You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને ફાંસી બાદ પિતા અને સરકારી વકીલે શું કહ્યું?
"ચુકાદો અપેક્ષા મુજબ આવ્યો છે. મારી દીકરી સાથે ન્યાય થયો છે. કોર્ટ, વકીલ અને પોલીસે મારી ખૂબ જ સહાય કરી છે. ચુકાદાથી કાયદામાં વિશ્વાસ પુન: સ્થાપિત થયો છે"
સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનારા સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા ફટકારી આપી ત્યાર બાદ ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ ઉપરોક્ત નિવેદન થકી કોર્ટના આદેશને આવકાર્યો હતો તેને અને દાખલારૂપ ઠેરવ્યો હતો.
ગ્રીષ્માના પક્ષ વતી કોર્ટમાં દલીલ કરનારા સરકારી વકીલ નયન સુખડવાલાએ આ ચુકાદા મામલે કહ્યું હતું કે, "નામદાર કોર્ટે દોષિતની ક્રૂરતાની પણ નોંધ લીધી છે. મૃતક ગ્રીષ્માને પીડા આપવા બે વખત ગળા પર છરી ફેરવ્યા બાદ ત્રીજી વખતમાં શ્વાસનળીમાં ચપ્પુ નાખી ગળું ફાડી નાખી ક્રૂરતાનું અભૂતપૂર્વ હીન પ્રદર્શન કર્યું છે."
"કોર્ટે આ ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીને મૃતકની હત્યા કર્યા બાદ કોઈ પસ્તાવો નહોતો. આટલું જ નહીં તે સુનાવણી દરમિયાન પણ બેફિકર હતો."
નોંધનીય છે કે અગાઉની સુનાવણીઓમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કરીને સજા માટેનો ચુકાદો મુલતવી રાખ્યો હતો.
આ બાબતે કેસની સુનાવણી કરનાર જજ વિમલ વ્યાસે દોષિતને સજા સંભળાવવાની શરૂઆત મનુસ્મૃતિના શ્લોક સાથે કરી હતી.
આ સિવાય ન્યાયાધીશે ચુકાદા દરમિયાન કરાયેલાં અવલોકન અંગે માહિતી આપતાં સરકારી વકીલે કહ્યું હતું કે, "નામદાર કોર્ટે આ કેસ બાબતે આખરી હુકમ કરતી વખતે નિર્ભયા કેસ અને કસાબના મામલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે નોંધ્યું હતું કે આ બંને કેસોનાં આરોપીઓની જેમ આ કેસમાં પણ આરોપીને બિલકુલ પસ્તાવો નથી."
'કેસ હાઈકોર્ટમાં ગયો તો પણ સરકાર તૈયાર'
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવાઈ તે અંગે પત્રકારો સાથે વાતચીત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "ગ્રીષ્માનાં માતાપિતાને આપેલ વચન આજે પૂર્ણ થયું છે. કોર્ટે ગ્રીષ્માને ગુનો બન્યાના માત્ર 70 દિવસમાં સજા ફરમાવી એ ઉદાહરણરૂપ બાબત છે."
આ સિવાય હર્ષ સંઘવીએ આવતીકાલે ગ્રીષ્માનાં માતા-પિતાના ઘરે જઈને તેમને વંદન કરવાની વાત કરી હતી.
તેમણે પોતાના નિવદેનમાં ગુજરાતને બહેન-દીકરીઓની સુરક્ષા બાબતે સૌથી સુરક્ષિત રાજ્ય ગણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "આ ચુકાદો એ રાજ્ય સરકાર અને તંત્રના રાજ્યમાં અપરાધીઓને ઝડપી સજા અપાવવાના સંકલ્પ અંગેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે."
હર્ષ સંઘવીએ આ મામલે આગળ જણાવ્યું હતું કે, "ગુજરાતમાં એક પછી એક મામલાઓમાં ઝડપી સુનાવણી અને ન્યાય બાદ ક્ષણભરના આવેશમાં આવીને ગુનો કરતા અપરાધી ગભરાશે. રાજ્યની પોલીસે અને ન્યાયતંત્રે સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં જઘન્ય અપરાધ માટે કોઈ જગ્યા નથી. જો આ કેસ હાઈકોર્ટમાં જશે તો પણ સરકાર સંપૂર્ણપણે તૈયાર છે જેથી આ કેસમાં કોઈ પણ તબક્કે ન્યાય મળવામાં મોડું ન થાય."
શું હતો ગ્રીષ્માની હત્યાનો મામલો?
કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કામરેજના ખોલવડની લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતાં ગ્રીષ્મા વેકરિયા અમરોલીની જે. જે. શાહ કૉલેજમાં બી. કૉમ.માં અભ્યાસ કરતાં હતાં. જેમને ગારિયાધારની મોટી વાવડી ગામના વતની અને સુરતના કાપોદ્રાની સાગર સોસાયટીમાં રહેતા ફેનિલ પંકજ ગોયાણી છેલ્લા એક વર્ષથી વારંવાર પજવતા હતા.
યુવતીના પરિવાર દ્વારા ફેનિલના પરિવારને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. યુવતીના મામા અને યુવતીના પિતાના મિત્રે ફેનિલને સમજાવ્યા હતા અને આરોપી ફેનિલે પણ યુવતીની સતામણી બંધ કરી દેવાની ખાતરી આપી હતી.
ફરિયાદ અનુસાર વૅલેન્ટાઇન-ડેના બે દિવસ પહેલાં શનિવારે સાંજે ફેનિલ સોસાયટીના ગેટ પાસે દેખાતાં યુવતી એ તેમના પિતાના મોટા ભાઈ સુભાષ વેકરિયાને જાણ કરી હતી. સમજાવવા ગયેલા સુભાષભાઈને ઉશ્કેરાયેલા ફેનિલે પેટમાં ચપ્પુ હુલાવી દીધું.
યુવતીના 17 વર્ષીય ભાઈ અને ફરિયાદી ધ્રુવ વચ્ચે પડતાં તેમને ફેનિલે જમણા હાથે અને માથાના ભાગે ચપ્પુ મારી દીધું હતું.
ફરિયાદ પ્રમાણે, ભાઈ અને મોટા બાપાને છોડાવવા વચ્ચે પડેલાં યુવતી ગ્રીષ્માના ગળે ફેનિલે ચપ્પુ ધરી દીધું. ફરિયાદી અને તેમના પરિવારજનોએ યુવતીને છોડી દેવા ઘણી આજીજી કરી, પરંતુ ફેનિલે પરિવારજનોની સામે જ ચપ્પુ ચલાવીને યુવતીનું ગળું રહેંસી નાખ્યું.
આ ઘટના પછી સુરત રેન્જના આઈજીપી (ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ) રાજકુમાર પાંડિયને જો કોઈ છોકરા દ્વારા છોકરીની છેડતી કરવામાં આવતી હોય તો તેને લાંછન સ્વરૂપે ન ગણતાં સમયસર પોલીસમાં ફરિયાદ કરવા નાગરિકોને વિનંતી કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો