એ કયા દસ્તાવેજો જરૂરી છે, જે તમને ભારતીય નાગરિક બનાવે છે?

    • લેેખક, ઉપાસના
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા કેટલાક દિવસોથી નાગરિકતા શબ્દને લઈને ચર્ચા છે. કારણ છે બૉમ્બે હાઇકોર્ટ, જેણે હાલમાં એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે આધારકાર્ડ, પાનકાર્ડ કે વોટર આઈડી હોવાથી કોઈ ભારતીય નાગરિક બની જતું નથી.

આ દસ્તાવેજો માત્ર ઓળખ બતાવવા માટે છે.

કોર્ટે તે આમ કહી દીધું પરંતુ અહીં સવાલ એ છે કે જો પાનકાર્ડ, વોટર આઈડી કે આધારકાર્ડ ભારતીય નાગરિક હોવાનું પ્રમાણ નથી તો પછી એ ક્યો દસ્તાવેજ છે જે ભારતીય નાગરિકતા સાબિત કરે છે.

ભારતમાં નાગરિકતા સાબિત કરવા માટે સરકારે કાયદાકીય રીતે કોઈ ડૉક્યુમેન્ટ અનિવાર્ય કર્યું નથી.

ભારતીય નાગરિકતાને લઈને બંધારણમાં કેટલીક જોગવાઈઓ છે.

એ શરતોને પૂરી કરનારો વ્યક્તિ ભારતીય નાગરિક કહેવાય છે. એ શરતો શું છે? નાગરિકતા શું છે અને શું કામ જરૂરી છે? ચાલો સમજીએ.

દરેક નાગરિક અને એના દેશ વચ્ચે એક કાયદાકીય સંબંધ હોય છે. નાગરિકતા આ સંબંધને જોડવાનું કામ કરે છે.

આ નાગરિકતા દેશના નાગરિકોને ઘણા પ્રકારની સુવિધાઓ અને અધિકારો આપે છે.

મૂળભૂત અધિકારોથી લઈને મત આપવાનો અધિકાર, કાયદાકીય અધિકાર, કામ કરવાનો અધિકાર અને સૌથી મહત્ત્વનો પોતાનાપણાનો અહેસાસ, જેને અંગ્રેજીમાં સેન્સ ઑફ બિલૉંન્ગિગનેસ કહે છે.

કોને દેશનો નાગરિક માનવામાં આવશે અને કોને નહીં એના માટે કાયદાકીય નિયમો બનાવવામાં આવ્યા છે.

બંધારણનો આર્ટિકલ 5-11 ભારતીય નાગરિકતા અંગે વાત કરે છે.

જે પ્રમાણે 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ ઘડતા સમયે ભારતમાં રહેતી દરેક વ્યક્તિ ભારતીય નાગરિક માનવામાં આવશે. જેનો જન્મ ભારતમાં થયો હોય, માતા-પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોય, તેમને ભારતના નાગરિક માનવામાં આવશે.

આ સિવાય આ અનુચ્છેદોમાં પાકિસ્તાનથી ભારત આવેલી વ્યક્તિ જેમનાં માતા-પિતા કે દાદા-દાદીનો અવિભાજીત ભારતમાં જન્મ થયો હોય, તેમને પણ ભારતના નાગરિક ગણવામાં આવે છે.

એ વ્યક્તિ જે ભારતથી પાકિસ્તાન ચાલી ગઈ હોય પણ પછી ફરી ભારતમાં રહેવા માટે આવી ગઈ હોય અથવા એ વ્યક્તિ કે જેમનાં માતા-પિતા અથવા દાદા-દાદીનો જન્મ અવિભાજીત ભારતમાં થયો હોય પરંતુ હાલ તેઓ ભારતની બહાર રહેતા હોય, એમને પણ ભારતીય નાગરિક ગણવામાં આવશે.

બંધારણ લાગુ થયા બાદ નાગરિકતાને વ્યાપક બનાવવાના હેતુસર 1955માં એક કાયદો આવ્યો જેને નાગરિકતા કાયદો કહેવામાં આવે છે.

જેમાં ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાની અને ખતમ કરવાની પાંચ શરતો જણાવવામાં આવી હતી. આ પાંચ શરતો જોઈએ તો:

  • જન્મના આધાર પર.
  • વંશના આધાર પર.
  • રજીસ્ટ્રેશનના આધાર પર.
  • નેચુરલાઇઝશેનના આધાર પર, જેમાં વ્યક્તિ કેટલીક શરતો પૂરી કરીને ભારતીય નાગરિક બની શકે છે.
  • જો કોઈ નવો ભાગ ભારતનો ભાગ બને તો.

નાગરિકતા કાયદાની કલમ 3 જન્મના આધારે નાગરિકતા આપે છે. એ પ્રમાણે આવી વ્યક્તિ કાયદાકીય રીતે ભારતનો નાગરિક માનવામાં આવશે. એ પ્રમાણે:

26 જાન્યુઆરી, 1950થી લઈને 1 જુલાઈ, 1986 પહેલા જન્મ થયો હોય અથવા 1 જુલાઈ, 1987થી લઈને અને નાગરિકતા સંશોધન કાયદો-2003ના લાગુ થયાને પહેલા ભારતમાં જન્મ થયો હોય અને માતા કે પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય.

અથવા નાગરિકતા કાયદો-2003 લાગુ થયાની તારીખ અથવા તો એ પછી ભારતમાં જન્મેલા લોકો જેના માતા-પિતા બંને ભારતીય નાગરિક હોય અથવા બંનેમાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય પણ બીજો ગેરકાયદે ઇમિગ્રન્ટ ન હોવો જોઈએ.

ભારતની બહાર જન્મેલી વ્યક્તિ પણ ભારતીય નાગરિકતા માટે દાવો કરી શકે છે. જન્મ સમયે એમનાં માતા કે પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોવા જોઈએ.

નાગરિકતા કાયદાના સેકશન 4માં જણાવેલી શરતો અનુસાર:

  • જન્મ 26 જાન્યુઆરી, 1950ના રોજ અથવા એ પછી તારીખ 10 ડિસેમ્બર, 1992 પહેલા થયો હોય અને જન્મના સમયેે એના પિતા ભારતના નાગરિક હોવા જોઈએ.
  • જન્મ 10 ડિસેમ્બર, 1992ના રોજ થયો હોય અને જન્મ સમયે માતા-પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જોઈએ.
  • 3 ડિસેમ્બર,2004 પછી ભારત બહાર જેનો જન્મ થયો છે એ વ્યક્તિ વંશના આધારે ભારતીય નાગરિકતાનો દાવો કરી શકે છે. એ માટે જન્મના એક વર્ષની અંદર ભારતીય દૂતાવાસમાં એનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. એક વર્ષ બાદ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો ભારત સરકારની સહમતી અનિવાર્ય છે.

ઘણા એવા વિદેશીઓ છે જે ભારતીય નાગરિકતા લેવા માગે છે. આ લોકો નાગરિકતા કાયદાની સેકશન 5 અનુસાર ભારતીય નાગરિકતા માટે રજીસ્ટ્રેશન કરી શકે છે.

જોકે એના માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. જો વિદેશી નાગરિક આ શરતોનું પાલન કરે તો તેઓ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે.

જો અરજી મંજૂર થાય તો એ વ્યક્તિને પહેલા દેશની નાગરિકતા છોડવી પડે છે.

આ જોગવાઈ પ્રમાણે દેશમાં ઘણાં વર્ષોથી રહેતા લોકો પણ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે.

આ માટે નાગરિકતા કાયદાની કલમ 6માં જણાવેલા નિયમો પ્રમાણે ફૉર્મ ભરીને અરજી કરવાની હોય છે. કેટલીક શરતોને પૂરી કરવી પડે છે. અરજી મંજૂર થયા બાદ જ એમને ભારતની નાગરિકતા મળે છે.

નાગરિકતા કાયદાની કલમ 7 કહે છે કે જો કોઈ વિદેશી ક્ષેત્ર ભારતનો ભાગ બને છે તો તે ક્ષેત્રમાં રહેતા લોકોને ભારતના નાગરિક બનાવી શકાય છે.

આ માટે કાયદાકીય પ્રક્રિયાને પૂરી કરવી પડે છે.

ભારત સરકાર એક ઑફીશીયલ રાજપત્ર ઘોષિત કરે છે જેમાં એ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોનાં નામ હોય છે જેમને ભારતીય નાગરિકનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ પ્રમાણે રાજપત્રમાં બતાવેલી તારીખથી એમને ભારતીય નાગરિકનો દરજજો મળે છે.

દિલ્હી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રોફેસર વિવેકકુમારે બીબીસીને જણાવ્યું કે ભારતમાં નાગરિકતા પ્રમાણિત કરવા માટે ઑફીશ્યલી કોઈ ડૉક્યુમેન્ટ્સ આપવામાં આવતાં નથી.

બંધારણ પ્રમાણે ભારતમાં જન્મેલો દરેક વ્યક્તિ ભારતનો નાગરિક છે. ભારતમાં જન્મેલું સંતાન કે એના વંશજ પણ ભારતીય નાગરિક ગણાય છે.

આ સિવાય ભારતમાં જન્મેલો વ્યક્તિ કે જે અત્યારે બહાર રહે છે એમને પણ ભારતીય નાગરિકતા આપવાની વ્યવસ્થા છે.

ભારતમાં જન્મેલા લોકો બર્થ સર્ટિફિકેટ બતાવીને સાબિત કરી શકે છે કે એમનો જન્મ ભારતમાં થયો છે. આ પ્રમાણે તેઓ ભારતના નાગરિક ગણાય છે.

જન્મ પ્રમાણપત્ર ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા જાહેર કરે છે. જો તમારી પાસે બર્થ સર્ટિફિકેટ ન હોય તો તમે અરજી કરીને બનાવી શકો છો જેના માટે ફૉર્મ ભરવું પડે છે.

આ ફૉર્મ ઑનલાઇન અથવા ઑફલાઇન બંને રીતે ભરી શકાય છે જે ઑનલાઇન ફૉર્મની વેબસાઇટ પર પણ મળી જશે. જેને ભરીને બર્થ ઍન્ડ ડેથ રજીસ્ટ્રેશન ઑફીસમાં જમા કરાવવાનું રહેશે.

બર્થ સર્ટિફિકેટ માટે ઑફીશીયલ રજીસ્ટ્રેશન પૉર્ટલ પર ઑનલાઇન અરજી કરી શકો છો. અરજી મંજૂર થયા બાદ તમને બર્થ સર્ટિફિકેટ આપવામાં આવશે.

બર્થ સર્ટિફિકેટમાં જન્મ સ્થાન લખેલું હોય છે. જે જન્મના આધારે ભારતની નાગરિકતાની શરત પૂરી કરે છે.

રજીસ્ટ્રેશન (સેકશન 5) અને નેચરલાઇઝેશન (સેકશન 6) પ્રમાણે ભારતીય નાગરિક બનેલા લોકોને એક સર્ટફિકેટ આપવામાં આવે છે. જેના પર ભારત સરકારના અંડર સેક્રેટરી અથવા તો એમનાથી ઉપરની રેન્કના અધિકારીના હસ્તાક્ષર હોય છે.

આ સર્ટિફિકેટ જ એમના માટે ભારતીય નાગરિકતાના પ્રમાણનું કામ કરે છે.

હવે ફરી સવાલ જન્મે કે જો આ નાગરિકતાનું પ્રમાણ છે તો પાસપૉર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, વોટર આઈડી કાર્ડ, રૅશનકાર્ડ શું છે?

જો આ ડૉક્યુમેન્ટ ન હોય તો પણ આપણને ભારતીય નાગરિક માનવામાં આવશે? જી હા. સરકાર આમાંથી કોઈ ડૉક્યુમેન્ટનો ઑફીશીયલી નાગરિકતાના પ્રમાણ તરીકે સ્વીકાર કર્યો નથી.

આ બધા ડૉક્યુમેન્ટ ઓળખપત્ર અથવા રહેઠાણના પુરાવા તરીકે અથવા સુવિધાઓ મેળવવા માટે કામ આવી શકે છે. આનાથી તમારી નાગરિકતા નક્કી થતી નથી.

આ ડૉક્યુમેન્ટના આધારે તમને નાગરિકતા આપવામાં આવતી નથી. જો આ ડૉકયુમેન્ટ ન હોય તો નાગરિકતા રદ થતી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન