે ભાજપની રાજકીય સ્થિતિને સંપૂર્ણ બદલી નાખી. વર્ષ 1991માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે 120 લોકસભા સીટો પર જીત મેળવી.
આ રીતે, ચૂંટણીઓમાં સારાં અને ખરાબ પ્રદર્શનો સાથે ભાજપની યાત્રા આગળ વધતી રહી. વર્ષ 1996માં સામાન્ય ચૂંટણીઓમાં જ્યારે પાર્ટીને સૌથી વધારે 161 સીટો પર જીત મળી, ત્યારે ભાજપના નેતૃત્વમાં પહેલી વાર કેન્દ્રમાં સરકાર બની.
તે સમયે અટલ બિહારી બાજપેયીએ વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. જોકે, તેમની સરકાર માત્ર 13 દિવસ ચાલી શકી અને બહુમત ન હોવાના કારણે સરકાર પડી ભાંગી.
ત્યાર પછી ભાજપે એનડીએ બનાવીને વર્ષ 1998માં અને પછી 1999માં સરકાર બનાવી. વર્ષ 2004માં એનડીએ અને ભાજપને લોકસભા ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડ્યો.
ત્યાર પછી વર્ષ 2014માં, જ્યારે નરેન્દ્ર મોદી પાર્ટીનો ચહેરો બન્યા ત્યારે, ભાજપની સરકાર ફરીથી સત્તામાં આવી. તે દરમિયાન પાર્ટીના અધ્યક્ષ નિયમિત રીતે બદલાતા રહ્યા, પરંતુ, આ પહેલો પ્રસંગ છે જ્યારે ભાજપના અધ્યક્ષપદ અંગે કશો નિર્ણય નથી થઈ શક્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















