ઓમિક્રૉન : દક્ષિણ આફ્રિકામાં HIVના દર્દીમાંથી કોરોના વાઇરસ મ્યુટેટ થયો?
- લેેખક, ઍન્ડ્રુ હાર્ડિંગ
- પદ, આફ્રિકા સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
ઓમિક્રૉનને શોધી કાઢવા બદલે પ્રસંશા પામેલા દક્ષિણ આફ્રિકાના વિજ્ઞાનીઓ હવે કોવીડ-19નો આ નવો વૅરિએન્ટ કેવી રીતે પેદા થયો તે શોધી કાઢવા માટે મથામણ કરી રહ્યા છે.

એચઆઇવીના દર્દી હોય અને તેની સારવાર ના ચાલી રહી હોય તેવા કિસ્સામાં તેના શરીરમાં વાઇરસ મ્યુટેટ થયો કે કેમ એવી તપાસ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે. એચઆઇવીને કારણે આમ પણ દર્દીની પ્રતિકારકશક્તિ ઘટી ગઈ હોય છે.
કૅપ ટાઉનના ડેસમન્ડ ટુટુ એચઆઇવી ફાઉન્ડેશનનાં વડા પ્રોફેસર લિન્ડા-ગેલ બૅકર કહે છે, "જો તમારા શરીરની પ્રતિકારક શક્તિ સારી રીતે કામ કરતી હોય તો કોઈ પણ વાઇરસને ઝડપથી નાબુદ કરી દે છે."
"પરંતુ કોઈની પ્રતિકારક શક્તિ નબળી હોય તો વાઇરસ તેના શરીરમાં લાંબો સમય રહે છે. થાય છે એવું કે તે શરીરમાં બેઠો રહે છે અને પોતાની સંખ્યા વધાર્યા કરે છે. "
"તેની સંખ્યા વધે તે સાથે જ તેમાં મ્યુટેશન પણ થાય છે. કોઈ વ્યક્તિના શરીરમાં પ્રતિકારક શક્તિ નબળી હોય ત્યાં વાઇરસ મહિનાઓ સુધી રહી શકે છે અને મ્યુટેટ થયા કરે છે," એમ તેઓ વધુમાં જણાવે છે.
સંશોધકોને શેની ચિંતા?

ઇમેજ સ્રોત, Getty Images
આ દિશામાં સંશોધકો આગળ વધી રહ્યા છે, પરંતુ સાથે જ તેઓ કાળજી રાખવા માગે છે કે આમ પણ એચઆઇવીથી પીડાતા લોકો સામે પક્ષપાત છે ત્યારે તેમની સામે વધારે શંકા કરવામાં ના આવે. વિશ્વમાં એચઆઇવીના સૌથી વધુ દર્દીઓ દક્ષિણ આફ્રિકામાં જ છે.
પ્રોફેસર બૅકર કહે છે, "એ વાત પર ભાર મૂકવો જરૂરી છે કે ઍન્ટી-રેટ્રોવાઇરલ દવા લેતા હોય તેમણે તે દવા ચાલુ રાખવી જોઈએ, કેમ કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ ફરીથી આવે છે."
દક્ષિણ આફ્રિકાની હૉસ્પિટલમાં આ બાબતમાં બે રસપ્રદ કિસ્સા જોવા મળ્યા છે. એક મહિલાના આઠ મહિના સુધી કોવીડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવતા રહ્યા હતા. વર્ષના પ્રારંભે ધ્યાનમાં આવેલા આ કેસમાં વાઇરસમાં 30થી વધુ જૈવિક ફેરફારો થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓમિક્રૉન શોધી કાઢનારી ટીમના વડા પ્રોફેસર ટ્યુલિયો દે ઓલિવેરા કહે છે કે આવા જ "10થી 15" કેસ યુકે સહિતવિશ્વના ઘણા દેશોમાં જોવા મળ્યા છે.
તેઓ કહે છે, "આવું ભાગ્યે જ થતું જોવા મળે છે. પરંતુ એવું બની શકે કે જે વ્યક્તિનું શરીર ઇમ્યુનો-સપ્રેસ્ડ હોય તેમના શરીરમાં વાઇરસ નવાં રૂપ ધારણ કરતો રહે."
દક્ષિણ આફ્રિકાના વિજ્ઞાનીઓએ ઓમિક્રૉન વૅરિએન્ટ શોધી કાઢ્યો અને તેની જાણ જગતને થઈ તે પછી પશ્ચિમના દેશોએ આ દેશમાં અવરજવર પર પ્રતિબંધો મૂક્યા.
પ્રવાસ બંધ થઈ જવાને કારણે દક્ષિણ આફ્રિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે તેના કારણે આ વિજ્ઞાનીઓ સામે સોશિયલ મીડિયામાં ભારે રોષ વ્યક્ત થઈ રહ્યો છે અને કેટલાકે તો હત્યાની ધમકીઓ પણ આપી છે.
આફ્રિકાને દોષ દેવો કેટલો યોગ્ય?

ઇમેજ સ્રોત, AFP
નાગરિકોને રોષ છે કે નવા વૅરિએન્ટ માટે તેમને દેશને દોષ દેવામાં આવે છે.
દક્ષિણ આફ્રિકાની કોવિડ-19 માટેની સલાહકાર-સમિતિના પૂર્વ વડા અને એચઆઇવીના સ્પેશિયાલિસ્ટી લિસ્ટ પ્રોફેસર સલીમ કરીમ કહે છે કે કોવિડના નવો વૅરિયન્ટ અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો વચ્ચે કડી હોવાની શંકા ઉપજે છે.
"પરંતુ તેની સાબિતી મળી નથી. જુદાજુદા ચાર ખંડોમાંથી પાંચ વૅરિયન્ટ મળી આવ્યા છે. એટલે માત્ર આફ્રિકાને બલીનો બકરો બનાવવામાં આવે તે ખોટું છે.
પ્રોફેસર કરીમ વધુમાં જણાવે છે, "દુનિયામાં બીજે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો વિશે જાણે કોઈને ચિંતા નથી. બસ માત્ર અશ્વેત હોય અને આફ્રિકામાં હોય તો ચિંતા કરવાની!"
વિજ્ઞાનીઓ કહે છે કે વિશ્વભરમાં ઓછી રોગપ્રતિકારક શક્તિ હોવા માટે બીજા પણ ઘણાં કારણો જવાબદાર હોય છે. દાખલા તરીકે યુકેમાં કૅન્સરની સારવાર લઈ રહેલા દર્દીના શરીરમાંથી આલ્ફા વૅરિએન્ટ મળ્યો હતો.
કૅપ ટાઉનની ગ્રૂટ શૂઅર હૉસ્પિટલના ચેપી રોગના નિષ્ણાત પ્રોફેસર માર્ક મૅન્ડલસન કહે છે, "ડાયાબિટીસ, કૅન્સર, કુપોષણ, ઑટો-ઇમ્યુન રોગ, ટીબી, સ્થળૂતા - આવાં અનેક કારણોસર ઓછી રોગપ્રતિકારક ધરાવતા અનેક લોકો દુનિયામાં છે."
દક્ષિણ આફ્રિકામાં અત્યારે 80 લાખ લોકોને એચઆઇવીનો ચેપ લાગેલો છે, પરંતુ તેમાંથી એક તૃતિયાંશ લોકો દવા લઈ રહ્યા નથી.
કૅપ ટાઉનથી દક્ષિણમાં પહાડો વચ્ચે વકેલા મેસિફુમેલેલે નામના ગીચ વસતિ ધરાવતા શહેરમાં ચોથા ભાગની વસતિને એચઆઇવી થયેલો હોવાનું માનવામાં આવે છે.
આ નગરમાં અને સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકો કેમ એચઆઇવીની દવા લેતા નથી તે વિશેના સવાલના જવાબમાં સમાજસેવાનું કામ કરનારા 25 વર્ષના આસિફે શોન્ગોનત્સી કહે છે, "એ બહુ મોટી સમસ્યા છે. ઘણા લોકો ટેસ્ટ જ કરાવવા માગતા નથી. "
એવા કોઈ પુરાવા નથી કે હાલમાં કોવિડના જેટલા વૅરિયન્ટ છે તેમાંથી એકેય આફ્રિકામાં તૈયાર થયો હોય. પરંતુ ઝડપથી ફેલાતા ઓમિક્રૉનનો ચેપ દક્ષિણ આફ્રિકામાં દેખાયો તેથી એવી શંકા છે કે સ્થાનિક લોકોમાંથી ઓછી પ્રતિકારક શક્તિ ધરાવનારા કોઈ દર્દીમાં આ મ્યુટેશન થયું હશે.
વાઇરસની તપાસ કરી રહેલા વિજ્ઞાનીઓ આશા વ્યક્ત કરે છે કે એચઆઇવી સાથે આ વૅરિયન્ટની કડી વિશે ચિંતા પ્રગટ થઈ છે ત્યારે વિશ્વમાં વધારે કાળજી લેવામાં આવે. ખાસ કરીને કેટલીક જગ્યાએ આ રોગચાળાને કારણે એચઆઇવીની સારવારમાં ઢીલ થવા લાગી હતી તે ચિંતાનું કારણ છે.
ઉપાય શો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પ્રોફેસર બૅકર કહે છે, "આ આખી દુનિયામાં ફેલાયેલી સમસ્યા છે -વૈશ્વિક સમુદાયમાં વાઇરસ કેવી રીતે પોષાતો હોય છે તે સમજાવી જરૂર છે. આપણી પાસે અત્યારે તેને રોકવાનો સૌથી સારો ઉપાય રસી જ છે. આ સંદેશ સૌને પહોંચવો જોઈએ."
વિશ્વની સરખામણીએ દક્ષિણ આફ્રિકામાં કોરોનાનું રસીકરણ ઓછું થયું છે ત્યારે દક્ષિણ આફ્રિકાના સંશોધકો એ વાત પર પણ ભાર મૂકે છે કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર ધ્યાન આપવું જરૂરી છે. આ લોકોને ત્રણથી પાંચ સુધીના બૂસ્ટર ડૉઝ આપવા પડશે, જેથી તેમનામાં પ્રતિકારક શક્તિ આવે.
પ્રોફેસર કરીમ કહે છે, "નવા વૅરિયન્ટનું જોખમ આપણે ટાળવા માગતા હોઈએ તો વિશ્વના દરેક દેશમાં આ પડકારને ઉપાડી લેવો જરૂરી છે. એટલે કે નબળી પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પૂર્ણપણે રસી આપવી જોઈએ. વાઇરસનો પ્રતિકાર કરી શકે છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ."
"જો પ્રતિકાર ના થઈ શકતો હોય તો રોગપ્રતિકારક શક્તિ પેદા ના થાય ત્યાં સુધી તેમને ડૉઝ આપતા રહેવા જોઈએ. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં નવા વૅરિયન્ટ પેદા ના થાય તે જોખમ નિવારવા આટલું કરવું જરૂરી છે," એમ પ્રોફેસર કરીમે ઉમેર્યું હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












