ડાયાબિટીસ : ખાંડ શરીરમાં જતાં જ કેમ ઝેર બની જાય છે?

    • લેેખક, યુઆન કાર્લોસ લગુના એગીયા અને માર્ટા અલેગ્રેટ જોર્ડા
    • પદ, ધ કન્વર્ઝેશન*

તંદુરસ્ત આહારમાં બધાં પ્રકારનાં ફળોનો સમાવેશ કરી શકાય છે. બરાબર પાકેલું ફળ હોય ત્યારે તેની મીઠાશ પણ માણવા જેવી હોય છે.

ફળો સ્વાદિષ્ટ લાગે છે, કેમ કે એમાં એવા પ્રકારની શર્કરા હોય છે, જેને 'ફ્રૂક્ટોસ' કહે છે. તેને શા માટે ફ્રૂક્ટોસ કહે છે એ ખબર છે?

ફળોમાં ગ્લુકોઝ પણ હોય છે, પણ તેની માત્રા બહુ ઓછી હોય છે. જોકે આપણે અત્યારે શર્કરાની જ વાત કરીશું, જે આપણા સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન કરનારી ગણાય છે.

સફેદ ખાંડ અને કૉર્ન સિરપમાંથી મળે તેવી શર્કરાનો જ એક હિસ્સો એટલે ફ્રૂક્ટોસ અને ગ્લુકોઝ. સોસ, મીઠાઈ, સોફ્ટ ડ્રિન્ક સહિતના તૈયાર ખાદ્યપદાર્થોમાં આ બંને મીઠા પદાર્થોનો ઉપયોગ થાય છે.

આ પદાર્થોનો વધુ ઉપયોગ મુશ્કેલી સર્જી શકે છે. ઘણા બધા અભ્યાસોમાં જોવા મળ્યું છે કે આવા ગળ્યા પદાર્થોના ઉપયોગથી સ્થૂળતા, ડાયાબિટિસ, ફેટ્ટી લીવર અને લોહીમાં લીપીડ જેવી પાચનને લગતી બીમારી થાય છે.

જથ્થો અને ગુણવત્તા, બંને અગત્યનાં

જથ્થો : વધારે ગળ્યા પદાર્થો ખાઈએ તેનો અર્થ એ થયો કે વધારે કૅલરી ભોજનમાં આવે. આ ચરબીને જો બાળવામાં ના આવે તો શરીરમાં તે જમા થાય છે અને તેનાથી ચયાપચયને લગતી બીમારીઓ થઈ શકે છે.

ઓછાં ફળો અને શાકભાજી અને વધારે ચરબીયુક્ત આહારને કારણે અને આ પ્રકારની શર્કરાના ઉપયોગને કારણે દુનિયાભરમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

તમે આહારનિષ્ણાતોની સલાહ લેશો કે ખાણીપીણી વિશે માર્ગદર્શન મેળવશો ત્યારે તેમને એકસરખી જ સલાહ મળશે: તંદુરસ્ત રહેવું હોય તો દિવસના જુદાજુદા સમયે લેવાતાં ભોજનમાં પાંચેક ફળો અને શાકભાજી લો.

પ્રોસેસ કર્યા વિનાનાં કુદરતી ફળો જેવો આહાર માપસર લેવાય તે સારો ગણાય છે. યાદ રાખો કે આપણે કંઈ રોજ કિલોકિલો ફળો ખાઈ જવાના નથી.

ગુણવત્તા : લીવરમાં ફ્રુક્ટોઝનું રૂપાંતર બહુ ઝડપથી ચરબીમાં થઈ જાય છે. દાખલા તરીકે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ બંને લઈએ ત્યારે ફ્રુક્ટોઝમાંથી વધુ ચરબી લીવરમાં પેદા થાય છે.

તેનો અર્થ એ કે વધારે ફ્રુક્ટોઝ લેવાથી ચયાપચય ક્રિયામાં ફેરફાર થઈ શકે છે અને બીજી શર્કરા કરતાં પાચનને લગતી બીમારી વધારે થઈ શકે છે.

પરંતુ શું ફળો ખાઈએ ત્યારે તેના ફ્રુક્ટોઝની પણ આવી જ અસર થાય?

પૅકેજિંગનો ફરક પડે?

આપણે જાણીએ છીએ કે વાનરમાંથી માણસની ઉત્પત્તિ થઈ છે. લાખો વર્ષો સુધી આપણા વડવાઓ દિવસ દરમિયાન એકઠાં કરેલાં ફળો અને શાકભાજીના આધારે પોતાનો આહાર અપનાવતા રહ્યા છે.

આપણે ફળો લઈએ ત્યારે તેમાંતી ફ્રુક્ટોઝ સીધું નથી મળતું, પરંતુ ફળોના અન્ય હિસ્સામાં, ફાઇબર, મિનરલ, વિટામિનની સાથે મળીને પૅકેજિંગમાં શરીરને મળે છે.

તેથી જ આપણે દરેક ફળ બરાબર ચાવીચાવીને ખાવું જોઈએ. તેની પાછળનો હેતુ ફળમાં મોટા પ્રમાણમાં રહેલું ફાઇબર આપણી લાળ સાથે અને પાચક રસ સાથે મળી જાય તેવો છે. આના કારણે ફળમાં રહેલું ફ્રુક્ટોઝ ધીમેધીમે શરીરમાં ઊતરે છે.

તેનાથી ઘણા બધા ફ્રુક્ટોઝનું પાચન કોષોમાં જતું રહે અને લોહી મારફતે થોડો હિસ્સો જ લીવર સુધી પહોંચે અને થોડી જ ચરબી પેદા થાય.

ખાંડ શરીરમાં કેવી રીતે કામ કરે છે?

મીઠાઈ, સોસ, આઇસક્રીમ અથવા ગળ્યાં પીણાં લઈએ ત્યારે તેમાં મોટા પ્રમાણમાં રહેલું ફ્રુક્ટોઝ અલગ રીતે કામ કરે છે.

આપણા પાચનતંત્રમાં ફ્રુક્ટોઝ ફરી વળે છે અને પાણી સાથે મળીને તે કોષોમાં શોષાય ખરું, પણ ત્યાં ઓવરફ્લૉ થઈ જાય અને તે રીતે લીવરમાં પહોંચી જાય. લીવરમાં પહોંચીને ચરબી બની જાય છે.

વધારાની આ ચરબી લીવર જુદાંજુદાં અંગોમાં મોકલી આપે છે.

થોડાથોડા સમયે આવું થાય તો વાંધો ના આવે, પણ આપણે સતત ગળ્યા પદાર્થો ખાધા કરીએ તો લાંબા ગાળે સ્વાસ્થ્યની સમસ્યા પેદા થઈ શકે છે.

આ વધારાની ચરબી શરીરમાં જમા થાય છે અને તેના કારણે સ્થૂળતા, ડાયાબિટિસ જેવી સમસ્યા પેદા થાય છે.

પાચનમાં આ પ્રકારની મુશ્કેલીને કારણે લાંબા ગાળે હૃદયરોગના હુમલાની કે કૅન્સર થવાની શક્યતા ઊભી થાય છે.

દાખલા તરીકે હાલના એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે વધારે શર્કરાનો ઉપયોગ થતો હોય ત્યાં કૅન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે.

જોકે અહીં નોંધવા જેવું છે કે આવું થવાની શક્યતા ગળપણ પ્રવાહી સ્વરૂપે લેવાય ત્યારે થાય છે.

ઘન આકારમાં શર્કરા લેવાય ત્યારે નહીં. બીજું કે ફળોના જ્યૂસ લેવાતા હોય ત્યારે પણ કૅન્સર વધારે દેખાયું હોય તેવું અભ્યાસોમાં જોવા મળ્યું છે.

તો પછી ફળોની શર્કરા સારી કે ખરાબ?

તો પછી ફળોની શર્કરા સારી કે ખરાબ એ સવાલ થાય અને તમે પોતે તેનો જવાબ ધારી શકો છો.

આપણે ફળો લઈએ તે સારું જ છે. પરંતુ ફળોને આપણે ખાવાનાં, ચાવવાનાં અથવા બીજા ખાદ્યપદાર્થો સાથે મેળવીને ખાવાનાં. તે રીતે ફળો ખાવાથી ફ્રૂક્ટોઝ સહિતની શર્કરા શરીરમાં ધીમેધીમે ઊતરે છે.

પરંતુ આપણે ફ્રૂટ જ્યૂસ લઈએ ત્યારે ભલે તેમાં અસલી ફળ હોય તો પણ સ્થિતિ બદલાઈ જાય છે.

ફળોને સીધાં ખાઈએ તો વાત જુદી છે, પરંતુ આ રીતે પ્રવાહી સાથે ફળો લેવાય ત્યારે તે ઝડપથી લીવર સુધી પહોંચે અને ત્યાં શું થાય તે આપણે આગળ જોયું. એટલે ફળોને સીધાં ખાવાં જોઈએ અને જ્યૂસની મજા કોઈક વાર જ લેવી જોઈએ.

અને જ્યૂસ જ ગમતો હોય તો ફળનો પલ્પ કાઢી નાખશો નહીં. પલ્પના કારણે ફળની શર્કરા શરીરમાં ધીમેધીમે ઊતરે છે. સીધું ફળ ખાવાથી થાય તેવો ફાયદો થાય છે.

*જુઆન કાર્લોસ લેગુના એગીઆ બાર્સેલોના યુનિવર્સિટીના ફાર્માકોલૉજીના પ્રોફસર છે, જ્યારે માર્ટા જોર્ડા બાર્સેલોના યુનિવર્સિટીના ફાર્માકોલૉજી અને થેરાપ્યુટિક કેમિસ્ટ્રી વિભાગના રિસર્ચર છે.

આ લેખ મૂળે 'ધ કન્વર્ઝેશન'માં પ્રગટ થયો હતો, જેને ક્રીએટિવ કૉમન લાયસન્સ હેઠળ અહીં રજૂ કરવામાં આવ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો