Pfizer : ભારતમાં ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગનારી રસી કેટલી અસરકારક?

કોરોના વાઇરસની સામે '90 ટકા અસરકારક' હોવાનો દાવો કરનારી ફાઇઝર રસીની ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગવામાં આવી છે.

સમચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર દવાનિર્માતા કંપની ફાઇઝરે ડગ્ર કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસેથી કોરોના વાઇરસ સામે ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગી માગી છે.

ફાઇઝરની રસીને બ્રિટન અને બહેરીનમાં આવી રીતે જ મંજૂરી મળ્યા બાદ ભારત સમક્ષ પણ વિનંતી કરવામાં આવી છે.

આ પહેલાં કંપની ભારતમાં રસીના વેચાણ માટે સરકાર સાથે ચર્ચા કરી રહી હોવાના અહેવાલો આવ્યા હતા.

'મિન્ટ'ના અહેવાલ મુજબ ફાઇઝરના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની માને છે કે આ રસી ભારતના રસીકરણ કાર્યક્રમના શરૂઆતના તબક્કાનો અગત્યનો ભાગ બની શકે છે.

પ્રવક્તાએ કહ્યું હતું, "અમે ભારત સરકાર સાથે દેશમાં રસી ઉપલબ્ધ કરાવવા માટેની વાતચીતને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ."

પ્રવક્તાના જણાવ્યા અનુસાર કંપની 2020 સુધીમાં રસીના પાંચ કરોડ ડોઝ અને 2021 સુધીમાં 1.3 અબજ ડોઝ તૈયાર કરવાની આશા રાખે છે.

ફાઇઝર કોરોના વાઇરસની પહેલી અસરકારક વૅક્સિન માનવામાં આવે છે, જેણે 90% કરતાં વધારે લોકોને કોરોના વાઇરસથી રક્ષણ આપવાનો દાવો પ્રારંભિક વિશ્લેષણના આધારે કર્યો હતો.

આ વૅક્સિનનું પરીક્ષણ છ દેશના 43,500 લોકો પર કરવામાં આવ્યું હતું અને હજી સુધી સુરક્ષાને લઈને કોઈ પ્રશ્ન ઊઠ્યો નથી.

આ પહેલાં ગત બુધવારે યૂકેમાં કોરોના વાઇરસ સામે ફાઇઝર-બાયૉએનટેક રસીને મંજૂરી અપાઈ હતી. આ સાથે કોરોનાની રસીને મોટાપાયે ઉપયોગ માટે મંજૂરી આપનારો પહેલો દેશ યૂકે બની ગયો હતો.

બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે આ રસી કોરોના વાઇરસ સામે 95% રક્ષણ આપે છે અને લોકોને આપવા માટે સુરક્ષિત છે.

બ્રિટન થોડા જ દિવસોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરી શકે છે. યુકેએ પહેલાંથી 40 મિલિયન ડોઝનો ઑર્ડર આપી દીધો છે, જેમાં 20 મિલિયન લોકોનું રસીકરણ થઈ શકે છે.

ફાઇઝર રસી પર બીબીસીના વિજ્ઞાન અને આરોગ્ય મામલાના સંવાદદાતા જેમ્સ ગૅલેઘરનું વિશ્લેષણ

કોરોના વાઇરસની પહેલી અસરકારક વૅક્સિન ફાઇઝરે 90%થી કરતાં વધારે લોકોને કોરોના વાઇરસથી રક્ષણ આપ્યું હોવાનું પ્રારંભિક વિશ્લેષણ બતાવે છે.

ઉત્પાદક ફાઇઝર અને બાયૉએનટેકે આને "વિજ્ઞાન અને માનવતા માટે મહાન દિવસ" ગણાવ્યો છે.

રસીને સારી સારવારની સાથોસાથ આપણા જીવન પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાંથી મુક્ત થવાના શ્રેષ્ઠ રસ્તા તરીકે જોવામાં આવી રહી છે.

પરીક્ષણના અંતિમ તબક્કામાં અંદાજે એક ડઝન જેટલી રસી છે પરંતુ ફાઇઝર ત્રીજા તબક્કાના પરીક્ષણમાં કોઈ પરિણામ દર્શાવનાર રસી બની હતી.

તે સંપૂર્ણપણે પ્રાયોગિક અભિગમનો ઉપયોગ કરે છે - જેમાં રોગપ્રતિકારકશક્તિને તૈયાર કરવા માટે - વાઇરસના આનુવંશિક કૉડના ભાગને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.

સાત દિવસ પછી 90% સંરક્ષણ

અગાઉના પરીક્ષણોમાં જોવા મળ્યું હતું કે વૅક્સિન બે ઍન્ટિબૉડીઝ બનાવવા માટે શરીરને તૈયાર કરે છે અને રોગપ્રતિકારકશક્તિનો બીજો ભાગ જેને ટી-કોષ તરીકે આપણે ઓળખીએ છીએ તેને કોરોના વાઇરસ સામે લડવા તૈયાર કરે છે.

અમેરિકા, જર્મની, બ્રાઝિલ, આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા અને તુર્કીમાં કરવામાં આવેલાં પરીક્ષણોમાં જાણવા મળ્યું કે બીજા ડોઝના સાત દિવસ પછી 90% સંરક્ષણ પ્રાપ્ત થાય છે.

ફાઇઝર માને છે કે તે આ વર્ષના અંત સુધીમાં 50 મિલિયન ડોઝ અને 2021ના અંત સુધીમાં આશરે 1.3 અબજ ડોઝ સપ્લાય કરી શકશે.

જોકે, અનેક તાર્કિક પડકાર છે, કારણ કે રસી અલ્ટ્રા-કૉલ્ડ સ્ટોરેજમાં માઇનસ 80 સેલ્સિયથી નીચે રાખવી પડે છે.

રોગપ્રતિકારકશક્તિ કેટલો સમય સુધી ટકશે તેને લઈને પણ પ્રશ્નો છે અને કંપનીઓએ વિવિધ વયજૂથોમાં રસીની અસરકારકતા વિશે કંઈ વાત કરી નથી.

ફાઇઝરના અધ્યક્ષ ડૉ. આલ્બર્ટ બૉરલાએ જણાવ્યું હતું કે, "આ વૈશ્વિક આરોગ્ય સંકટને સમાપ્ત કરવા અમે વિશ્વભરના લોકો માટે ખૂબ જ જરૂરી સફળતા મેળવી છે જે એક મહત્ત્વપૂર્ણ પગલું છે."

બાયૉએનટેકના સ્થાપકોમાંના એક, પ્રોફેસર ઉગુર સાહિને પરિણામોને "સીમાચિહ્નરૂપ" ગણાવ્યાં છે.

જાહેર કરાયેલો ડેટા અંતિમ વિશ્લેષણ નથી. આ પ્રથમ 94 સ્વયંસેવકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા તેના પર આધારિત છે - જ્યારે સંપૂર્ણ પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે રસીની ચોક્કસ અસરકારકતામાં ફેરફાર જોવા મળી શકે છે.

આ પહેલાં કંપનીએ કહ્યું હતું કે નવેમ્બરનાં ત્રીજાં અઠવાડિયાં સુધીમાં રૅગ્યુલેટર્સ સુધી લઈ જવા માટે તેમની પાસે સલામતીનો પૂરતો ડેટા હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો