You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલમાં જમીન પર 'વી લવ ઇન્ડિયા' અને આકાશમાં ભારતનાં યુદ્ધવિમાનો
ભારતના વિદશમંત્રી એસ. જયશંકર ઇઝરાયલના પ્રવાસે છે અને તેમની સાથેની મુલાકાતમાં ઇઝરાયલના વડા પ્રધાન બૅનેટ નેફ્ટાલી કહ્યું કે અમે ભારતને પ્રેમ કરીએ છીએ. અમે ભારતને એક મહત્ત્વનો દોસ્ત ગણીએ છીએ અને આ સંબંધનો તમામ ક્ષેત્રમાં વિસ્તાર કરવા માગીએ છીએ.
વિદેશ મંત્રી એસ. જયશંકરે નેફટાલીના આવકાર સામે એમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભારત આવવાનું આમંત્રણ આપ્યું અને કહ્યું કે બેઉ દેશોનાં સંબંધ મહત્ત્વના પડાવ પર છે અને તમામ સંભાવનાઓ વચ્ચે પડકાર એ પણ છે કે સંબંધોને નવી ઊંચાઈ પર કેવી રીતે લઈ જવા.
ઉલ્લેખનીય છે કે ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજનૈતિક સંબંધનો ઇતિહાસ ખૂબ લાંબો નથી. ભારતે ઇઝરાયલને એક દેશ તરીકે તરત માન્યતા નહોતી આપી અને ભારત ઇઝરાયલ બનવાની વિરુદ્ધ હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ઇઝરાયલની વિરોધમાં મત આપ્યો હતો.
વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇનસ્ટાઇને વડા પ્રધાન નહેરુને પત્ર લખી વિનંતી કરી હતી જેને નહેરુએ નકારી કાઢી હતી. ભારતે 17 સપ્ટેમ્બર 1950ના રોજ ઇઝરાયલને માન્યતા આપી હતી અને 1952માં એ વખતના વિદેશ સચિવ જે. એન. દીક્ષિતે ઇઝરાયલ સાથે રાજકીય સંબંધો કાયમ કરવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ ઇઝરાયલમાં 'બ્લૂ ફ્લૅગ 2021' નામની બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ કવાયત ચાલી રહી છે. આ કથિત રીતે ઇઝરાયલનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈઅભ્યાસ છે.
ઇઝરાયલના વાયુદળના કહેવા પ્રમાણે, અલગ-અલગ દેશો સાથેના સંબંધ મજબૂત કરવા માટે આ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવે છે.
ઇઝરાયલના આકાશમાં ઇન્ડિયન ઍરફોર્સ
ઇઝરાયલ સહિત આઠ દેશનાં વાયુદળોનો આ સૈન્ય અભ્યાસ તા. 28મી ઑક્ટોબર સુધી ચાલુ રહેશે. આ કવાયતમાં ભારત, અમેરિકા, જર્મની, ઇટાલી, બ્રિટેન, ફ્રાન્સ તથા ગ્રીસની ટુકડીઓ પણ ભાગ લઈ રહી છે.
પાંચદિવસીય ઇઝરાયલ પ્રવાસ ઉપર પહોંચેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે મંગળવારે ઓવ્ડા ઍરબેઝ ખાતે આ કવાયતને નિહાળી હતી તથા ભારતીય વાયુદળની ટુકડી સાથે ફોટોગ્રાફ પણ પડાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસ. જયશંકરે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપતા લખ્યું, 'ભારતીય તથા ઇઝરાયલના વાયુદળ વચ્ચે પરસ્પર સન્માન તથા કૅમિસ્ટ્રી જોઈને આનંદ થયો. સંરક્ષણ તથા સુરક્ષા આપણા સંબંધના મુખ્ય સ્તંભ છે.'
ભારત ખાતે ઇઝરાયલના રાજદૂત નૌર ગિલોને પણ ટ્વીટ કરીને ભારતીય વિદેશમંત્રી દ્વારા ઇઝરાયલી ઍરબેઝની મુલાકાત વિશે માહિતી આપવામાં આવી હતી.
અત્યારસુધીનો સૌથી મોટો વાયુસેના અભ્યાસ
ઇઝરાયલનું કહેવું છે કે આ તેનો અત્યારસુધીનો સૌથી મોટો વાયુસેના અભ્યાસ છે. ઇઝરાયલી અખબાર 'હારેત્જ'ના રિપોર્ટ મુજબ, 2017માં ઇઝરાયલી વાયુદળના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે દર બે વર્ષે યોજાતો આ અભ્યાસ 'હવાઈ કૂટનીતિ' છે જે સાર્વજનિકસ્તરે નિર્દિષ્ટ કરે છે કે અનેક દેશો આરબ રાષ્ટ્રોની ચિંતા તથા પેલેસ્ટાઇન જેવા રાજકીય મુદ્દાને કોરાણે મૂકીને ઇઝરાયલ સાથે વ્યૂહાત્મક ભાગીદારી ઇચ્છે છે.
ઇઝરાયલના વાયુદળનું કહેવું છે કે આ પ્રકારના સૈન્ય અભ્યાસ અન્ય વાયુદળોની સાથે તેની ક્ષમતામાં પણ વધારો કરે છે. કવાયત દરમિયાન હવાથી હવામાં તથા હવામાંથી જમીન પર પ્રહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
આ સિવાય આ પ્રકારના અભ્યાસોમાં દુશ્મનદેશની ઍર ડિફેન્સ સિસ્ટમથી બચવા જેવા અલગ-અલગ અભ્યાસોનો સમાવેશ થાય છે.
ઇઝરાયલના ઍરફોર્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 'ઇઝરાયલની સ્થાપના બાદ પહેલી વખત બ્રિટિશ ફાઇટર પ્લેનની સ્ક્વૉડ્રન આવી છે. આ સાથે જ પહેલી વખત ભારતીય વાયુદળના મિરાજ ફાઇટર પ્લેન ઇઝરાયલમાં છે. ફ્રાન્સના વાયુદળના રફાલ વિમાનની સ્ક્વૉડ્રન પણ પહેલી વખત આવી છે.'
ઇઝરાયલ માટે કવાયતનું મહત્ત્વ
ઇઝરાયલના વાયુદળના નિવેદનમાં મેજર જનરલ અમિકમ નૉર્કિને કહ્યું હતું કે વ્યૂહાત્મક દૃષ્ટિએ આ સૈન્ય કવાયત ખૂબ જ મહત્ત્વૂપર્ણ છે. તેમણે કહ્યું, "અમે ખૂબ જ જટિલ ક્ષેત્રમાં રહીએ છીએ. ઇઝરાયલ ઉપર ગાઝાપટ્ટી, લેબનોન, સીરિયા તથા ઈરાન તરફથી જોખમ સતત વધી રહ્યું છે."
"આવી વાસ્તવિક સ્થિતિમાં એક આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસનું આયોજન તથા તમામ મોરચે અમારી પરિચાલનની પ્રવૃત્તિઓ યથાવત્ રહેવાનું કૂટનૈતિક મહત્ત્વ છે. તે ઇઝરાયલના વાયુદળ ઉપર ઇઝરાયલના સુરક્ષાબળ તથા રાષ્ટ્ર તરીકે ઇઝરાયલની ઉપર વ્યાપક પ્રભાવ પાડશે."
મેજર જનરલ નૉર્કિનના કહેવા પ્રમાણે, હાલનો યુદ્ધાભ્યાસ પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય સહકારની દિશામાં મોટું પગલું છે. તેમણે કહ્યું, "આ અભ્યાસ ટેકનૉલૉજી, ટ્રેનિંગની ગુણવત્તા તથા ભાગ લેનારા સભ્યોની સંખ્યાની દૃષ્ટિએ અભૂતપૂર્વ છે. તે તમામ રાષ્ટ્રોના વાયુદળોની વચ્ચે મજબૂત ભાગીદારી તથા સંબંધ દેખાડે છે."
ઇઝરાયલ અને જર્મન નિકટતા
રવિવારે આ અભ્યાસના પ્રથમ દિવસે નૉર્કિનના જર્મન સમકક્ષ લેફટનન્ટ જનરલ ઇંગો ગેરહાર્ટ્સે સાથે મળીને જેરુસલેમ ઉપરથી પસાર થયેલા ઇઝરાયલી-જર્મન વિમાનોનું નેતૃત્વ કર્યું હતું.
બંને અધિકારીઓ નાઝી હત્યાકાંડના સ્મારક વાશેમ હૉલોકાસ્ટ મૅમોરિયલ સેન્ટર પણ ગયા હતા, જ્યાં તેમણે નાઝી અત્યાચારોનો ભોગ બનેલાઓની સ્મૃતિમાં મીણબત્તીઓ સળગાવી હતી.
મેજર જનરલ નાર્કિને એફ-15 વિમાન ઉડાવ્યું હતું, જ્યારે ગેરહાર્ટ્સે યુરોફાઇટર 'ઇગલ સ્ટાર' ઉડાવ્યું હતું, જેની ઉપર ઇઝરાયલ તથા જર્મનીના ઝંડા હતા. મંગળવારે ઇઝરાયલના સુરક્ષાબળોના વડા અવિવ કોચાવીએ ગેરહાર્ટ્સને 'મેડલ ઑફ ઍપ્રિશિયેશન'થી સન્માનિત કર્યા હતા.
ઇઝરાયલ તથા જર્મનીના સુરક્ષાબળોની વચ્ચે નિકટતા વધારવા માટે પ્રયાસ કરવા બદલ તેમને આ પદક આપવામાં આવ્યું હતું.
ઇઝરાયલ ખાતે જર્મનીના રાજદૂત સુજૈન વાસુમ-ગાઇનરે મેજર જનરલ નૉર્કિનને જર્મનીના સૌથી મોટા રાષ્ટ્રીય પુરસ્કાર 'ઑર્ડર ઑફ મૅરિટ ઑફ ધ ફેડરલ રિપબ્લિક ઑફ જર્મની'થી સન્માનિત કર્યા હતા.
એક સમારંભ દરમિયાન વાસુમ-ગાઇનરે કહ્યું, 'ઇઝરાયલ તથા જર્મનીના વિમાન સાથે મળીને હાલના સમયના સૌથી મોટા પડકારોને પહોંચી વળવા માટે તૈયારી કરી રહ્યા છે.'
"ગત વર્ષે ઇઝરાયલના વિમાનોએ જર્મનીના વાયુદળના સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો હતો, જે એક અર્થપૂર્ણ પગલું હતું. જે આપણા સૈનિકોની વચ્ચે વધતા વ્યવસાયિક તથા મૈત્રીપૂર્ણ સંબંધ દેખાડે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો