Vinayak Savarkar : સાવરકરે ખરેખર અંગ્રેજોની માફી માગી હતી?

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
ગત સપ્તાહે જ સાવરકરના જીવનચરિત્ર પર આધારિત હિન્દી ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' રિલીઝ થઈ છે. આ ફિલ્મના નિર્માતા અને સાવરકરની મુખ્ય ભૂમિકા ભજવનારા કલાકાર રણદીપ હૂડા છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર દર્શકોનો અપેક્ષિત પ્રતિસાદ નથી મળી રહ્યો. ભારતીય જનતા પક્ષ અને હિન્દુત્વની રાજકીય વિચારધારામાં માનતા લોકો માટે વિનાયક દામોદર સાવરકર ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક નાયક છે, તો ભાજપના રાજકીય વિરોધીઓ અને અન્ય વિચારધારાઓ ધરાવનારા લોકો માટે સાવરકર અંગ્રેજોના બ્રિટિશશાસનમાં પોતાની સજા માફ કરાવવા માટે માફી માંગનારા નેતા છે. સાવરકર મામલે આ વિવાદ રાજકીય પક્ષો વચ્ચે સતત થયો આવ્યો છે. સાવરકરે અંગ્રેજોની માફી માગી હતી કે નહીં, તે વિશે અલગ અલગ દાવા છે.
ત્રણ વર્ષ પહેલાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સાવરકર પર લખાયેલા એક પુસ્તકના વિમોચન સમારોહમાં ફાસીવાદી કે નાઝીવાદી હોવાનો ઇન્કાર કરતાં તેમણે 'યથાર્થવાદી અને રાષ્ટ્રવાદી' ગણાવ્યા. એ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, "મહાત્મા ગાંધીના કહેવાથી જ વીર સાવરકરે દયાની અરજી દાખલ કરી હતી."
એ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત પણ હાજર હતા. કાર્યક્રમને સંબોધતાં ભાગવતે જણાવ્યું કે સાવરકર આકરું બોલતા હોવાથી તેમના વિશે ગેરસમજણ ઊભી થઈ છે.
હિંદુત્વની અલગઅલગ પરિભાષાઓને લઈને ભાગવતે કહ્યું, "સાવરકરનું હિંદુત્વ, વિવેકાનંદનું હિંદુત્વ, એવું કંઈ નથી. હિંદુત્વ એક જ છે, એ સનાતન છે અને અંત સુધી રહેશે."
થોડાં વર્ષ પહેલાં ભારતના સંસ્કૃતિ મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું કે વિનાયક દામોદર સાવરકરે ક્યારેય અંગ્રેજોની માફી માગી હતી કે નહીં, તેની કોઈ નોંધ નથી. પરંતુ જાણકારો અનુસાર સાવરકરે ઘણી વાર અંગ્રેજોની માફી માગી હતી અને અંગ્રેજો તરફથી તેમને પ્રતિમાસ સાઠ રૂપિયાનું પેન્શન પણ મળતું હતું.
સંસદમાં આ સવાલ ઊઠ્યો હતો કે શું સાવરકરે સૅલ્યુલર જેલમાં રહીને બ્રિટિશશાસનની માફી માગી હતી?
એ વખતના કેન્દ્રીય સંસ્કૃતિમંત્રી પ્રહ્લાદ પટેલે આ અંગે કહ્યું હતું કે અંદમાન અને નિકોબાર પાસે એવી કોઈ નોંધ ઉપલબ્ધ નથી, જેમાં એ સ્પષ્ટ થાય કે સાવરકરે અંગ્રેજોની માફી માગી હતી કે નહીં.
તેઓએ કહ્યું હતું, "અંદમાન અને નિકોબાર પ્રશાસનના આર્ટ ઍન્ડ કલ્ચર વિભાગમાંથી મળેલી જાણકારી પ્રમાણે સેલ્યુલર જેલમાં રહીને કોઈ પણ પ્રકારની દયાઅરજી આપવાની કોઈ નોંધ ઉપલબ્ધ નથી, જેનાથી એ વાત સાબિત થાય કે તેઓએ માફી માગી નહીં કે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકાર તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે હિંદુવાદી નેતા સાવરકરને ભારતરત્ન આપવાની માગ થઈ હતી. એ વખતે સત્તાધારી ભાજપ તેના પક્ષમાં હતો, પરંતુ વિપક્ષ તેનો વિરોધ કર્યો હતો.
બીબીસી સંવાદદાતા રેહાન ફઝલે તેમની વિવેચનામાં સાવરકર અને તેમની સાથે જોડાયેલા વિવાદોનો ઉલ્લેખ કર્યો હતો. વાંચો તેના કેટલાક અંશો...

ઇમેજ સ્રોત, NILANJAN MUKHOPADHYAY
સાવરકર વિશે સંશોધન કરનારા નિરંજન તકલે કહે છે, "1910માં નાસિકના જિલ્લા કલેક્ટર જૅક્સનની હત્યાના આરોપમાં પહેલાં સાવરકરના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી."
"સાવરકર પર આરોપ હતો કે તેમણે યુકેથી પોતાના ભાઈને એક પિસ્તોલ મોકલી હતી. તેનો ઉપયોગ હત્યામાં થયો હતો. 'એસએસ મૌર્ય' નામની સ્ટીમરમાં તેમને ભારત લવાઈ રહ્યા હતા. જહાજ ફ્રાંસના માર્સે બંદર પર પહોંચ્યું ત્યારે સાવરકરે જહાજના શૌચાલયના પૉર્ટ હોલમાંથી સમુદ્રમાં ઝંપલાવી દીધું હતું."
આશુતોષ દેશમુખે 'બ્રેવહાર્ટ સાવરકર' પુસ્તક લખ્યું છે. આગળ શું થયું તેની વાત કરતાં દેશમુખ કહે છે:
"સાવરકરે ઇરાદાપૂર્વક પોતાનો નાઇટગાઉન જ પહેરી રાખ્યો હતો. શૌચાલયમાં કાચ લગાડેલા હતા, જેથી અંદર જનારા કેદી પર નજર રહે. સાવરકરે પોતાનો ગાઉન ઉતારીને કાચ પર લગાવી દીધો હતો."
"તેમણે પહેલેથી જ શૌચાલયના પૉર્ટ હોલનું માપ લઈ લીધું હતું. તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમાં થઈને બહાર નીકળી શકાશે. તેમણે પોતાનું પાતળું શરીર પૉર્ટ હોલમાં નીચ ઉતાર્યું અને સમુદ્રમાં કૂદી પડ્યા."
"નાસિકમાં હતા ત્યારે તરવાની તાલીમ તેમણે લીધી હતી તે કામ આવી અને તેઓ તરીને કિનારા સુધી પહોંચી ગયા. જોકે તેમના પર ત્યાં રહેલા સૈનિકોએ ગોળીબાર કર્યો હતો, પણ તેઓ બચીને નીકળી ગયા."

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
દેશમુખ આગળ લખે છે, "તરતી વખતે સાવરકરને વાગ્યું હતું અને ઈજા થતાં લોહી નીકળતું હતું. સૈનિકો પણ તેમની પાછળ સમુદ્રમાં કૂદી પડ્યા હતા અને પીછો કરવા લાગ્યા હતા."
"સાવરકર લગભગ 15 મિનિટ સુધી તરીને કિનારે પહોંચ્યા હતા. કિનારો લપસણો હતો. એક વાર લપસી પડ્યા, પણ ફરી પ્રયાસ કરીને જમીન પર આવી ગયા. તેઓ ઝડપથી દોડીને ભાગ્યા અને એક મિનિટમાં લગભગ 450 મિટરનું અંતર કાપી નાખ્યું હશે."
"તેમની બંને તરફ ટ્રામ અને કાર દોડી રહી હતી. સાવરકર લગભવ નિર્વસ્ત્ર અવસ્થામાં હતા. તેમણે એક પોલીસવાળાને જોયો."
"તેમની પાસે જઈને અંગ્રેજીમાં કહ્યું કે, 'મારે રાજકીય આશ્રય લેવાનો છે, મને મૅજિસ્ટ્રેટ પાસે લઈ જાવ.' એ જ વખતે પાછળ આવી રહેલા સૈનિકોએ બૂમો પાડી, 'ચોર! ચોર! પકડો એને.' સાવરકરે ઘણો પ્રતિકાર કર્યો પણ લોકોએ ભેગા થઈને તેમને પકડી લીધા."

આંદામાનની સેલ્યુલર જેલમાં સાવરકર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
આ રીતે થોડી મિનિટો આઝાદ રહ્યા પછી ફરી એક વાર સાવરકર કેદમાં આવી ગયા. તે પછીનાં 25 વર્ષ સુધી કોઈ ને કોઈ રીતે અંગ્રેજોની જેલમાં જ રહ્યા.
તેમને 25-25 વર્ષની કેદની બે સજા થઈ હતી. જેલ ભોગવવા માટે તેમને ભારતથી દૂર આંદામાન એટલે કે 'કાળા પાણી'ની સજા ભોગવવા મોકલી દેવાયા હતા.
698 કોટડી ધરાવતી સેલ્યુલર જેલમાં 52 નંબરની કોટડીમાં તેમને રાખવામાં આવ્યા હતા, જે 13.5 બાય 7.5 ફૂટની હતી.
અંદામાનના જેલનિવાસ વખતની વાત લખતાં દેશમુખ જણાવે છે કે તે વખતે "અંદામાનમાં સરકારી અધિકારીઓ બગીમાં ફરતા. રાજકીય કેદીઓને બગી ખેંચવાનું કામ સોંપાતું."
"ત્યાં સારા રસ્તા પણ નહોતા અને પહાડી વિસ્તાર હતો. કેદીઓ બગી ખેંચી શકે નહીં ત્યારે તેમને ગાળો પડતી અને માર પણ પડતો હતો."
"માથાકૂટ કરે તેવા કેદીઓને કેટલાય દિવસો સુધી પાણી જેવો સૂપ જ આપવામાં આવતો હતો. ઉપરાંત નાઇનવાળું પાણી પીવા માટે મજબૂર કરાતા. તે પીવાથી ચક્કર આવી જતા હતા. કેટલાકને ઊલટીઓ થતી હતી અને કેટલાકને બહુ પીડા થતી."

હાથકડી અને બેડી પહેરીને ઊભા રહેવાનું

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
દેશમુખ આગળ લખે છે, "કેદીઓ માટે શૌચાલય જવાનો સમય પણ નક્કી રહેતો હતો. કેટલો સમય અંદર રહેવું તેનો સમય પણ નક્કી હતો."
"ક્યારેક એવી હાલત થતી હતી કે કેદીએ પોતાની કોટડીમાં એક ખૂણે જ મળત્યાગ કરવો પડતો હતો."
"જેલકોટડીની દીવાલોમાં કાયમ મળમૂત્રની ગંધ આવતી હતી. ક્યારેક કેદીઓને બેડી અને હાથકડી પહેરીને ઊભા રહેવાની સજા થતી હતી."
"આવી દશામાં શૌચાલય પણ ઊભાઊભા જવું પડતું હતું. ઊલટી થાય તો પણ બેસવાની મંજૂરી નહોતી."

અંગ્રેજોને માફીનામું

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
અહીંથી સાવરકરની જિંદગીનો બીજો તબક્કો શરૂ થાય છે. સેલ્યુલર જેલમાં નવ વર્ષ 10 મહિના રહ્યા પછી સાવરકરે અંગ્રેજો સામેનો વિરોધ વધારવાના બદલે બંધ કરી દીધો.
નિરંજન તકલે કહે છે, "હું સાવરકરની જિંદગીને ઘણા તબક્કામાં જોઉં છું. તેમની જિંદગીનો પહેલો તબક્કો રોમૅન્ટિક ક્રાંતિકારીનો હતો. તે વખતે 1857ની લડત વિશે પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકમાં તેમણે બહુ સારા શબ્દોમાં ધર્મનિરપેક્ષતાની તરફેણ કરી હતી."
"ધરપકડ પછી તેમને વાસ્તવિકતાનો પરિચય થયો. 11 જુલાઈ, 1911ના રોજ સાવરકર અંદામાન પહોંચ્યા હતા. દોઢ જ મહિનામાં 29 ઑગસ્ટે તેમણે પોતાનું પ્રથમ માફીનામું લખ્યું હતું. ત્યારબાદ નવ વર્ષ દરમિયાન તેમણે છ વાર અંગ્રેજોની માફી માગતા પત્રો લખ્યા હતા."
"જેલના રેકૉર્ડ દર્શાવે છે કે ત્યાં દર મહિને ત્રણથી ચાર કેદીઓને ફાંસી આપવામાં આવતી હતી."
"ફાંસીનું સ્થાન તેમની કોટડીની બરાબર નીચે હતું. શક્ય છે કે તે વાતની અસર સાવરકર પર થઈ હોય. કેટલાક લોકો કહે છે કે જેલર બૅરીએ સાવરકરને ઘણી છૂટછાટ આપી હતી."
"બીજા એક કેદી બરીન્દ્ર ઘોષે બાદમાં લખ્યું હતું કે સાવરકરબંધુ અમને જેલર સામે આંદોલન કરવા માટે ખાનગીમાં ઉશ્કેરતા હતા."
"અમે કહ્યું કે તમે ખુલ્લીને અમારી સાથે આવો ત્યારે તેઓએ પીછેહઠ કરી હતી. તેમની પાસે કોઈ આકરું કામ કરાવાતું નહોતું."

હિંસાનો માર્ગ...

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
નિરંજન તકલે કહે છે, "દર 15 દિવસે ત્યાં કેદીઓનું વજન કરાતું. સાવરકર સેલ્યુલર જેલ પહોંચ્યા ત્યારે તેમનું વજન 112 પાઉન્ડ હતું."
"સવા બે વર્ષ પછી તેમણે સર રેજિનૉલ્ડ ક્રેડૉકને પોતાનું ચોથું માફીનામું લખ્યું ત્યારે તેમનું વજન 126 પાઉન્ડ થઈ ગયું હતું. આ રીતે જેલમાં રહીને તેમનું વજન 14 પાઉન્ડ વધી ગયું હતું."
"પોતાના પર દયા કરવા માટે તેમણે સરકારને વિનંતી કરી હતી કે પોતાને ભારતની અન્ય કોઈ જેલમાં મોકલવામાં આવે. તેના બદલામાં તેઓ સરકાર માટે કોઈ પણ સ્થિતિમાં કામ કરવા માટે તૈયાર હતા."
"સાવરકરે એવું પણ કહ્યું હતું કે અંગ્રેજોએ લીધેલાં પગલાંને કારણે બંધારણીય વ્યવસ્થામાં તેમને શ્રદ્ધા થઈ છે. 'હવે મેં હિંસાનો માર્ગ ત્યજી દીધો છે' એમ તેણે લખ્યું હતું."
"કદાચ આ જ કારણસર કાળા પાણીની સજા કાપતા હોવા છતાં 30 અને 31 મે, 1919ના રોજ તેમને પત્ની તથા નાના ભાઈ સાથે મુલાકાત કરવાની છૂટ અપાઈ હતી."

જેલમાંથી બહાર આવવા માટે નવો વ્યૂહ

બાદમાં સાવરકરે પોતે અને તેમના સમર્થકોએ એવા ખુલાસા કરવાની કોશિશ કરી હતી કે ચોક્કસ વ્યૂહરચનાના ભાગરૂપે, કેટલીક બાબતોમાં રાહત મળી શકે તે માટે તેમણે અંગ્રેજોની માફી માગી હતી.
સાવરકરે પોતાની આત્મકથામાં લખ્યું હતું, "મેં જેલમાં હડતાળ કરી હોત તો ભારતમાં પત્ર મોકલવાનો મારો અધિકાર છીનવી લેવાયો હોત."
સિનિયર પત્રકાર અને 'ઇંદિરા ગાંધી સેન્ટર ઑફ આર્ટ્સ'ના અધ્યક્ષ રામબહાદુર રાયને મેં પૂછ્યું હતું કે માફી માગવાનો વિકલ્પ તો ભગતસિંહ પાસે પણ હતો. આમ છતાં તેમણે માફી ના માગી, જ્યારે સાવરકરની એવી શું મજબૂરી હતી કે તેમણે માફી માગી?
રામબહાદુર રાયનો જવાબ હતો, "ભગતસિંહ અને સાવરકરમાં મૂળભૂત તફાવત હતો. ભગતસિંહે બૉમ્બ ફેંકવાનું નક્કી કર્યું ત્યારે જ ફાંસીએ ચઢવાનું પણ નક્કી કરી લીધું હતું."
"બીજી બાજુ સાવરકર ચાલાક ક્રાંતિકારી હતા. તેમની કોશિશ એવી હતી કે ભૂગર્ભમાં રહીને થાય એટલી પ્રવૃત્તિઓ કરવી. મને લાગે છે કે સાવરકર એ પંચાતમાં નહોતા પડ્યા કે માફી માગવાની વાત પર લોકો શું કહેશે. તેમનો વિચાર એ હતો કે જેલમાંથી બહાર રહેશે તો પોતાની ઇચ્છા મુજબનું કામ કરી શકશે."

સાવરકરની હિન્દુત્વની વિચારધારા

આંદામાનથી આવ્યા બાદ સાવરકરે 'હિંદુત્વ - વ્હૂ ઈઝ હિંદુ?' એવું પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે પ્રથમ વાર હિંદુત્વનો રાજકીય વિચારધારા તરીકે ઉપયોગ કર્યો હતો.
નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "તેઓ હિંદુત્વનો એક રાજકીય ઢંઢેરા તરીકે ઉપયોગ કરતા હતા. હિંદુત્વની પરિભાષા આપતા તેમણે કહ્યું હતું કે આ દેશનો માણસ મૂળભૂત રીતે હિંદુ છે."
"આ દેશનો નાગરિક એ જ હોઈ શકે, જેની પિતૃભૂમિ, માતૃભૂમિ અને પુણ્યભૂમિ અહીં જ હોય. પિતૃ અને માતૃભૂમિ કોઈની પણ હોઈ શકે છે, પણ પુણ્યભૂમિ માત્ર હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈનની જ હોઈ શકે."
"મુસ્લિમો અને ખ્રિસ્તીઓની આ પુણ્યભૂમિ નથી. તે વ્યાખ્યા પ્રમાણે મુસ્લિમ અને ખ્રિસ્તી ક્યારેય આ દેશના નાગરિકો ના બની શકે."
"એક રીતે તેવું થઈ શકે છે કે તેઓ હિંદુ બની જાય. તેઓ એ વિરોધભાસને ક્યારેય સમજાવી ના શક્યા કે તમે હિંદુ રહીને પણ તમારી શ્રદ્ધા અને ધર્મને પાળી શકો."

અંગ્રેજો સાથે સમજૂતી

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
1924માં સાવરકરને પૂણેની યરવડા જેલમાંથી બે શરતોને આધારે છોડવામાં આવ્યા હતા.
એક શરત હતી કે કોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ ના લેવો અને બીજું રત્નાગિરિ જિલ્લાના કલેક્ટરની પરવાનગી વિના જિલ્લાની બહાર ના જવું.
નિરંજન તકલે કહે છે, "સાવરકરે વાઇસરોય લિનલિથગો સાથે લેખિતમાં સમજૂતિ કરી હતી કે તેમનો બંનેનો એકસમાન ઉદ્દેશ છે કે ગાંધી, કૉંગ્રેસ અને મુસ્લિમોનો વિરોધ કરવો."
"અંગ્રેજો તેમને દર મહિને 60 રૂપિયાનું પેન્શન આપતા હતા. તેઓ અંગ્રેજોની એવી શું સેવા કરતા હતા કે અંગ્રેજો તેમને પેન્શન આપતા હતા? આવી રીતે પેન્શન મેળવનારી તેઓ એકમાત્ર વ્યક્તિ હતી."

કાળી ટોપી અને અત્તરની શીશી

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
અતિવાદી વિચારો છતાં અંગત જીવનમાં તેઓ સારી વસ્તુઓના શોખીન હતા. તેમને ચૉકલેટ અને 'જિન્ટાન' બ્રાન્ડની વ્હિસ્કી પસંદ હતી.
તેમની જીવનકથામાં આશુતોષ દેશમુખે લખ્યું છે, "સાવરકર 5 ફૂટ 2 ઇંચ લાંબા હતા. આંદામાન જેલમાં હતા ત્યારે જ ટાલ પડી ગઈ હતી."
"તેમને છીંકણી સૂંઘવાની આદત પડી ગઈ હતી. આંદામાનની કોટડીમાં છીંકણી ના મળે ત્યારે દીવાલો પરનો ચૂનો ઉખાડીને સૂંઘતા હતા. તેના કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી. જોકે તેના કારણે તેમનું નાક ખુલ્લી જતું હતું. તેમણે સિગારેટ અને સિગાર પીવાની પણ કોશિશ કરી હતી. જોકે તેમને માફક ન આવી."
"તેઓ ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા. નાસ્તામાં બાફેલાં બે ઈંડાં લેતા હતા. દિવસ દરમિયાન ઘણી વાર ચા પીધા કરતા હતા. તેમને મસાલેદાર ભોજન પસંદ હતું, ખાસ કરીને માછલી બહુ ભાવતી હતી."
"તેમને હાફુસ કેરી, આઇસક્રીમ અને ચૉકેલેટ પણ ભાવતાં હતાં. તેઓ એક જ પ્રકારનાં વસ્ત્રો પહેરતાં હતાં... ગોળ કાળી ટોપી, ધોતી અથવા પૅન્ટ અને કોટ. કોટના ખિસ્સામાં નાનું હથિયાર અને અત્તરની શીશી રાખતા. એક હાથમાં છત્રી હોય અને બીજા હાથમાં અખબાર!"

મહાત્મા ગાંધી હત્યા કેસમાં ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
1949માં મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં આઠ લોકો સાથે સાવરકરની પણ ધરપકડ થઈ ત્યારે તેમની છાપ બહુ ખરડાઈ હતી. તેમના પર હત્યાંકાડમાં સામેલ થવાનો આરોપ હતો. જોકે નક્કર પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "ગાંધી હત્યાકાંડનો ડાઘ દૂર કરવામાં સંઘ પરિવારને લાંબો સમય લાગ્યો હતો. સાવરકર આ મામલામાં જેલ ગયા હતા અને પછી છૂટી ગયા હતા."
"1966 સુધી જીવિત રહ્યા હતા, પણ ત્યાર બાદ તેઓ સ્વીકૃત બન્યા નહોતા."
"એ હદે કે આરએસએસે પણ તેમની સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. તેઓ હંમેશાં હાંસિયા જ ધકેલાયા રહ્યા, કેમ કે ગાંધીહત્યાની શંકા તેમના પરથી ક્યારેય પૂરી રીતે ખસી નહોતી. કપૂર પંચના અહેવાલમાં પણ સ્પષ્ટ જણાવાયું હતું કે સાવરકરની જાણકારી વિના ગાંધી હત્યાકાંડ થાય તેવું માની શકાય તેમ નથી."

સાવરકરની રાજકીય વિચારધારા

ઇમેજ સ્રોત, NANA GODSE
સાવરકરના છેલ્લા બે દાયકા રાજકીય એકાકીપણા અને અપજશમાં વીત્યા.
તેમની જીવનકથા લખનારા અન્ય એક લેખક ધનંજય કીરે 'સાવરકર ઍન્ડ હિઝ ટાઇમ્સ' પુસ્તકમાં લખ્યું છે કે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો અને તેમને ન્યાયાધીશે છોડી મૂકવાની જાહેરાત કરી.
તે સાથે જ નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા જાહેર થઈ હતી.
ચુકાદા પછી કેટલાક આરોપીઓ સાવરકરના પગે પડી ગયા હતા અને તેમની સાથે મળીને સૂત્રોચ્ચાર પોકાર્યા હતાઃ
હિંદુ હિંદી હિન્દુસ્તાન
કભી ના હોગા પાકિસ્તાન
રામબહાદુર રાય કહે છે, "તેમના અંતિમ દિવસોમાં તેમના પર કલંક લાગ્યું એ કારણે તેમના વારસા પર અંધકાર છવાઈ ગયો હતો."
"દુનિયામાં ભાગ્યે જ એવું ઉદાહરણ મળતું હોય છે, જેમાં ક્રાંતિકારી કવિ પણ હોય, સાહિત્યકાર પણ હોય અને સારા લેખક પણ હોય."
"આંદામાનની જેલમાં રહેતી વખતે પથ્થરના ટુકડાને પેન તરીકે વાપરીને દીવાલો પર 6000 જેટલી કવિતાઓ લખી હતી. આ કવિતાઓને કંઠસ્થ કરી રાખી હતી. એટલું જ નહીં સાવરકરના નામે પાંચ મૌલિક પુસ્તકો પણ છે."
"આમ છતાં મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં સંડોવણીને કારણે સાવરકર ખતમ થઈ ગયા. તેમની રાજકીય વિચારધારા પણ ત્યાં જ સુકાઈ જાય છે."

'ભાગલા પડાવનારું વ્યક્તિત્વ'

1966માં તેમનું મૃત્યુ થયું તે પછીના દાયકાઓ પછી પણ ભારતીય રાજકારણમાં સાવરકરનું નામ ભાગલા પડાવનારી વ્યક્તિ તરીકેનું છે. તે કાં તો કોઈના હીરો હોય, કાં તો વિલન હોય.
નિરંજન તકલે કહે છે, "2014માં સંસદના સૅન્ટ્રલ હૉલમાં નરેન્દ્ર મોદી સાવરકરની તસવીર સામે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ત્યારે અજાણપણે તેમણે પોતાની પીઠ મહાત્મા ગાંધી તરફ કરી લીધી હતી."
"તેનું કારણ એ કે ગાંધીજીની તસવીર ત્યાં બરાબર પાછળની બાજુએ લાગેલી હતી. આ આજના રાજકારણની વાસ્તવિકતા છે. તમારે સાવરકરને સન્માન આપવું હોય તો ગાંધીની વિચારધારા તરફ પીઠ ફેરવી લેવી પડે."
"તમારે ગાંધીને સ્વીકારવા હોય તો સાવરકરની વિચારધારાને નકારવી જ રહી. કદાચ સાચી રીતે જ આજે પણ સાવરકર ભારતમાં એક ભાગલા પડાવનારું વ્યક્તિત્વ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












