અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કૉમ્યુનિકેશન્સની નાદારી માટે અરજી

અનિલ અંબાણીની ટેલિકૉમ કંપની રિલાયન્સ કૉમ્યુનિકેશન્સે નાદારી જાહેર કરવા માટે અરજી કરી છે. ઉધારી ચૂકવવા માટે મિલકત વેચવામાં નિષ્ફળ જતા આ પગલું લીધું હોવાનું જાણવા મળે છે.

કંપનીએ તેમના નિવેદનમાં લખ્યું છે, "કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે એન.સી.એલ.ટી. ફ્રેમવર્ક પ્રમાણે દેવાની પતાવટ કરવાની કામગીરી કરવાનો નિર્ણય લીધો છે."

નિવેદનમાં એવું પણ લખ્યું છે કે કંપનીએ આ અંગેનો નિર્ણય શુક્રવારે લીધો છે.

નિવેદન પ્રમાણે બોર્ડે એવું પણ નોંધ્યું છે કે 18 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં દેવું દૂર કરવાની પ્રક્રિયા આગળ વધી શકી નથી.

નિવેદનમાં લખ્યું છે, "એનસીએલટી, મુંબઈની મદદથી કંપનીએ ફાસ્ટ-ટ્રૅક પ્રક્રિયા કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડનું માનવું છે કે આ પ્રક્રિયા કંપનીના સ્ટેકહૉલ્ડર્સની હિતમાં છે. 270 દિવસમાં આ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવશે."

'મિસ્ટર મોદી પર સર્જિકલ સ્ટ્રાઇક થશે'

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે, "દેશના કેટલાય લોકોના મનમાં ઈવીએમને લઈને શંકા છે અને અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણીની પક્રિયામાં લોકોનો વિશ્વાસ વધે."

શુક્રવારે સાંજે દિલ્હીની કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં આયોજીત 'સેવ ધ નેશન સેવ ધ ડેમૉક્રસી' નામના કાર્યક્રમ બાદ આયોજીત પત્રકાર પરિષદમાં રાહુલે સંબંધિત વાત કરી.

આ કાર્યક્રમમાં લોકતાંત્રિક જનતા દળ પક્ષના શરદ યાદવ, તેલુગુદેશમ્ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુ તેમજ નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના શરદ પવાર સહિત વિપક્ષના કેટલાય નેતાઓ હાજર હતા.

રાહુલે એવું પણ કહ્યું કે આ સંબંધે તેમની પાસે કેટલાક પ્રસ્તાવ છે, જેને લઈને સોમવાર સાંજે 5:30 વાગ્યે ચૂંટણી પંચનો સમક્ષ જવામાં આવશે.

પત્રકાર પરિષદ દરમિયાન એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, "ખેડૂત, રોજગાર અને સંસ્થા પર જે આક્રમણ થઈ રહ્યું છે, એ ત્રણ મુદ્દા પર ચૂંટણી લડશે."

ચૂંટણી 'રફાલના ભ્રષ્ટ્રાચાર' મુદ્દે પણ યોજાવાની વાત રાહુલે કરી.

રાહુલે ઉમેર્યું, "મિસ્ટર મોદી અને તેમની સરકાર પર આગામી કેટલાક મહિનાઓમાં સર્જિકલ સ્ટ્રાઈક થશે."

'અફઘાનિસ્તાનમાંથી મહિનામાં આઈએસનો સફાયો કરી શકીએ'

તાલિબાને કહ્યું કે અમેરિકાના અફઘાનિસ્તાન છોડે તે ગયા પછી તેઓ શાંતિ અને સુલેહરૂપે દેશમાંથી એક મહિનામાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)નો સફાયો કરી શકે છે.

અફઘાન તાલિબાનની કતાર ઓફિસના પ્રવક્તા સુહેલ શાહિને પેશાવર સ્થિત બીબીસી ઉર્દૂના પત્રકાર રફઅત ઉલ્લાહ ઔરકજઈએને ટેલિફોનિક વાતચીતમાં આ વાત જણાવી હતી.

તેમણે જણાવ્યું કે 'આઈએસને અફઘાન સરકાર અને અમેરિકાનો ટેકો છે.''અમે તાજેતરમાં જ ઉત્તર અફઘાનિસ્તાનમાંથી તેમનો ખાતમો કરવાના હતા, પણ અમેરિકા અને અફઘાન સરકાર તેમને અન્ય સ્થળે લઈ ગઈ.'

પ્રથમ ચરણમાં અમેરિકા સાથે શાંતિ મંત્રણા થઈ છે, બીજા તબક્કામાં અફઘાન સરકાર સાથે ચર્ચા થશે. સુહૈલ શાહીને કહ્યું કે જો અમેરિકા અને અફઘાન સરકાર અમારી સાથે ઘર્ષણ ન કરે તો અમે એક જ મહિનામાં આઈએસનો ખાતમો બોલાવી શકીએ છીએ.

ફાન્સે વિરોધ પ્રદર્શનમાં માસ્ક પર પ્રતિબંધ મૂક્યો

ફ્રાન્સની સંસદે વિરોધ પ્રદર્શન વખતે માસ્ક પહેરવા પર તેમજ ચોક્કસના લોકોના વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો છે.

આ કાયદા મુજબ હવે પ્રદર્શન વખતે માસ્ક પહેરવા બદલ એક વર્ષની જેલની સજા અને 15 હજાર યુરો (અંદાજે રૂ. 12 લાખ 20 હજારનો) દંડ થઈ શકશે.

ઘણા સાંસદો આ કાયદાને અધિકારો પરનો અંકુશ ગણાવી રહ્યા છે તો સામે સુરક્ષા માટે આ જરુરી છે એવી પણ દલીલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પૅરિસ સહિત ફ્રાન્સના અન્ય શહેરોમાં 'પીળા બંડીધારીઓ'ના વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી કુલ સાત લોકોનાં મૃત્યુ થયાં છે.

ફ્રાન્સના કાયદા મુજબ દરેક વાહનમાં જિલે જોન્સ (પીળા રંગની બંડી) રાખવી જરૂરી છે. તે ચમકતી હોય છે, એટલે દૂરથી દેખાય આવે છે.

પ્રદર્શનકારીઓ પીળી બંડી ધારણ કરીને રસ્તા ઉપર ઉતરી રહ્યાં છે અને સરકાર વિરોધી પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યાં છે એટલે તેમને 'પીળા બંડીધારી' તરીકે ઓળખવામાં આવે છે.

તેમની હિંસાની સામે રેડ સ્કાર્ફધારકો દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યા હતા.

જોકે, સરકારે ફ્યૂઅલ ટૅક્સમાં ઘટાડો કરતા પીળા બંડીધારીઓની સંખ્યા અગાઉની સરખામણીએ ઘટી રહી છે.

આપને આ પણ વાંચવું ગમશે

વૉટ્સઍપની મદદથી પુસ્તક લખનાર રૅફ્યૂજીને પુરસ્કાર

બેહરૂઝ બુચાનીને ઑસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. વૉટ્સઍપના માધ્યમથી રાજ્યાશ્રયમાં (અસાઇલમ) રહેતાં લોકોની વાતોના આ સંકલન બદલ તેમને પુરસ્કાર મળ્યો છે.

બેહરૂઝ બુચાણી મૂળ એક પત્રકાર છે, પણ છેલ્લા કેટલાક વર્ષથી ઑસ્ટ્રેલિયાએ એમની ધરપકડ કરા એક ટાપુ પર મોકલી આપ્યા છે, જ્યાં તેઓ રૅફ્યૂજી તરીકે જીવન જીવી રહ્યા છે.

બૂચાણી પાપ્લા ન્યૂ ગિનીના મૅનસ આઇલૅન્ડ પર રહે છે, જેમના ઑસ્ટ્રેલિયામાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

તેમને વર્ષ 2019નું સાહિત્યનું વિક્ટોરિયન પ્રાઇઝ જાહેર થયું છે, જેની રકમ 55 હજાર પાઉન્ડ (51 લાખ 53 હજાર) જેટલી છે.

આ પુરસ્કારની સાથે તેમને નૉન- ફિક્શન શ્રેણીમાં પણ વિક્ટોરિયન પ્રિમિયરનો 25 હજાર અમેરિકન ડૉલરનો (રૂ.17 લાખ 78 હજાર અંદાજે) પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

નવો ડીટીએચ નિયમ આજથી લાગુ

ગ્રાહકોને પોતાની પસંદગીની ચેનલ નક્કી કરવાનો અને તે મુજબ જ કૅબલ ઓપરેટર્સને ફી આપવાનો ટેલિકોમ રેગ્લુલેટરી ઑફ ઇન્ડિયા (ટ્રાઈ)નો નવો બ્રોડકાસ્ટિંગ નિયમ આજથી લાગુ થશે.

ટ્રાઈએ કૅબલ ઑપરેટર્સ માટે આ નવી વ્યવસ્થા ગોઠવી છે. આ નિયમ મુજબ ગ્રાહકને પોતાની ચેનલ પંસદ કરવાનો અને તે પ્રમાણે જ ફી ચૂકવવાનો અધિકાર મળશે.

આ વ્યવસ્થા માટે ટ્રાઈએ કૅબલ વપરાશકારોને પોતાનો વર્તમાન પ્લાન બદલવા માટે 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. ટ્રાઈએ એમ પણ ઠેરવ્યું છે કે જો કોઈ ગ્રાહકે લાંબા સમય માટેનો પ્લાન લીધેલો હોય તો તે જાળવી રાખી શકે છે.

ટ્રાઈએ પોતાની વેબસાઇટ પર 332 ચેનલોના દરની યાદી જાહેર કરેલી છે, જેમની કિંમત 1 રુપિયાથી લઈને 19 રુપિયા પ્રતિમાસ છે.

હરિયાણામાં કૉંગ્રેસ ભાજપને નહીં હરાવી શકે : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે હરિયાણામાં કૉંગ્રેસ ભાજપને હરાવી શકશે નહીં.

જિંદ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કેજરીવાલે આ વાત કરી હતી.

તેમણે કહ્યું, "નવો રાજકીય વિકલ્પ જ ભાજપને દૂર કરી શકે છે."

સોમવારે નવી દિલ્હીની ન્યૂ ફ્રૅન્ડ્ઝ કૉલોનીમાં સરકારી શાળાઓના 11 હજાર વર્ગોનું ખાતમુહૂર્ત કરતા સર્વોદય વિદ્યાલયના બાળકો અને પરિવારજનોને સંબોધન કરતાં કેજરીવાલે કહ્યું:

"જો તમે તમારા બાળકોને પ્રેમ ન કરતા હો તો જ મોદીજીને મત આપજો."

"તમે એને મત આપો જે તમારા બાળકો માટે કામ કરે છે. મોદીજીએ ક્યારેય એક પણ ક્લાસરૂમ કે શાળા નથી બનાવ્યા."

"તમારે રાષ્ટ્રપ્રેમ અથવા મોદીપ્રેમ બે માંથી એકની પસંદગી કરવી પડશે."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો