You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુએઝ નહેર બ્લૉક કરનાર એવર ગિવન જહાજ જપ્ત, અધધ 6 હજાર 763 કરોડ રૂપિયા વળતરનો દાવો
ઇજિપ્તે ગત મહિને સુએઝ કૅનાલે બ્લૉક કરનાર જહાજને જપ્ત કરી લીધું છે અને જાપાનીઝ માલિક પાસેથી 90 કરોડ ડૉલર (અંદાજે રૂ. 6 હજાર 763 કરોડ રૂપિયા)ના વળતરની માગણી કરી છે.
ઍવર ગિવનની વીમા કંપનીના કહેવા પ્રમાણે 'પ્રતિષ્ઠાને નુકસાન' તથા 'સૅલ્વાજ બૉનસ' પેટે જે રકમની માગણી કરવામાં આવી છે તે 'ખૂબ જ વધુ' અને 'મહદંશે આધાર વગરની' છે.
કૅનાલની વચ્ચે આવેલા ગ્રેટ બિટર લેક ખાતે જહાજને અટકાવી દેવામાં આવ્યું છે. જહાજ ઉપર રહેલા 25 ભારતીય કર્મચારીઓને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તા. 23મી માર્ચના દિવસે જહાજ કૅનાલની વચ્ચે ત્રાસું થઈ જતાં ફસાઈ ગયું હતું, જેના કારણે જહાજોનું પરિવહન અટકી પડ્યું હતું.
ભારે પ્રયાસોને અંતે પાંચ દિવસ બાદ જહાજને સીધું કરી શકાયું હતું. ત્યારપછી પણ યુરોપ અને એશિયા વચ્ચેનું દરિયાઈ પરિવહન સામાન્ય થવામાં દિવસો નીકળી ગયા હતા.
ફસાયું, નીકળ્યું અને 'ફસાયું'
મહાકાય જહાજોને કાઢવા માટે ખાસ ટીમ, એસએમઆઈટીએ 13 ટગ બોટની વ્યવસ્થા કરી. ટગ એક નાની પરંતુ ખૂબ શક્તિશાળી બોટ હોય છે, જે મોટાં જહાજોને ખેંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.
ભારે હવા અને રેતીના તોફાન વચ્ચે ફસાયેલા બે લાખ ટન વજનના મહાકાય જહાજને કાઢવું બચાવ ટીમો માટે ખૂબ પડકારજનક હતું.
30મી માર્ચે ટગ બોટ્સ અને ડ્રેઝરની મદદથી 400 મીટર (1,312 ફૂટ) લાંબા જહાજ એવર ગિવનને કાઢવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડ્રેઝરોએ જહાજના આગળના ભાગની નીચેથી 30 હજાર ક્યૂબિક મીટર માટી અને રેત ખોદીને કાઢી.
પરંતુ તેનાથી ખાસ લાભ ન થયો એટલે જહાજનો ભાર હળવો કરવા માટે અમુક સામાન ઉતારી લેવાનું નક્કી કરવામાં આવ્યુ. એક તબક્કે આશંકા હતી કે જહાજ ઉપર લાદવામાં આવેલા આશરે 18 હજાર કન્ટેનર ઉતારવા પડી શકે છે.
જોકે, ઊંચી લહેરોએ ટગબોટ અને ડ્રેઝરો માટે મદદરૂપ સાબિત થઈ અને પહેલાં જહાજનો પાછળનો ભાગ કાઢવામાં આવ્યો. પછી ત્રાંસાં ફસાયેલા આ જહાજને સીધું કરવાની કવાયત શરૂ થઈ.
કેટલાક કલાકની જહેમત બાદ જહાજનો આગળનો હિસ્સો પણ મુક્ત થયો અને એવર ગિવન તરવાની સ્થિતિમાં પરત આવી ગયું. એ પછી જહાજને ખેંચીને ગ્રેટ બિટર લેક લઈ જવામાં આવ્યું અને અત્યારે પણ ત્યાં જ છે.
અગાઉ શિપિંગ સમૂહ મર્સ્કે કહ્યું હતું, "સ્પષ્ટ રીતે આની તપાસ થશે, કારણ કે આની ખૂબ મોટી અસર થઈ છે. મને લાગે છે કે ત્યાં ખરેખર થયું શું હતું એના પર લાંબો સમય ચર્ચા થશે."
"ફરી આવું ન થાય તે માટે આપણે શું કરી શકીએ એ પણ તંત્રે જોવું પડશે. જહાજો વિના કોઈ રોક નહેરથી નીકળતાં રહે એ એમના પણ હિતમાં છે."
વળતર, વાંધો અને વાટાઘાટ
ઇજિપ્તના સ્થાનિક મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, સુએઝ નહેર પ્રાધિકરણના ચૅરમૅન ઓસામા રબીનું કહેવું છે કે, "90 કરોડ ડૉલરનું વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેતા તેને અટકાવવામાં આવ્યું છે."
આ આંકડામાં જહાજ અટવાઈ જવાને કારણે થયેલા નુકસાન ઉપરાંત તેને ફરીથી તરતું કરવા તથા જાળવણી પાછળના ખર્ચનો પણ સમાવેશ થાય છે.
એવર ગિવનના માલિકો વતી 'થર્ડ-પાર્ટી કેસ અને દાવા' બાબતે વીમા કંપની 'યુકે કલબ'ના કહેવા પ્રમાણે, 'પ્રતિષ્ઠાને નુકસાન' પેટે 30 કરોડ ડૉલર (રૂ. બે હજાર 255 કરોડ) તથા 'સૅલ્વાજ બૉનસ' પેટે 30 કરોડ ડૉલરની માગણી કરવામાં આવી છે, જે ખૂબ જ વધુ છે.
આમ છતાં યુકે ક્લબ દ્વારા દાવાની પતાવટ માટે સુએઝ પ્રાધિકરણને ઓફર આપવામાં આવી હતી, જે ન સ્વીકારીને વળતર ન ચૂકવાય ત્યાર સુધી જહાજને જપ્ત રાખવાનો એસસીએનો નિર્ણય કમનસીબ છે.
આ મુદ્દે પ્રાધિકરણ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અને જહાજના સભ્યોને બહાર નહીં જવા દેવાની વાત હતાશ કરનારી છે.
વીમાકંપનીના કહેવા પ્રમાણે, ફરી તરતું કરવા માટે જે કંપની રોકવામાં આવી હતી, તેની રકમ વીમાકંપનીઓ અને જહાજના માલિકોએ ભોગવવી પડશે.
એવર ગિવનની માલિકી ધરાવતી જાપાનીઝ કંપનીએ સ્વીકાર્યું છે કે જહાજ કાયદાકીય બાબતમાં અટવાયું છે.
જહાજ ઉપર 25 ભારતીય ક્રૂ મૅમ્બર સવાર છે, જેઓ જહાજ ફસાવાના કારણ જાળવા માટે નિમાયેલા ઇજિપ્તના તપાસનીશ અધિકારીઓને જહાજના ડેટા રેકોર્ડર ઉપરાંત જરૂરી સામગ્રી અને ડેટા આપવામાં સહકાર આપી રહ્યા છે.
એવર ગિવનના ટેકનિકલ મૅનેજરના કહેવા પ્રમાણે, જહાજના કર્મચારીઓનું આરોગ્ય સારું છે અને તેમનું મનોબળ ઊંચું છે.
સુએઝ નહેરનું મહત્ત્વ
સુએઝ નહેર ઇજિપ્તની 193 કિલોમિટરની નૌગમ્ય નહેર છે જે ભૂમધ્યસાગરને રાતા સમુદ્ર સાથે જોડે છે, આ એશિયા અને યુરોપની વચ્ચે સૌથી ટૂંકી સમુદ્રી લિંક છે.
એશિયા અને યુરોપ વચ્ચેનો આ સૌથી ટૂંકો સમુદ્રી માર્ગ છે. ત્રણ વિશાળ કુદરતી સરોવરો વચ્ચે થઈને આ નહેર પસાર થાય છે.
આ સરોવરોમાં ધ બિટર લેકનો પણ સમાવેશ થાય છે. જ્યારે એવર ગિવનને કારણે કેનાલ બ્લૉક થઈ, ત્યારે અનેક જહાજોએ 'કૅપ ઑઉ ગુડ હૉપ'ના રસ્તે પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો, જેથી કરીને જામમાં અટવાઈ ન જવાય.
અત્યારે એવર ગિવનને બિટર લેક ખાતે જ બાનમાં રાખવામાં આવ્યું છે.
1869માં આ નહેર ખૂલી તે પહેલાં જહાજોએ સમગ્ર આફ્રિકાનું ચક્કર મારીને કેપ ઑફ ગૂડ્સ હોપ થઈને જહાજો યુરોપથી એશિયા પહોંચતા હતા. સુએઝ બની તે પછી હવે યુરોપ અને એશિયા વચ્ચે જહાજો અહીંથી જ પસાર થાય છે.
વિશ્વ સમુદ્રી પરિવહન પરિષદના જણાવ્યા અનુસાર આ નહેર બની તે પછી યુરોપ અને એશિયા વચ્ચેનું સમુદ્રી અંતર 9,000 કિમી ઓછું થઈ ગયું. એટલે કે 43 ટકા અંતર ઓછું થયું.
રોજ 9.5 અબજના માલસામાનની હેરફેર
સુએઝ નહેરનું ભૌગોલિક સ્થાન અને મહત્ત્વને કારણે તેને 'ચોક પૉઇન્ટ' ગણવામાં આવે છે, કેમ કે ત્યાં આવનજાવન અટકે તો પુરવઠો અટકી પડે. તેને વિશ્વનો વ્યસ્ત અને આવશ્ય જળમાર્ગ માનવામાં આવે છે.
એવરગિવનને કારણે જ્યારે સુએઝ નહેરમાં પરિવહન અટકી ગયું, ત્યારે 400થી વધુ જહાજ ફસાઈ ગયા હતા.
અમેરિકાની ઍનર્જી એજન્સી સુએઝ નહેરને વિશ્વની ઊર્જા તથા બીજી જરૂરિયાતો માટે આવશ્યક માને છે.
એક અંદાજ અનુસાર સુએઝ નહેરમાંથી દર વર્ષે અંદાજે 19 હજાર જહાજો પસાર થાય છે, જેના પર 120 કરોડ ટન માલ લાદેલો હોય છે.
લૉઇડ્સ લિસ્ટના અનુમાન અનુસાર નહેરમાંથી રોજ 9.5 અબજ ડૉલરના મૂલ્યના માલસામાનની હેરફેર થાય છે. તેમાંથી પાંચ અબજ ડૉલરનો માલસામાન પશ્ચિમ તરફ જતો હોય છે, જ્યારે 4.5 અબજ ડૉલરનો માલસામાન પૂર્વ તરફ.
નહેરના કેટલાક ભાગને 2015માં આધુનિકીકરણના ભાગરૂપે પહોળો કરવામાં આવ્યો છે. આમ છતાં તેમાં મોટા જહાજો ચલાવવા મુશ્કેલ હોય છે. ભવિષ્યમાં આવી મુશ્કેલીઓ આવતી રહેશે તેને પણ નકારી શકાય નહીં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો