કોરોના વાઇરસ : ભારતમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાથી ઓછી ચકાસણી કેમ?

    • લેેખક, સરોજસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં બે મહિના પહેલાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ભારત સરકારનો દાવો છે કે અત્યાર સુધી ભારતમાં બીમારી ત્રીજા તબક્કામાં પ્રવેશી નથી.

પરંતુ એ પણ ખરું કે કોરોના વાઇરસ સામેના યુદ્ધમાં ઓછા લોકોની તપાસ કરવા બદલ ભારતની ટીકા થઈ રહી છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને ચિહ્નિત કરી શકાય એવી ટેસ્ટ બહુ ઓછી છે.

અહીં દર દસ લાખ લોકોમાં માત્ર 6.8 વ્યક્તિની તપાસ કરવામાં આવી છે જે દુનિયાના અનેક દેશોમાં સૌથી ઓછો દર કહી શકાય.

શરૂઆતમાં, ભારતમાં માત્ર એ લોકોની જ તપાસ કરવામાં આવી જે હાઇ રિસ્કવાળા દેશોની યાત્રા કરીને ભારત આવ્યા હતા અથવા કોઈ સંક્રમિત દર્દી અથવા તેની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓના સંપર્કમાં આવ્યા હોય.

પછી સરકારે કહ્યું કે શ્વાસ સંબંધી ગંભીર બીમારીને કારણે હૉસ્પિટલોમાં દાખલ દર્દીઓની પણ તપાસ કરવામાં આવશે.

કોરોના વાઇરસ ટેસ્ટિંગ કિટ

આ બધું જોતા ગત ગુરુવારે, ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્સે (આઈસીએમઆર) ભારતમાં બે ખાનગી લૅબ્સને કોરોના વાઇરસ ટેસ્ટિંગ કિટ બનાવવાની મંજૂરી આપી હતી.

પૂનાની માયલૅબ ડિસ્કવરી ભારતની પ્રથમ ફર્મ છે જેને ટેસ્ટિંગ કિટ તૈયાર કરવા અને તેને વેચવાની પરવાનગી આપવામાં આવી હતી.

માયલૅબની દરેક કિટથી સો સૅમ્પલની તપાસ થઈ શકે છે.

આ કિટની કિંમત 1200 રૂપિયા છે, જે વિદેશથી મંગાવવામાં આવતી 4,500 રૂપિયાની કિટ કરતાં ઘણી સસ્તી છે.

માયલૅબના ચીફ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑફિસર મીનલ દાખવે ભોંસલેએ બીબીસીને કહ્યું, "અમારી કિટ અઢી કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણની તપાસ કરી લે છે, જ્યારે વિદેશી કિટથી તપાસમાં છથી સાત કલાક લાગી જાય છે."

કેવી રીતે થાય છે કોવિડ-19ની તપાસ?

કોવિડ-19ની તપાસ માટે અત્યાર સુધી બે સ્તર પર ચકાસણી થાય છે. આના માટે નાક અને મોઢામાંથી પહેલાં સ્વૅબ લેવામાં આવે છે.

પ્રથમ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા પછી જ બીજો ટેસ્ટ કરવામાં આવે છે. બંને ટેસ્ટ પૉઝિટિવ આવે ત્યાર પછી દર્દીને કોરોના પૉઝિટિવ માનવામાં આવે છે.

હાલ ભારતમાં આ ટેસ્ટને પૂર્ણ કરવામાં છ કલાકનો સમય લાગી જતો હોય છે.

પરંતુ ભારતમાં જે ખાનગી કંપનીઓને નવી ટેસ્ટ કિટ બનાવવાની પરવાનગી મળી છે, તેમને માત્ર બે કલાકનો સમય લાગશે અને બે ટેસ્ટ પણ નહીં કરવા પડે.

માયલૅબના મૅનેજિંગ ડાયરેક્ટર હસમુખ રાવલે બીબીસીને કહ્યું કે તેમની ટેસ્ટિંગ કિટમાં બે ટેસ્ટ એક સાથે કરી શકાશે અને તે પણ અઢી કલાકની અંદર.

ટેસ્ટિંગ કિટના કેટલા પ્રકાર હોય છે?

કોરોના વાઇરસ સંક્રમણની તપાસ માટે બે પ્રકારની કિટ હોય છે. એક કિટ ઍન્ટિ-જીન બેસ્ડ હોય છે અને બીજી ઍન્ટિ-બૉડી બેસ્ડ.

ડૉક્ટર એસ.કે. સરીન ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બાઇલિનરી સાયન્સ, દિલ્હીના ડાયરેક્ટર છે.

તેમણે બીબીસીને કહ્યું કે દુનિયાના તમામ દેશો કોરોના સંક્રમણની તપાસ માટે હાલ ઍન્ટિ-જીન બેસ્ડ ટેસ્ટ વાપરી રહ્યા છે.

તેમણે કહ્યું કે "ઍન્ટિ-જીન બેસ્ડ ટેસ્ટ ખરેખર વાઇરસને શોધવા માટે વપરાય છે જ્યારે ઍન્ટિ-બૉડી બેસ્ડ ટેસ્ટ કોરોના સંક્રમણની રિકવરી પછીના સ્ટેજની તપાસ માટે વપરાય છે."

ડૉક્ટર સરીન પ્રમાણે, "જે વ્યક્તિ કોરોના સંક્રમણમાંથી રિકવર થઈ ચૂકી છે તેઓ સ્વસ્થ થયા પછી કામ પર જઈ શકે છે. તેમના માટે ઍન્ટિ-બૉડી બેસ્ડ ટેસ્ટ વાપરવામાં આવે છે."

પ્રથમ સ્ટેજના દર્દી માટે દુનિયાના બધા દેશ ઍન્ટિ-જીન બેસ્ડ ટેસ્ટ વાપરી રહ્યા છે એટલે ભારતમાં પણ આ જ ટેસ્ટ કરવામાં આવે છે.

ભારતમાં વિલંબ કેમ?

ડૉક્ટર સરીનનો દાવો છે કે કોરોના માટે ઍન્ટિ-બૉડી ટેસ્ટ કિટ પાંચ-સાત દિવસ પહેલાં બનીને તૈયાર થઈ છે.

તેમનું કહેવું છે, "ભારતમાં એવી ટેસ્ટ કિટની જરૂર છે જે 100 ટકા નૅગેટિવ કેસને 100 ટકા નૅગેટિવ કહી શકે અને 100 ટકા પૉઝિટિવ કેસને 100 ટકા પૉઝિટિવ કહી શકે."

કોઈ પણ સૅમ્પલનો ટેસ્ટ રિપોર્ટ આવવામાં કેટલો સમય લાગશે, તેનો આધાર તેના પર હોય છે કે કેટલી ઝડપથી ડીએનએ ઍક્સટ્રેક્ટ કરવામાં આવે છે, તેનું ટેસ્ટ રિઝલ્ટ આવવાનો રનટાઇમ કેટલો છે, ટેસ્ટ રિઝલ્ટને રીડ અને રિપોર્ટ કરવામાં કેટલો સમય લાગે છે.

દક્ષિણ કોરિયમાં જે ટેસ્ટ કિટ તૈયાર કરવામાં આવી છે જેમાં રિઝલ્ટ 45 મિનિટથી એક કલાકમાં આવી જાય છે તો ભારતમાં સમય વધારે કેમ લાગે છે?

ડૉક્ટર સરીન કહે છે, "આ વાઇરસ હજી નવો છે. દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીનમાં પહેલા આવી ગયો હતો, ભારતમાં પછી આવ્યો. જે દેશો સાથે ભારતની સરખામણી થઈ રહી છે તેઓ ટેક્નોલૉજીના સંદર્ભે ભારતથી ઘણા આગળ છે. દરેક દેશની પોતાની પ્રાથમિકતા છે. હાલ અમારી પ્રાથમિકતા છે કે દેશમાં આને ફેલાતો અટકાવી શકાય."

નિષ્ણાતો પ્રમાણે કયા દેશે કેટલી ટેસ્ટિંગ કરવી એનો નિર્ણય કરવા પાછળ કેટલા માપદંડ હોય છે. જેમ કે એક માપદંડ હોઈ શકે કે દેશમાં સંક્રમણ કયા સ્તર પર છે, બીજું એ કે ત્યાંની વસતી કેટલી છે, ત્રીજું કે એ દેશની પ્રાથમિકતા શું છે અને ચોથું દેશમાં સુવિધા કેવી છે અને મહામારી સામે લડવાની કેટલી તૈયારી છે.

બાકી દેશોમાં ટેસ્ટિંગ

આઈસીએમઆરના મહાનિદેશક બલરામ ભાર્ગવ પ્રમાણે ફ્રાંસમાં દર અઠવાડિયે દસ હજાર લોકોની ટેસ્ટ કરવામાં આવે છે, બ્રિટનમાં 16 હજાર અને અમેરિકામાં આશરે 26 હજાર લોકોની ચકાસણી કરવામાં આવે છે.

જે દેશ દર અઠવાડિયે વધારે લોકોની ચકાસણી કરે છે તેમાં દક્ષિણ કોરિયા છે જે અઠવાડિયામાં લગભગ 80 હજાર લોકોની ટેસ્ટ કરે છે.

એવી જ રીતે જર્મનીમાં લગભગ 42 હજાર અને ઇટાલીમાં દર અઠવાડિયે લગભગ 52 હજાર લોકોની ચકાસણી કરવામાં આવે છે.

ભારત સરકારનો પક્ષ

ગત રવિવારે કેન્દ્ર સરકારની પત્રકારપરિષદમાં ડૉક્ટર ભાર્ગવે કહ્યું કે ભારતમાં સાપ્તાહિક 60થી 70 હજાર લોકોની ચકાસણી કરવાની ક્ષમતા છે.

પછી સરકારે સોમવારે 25 ખાનગી લૅબોરેટરીને કોવિડ-19ના દર્દીના ટેસ્ટ કરવાની પરવાનગી આપી દીધી. આ લૅબ્સની પાસે દેશભરમાં હજારો કલેક્શન સેન્ટર પણ છે.

ભારતમાં હાલ 113 લૅબ્સમાં ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધી બે મહિનામાં 35 હજાર લોકોનાં સૅમ્પલ ગયાં હતાં.

આરસીએસઆરના ડૉક્ટર રમન આર. ગંગાખેડકર પ્રમાણે ભારત હાલ ટેસ્ટિંગ ક્ષમતાના 30 ટકા ટેસ્ટ કિટનો જ વપરાશ કરી રહ્યું છે. અને ટેસ્ટિંગ કિટની કોઈ તંગી નથી.

ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન પ્રમાણે ભારતની લૅબ્સમાં પણ ઍન્ટિ-બૉડી બેસ્ડ ટેસ્ટ પર કામ ચાલી રહ્યું છે. વિશ્વ સ્તર પર આવી ટેસ્ટની સફળતાને જોઈને ભારત પણ આવનારા દિવસોમાં પોતાની ટેસ્ટિંગ ક્ષમતાને વધારવા અંગે વિચાર કરી શકે છે.

અમેરિકામાં કોરોના ટેસ્ટ

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના એક અહેવાલ મુજબ દુનિયાની જાણીતી ફાર્મા અને હેલ્થકૅર કંપની ઍબૉટ ભારતમાં એ ટેસ્ટ કિટ લાવી શકે છે જેનાથી પાંચ મિનિટમાં કોરોના વાઇરસના સંક્રમણની ખબર પડી શકે છે.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને (એફડીએ) પહેલાં જ આ ટેસ્ટ કિટને મંજૂરી આપી છે.

આ ટેસ્ટિંગ કિટ પૉર્ટેબલ છે એટલે તેને સહેલાઈથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. હાલ આ કિટ માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ છે. હજી ભારતમાં આ કિટ નથી પહોંચી.

જોકે ઇન્ડિયન એક્સપ્રેસને ઍબૉટના પ્રવક્તાએ જણાવ્યું કે કમ્પની 24 કલાક કામ કરીને વધુમાં વધુ કિટ તૈયાર કરવાના પ્રયત્ન કરી રહી છે, જેથી તેને દુનિયાના અલગ-અલગ દેશોમાં પહોંચાડી શકાય.

અમેરિકાની હૉસ્પિટલોમાં આવતા અઠવાડિયે આ કિટ મારફતે કોરોના સંક્રમણની ચકાસણી શરૂ થઈ જશે. કંપનીએ કહ્યું કે આ કિટ આવવાથી દરરોજ 50 હજાર જેટલી ટેસ્ટ કરી શકવાની આશા છે. જોકે આઈસીએમઆરનું કહેવું છે કે આ ઍન્ટિ-બૉડી બેસ્ટ ટેસ્ટ છે.

દક્ષિણ કોરિયામાં કોરોના ટેસ્ટ

શરૂઆતમાં દક્ષિણ કોરિયમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધ્યા, પરંતુ તેણે સંક્રમણની પુષ્ટિ માટે ટેસ્ટ વિકસિત કરી લીધી હતી. પહેલાં દક્ષિણ કોરિયામાં દરરોજ લગભગ 10 હજાર લોકોની મફત ચકાસણી આવી હતી. હવે આ સંખ્યા વધીને 20 હજાર સુધી પહોંચી ગઈ છે.

દક્ષિણ કોરિયામાં સંખ્યાબંધ કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે જ્યાં તમે ગાડીમાં બેઠા-બેઠા જ ટેસ્ટ કરાવી શકો છો. અહીં તમારા નાક અને મોઢામાંથી સ્વૅબ લેવામાં આવે છે અને તમે ઘરે જઈ શકો છો.

ટેસ્ટમાં કોરોના પૉઝિટિવ આવે તો તમને કૉલ કરીને જાણ કરવામાં આવે છે, જ્યારે નૅગેટિવ આવે તો તમારા ફોન પર માત્ર એક મૅસેજ આવી જાય છે.

દક્ષિણ કોરિયમાં કોરોના વાઇરસ ટેસ્ટ માટે બનાવવામાં આવેલી આ લૅબ્સ 24*7 એટલે સાત દિવસ, 24 કલાક ચાલે છે. અહીં ટેસ્ટ કરવા માટે 96 જાહેર અને ખાનગી લૅબનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આવી રીતે લોકોના જીવ બચાવી શકાય છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસથી મૃત્યુનો દર 0.7 ટકા છે.

જો વૈશ્વિકસ્તરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર પાડવામાં આવેલા મૃત્યુદરની વાત કરીએ તો 3.4 ટકા છે. દક્ષિણ કોરિયાની વસતી પાંચ કરોડ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો