You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : ટૂથબ્રશ ગંધ સૂંઘીને કઈ રીતે જણાવી દેશે કે કોઈને કૅન્સર છે?
- લેેખક, પીટર બૉલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
જાહેર સ્થળોને સુગંધીદાર રાખવા માટે આપણે અત્તર અને ડિયોડરન્ટ લગાવીએ છીએ. વળી હોઈ શકે કે આ સુગંધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના વપરાશથી ક્રાંતિકારી રીતે બદલનારા સૌથી નવાં તત્ત્વ હોય.
સુગંધના નવા વલણની ઓળખ માટે અને ઉત્પાદનોને પહેલાં કરતા વધુ ઝડપથી તૈયાર કરવા માટે હવે બિગ ડેટા અને સુપર-ફાસ્ટ કમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે.
એઆઈના વપરાશથી હવે એવી તકનીકનો વિકાસ થઈ રહ્યો છે કે એક દિવસ બીમારીને તેના શરૂઆતી દિવસોમાં જ સૂંઘી શકાય છે, જેથી આપણને સ્વસ્થ રહેવા અને લાંબો સમય સુધી જીવવામાં મદદ મળે.
આ લેખમાં બતાવાયું છે કે કઈ રીતે એઆઈ આજે આપણી દુનિયાને પ્રભાવિત કરી રહ્યું છે. ભલે આપણા અત્તરના વપરાશની વાત હોય કે બીમારીના ઇલાજની વાત હોય.
સમસ્યાઓને સૂંઘવી
ફ્રાન્સની ટેકનોલૉજી સ્ટાર્ટ-અપ 'અરિબાલ' ગંધનું વિશ્લેષણ કરે છે. તે એ જાણવાની કોશિશ કરે છે કે કોઈ ગંધ કેવી રીતે આપણા જીવનને અસર કરે છે અને આપણા સ્વાસ્થ્ય વિશે આપણને શું જાણકારી આપી શકે છે.
જોકે ગંધોને સૂંઘવી ઘણી મુશ્કેલ છે. પ્રકાશ અથવા ધ્વનિના ખાસ પ્રકારના તરંગોની લંબાઈ હોય છે, પરંતુ ગંધ માપવા માટે અને આંકવાની કોઈ સરળ રીત નથી.
તેના માટે અરિબાલ સિલિકૉન ચિપ્સ પર લાગેલા પ્રોટિનના ટુકડાનો ઉપયોગ અણુઓને સૂંઘવા માટે કરે છે. તેમાં ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ જેવા કેટલાક ગૅસની ગંધની ઉપેક્ષા કરવામાં આવે છે, કેમ કે આપણું નાક તેને સૂંઘી નથી શકતું.
કંપનીના સીઈઓ સૈમ ગિલૌમ કહે છે, "કેમ કે આપણે ગંધને વૈજ્ઞાનિક રીતે નથી કહી શકતા, આથી આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સની જરૂર છે. આ માટે માત્ર એક જ વસ્તુ કરવાની છે કે આપણે મશીનને શીખવાડવાનું છે કે આ પનીર છે, આ સ્ટ્રોબેરી છે, આ રાપ્સબેરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટેકનોલૉજીનો ઉપયોગ જે જગ્યાઓ પર આપણે કરીએ છીએ, તેની નિગરાની માટે તે હોઈ શકે છે. તેનાથી વ્યસ્ત જગ્યાઓને વધુ સારી રાખવામાં મદદ મળશે. હવે લોકો મહામારીથી બચવા માટે પણ જાગૃત થઈ રહ્યા છે.
ગંધની જાણકારી મળવાથી આપણા જીવન પ્રભાવિત થઈ શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે ગંધની પરખ કરીને કેટલીક બીમારીઓ વિશે જાણી શક્યા છે.
ગત વર્ષે ફિનલૅન્ડની રાજધાની હેલસિંકીના ઍરપૉર્ટ પર કોરોના સંક્રમિતોની ઓળખ માટે કૂતરાં લવાયાં હતાં. કૂતરાં સૂંઘીને એ જણાવતા કે ભીડમાંથી કોઈ સંક્રમિત છે કે નહીં.
આ અવધારણાથી એવા ઉત્પાદોનો વિકાસ થઈ શકે છે, જે કોઈ રોગનાં શરૂઆતી લક્ષણોની તપાસ કરીને આપણા સ્વાસ્થ્યની દેખરેખ કરી શકે.
ગિલૌમ કહે છે, "એક દિવસ એવો આવશે કે મારા બ્રશમાં લાગેલું સૂંઘનારું સેન્સર મારા સ્વાસ્થ્યનું આકલન કરી શકશે. સેન્સર કહે છે કે મને મધુમેહ અથવા કૅન્સરનાં લક્ષણ દેખાઈ રહ્યાં છે.”
આવું થવા પર કોઈ ગંભીર લક્ષણ સ્પષ્ટ થવાથી વેળાસર કોઈ બીમારી વિશે જાણી શકાય છે અને તેની સારવારની સંભાવનાઓમાં વ્યાપક સુધારો કરશે.
ગિલૌમ કહે છે, "એઆઈ સંચાલિત સ્માર્ટ ઉપકરણ જેવા 'ડાયગ્નોસ્ટિક ટૂથબ્રશ' આવવાની તૈયારીમાં છે. હવે સવાલ 'જો આવશે તો'નો નથી પણ 'ક્યારે આવશે' એનો છે."
ગંધનું વિજ્ઞાન
નવી સુગંધના વિકાસ માટે પણ એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે.
મારિયા નિરિસ્લામોવા કહે છે, "હું ચાર વર્ષની ઉંમરથી જ પરફ્યૂમની શોખીન છું. હું મારાં માતાનું પરફ્યૂમ ચોરી લેતી અને તેમને ખબર પણ પડી જતી."
પરફ્યૂમના એ શરૂઆતી પ્રેમે નિરિસ્લામોવાને અમેરિકામાં 'સેન્ટબર્ડઠ નામના સ્ટાર્ટઅપની સહ-સ્થાપના કરવા પ્રેરિત કરી. આ સ્ટાર્ટઅપ પોતાના ગ્રાહકોને દર મહિને સારી ગુણવત્તાવાળા પરફ્યૂમ મોકલે છે.
તેઓ આગળ કહે છે, "પરંતુ ટેકનોલૉજી મારું બીજું ઝનૂન છે."
કંપનીએ જ્યારે મહિલા અને પુરુષો માટે એક જ અત્તરને લૉન્ચ કરવાનો નિર્ણય કર્યો, તો તેમણે પોતાના 3 લાખ ગ્રાહકોના રિવ્યૂનું વિશ્લેષણ કરવા માટે એઆઈનો ઉપયોગ કર્યો.
તેમણે જણાવ્યું, "અમારે એક સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી હતો, કેમ કે મોટાં ભાગનાં અત્તર એવાં છે, જે એક જેન્ડરને પસંદ હોય છે, પરંતુ બીજા જેન્ડરના લોકો તેને સહન કરતા હોય છે."
તેઓ કહે છે, "જેન્ડર નિરપેક્ષ સુગંધોને શોધવું મુશ્કેલ છે."
જોકે તેમના રિસર્ચે આવી 12 સુગંધોની ઓળખ કરી લીધી છે, જે દરેક જેન્ડરને સમાનરૂપે પસંદ આવે અને ત્યારબાદ તેમની કંપનીએ 'કન્ફૅશન ઑફ એ રિબેલ' બ્રાન્ડને લૉન્ચ કરી. આ તેમના સૌથી વધુ વેચાતા અત્તરમાંથી ટોચના ત્રણ ટકામાં સામેલ છે.
તેઓ કહે છે, "હું આને મારી જીત કહું છું. એટલા માટે કે કન્ફૅશન ઑફ અ રિબેલ, ગુચ્ચી અથવા વર્સાચેની જેમ માન્યતાપ્રાપ્ત બ્રાન્ડ નથી. છતાં તેને મોટી સફળતા મળી. હું તેનું શ્રેય તેને તૈયાર કરવામાં મદદરૂપ થનાર ડેટાને આપું છું."
સેન્ટબર્ડ સુગંધના વધુ વિકાસ માટે પણ રિસર્ચ કરી રહી છે. આ વર્ષે નવા બે પ્રોડક્ટ તેમાં જોડવામાં આવ્યા છે.
પરંતુ આપણા સૂંઘવાની રીતને બદલવા માટે એઆઈનો ઉપયોગ કરનારો તે એકમાત્ર વ્યવસાય નથી.
ભાવનાત્મક પ્રભાવ
ઇન્ટરનેશનલ ફ્લેવર ઍન્ડ ફ્રૅગ્નસ (આઈએફએફ) પણ પરફ્યૂમના વિકાસ માટે એઆઈનો ઉપયોગ કરે છે.
જોકે તમને દુકાનોમાં મલ્ટિનેશનલ કંપનીઓનું નામ નહીં દેખાય. આ કંપનીઓ અરમાની, કેલ્વિન ક્લેન અને ગિવેંચી જેવાં મુખ્ય નામો પાછળ છુપાઈને પરફ્યૂમનો વિકાસ કરે છે.
આઈએફએફ પાસે પરફ્યૂમ બનાવવાનો એક સદી લાંબો અનુભવ છે. પછી પણ માત્ર 60થી 80 વસ્તુઓનો ઉપયોગ કરીને લગભગ 2000ની આસપાસ પરફ્યૂમ બનાવવામાં આવે છે. વાસ્તવમાં એઆઈ રચનાત્મક પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે.
આઈએફએફના સેન્ટ ડિવિઝનમાં ઇનોવેશન મામલોના વૈશ્વિક પ્રમુખ વાલેરી ક્લાઉડ કહે છે, "એઆઈ એક ઉપકરણ છે. આ ગૂગલ મૅપની જેમ પરફ્યૂમ બનાવનારને જટિલતાથી બચાવે છે. આથી તે પોતાના કૌશલ પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે."
આઈએફઆઈનું કામ પરફ્યૂમ બનાવવાથી રોજિંદા જીવનની વસ્તુઓ બનાવવા સુધીનું છે. આ કંપની વૉશિંગ પાઉડર, ફૅબ્રિક સૉફ્ટનર, શેમ્પૂ વગેરે પણ બનાવે છે. તેણે કોરોના સમયની જરૂરી સામગ્રી પણ બનાવી છે.
ક્લાઉડ કહે છે, "મામલો 'ક્લીન ઍન્ડ ફ્રૅશ'થી આગળ વધી ગયો છે. હવે લોકો વધુ સારસંભાળ અને સુરક્ષા ઇચ્છે છે. તેઓ સારસંભાળ મામલે સહજ અનુભવ કરવા માગે છે."
કંપની લોકોના મૂડ અને ધારણાઓને ધ્યાનમાં રાખીને પરફ્યૂમનો વિકાસ કરી રહી છે. તેના એક કાર્યક્રમનો ઉદ્દેશ્ય એઆઈ તકનીકનો ઉપયોગ કરીને એવી સુગંધી વસ્તુઓનો વિકાસ કરવાનો છે, જે લોકોને ખુશી, આરામ અને આત્મસન્માન આપી શકે.
તેમનું એક રિસર્ચ ન્યૂરોલૉજિકલ સમસ્યાવાળા લોકોની મદદ માટે પણ કામ કરી રહ્યું છે.
વાલેરી કહે છે, "જો તમે અલ્ઝાઇમર વિશે વિચારો તો અમે જાણીએ છીએ કે ઉત્તેજના અને સુગંધની તેમાં સકારાત્મક ભૂમિકા હોઈ શકે છે. તેનાથી ઇલાજ ન થાય, પણ મસ્તિષ્કને ઉત્તેજિત કરીને તેનો પ્રભાવ જરૂર ઓછો થઈ શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો