You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં અપહરણ કરાયેલા ભારતીયોને છોડાવવાના પ્રયાસ શરૂ
પાકિસ્તાન સ્થિત ન્યૂઝ એજન્સી અફઘાન ઇસ્લામિક પ્રેસના સમાચાર મુજબ ઉત્તર અફઘાનિસ્તાનના બગલાન વિસ્તારમાંથી છ ભારતીયો સહિત સાત લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.
આ લોકો ભારતીય કંપની કેઈસી ઇન્ટરનેશનલના કર્મચારીઓ છે.
બગલાન વિસ્તારના પોલિસ પ્રવક્તા ઝબિહુલ્લા શૂજાએ અફઘાન ઇસ્લામિક પ્રેસને જણાવ્યું:
"કેટલાક હથિયારધારી લોકોએ બગલાન વિસ્તારની રાજધાની પુલ-એ-ખુમરીથી સમાંગન તરફ જતા રસ્તા પરથી સાત લોકોનું અપરહરણ કરી લીધું છે. આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી."
અપહરણ કરાયેલા લોકોની ઓળખાણ હજી થઈ શકી નથી.
તાલિબાન પર આરોપ
શૂજાએ કહ્યું કે આ લોકો પુલ-એ-ખુમરીના ખ્વાજા અલવાન વિસ્તારમાં એક વીજ કંપનીમાં કામ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે અપહરણ કારી નૂરુદ્દીનના વફાદાર તાલિબાનના લડાકુઓએ કર્યું છે.
જોકે, તાલિબાનના પ્રવક્તા ઝબિહુલ્લા મુજાહિદે આ ઘટનાની જાણકારી ન હોવાની વાત કહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીટીઆઈના જણાવ્યા પ્રમાણે ભારતના વિદેશ વિભાગે કહ્યું છે કે તેઓ આ મામલે અફઘાનિસ્તાનના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે અને આ મામલે સતત અપડેટ લઈ રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બગલાન પ્રાંતના ગવર્નર અબ્દુલહાઈ નેમાતીએ આ મામલે જણાવ્યું, "અફઘાનિસ્તાનના સત્તાવાળાઓ સ્થાનિક લોકો દ્વારા તાલિબાનનો સંપર્ક કરી રહ્યા છે."
એવા પણ અહેવાલ છે કે આ લોકોનું અપહરણ ભૂલમાં થયું છે. અપહરણકર્તાઓને હતું કે તેઓ અફઘાનિસ્તાનના સરકારી અધિકારીઓ છે.
અત્યારસુધી આ અપહરણની કોઈએ જવાબદારી લીધી નથી.
નેમાતીનું કહેવું છે કે તેઓ સ્થાનિક આદિવાસી વૃદ્ધોની મધ્યસ્થી દ્વારા અપહરણ થયેલા લોકોને છોડાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
તાલિબાને આપી ધમકી આપી હતી
કેઈસી ઇન્ટરનેશલ લિમિટેડ વીજળીના ટાવર લગાવવાનું કામ કરે છે.
એઆઈપીના રિપોર્ટ મુજબ આ કંપનીએ અફઘાનિસ્તાન સરકાર સાથે ઘણા કરારો કર્યા છે.
તે અફઘાનિસ્તાનમાં સેન્ટ્રલ એશિયા-સાઉથ એશિયા ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન એન્ડ ટ્રેડ પ્રૉજેક્ટ (CASA-1000) સહિત અનેક યોજનાઓ પર કામ કરી રહી છે.
તાલિબાન પહેલાં પણ અફઘાનિસ્તાનમાં વીજળી સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવતું આવ્યું છે.
ગત માર્ચ મહિનામાં તાલિબાને એક નિવેદનમાં અફઘાન સરકારને કુંદુઝ અને બગલાનમાં પોતાના નિયંત્રણવાળા વિસ્તારોમાં વીજળી ચાલુ રાખવા કહ્યું હતું.
તે સમયે તાલિબાને ધમકી આપી હતી કે જો તેમની માગણી પૂરી કરવામાં નહીં આવે તો કાબુલને મળતી વીજળી ઠપ કરી દેવામાં આવશે.
તાલિબાને એપ્રિલ મહિનામાં એક વીજળીના થાંભલાને ઉડાવી દીધો હતો, જેના કારણે કાબુલ બે દિવસ સુધી અંધારામાં રહ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો