કોરોના વાઇરસ લૉકડાઉન : આખરે આ સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાં સુધી કરવું પડશે?

    • લેેખક, અર્બીગૈલ બેલ
    • પદ, બીબીસી ફ્યૂચર

કોરોના વાઇરસ આખી દુનિયા માટે એકદમ નવો છે. એ ક્યાંથી આવ્યો, કેવી રીતે અટકાવાશે અને તેનો ઈલાજ શું છે તેની કોઈને કંઈ ખબર નથી.

અલબત, એક વાત સાચી સાબિત થઈ ચૂકી છે કે તેને સોશિયલ ડિસ્ટન્સિંગથી ફેલાતો રોકી શકાય છે.

જે દેશોએ કોરોના વાઇરસ પર અંકુશ મેળવ્યો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગને હથિયાર બનાવવામાં આવ્યું છે. ભારતમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું કહેવામાં આવી રહ્યું છે અને સરકારે એ કારણસર જ લૉકડાઉન કરવું પડ્યુ છે.

સવાલ એ છે કે આ સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાં સુધી ચાલશે?

ગત સદીની શરૂઆતમાં પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવી રહ્યો હતો ત્યારે એક વાઇરસે દુનિયા પર હુમલો કર્યો હતો.

એ વાઈરસે વિશ્વની 25 ટકા વસતીને પોતાના ભરડામાં લીધી હતી. એ રોગચાળાને આજે આપણે સ્પેનિશ ફ્લૂના નામે ઓળખીએ છીએ. એ રોગચાળાને લીધે પાંચથી દસ કરોડ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સ્પેનિશ ફ્લૂ

વર્ષ 1918માં આ રોગચાળા દરમિયાન જ અમેરિકાનાં અનેક શહેરો લિબર્ટી બૉન્ડ પરેડની તૈયારી કરી રહ્યાં હતાં.

એ પરેડ દ્વારા યુરોપના દેશોને યુદ્ધમાં મદદ કરવા માટે નાણાં એકઠા કરવામાં આવી રહ્યાં હતાં. આ રોગચાળો ફેલાયેલો હોવા છતાં ફિલાડેલ્ફિયા અને પેન્સિલ્વેનિયાના નગરપ્રમુખોએ પરેડ યોજવાનો નિર્ણય કર્યો હતો.

એ શહેરોમાં રહેતા 600 સૈનિકો સ્પેનિશ ફ્લૂ વાઇરસના ચેપથી પીડાતા હોવા છતાં ત્યાં પરેડ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બીજી તરફ સેન્ટ લુઈસ અને મિસોરી રાજ્યોએ તેમને ત્યાં યોજનારી પરેડ રદ્દ કરી હતી તથા લોકોને એકઠા થતાં અટકાવવાના હેતુસરનાં અન્ય પગલાં પણ લીધાં હતાં.

પરિણામ એ આવ્યું કે ફિલાડેલ્ફિયામાં એક મહિનામાં 10,000થી વધુ લોકો સ્પેનિશ ફ્લૂમાં સપડાઈને મૃત્યુ પામ્યા હતા, જ્યારે જે સેન્ટ લુઈસમાં લોકોને એકઠા થવાની પરવાનગી આપવામાં આવી ન હતી ત્યાં મૃતકોની સંખ્યા 700ની જ રહી હતી. એટલે કે સેન્ટ લુઈસમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે બચી ગયા હતા.

ઇતિહાસમાં અનેક ઉદાહરણો

ન્યૂઝીલેન્ડમાં રોગચાળા તથા ચેપી રોગોના નિષ્ણાત અરિંદમ બસુનું કહેવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનો અર્થ બે કે બેથી વધુ લોકોને વ્યક્તિગત રીતે એકમેકને મળતા રોકવાનો છે.

વાઈરસના ફેલાવામાં એ મોટા નડતરનું કામ કરે છે. કોવિડ-19નો પ્રસાર રોકવા માટે આખી દુનિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સહારો લેવામાં આવી રહ્યો છે.

ઈતિહાસમાં એવાં ઘણાં ઉદાહરણ જોવાં મળે છે. 1918માં અમેરિકાએ પણ તેનાં અનેક શહેરોમાં જાહેર સમારંભો પર પ્રતિબંધ લાદ્યો હતો. સ્કૂલ, કોલેજ, થિયેટર્સ, ચર્ચ બધું બંધ કરી દીધું હતું.

તેના બરાબર 100 વર્ષ પછી દુનિયા ફરીથી એ વખતમાંથી પસાર થઈ રહી છે, પણ આ સદીમાં દુનિયાની વસતીમાં, એ સદીની વસતીની સરખામણીએ છ અબજનો વધારો થયો છે.

કોવિડ-19 પણ સ્પેનિશ ફ્લૂ વાઇરસ જેવો નથી. વિજ્ઞાનીઓ માટે આ વાઇરસ પણ સંશોધનનો વિષય છે. હાલ તેને અંકુશમાં લેવાનો એકમાત્ર ઉપાય છે - સોશિયલ ડિસ્ટન્સિંગ. તેની મારફત જ કોવિડ-19ના ચેપની સાંકળને તોડી શકાય છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ

લગભગ બધા દેશો લોકોને ઘરમાં રહેવાની, લોકડાઉનની અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. તેનો એકમાત્ર હેતુ સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી અન્ય લોકોને રોકવાનો છે.

સૅલ્ફ આઈસોલેશન અને ક્વોરૅન્ટિન, સોશિયલ ડિસ્ટન્સિંગનાં જ અલગ-અલગ સ્વરૂપ છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનો આ દૌર થોડો વધુ સમય ચાલવાનો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અમેરિકામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ 2022 સુધી થતો રહે એવી શક્યતા છે. અલબત, આ રિપોર્ટનું પ્રકાશન કોઈ શૈક્ષણિક પત્રિકામાં થવું બાકી છે.

2022 સુધીમાં કોવિડ-19ની વૅક્સિન તથા દવા શોધી કાઢવામાં આવશે એવી આશા છે, પરંતુ ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને ક્વોરૅન્ટિનનું પાલન કરતું રહેવું પડશે.

મોસમના ચક્રની આ વાઈરસની થોડીઘણી અસર થતી હોય તો શક્ય છે કે આ વાઇરસ ચાલુ વર્ષના અંતમાં ફરી સક્રીય થાય.

કોવિડ-19નો ચેપ લાગ્યો હોય એ વ્યક્તિ સરેરાશ બીજી બેથી ત્રણ વ્યક્તિઓને તેનો ચેપ લગાડતી હોય છે.

વાઇરસનાં લક્ષણો

એક અભ્યાસ અનુસાર, સ્પેનિશ ફ્લૂના વાઈરસમાં પ્રજનન ક્ષમતા 1.8ની છે. ઍન્ફ્લુએન્ઝા વાઈરસની પ્રજનન ક્ષમતા 1.06થી 3.4ની છે, જ્યારે રાઈનોવાઈરસની પ્રજનન ક્ષમતા 1.2થી 1.83ની છે.

બીજી તરફ કોવિડ-19 વાઈરસની પ્રજનન ક્ષમતા 1.4થી 3.9ની છે, જે પ્રમાણ તમામ પ્રકારના વાઇરસની પ્રજનન ક્ષમતાની સરખામણીએ સૌથી વધુ છે.

કોવિડ-19 વિશે ચીનમાં થયેલાં એક સંશોધનના તારણ અનુસાર, આ વાઇરસનાં લક્ષણ પાંચ દિવસમાં જ શરીરમાં ફેલાવા લાગે છે અને 14 દિવસમાં સ્પષ્ટ દેખાવા લાગે છે.

એ દરમિયાન કોરોના સંક્રમિત વ્યક્તિ સામાન્ય લોકોની માફક અન્ય લોકોને હળતીમળતી રહે તો તે કોરોનાનો ચેપ બીજી બેથી ત્રણ વ્યક્તિને લગાડી શકે છે.

ત્યાર બાદ એ જ બેથી ત્રણ લોકો આગળ જતાં બીજા બેથી ત્રણ લોકોને ચેપ લગાડે છે અને કોરોનાના ચેપનું વર્તુળ વિકસતું રહે છે.

આ રીતે એક કોરોના સંક્રમિત વ્યક્તિ એક મહિનામાં લગભગ 244 લોકોને ચેપ લગાડવાં નિમિત્ત બને છે. ચેપના પ્રસારને આગળ વધતો રોકવામાં ન આવે તો તે આંકડો 59,604 વ્યક્તિ સુધી પહોંચી શકે છે.

સાયલન્ટ ટ્રાન્સમિશન

જેમને ચેપ લાગ્યો હોય, પણ કોઈ લક્ષણ દેખાતાં ન હોય એવા લોકોમાં આ વાઇરસ ફેલાય છે. તેને સાઈલન્ટ ટ્રાન્સમિશન કહે છે. લગભગ 10 ટકા કેસીસમાં આવું સાઈલન્ટ ટ્રાન્સમિશન જોવા મળે છે.

આવા લોકો જાતે અન્ય લોકોથી દૂર રહે તો કોવિડ-19નો પ્રસાર મહદઅંશે રોકી શકાય છે.

ચીનના વુહાન શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણ બાબતે થયેલા એક અભ્યાસના તારણ અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા આ વાઈરસની પ્રજનનક્ષમતાની તાકાતને ઘટાડી શકાય છે.

તેની અસર વુહાન શહેરમાં લોકડાઉન દરમિયાન જોવા મળી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે આ વાઇરસની પ્રજનન ક્ષમતા 2.35થી ઘટીને 1 પર આવી ગઈ હતી.

તેનો અર્થ એ થયો કે કોરોના સંક્રમિત વ્યક્તિથી માત્ર એક જ વ્યક્તિને ચેપ લાગી શકે તેમ હતું.

સોશિયલ ડિસ્ટન્સિંગનો વધુ એક હેતુ કોરોના વાઇરસના પ્રસારની ગતિને ઘટાડવાનો પણ છે. તેને લોકો સુધી પહોંચવામાં વધુ સમય લાગશે તો તેની તાકાત ઘટી જશે અને એ ઓછામાં ઓછા લોકોને નુકસાન કરી શકશે.

એકાંતવાસથી શું ફાયદો?

લોકો એકમેકની નજીક આવતાં રહેશે તો આ વાઈરસનો ચેપ ફેલાતો રહેશે.

કોવિડ-19ને ચેપ રોકવા માટે અલગ-અલગ દેશોએ અલગ-અલગ રીતો અપનાવી છે. બ્રિટને તેના માટે એક કમ્પ્યુટર મોડેલ અપનાવ્યું છે. તેનાથી ખબર પડે છે કે ચેપ કઈ રીતે ફેલાય છે.

બ્રિટન માટે આ મોડેલ લંડનની ઈમ્પીરિયલ કૉલેજે તૈયાર કર્યું છે અને તે વિશેનો રિપોર્ટ 16 માર્ચે પ્રકાશિત થયો હતો.

આ રીતે અમેરિકા તથા બ્રિટનની વસતીને ધ્યાનમાં રાખીને બે પ્રકારનાં મોડેલ બાબતે સંશોધન કરવામાં આવ્યું હતું.

એ બે પૈકીનાં એક મોડેલમાં સંક્રમિત લોકો કે તેનાં લક્ષણ ધરાવતાં લોકોને અન્ય લોકોથી અલગ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બીજા મોડેલમાં સંક્રમિત લોકો તથા તેમના પરિવારજનોને ઘરમાં જ રાખીને બાકીને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગમાં રાખવાની વાત છે.

આ સંશોધનમાં એક ભયાનક તારણ બહાર આવ્યું હતું કે બ્રિટનમાં વાઈરસનો પ્રસાર રોકવા માટે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ત્યાં 5,10,000 લોકોનાં મોત થઈ શકે છે.

કથળી શકે છે આરોગ્ય સેવાઓ

અમેરિકામાં 22 લાખ લોકોના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પણ પહેલા પ્રકારના મોડેલ પર આધારિત વ્યૂહરચનાના અમલથી મોતનું પ્રમાણ અડધાથી પણ ઓછું થાય એ શક્ય છે, જ્યારે આરોગ્ય સેવાની માગમાં બે-તૃતિયાંશ ઘટાડો થઈ શકે છે.

આ મોડેલ અપનાવવા છતાં હજ્જારો લોકોનાં મૃત્યુ થઈ શકે છે અને આરોગ્ય સેવાઓ કડડભૂસ થઈ શકે છે. ખાસ કરીને આઈસીયુની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે.

આ રિપોર્ટનાં તારણ બહાર આવ્યાં એ પહેલાં બ્રિટને હર્ડ ઈમ્યુનિટીની ફોર્મ્યુલાના અમલની તૈયારી કરી હતી, જેમાં ચેપ લાગી શકે એવા લોકોની સંખ્યા ઘટાડવાની હતી.

હર્ડ ઈમ્યુનિટીમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવતો નથી. તેને લીધે સ્વસ્થ લોકો આ વાઈરસ સામે જીત મેળવે છે અને તેથી સમાજના એક સમુદાયમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધતી જાય છે.

સંક્રમણની ગતિ

ડો. અરિંદમ બસુ કહે છે કે જે લોકોમાં વાઈરસ સામે લડવાની ક્ષમતા છે તેમને ફરી ચેપ લાગશે કે કેમ તેની પાક્કી ખબર હજુ પડી નથી.

કોવિડ-19ના ફેલાવામાં સમાજના તાણાવાણા અને લોકોની વયની પણ મોટી ભૂમિકા છે. દાખલા તરીકે ઈટલીમાં મોટાભાગે સંયુક્ત પરિવાર હોય છે અને ત્યાં વૃદ્ધોની સંખ્યા પણ મોટી છે.

લોકો એકમેકની નજીક રહે છે. તેથી ઇટાલીમાં કોવિડ-19ને લીધે સૌથી વધુ મૃત્યુ થયાં છે. ઈટલીમાં જેટલા લોકો સંક્રમણને લીધે મૃત્યુ પામ્યા છે, તેમાં વૃદ્ધોની સંખ્યા મોટી છે.

તેમ છતાં ઇટાલીમાં જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે ત્યાં ચેપ ફેલાવાની ગતિમાં ઘણો ઘટાડો થયો છે.

ઇટાલીમાં સંક્રમણને અંકુશમાં લેવા માટે બે શહેરોમાં અલગ-અલગ વ્યૂહરચના અપનાવવામાં આવી હતી.

પહેલો કેસ લૉરી શહેરમાં બહાર આવ્યો તેના બે દિવસ પછી જ શહેરમાં હરવાફરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

24 ફેબ્રુઆરીએ તમામ સ્કૂલ, યુનિવર્સિટી, સ્ટેડિયમ, ક્લબ અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

લૉકડાઉનની અસર

બીજી તરફ ઇટાલીના બરગામો શહેરમાં પણ 23 ફેબ્રુઆરીથી કોરોનાના દર્દીઓ જોવા મળતા થયા હતા, પણ ત્યાં પ્રતિબંધો લાદવાની વાતો જ થતી રહી હતી.

8 માર્ચે બરગામોમાં સંપૂર્ણ લૉકડાઉનનો અમલ શરૂ થયો ત્યારે શહેરમાં પ્રતિબંધો અમલી બન્યા હતા, પણ ત્યાં સુધીમાં લૉરી શહેર તથા બરગામોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 800ના આંકડે પહોંચી ચૂકી હતી.

જોકે, 13 માર્ચ સુધીમાં બરગામોમાં દર્દીઓની સંખ્યા વધીને 2,300 થઈ ગઈ હતી, જ્યારે શહેરમાં એ પ્રમાણ લગભગ અડધું હતું.

બન્ને શહેરોમાં સમાન વયના લોકો રહે છે. બન્ને શહેરોમાં કુલ પૈકીના 21 ટકા લોકોની વય 65 કે તેથી વધુ વર્ષની છે. લૉરી શહેરમાં લૉકડાઉનને કારણે જ દર્દીઓની સંખ્યા ઓછી રહી હતી.

આ ફરક અમેરિકાના ફિલાડેલ્ફિયા તથા સેન્ટ લુઈસમાં જોવા મળ્યો હતો.

અમેરિકાના વૉશિંગ્ટન સ્ટેટમાં કરાયેલા એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે કોઈ પણ પ્રકારના રેસ્પિરેટરી વાઈરસનો પ્રસાર રોકવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વની ભૂમિકા ભજવે છે.

થોડા સમય પછી લોકો સામાન્ય સંજોગોની માફક એકમેકને ફરીથી મળવા માંડે છે ત્યારે સમસ્યા સર્જાય છે. તેના કારણે વાઈરસ ફરી ઝડપથી ફેલાવા લાગે છે.

કોરોના વાઇરસને હરાવવા માટે

કોરોના વાઈરસની તાકાત ઘટાડવા માટે સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન લાંબા સમય સુધી કરવું અનિવાર્ય છે.

સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન ચુસ્તીપૂર્વક કરવું આસાન નથી એ તો દેખીતું છે. લોકો એકઠા થવાના હોય એવા પ્રસંગો બધાની જિંદગીમાં આવતા હોય છે.

જાણકારો પોતે પણ માને છે કે લાંબો સમય એકમેકથી દૂર રહેવાથી હ્રદય રોગ, તણાવ અને પાગલપણાનો શિકાર થવાની શક્યતા વધી જાય છે.

આપણે આજે 1918ના એ દૌરમાં નથી, જ્યાં સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું મુશ્કેલ હોય.

આજે આપણે ટેક્નોલોજીના સુવર્ણ યુગમાં છીએ. આપણે ટેક્નોલોજી મારફત એક સમયે આખી દુનિયા સાથે જોડાઈ શકીએ છીએ.

કોરોનાને હરાવવો હોય અને સ્વસ્થ રહેવું હોય તો લાંબા સમય સુધી સોશિઅલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો