UNSC : ભારતને સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ મળવું શું પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે?

ભારતે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળી લીધી છે. ભારતને આ જવાબદારી ઑગસ્ટ મહિના સુધી મળી છે.

ભારતે કહ્યું કે આ ભૂમિકામાં ત્રણ ક્ષેત્રોને મહત્ત્વપૂર્ણ રીતે જોશે- સાગરસુરક્ષા, શાંતિપ્રક્રિયા અને આતંકવાદ વિરુદ્ધ લડાઈ.

ભારત અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું બે વર્ષ માટે અસ્થાયી સભ્ય છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી સભ્યો છે- અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ.

સ્થાયી સભ્યો પાસે વીટો પાવર છે. એટલે પાંચ સ્થાયી સભ્યોમાંથી ચાર સભ્યો કોઈ ઠરાવ પસાર કરવા માગે પરંતુ કોઈ એક સભ્ય ન ઇચ્છે તો તે વીટો વાપરી શકે છે અને એ ઠરાવ પાસ નહીં થાય.

જ્યારે 10 અસ્થાયી સભ્યો પાસે આ અધિકાર નથી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા દર મહિના બદલાય છે અને આ અંગ્રેજીના અક્ષરોના ક્રમના આધારે નક્કી થાય છે. એ પ્રમાણે ફ્રાન્સ પછી ભારતનો વારો આવ્યો છે.

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા ત્યારે મળી છે જ્યારે અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકો પાછા જઈ રહ્યા છે અને તાલિબાન મજબૂત બની રહ્યું છે.

બીજી તરફ પાંચ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થવાને બે વર્ષ પૂરાં થવાં જઈ રહ્યા છે.

પાકિસ્તાન માટે આ બંને મુદ્દા મહત્ત્વના છે. એવામાં સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતાને લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.

છેલ્લાં બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ત્રણ વાર ચર્ચા થઈ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હાફીઝ ચૌધરીએ શનિવારે કહ્યું કે, "હું આશા રાખું છું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક મહિનાની અધ્યક્ષતામાં નિષ્પક્ષ થઈને કામ કરશે. અમને આશા છે કે ભારત નિયમો મુજબ કામ કરશે."

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ ભારતને યુએનએસસીની અધ્યક્ષતા મળવા વિશે કહ્યું કે "આ મોટું સન્માન છે. ઑગસ્ટ મહિનામાં યુએનએસસીની અધ્યક્ષતા અમારી પાસે છે અને આ મહિને અમે 75મી વર્ષગાંઠ પણ ઉજવવા જઈ રહ્યા છીએ. ભારત ઑગસ્ટ મહિનામાં અનેક મહત્ત્વની બેઠકોનો નિર્ણય કરશે."

ગત મહિને 27 જુલાઈએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ટીએસ તિરુમૂર્તિએ પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું.

વિદેશમંત્રી એસ. જયશંકરે આ સમયે ટ્વીટ કરીને કહ્યું, "ભારત હંમેશાં ધૈર્યનો અવાજ, સંવાદનું હિમાયતી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સમર્થક" રહેશે.

"સાગરસુરક્ષા, શાંતિસ્થાપન અને આતંકવાદવિરોધી મુદ્દાઓ પર બેઠકો સહિત ભારત શાંતિસૈનિકોની યાદમાં એક કાર્યક્રમનું પણ આયોજન કરશે."

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરીને કહ્યું, "ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે ત્યારે ભારતના વડા પ્રધાન કાઉન્સિંલ વર્ચ્યુઅલ બેઠકની પહેલી વાર 9 ઑગસ્ટે અધ્યક્ષતા કરી શકે છે."

ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુદાશેવે લખ્યું, "ભારતના એજન્ડાથી બહુ પ્રભાવિત છું. તેમાં સાગરસુરક્ષા, શાંતિસ્થાપન અને આતંકવાદવિરોધી લડાઈ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓને સામેલ કરાયા છે."

તો ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમૈનુએલે ટ્વીટ કર્યું, "ખુશી છે કે ભારત ફ્રાન્સ પાસેથી યુએનએસસીની અધ્યક્ષતા લઈ રહ્યું છે. અમે ભારત સાથે સાગરસુરક્ષા, શાંતિસ્થાપન અને આતંકવાદનો મુકાબલો કરવા જેવા રણનીતિક મુદ્દાઓ પર કામ કરવા અને હાલના અનેક સંકટોનો સામનો કરવા માટે એક નિયમ-આધારિત, બહુપક્ષીય પ્રણાલીને બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ."

ભારતની અધ્યક્ષતાનો પહેલો દિવસ સોમવારે બીજી ઑગસ્ટે છે. તિરુમૂર્તિ આ મહિના માટે પરિષદનાં કામકાજને લઈને સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં એક હાઇબ્રિડ પ્રેસ-કૉન્ફરન્સ કરશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રનાં છ મુખ્ય અંગોમાંની એક છે, જેના પર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરમાં કોઈ પણ બદલાવને મંજૂરી આપવાની જવાબદારી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો