બાંગ્લાદેશ ઇસ્લામને ત્યજીને ભારતની જેમ બિનસાંપ્રદાયિક દેશ બનશે?
- લેેખક, સુબીર ભૌમિક
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી
એમ મનાય છે કે બાંગ્લાદેશની સત્તારૂઢ અવામી લીગ સરકારે 1972ના ધર્મનિરપેક્ષ બંધારણને પુનઃ અનુસરવાનું નક્કી કર્યું છે, અને એની સાથે જ ઇસ્લામની રાષ્ટ્રીય ધર્મ તરીકેની માન્યતા રદ કરી દેવાશે.
દેશમાં ઈશ્વરનિંદાની અફવાઓના આધારે હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે તેવા સમયમાં આવો નિર્ણય કરાયો હોવાની ચર્ચા થઈ રહી છે.
13 ઑક્ટોબરથી શરૂ થયેલા આવા હુમલામાં અત્યાર સુધીમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો હિંદુઓનાં ઘર અને ઘણાં બધાં મંદિરોમાં તોડફોડની ઘટનાઓ જોવા મળી રહી છે.

ઇમેજ સ્રોત, HABIBUR RAHMAN / EYEPIX GROUP/BARCROFT MEDIA VIA G
કટ્ટરપંથી ઇસ્લામના સમર્થકોએ અવામી લીગ સરકારને ધમકીભર્યા સૂરમાં કહ્યું છે કે, "જો 1972ના ધર્મનિરપેક્ષ બંધારણને પુનઃ અમલમાં લાવવાનું પ્રસ્તાવિક વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવશે તો હિંસાનું પ્રમાણ ઓર વધશે. નોંધવું જોઈએ કે, વર્ષ 1988માં સૈન્યશાસક એચ.એમ. ઇરશાદે ઇસ્લામને રાષ્ટ્રીય ધર્મ જાહેર કર્યો હતો."
એટલે સુધી કે ઢાકાના પૂર્વ મેયર સઈદ ખોકોન જેવા અવામી લીગના કેટલાક નેતાઓએ પણ માહિતીપ્રસારણમંત્રી મુરાદ હસનની આ ઘોષણાનો વિરોધ કર્યો છે, જે ઘોષણામાં એમણે કહ્યું કે "બાંગ્લાદેશ એક ધર્મનિરપેક્ષ દેશ છે અને રાષ્ટ્રપિતા શેખ મુજીબુર્રહમાન દ્વારા બનાવાયેલા 1972ના બંધારણનો દેશમાં પુનઃ અમલ થશે."
સઈદ ખોકોને આ નિર્ણયના સમય સામે સવાલ કરતાં કહ્યું છે કે, "આ (નિર્ણય) આગમાં ઘી હોમવાનું કામ કરશે."
મુરાદ હસને જણાવ્યું કે, "આપણા શરીરમાં સ્વતંત્રસેનાનીઓનું લોહી છે, કોઈપણ કિંમતે આપણે 1972ના બંધારણ તરફ પાછા જવું પડશે. બંધારણ પાછું લાવવા માટે હું સંસદમાં બોલીશ… કોઈ નહીં બોલે તોપણ મુરાદ સંસદમાં બોલશે."
માહિતીપ્રસારણમંત્રી મુરાદ હસન એક સાર્વજનિક આયોજનમાં બોલ્યા હતા કે, "મને નથી લાગતું કે ઇસ્લામ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. 1972ના બંધારણને અમે પાછું લાવીશું. વડાં પ્રધાન શેખ હસીનાના નેતૃત્વમાં અમે ખરડાને સંસદમાં અધિનિયમિત કરાવીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ટૂંક સમયમાં જ આપણે 1972ના ધર્મનિરપેક્ષ બંધારણને ફરીથી અપનાવીશું."
જો આમ થયું તો, 90 ટકાથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં ભવિષ્યમાં ઇસ્લામ રાજકીય ધર્મ નહીં હોય.

એલાનનો વિરોધ અને હિંસાની ધમકી

ઇમેજ સ્રોત, NurPhoto
જમાત-એ-ઇસ્લામી અને હિફાજત-એ-ઇસ્લામ જેવાં ચરમપંથી જૂથોના મોલવીઓએ ધમકી આપી છે કે જો આવું કોઈ બિલ રજૂ કરવામાં આવશે તો એક ખૂની અભિયાન શરૂ થઈ જશે.
"હિફાજતના મહાસચિવ નુરુલ ઇસ્લામ જિહાદીએ જણાવ્યું કે, "ઇસ્લામ રાજધર્મ હતો, રાજધર્મ છે, એ જ રાજધર્મ રહેશે."
"આ દેશને મુસલમાનોએ આઝાદી અપાવી છે અને એમના ધર્મનું અપમાન ન કરી શકાય. ઇસ્લામને રાજકીય ધર્મ તરીકે જાળવી રાખવા માટે અમે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છીએ."
એટલે સુધી કે "પાર્ટીમાં આ વિષય પર વિસ્તારથી ચર્ચા કરવામાં નથી આવી" એવા મુદ્દાના આધારે પૂર્વ મેયર ખોકોન જેવા અવામી લીગના નેતાઓએ પણ મુરાદ હસનની ઘોષણાનો વિરોધ કર્યો છે.
લીગના કેટલાક નેતાઓ એમ પણ માને છે કે 'એક નેતાના રૂપમાં આટલું મોટું એલાન કરવાની સત્તા મુરાદ હસન પાસે નથી; અને જો તેઓ આમ કરે છે તો, વડાં પ્રધાન શેખ હસીનાનું એમને પૂરતું સમર્થન છે.'
નામ જાહેર ન કરવાની શરતે અવામી લીગના એક અગ્રણી નેતાએ જણાવ્યું કે, "જો આવી ઘોષણા કરતાં પહેલાં શેખ હસીનાને આ બાબતની માહિતી ના હોત, એ પણ એવા સમયે જ્યારે દેશમાં હિંદુવિરોધી હત્યાઓ થઈ રહી છે ત્યારે, તો મુરાદ હસનને પાર્ટી હાઈકમાન્ડ તરફથી ચોક્કસ ઠપકો મળ્યો હોત. કેમ કે, એવું નથી થયું, માટે એમ માની લેવું ઉચિત છે કે વડાં પ્રધાને આ નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે."

ઇમેજ સ્રોત, Getty Images
મુરાદ હસને 14 ઑક્ટોબરે આ ઘોષણા કરી હતી. આ ઘોષણાના એક દિવસ પહેલાં જ મુસ્લિમ ટોળાંએ કુમિલ્લા, ચાંદપુર, ફેની, નોઆખલી અને ચટગાંવમાં હિંદુ મંદિરો પર હુમલો કર્યો હતો.
ખરેખર તો, એક હિંદુ ભગવાનનાં ચરણોમાં ઇસ્લામનો ધાર્મિક ગ્રંથ કુરાન હોય એવી એક તસવીર ફેસબુક પર વાઇરલ થઈ હતી, એ પછી હિંસા શરૂ થઈ.
એ હિંસા 23 જિલ્લામાં ફેલાઈ ગઈ એને ધ્યાનમાં રાખીને વડાં પ્રધાન શેખ હસીનાએ રમખાણોને નિયંત્રણમાં લાવવા માટે મિલિટરી અને ઍલીટ રૅપિડ ઍક્શન બટાલિયન (આરએબી)ની ટુકડીઓને બંદોબસ્તમાં મૂકવી પડી.
પોલીસે 350 તોફાનીઓની ધરપકડ કરી જેમાં કુમિલ્લાના બે દુકાનદાર પણ સામેલ છે.
કથિત રીતે એ દુકાનદારોએ હિંદુ દેવતાનાં ચરણમાં કુરાનને મૂક્યું હતું અને પછી એ તસવીર વાઇરલ કરી હતી.
એમાંના એકનું નામ ફોયાઝ અહમદ છે. એમણે ઘણાં વર્ષો સુધી સાઉદી અરેબિયામાં નોકરી કરી અને પછી બાંગ્લાદેશમાં આવીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો.
અવામી લીગના બીએનપી અને જમાત-એ-ઇસ્લામ જેવાં ઇસ્લામી વિપક્ષી દળો પર રમખાણોને ઉત્તેજન આપવાનો અને હિંદુઓના મોટા તહેવાર દુર્ગાપૂજામાં વિઘ્ન નાખવાનો આરોપ મુકાયો છે.

ધર્મનિરપેક્ષમાંથી ઇસ્લામિક દેશ કઈ રીતે બન્યો બાંગ્લાદેશ?

ઇમેજ સ્રોત, EPA
અવામી લીગની કોમિલ્લા મહિલા વિંગનાં નેતા આયશા જમાને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હિંદુ ભગવાનનાં ચરણમાં જે કુરાન મૂકવામાં આવ્યું તે સાઉદી અરેબિયામાં છપાયેલું છે."
"બીએનપીના મેયર મોનિરુલ ઇસ્લામ સક્કૂ અને બિઝનેસમૅન ફોયાઝે ઇકબાલ હુસૈનની મદદથી એને હિંદુ દેવતાના પગ પાસે મૂકેલું. સીસીટીવી ફૂટેઝમાં ઇકબાલ એવું કરતા દેખાય છે. આ મુસલમાનોને ઉશ્કેરવાનો એક સુનિયોજિત પ્રયાસ હતો."
ઉલ્લેખનીય છે કે, આજથી પાંચ વર્ષ પહેલાં પણ નાસિરનગરમાં આ જ સમયગાળામાં આ પ્રકારની તસવીર વાઇરલ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાયો હતો.
1971માં જ્યારે બાંગ્લાદેશની સ્થાપના થઈ ત્યારે એની એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકેની ઓળખ હતી અને બંગાળી સાંસ્કૃતિક અને ભાષાગત રાષ્ટ્રવાદ એનો આધાર હતા, જેણે પાકિસ્તાનની પરંપરાગત ઇસ્લામી પ્રથાઓને ખતમ કરી દીધી હતી.
1972માં અમલમાં આવેલા બાંગ્લાદેશના બંધારણે બધા ધર્મોની સમાનતા સુનિશ્ચિત કરી હતી, પરંતુ પાકિસ્તાનથી આઝાદ થયા પછીનાં માત્ર ચાર વર્ષ પછી અહીં એક ખૂની તખતાપલટો થયો અને દેશના સંસ્થાપક શેખ મુજીબુર્રહમાનની એમના પરિવાર સમેત હત્યા કરી દેવાઈ.
માત્ર એમની બે દીકરીઓ, વર્તમાન વડાં પ્રધાન શેખ હસીના અને એમનાં બહેન શેખ રેહાના બચી ગયાં.
સૈન્યશાસક જનરલો ઝિયાઉર્રહમાન અને એચ.એમ. ઇરશાદે જમાત-એ-ઇસ્લામી જેવી ઇસ્લામિક પાર્ટીઓને સમર્થન આપ્યું.
ચૂંટણીપંચમાં એની નોંધણી કરવાની સંમતિ આપી અને ઇસ્લામને રાજકીય ધર્મરૂપે સ્થાપિત કર્યો.

ઇમેજ સ્રોત, EPA
સૈન્ય દ્વારા સત્તાપલટો વિષય પરના પુસ્તક 'મિડનાઇટ મૅસેકર'ના લેખક સુખરંજન દાસગુપ્તા જણાવે છે કે, "અવામી લીગને સૈન્યશાસન હાંસિયામાં મૂકવા ઇચ્છતું હતું."
"એ માટે જે પ્રયાસો થયા એમાંનો એક અવામી લીગવિરોધી રાજકીય આધાર બનાવવાનો હતો. એમણે અવામી લીગના બંગાળી રાષ્ટ્રવાદનો મુકાબલો કરવા માટે પાકિસ્તાનની જેમ ઇસ્લામવાદી રાજનીતિનો વિકલ્પ પસંદ કર્યો. ઝિયા અને ઇરશાદ બંનેએ એવી પાર્ટીઓ બનાવી જે ધાર્મિક કાર્ડ રમી."
અવામી યુવાનેતા અને 'ડિઝિટલ બાંગ્લાદેશ'ના આયોજક સૂફી ફારુક જણાવે છે કે, "ઇરશાદ દારૂ પીવાના અને મહિલાઓ પ્રતિના એમના આકર્ષણ માટે ખ્યાત હતા. એમણે ભાગ્યે જ ક્યારેક ઇબાદત કરી હશે."
"એમણે કેટલીક કવિતા લખી. પણ એમના માટે ઇસ્લામ એક રાજકીય સાધન હતું જેવું ઝીણા માટે હતું, જે સુવરનું માંસ ખાતા હતા અને સ્કૉચ-વ્હિસ્કી પીતા હતા અને ભાગ્યે જ ક્યારેક નમાજ પઢી હશે."
"સૈન્યશાસનના બે દાયકા દરમિયાન અને સત્તામાં બીએનપી અને જમાત-એ-ઇસ્લામી ગઠબંધનની સરકારના સમયમાં (1991-1996 અને 2001-2006) હિંદુઓને ભારે સતામણીનો ભોગ બનવું પડ્યું અને હજારો લોકો ભારતમાં શરણાર્થી બન્યા."
"બાંગ્લાદેશમાં 22 ટકાની હિંદુ વસ્તી 2010ની વસ્તીગણતરીમાં 10 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે."
"પરંતુ બાંગ્લાદેશના આંકડા બ્યૂરો અનુસાર, અવામી લીગના શાસનનાં છેલ્લાં દસ વરસોમાં હિંદુઓની જનસંખ્યા 12 ટકા છે. આ દર્શાવે છે કે, હિંદુઓનું પલાયન ઘટી ગયું છે."

'ચૂંટણી દરમિયાન હિંદુવિરોધી હિંસા થાય છે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બાંગ્લાદેશનાં પૂર્વ માહિતીપ્રસારણમંત્રી તરાના હલીમ એમ કહે છે કે, દેશનો ઇસ્લામી માહોલ ચૂંટણી વખતે હિંદુઓને નિશાન બનાવે છે.
તેઓ જણાવે છે કે, "દુર્ગાપૂજા દરમિયાન થયેલી હિંદુવિરોધી હિંસાને એ સંદર્ભમાં જ જોવી જોઈએ."
"અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યાથી ઇસ્લામવાદીઓને પ્રોત્સાહન મળ્યું છે, પણ ડિસેમ્બર 2023માં સંસદીય ચૂંટણી થવાની છે એમાં અવામી લીગ બીજી વાર જીતી જશે."
વડાં પ્રધાનના વિશેષ સહાયક અને વર્તમાન સમયે ઑક્સફોર્ડ ફેલો બૅરિસ્ટર શાહ અલી ફરાદ જણાવે છે કે, "આ શરમજનક છે. આપણે કોઈ પણ કિંમતે હિંદુઓનું રક્ષણ કરવું જોઈએ."
કદાચ આ જ કારણે વડાં પ્રધાન શેખ હસીનાએ 1972ના ધર્મનિરપેક્ષ બંધારણને પાછું અમલમાં લાવવાની યોજના કરી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












