રાષ્ટ્રપતિભવન : 340 રૂમ ધરાવતું આ ભવન કેટલું ભવ્ય છે, અંદર કેવી-કેવી સુવિધાઓ છે?

- લેેખક, પરણી તરન
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતના રાષ્ટ્રપતિનું રહેઠાણ રાષ્ટ્રપતિભવન ભારતની તાકાત, લોકશાહી પરપંરા અને બિનસાંપ્રદાયિકતાને દર્શાવે છે.
આ રાષ્ટ્રપતિભવનના વિશાળ ઓરડાઓ, સ્તંભો અને તેનું સુંદર તેમજ મજબૂત સ્થાપત્ય બ્રિટિશ શાસનકાળનું વસિયતનામું રજૂ કરે છે.
આ રાષ્ટ્રપતિભવન સર એડવિન લુટયેન્સ અને હર્બર્ટ બેકર દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ બંને લોકો બ્રિટિશ શાસનકાળ દરમિયાનના સૌથી કલાત્મક આર્કિટેક્ટ તરીકે જાણીતા હતા.
બિલ્ડિંગની ખાસિયતની વાત કરીએ તો તેનો આકાર અંગ્રેજીના શબ્દ 'H' જેવો છે. 330 એકરના કુલ વિસ્તારમાંથી 5 એકર પર ભવન બનાવવામાં આવ્યું છે. આ ઇમારતમાં કુલ 340 રૂમ છે, ચાર માળ છે, 2.5 કિલોમિટર લાંબો રસ્તો ચાલવા માટે છે અને 190 એકર વિસ્તારમાં બગીચો છે.
બ્રિટિશ રાજ દરમિયાન જ્યારે આ ભવનનું નિર્માણ એ ધ્યાનમાં રાખીને થયું હતું કે તેમાં ભારતના વાઇસરૉય રહેશે. આ કારણોસર તેની બનાવટ અને તેની સગવડો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

સંક્ષિપ્તમાં: રાષ્ટ્રપતિભવનની ભવ્યતા વિશે તમે કેટલું જાણો છો?

- રાષ્ટ્રપતિભવનનો આકાર અંગ્રેજીના શબ્દ 'H' જેવો છે
- ઇમારતમાં કુલ 340 રૂમ છે. 2.5 કિલોમિટર લાંબો રસ્તો ચાલવા માટે છે અને 190 એકર વિસ્તારમાં બગીચો ફેલાયેલો છે
- બ્રિટિશ શાસનકાળ દરમિયાવન વાઇસરૉયનું આવાસ ગણાતા આ ભવનને 15મી ઑગસ્ટ 1947માં દેશ સ્વતંત્ર થયા બાદ 'ગવર્મેન્ટ હાઉસ'નું નામ અપાયું હતું
- રાષ્ટ્રપતિભવન આર્ટવર્ક ટૂર એ ત્રણ રાઉન્ડમાં વિભાજિત છે.
- દરબાર હૉલમાં પદ્મ ઍવૉર્ડ સમારોહનું આયોજન કરાય છે અને સાથે જ મૃત્યુ પામેલા સૈનિકોને સન્માન આપવા માટે મૅડલ સેરેમનીનું આયોજન થાય છે
- ત્રણ માળનું ગૅરેજ મ્યુઝુયમ વર્ષ 2014માં ખૂલ્યું હતું
- રાષ્ટ્રપતિભવનના જાણીતા ગાર્ડન છે, મુઘલ ગાર્ડન, ઔષધિ ગાર્ડન, મ્યુઝિક ગાર્ડન અને આધ્યાત્મિક ગાર્ડન.

ઇમારતનું નિર્માણકાર્ય વર્ષ 1929માં પૂર્ણ થયું હતું અને તેના માટે સેંકડો મજૂરોએ દિવસ-રાત કામ કર્યું હતું. તેમની સાથે સેંકડો સુથાર, કલાકારો પણ કામે લાગેલા હતા. પહેલાં આ ભવન ભારતના વાઇસરૉયનું રહેઠાણ કહેવાતું. જોકે, બ્રિટિશ શાસનનો અંત આવ્યા બાદ હવે તે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના રાષ્ટ્રપતિભવન તરીકે ઓળખાય છે.
આ ઇમારતનું ઉદ્ઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરમન દ્વારા કરવામાં આવ્યું. બ્રિટિશ શાસનકાળ દરમિયાન વાઇસરૉયનું આવાસ ગણાતા આ ભવનને 15મી ઑગસ્ટ 1947માં દેશ સ્વતંત્ર થયા બાદ 'ગવર્મેન્ટ હાઉસ'નું નામ અપાયું હતું જે પછી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેનું નામ 'રાષ્ટ્રપતિભવન' કરવામાં આવ્યું હતું.

રાજગોપાલાચારી જેમણે વૈભવી મહેલમાં સાદગીનો સંચાર કર્યો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, RASHTRAPATI BHAVAN
રાષ્ટ્રપતિભવનમાં સૌથી પહેલા વાઇસરૉય લૉર્ડ ઇરવિન ભારતના વાઇસરૉય બનીને રહ્યા હતા અને પછી ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી લૉર્ડ માઉન્ટબેટન ભારતના છેલ્લા વાઇસરૉય રહ્યા હતા અને 1947થી સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ હતા.
21 જૂન 1948થી સી. રાજાગોપાલાચારીએ ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયાનો ભાર સંભાળ્યો હતો. તેમણે સેન્ટ્રલ ડોમમાં ભારતના ગવર્નર જનરલ તરીકે શપથ લીધાં હતાં અને તેઓ પહેલા ભારતીય હતા જેઓ રાષ્ટ્રપતિભવનમાં રહેવા ગયા હતા. રાજગોપાલચારીના કાર્યકાળ દરમિયાન આ ભવ્ય મહેલની ચકાચૌંધ સાદગીમાં પરિવર્તિત થઈ ગઈ હતી.
રાજગોપાલાચારીને લાગ્યું કે વાઇસરૉયનો રૂમ રહેવા માટે ખૂબ જ વૈભવી છે એટલે તેઓ નાના રૂમમાં રહેવા જતા રહ્યા હતા (એ નાના રૂમ રાષ્ટ્રપતિભવનની ફેમિલી વિંગ તરીકે ઓળખાતા હતા). ત્યારબાદ રાજગોપાલાચારીએ પોતાની આ જ લાઇફસ્ટાઇલ જાળવી રાખી હતી. વાઇસરૉય બ્રિટિશ શાસન દરમિયાન જે રૂમનો ઉપયોગ કરતા, તે ગેસ્ટ ક્વાર્ટર બનાવી દેવાયો હતો જ્યાં વિદેશી નેતાઓ અને વિદેશી સરકારના પ્રતિનિધિમંડળ ભારતયાત્રા દરમિયાન આરામ કરી શકતા હતા.
જોકે, તે એક નામમાત્રની બાબત હતી. વિદેશી નેતાઓ જ્યારે ભારતની મુલાકાતે આવે છે ત્યારે તેઓ રાષ્ટ્રપતિભવનમાં નથી રહેતા. પણ તેઓ રાષ્ટ્રપતિભવનથી થોડે દૂર આવેલી ફાઇવ સ્ટાર હોટેલમાં રહે છે.
1950માં રાજેન્દ્ર પ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓ રાષ્ટ્રપતિભવનમાં રહેવા આવ્યા હતા.

ગાંધીજીની મુલાકાત

ઇમેજ સ્રોત, RASHTRAPATI BHAVAN
મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા પહેલાં પણ રાષ્ટ્રપતિભવનની મુલાકાત લીધી હતી. વાઇસરૉય પેલેસની સૌથી પહેલા મુલાકાત લેનારા લોકોમાં મહાત્મા ગાંધી એક હતા.
વાઇસરૉયે ગાંધીજીને મિટિંગ માટે બોલાવ્યા હતા પરંતુ વિન્સ્ટન ચર્ચિલ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
બ્રિટિશ સૉલ્ટ ટૅક્સ સામેના વિરોધની નિશાની તરીકે તેમને પીરસવામાં આવતી ચામાં ભેળવવા ગાંધી તેમની સાથે મીઠું લઈને ગયા હતા.
મહાત્મા ગાંધી અને ઇરવિન વચ્ચે ઘણી બધી મિટિંગ થઈ હતી અને અંતે 5 માર્ચ 1931ના રોજ ગાંધી-ઇરવિન સંધિ પર હસ્તાક્ષર થયા હતા.
ભારતની સ્વતંત્રતા બાદ સંરક્ષણ સાથે જોડાયેલા કાર્યક્રમો, નેતાઓના શપથગ્રહણ, મહાન કામ કરનારા લોકોને મૅડલથી સન્માનિત કરવા, વૈશ્વિક નેતાઓની સ્પીચ, જુદાં-જુદાં દેશો વચ્ચે સંધિ કરાર જેવા તમામ કામો રાષ્ટ્રપતિભવન પર કરવામાં આવતા હતા. ભારતના સ્વતંત્રદિવસ અને ગણતંત્રદિવસની ઉજવણી પણ માનવમહેરામણ સાથે આ જ જગ્યાએ થતી હતી.
લુટ્યેને કહ્યું હતું, "રાષ્ટ્રપતિભવન દિલ્હીનું સંપૂર્ણ, પરિપૂર્ણ અને અવિભાજ્ય ગેટવે છે."

મલ્ટી રાઉન્ડ ટૂર પ્રોગ્રામ

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
પ્રણવ મુખરજી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓ ઇચ્છતા હતા કે લોકો જુએ કે આ ભવન કેવું છે.
ઑગસ્ટ 2012થી રાષ્ટ્રપતિના રૂમ અને ઑફિસ સિવાય ભવનના અન્ય ભાગોને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા, તેને જોવા માટે મલ્ટી રાઉન્ડ ટૂર પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. રાષ્ટ્રપતિભવન આર્ટવર્ક ટૂર એ ત્રણ રાઉન્ડમાં વિભાજિત છે.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
સર્કિટ 1 : તે રાષ્ટ્રપતિભવનની મુખ્ય ઇમારત અને મધ્યમભાગને આવરી લે છે. તેમાં લોકો ફોરકોર્ટ, હૉલ ઑફ ટેકનૉલૉજિકલ ઇનોવેશન, રિસેપ્શન હૉલ, અશોકા હૉલ અને આ બે હૉલની વચ્ચે ઉપરનો ફ્લોર, દરબાર હૉલ, સેરેમોનિયલ હૉલ, હૉસ્પિટાલિટી રૂમ, લુટ્યેન્સની મોટી સીડી, બુદ્ધની પ્રતિમા વગેરેનો સમાવેશ થાય છે. અહીંનો દરેક ભાગ પોતાની વિશેષતા ધરાવે છે.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
મધ્યમાં એક પેઇન્ટિંગ છે જે ફાથ અલી શાહની છે જેઓ પર્સિયાના સાત કઝાર શાસકોમાંથી બીજા નંબરે હતા. આ પૅઇન્ટિંગ 5.20 મિટર લાંબુ છે અને 3.56 મિટર પહોળું છે. આ પેઇન્ટિંગ ફાથ શાહ દ્વારા ઇંગ્લૅન્ડના કિંગ જ્યૉર્જ IVને ભેટમાં અપાયું હતું. પૅઇન્ટિંગમાં રાજા તેમના 22 દીકરાઓ સામે વાઘનો શિકાર કરતા જોવા મળે છે.
લૉર્ડ ઇરવિનના સમયગાળા દરમિયાન આ પૅઇન્ટિંગ લંડનથી ભારત લવાયું હતું અને અશોકા હૉલમાં લગાવવામાં આવ્યું હતું. આ પૅઇન્ટિંગમાં લાગે છે કે ઑપ્ટિકલ ઇલ્યુઝન છે કેમ કે પૅઇન્ટિંગને રૂમના કોઈપણ ખુણામાંથી જુઓ તો એમ જ લાગે છે કે ફાથ અલી શાહ પૅઇન્ટિંગ તરફ જોનારને જ જોઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
લેડી વેલિંગટન ઇચ્છતા હતા કે માત્ર આ એક જ પૅઇન્ટિંગ આ હૉલમાં ન રાખવામાં આવે. તેમાં 12 અન્ય ભારતીય પૅઇન્ટર્સનું પણ કલેક્શન લાવવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
આ સિવાય ત્યાં ફારસી કવિ નિઝામી ગંજાવીનું ઑઇલ પૅઇન્ટિંગ પણ છે અને હૉલમાં એક લાંબી બ્રિટિશ ઘડિયાળ છે.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
અશોકા હૉલ વિદેશી રાજદૂતો માટે રાષ્ટ્રપતિને તેમની નિમણૂકના પત્રો રજૂ કરવાના સ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશોકા હૉલમાં કોઈ પ્રતિનિધિમંડળના રાત્રિભોજન પહેલાં તેમનું સ્વાગત કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
હજાર હાથ સાથેની બુદ્ધની પ્રતિમા : એક હજાર હાથ ધરાવતી બુદ્ધની પ્રતિમા જે સહસ્ત્રપાહુ અવલોકિતેશ્વરા તરીકે ઓળખાતી હતી, તે ડૉ. સર્વપલ્લી રાધાકિષ્નને વિયેતનામની સરકાર પાસેથી મળી હતી. ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નન ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. સંસ્કૃત શબ્દ સહસ્ત્રપાહુનો મતલબ છે 1 હજાર હાથ અને અવલોકિદેશ્વરાનો મતલબ છે 'દુનિયાને કરુણાથી જોતા ભગવાન'. માનવામાં આવે છે કે બુદ્ધનો આ અવતાર દયાની મૂર્તિ છે અને બુદ્ધના હજારો હાથ પીડિતો સુધી પહોંચવા માટે છે.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
દરબાર હૉલમાં પદ્મ ઍવૉર્ડ સમારોહનું આયોજન કરાય છે અને સાથે જ મૃત્યુ પામેલા સૈનિકોને સન્માન આપવા માટે મૅડલ સેરેમનીનું આયોજન થાય છે. તે જ રીતે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ, કેબિનેટમંત્રીઓનો શપથગ્રહણ સમારોહ, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ, ચીફ કમિશનર ઑફ ઇલેક્શન કમિશન, ચીફ ઇન્ફૉર્મેશન કમિશનરનો શપથગ્રહણ સમારોહ વગેરે દરબાર હૉલમાં જ થાય છે.
દરબાર હૉલનો ઉપયોગ ભારતના પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદનું 1977માં મૃત્યુ થયું ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા કરાયો હતો.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
રાષ્ટ્રપતિભવનના સેન્ટ્રલ ડોમ હેઠળ આવેલા સેરેમોનિયલ હૉલના ત્રણ રસ્તા છે.
સર્કિટ 2 : આ ભાગમાં રાષ્ટ્રપતિભવનના મ્યૂઝિયમ કૉમ્પ્લેક્સની ટૂર કરવામાં આવે છે. આ ભાગમાં ત્રણ જગ્યાએ ફરવામાં આવે છે : ક્લોક ટાવર, ગેરેજ અને ધ સ્ટેપલ્સ. ક્લોક ટાવરનું નિર્માણ 1925માં સર એડવિન લૂટ્યેન દ્વારા કરાયું હતું. તે રાષ્ટ્રપતિભવનની એક પારંપરિક ઇમારત છે. આ જગ્યા બૅન્ડ હાઉસ તરીકે ઓળખાતી હતી. તેનું નિર્માણ બ્રિટિશ આર્મીના બૅન્ડની તાલીમ માટે થયું હતું.

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
ધ ગૅરેજ - મ્યૂઝીયમ

ઇમેજ સ્રોત, RASHTRAPATHI BHAVAN
ત્રણ માળનું ગૅરેજ મ્યૂઝીયમ વર્ષ 2014માં ખૂલ્યું હતું. જે લોકોને કળા, સંસ્કૃતિ, ધરોહર, ઇતિહાસ વગેરેમાં રસ હોય, તેઓ આ જગ્યાની મુલાકાત લઈ શકે છે અને અહીં તસવીરો જોઈને સ્વતંત્રતા પહેલાંના ભારતને જોઈ શકે છે. અહીં સૌથી પહેલા રાષ્ટ્રપતિના કાર્યકાળથી માંડીને વર્તમાન રાષ્ટ્રપતિના કાર્યકાળ સુધીના મહત્ત્વના કાર્યક્રમોની તસવીરો છે.

ધ સ્ટેપલ્સ

ઇમેજ સ્રોત, RASHTRAPATI BHAVAN
રાષ્ટ્રપતિભવન મ્યુઝિયમ કૉમ્પ્લેક્સ એ ભારતીય સ્વતંત્રતા, લોકતંત્ર અને એકતાનું પ્રતીક છે. તેનું ઉદ્ઘાટન વર્ષ 2014માં 25 જુલાઈના રોજ થયું હતું. આ મ્યુઝુયમનું નિર્માણ પૂર્વ રાષ્ટ્રપતિઓને મળેલી ભેટોને સંભાળવા અને તેના પ્રદર્શન માટે કરાયું હતું. મ્યુઝુયમના કલેક્શનમાં ભેટમાં મળેલા હથિયાર, ફર્નિચર, પ્રતિમાઓ, ટૅક્સટાઇલ, તસવીરો અને બીજી ઘણી ચીજો સામેલ છે.
સર્કિટ 3 : આ ભાગમાં રાષ્ટ્રપતિભવનના જાણીતા ગાર્ડનનો સમાવેશ થાય છે. જેમ કે મુઘલ ગાર્ડન, ઔષધિ ગાર્ડન, મ્યુઝિક ગાર્ડન અને આધ્યાત્મિક ગાર્ડન.

ઇમેજ સ્રોત, RASHTRAPATI BHAVAN
અહીં ત્રણ પ્રકારના ગાર્ડન છે જે છે વર્તુળાકાર ગાર્ડન, લંબચોરસ ગાર્ડન અને લાંબુ ગાર્ડન.

ઇમેજ સ્રોત, RASHTRAPATI BHAVAN
લંબચોરસ ગાર્ડન રાષ્ટ્રપતિભવનની મુખ્ય ઇમારતની ખૂબ નજીક છે. અહીં ઉત્તર અને દક્ષિણમાં કેનાલ છે જ્યારે બીજી બે કેનાલ પૂર્વથી પશ્ચિમ સુધી જાય છે. આ પાણીની કેનાલો ગાર્ડનને અલગ અલગ ભાગમાં વહેંચી દે છે. કેનાલોની વચ્ચે એક ફુવારો છે જે વિક્ટોરિયા રેજિયા લિલિથી પ્રેરિત છે. આ ફુવારો 12 ફૂટ ઊંચો છે. ગાર્ડનની આજુબાજુ મૌલસરી (સ્પેનિશ ચેરી)ના ઝાડ ઉગાડવામાં આવ્યા છે.
અહીં બે લૉન છે. પૂર્વી લૉન લંબચોરસ આકારની છે અને ઇમારતની સામે છે. જ્યારે સેન્ટ્રલ લૉન ચોરસ આકારની છે.

ઇમેજ સ્રોત, RASHTRAPATI BHAVAN
અહીં અગાશી પર પણ ગાર્ડન છે. બંને ગાર્ડનની વચ્ચે એક ફુવારો બનાવાયો છે જેનું પાણી દીવાલની તરફ જાય છે. ગાર્ડનના અંતે બે ગાઝેબો બનાવવામાં આવ્યા છે જેની ડિઝાઇન લૂટ્યેન્સ દ્વારા તૈયાર કરાઈ હતી. ગાઝેબો એ વસ્તુ છે કે મોટી ખુલ્લી જગ્યામાં છાંયડો આપે. મુઘલ ગાર્ડન ચારે તરફથી રોક્સબર્ગના ઝાડથી ઘેરાયેલું છે. તે ઝાડને ચારેય ખુણે વાવવામાં આવ્યા છે જેનાથી કુદરતી છાંયડો મળી રહે.

ઇમેજ સ્રોત, RASHTRAPATI BHAVAN
આધ્યાત્મિક ગાર્ડનમાં પ્રવેશ લેતા દેવી સિંહ શેખાવત દ્વારા રોપવામાં આવેલું રૂદ્રાક્ષ ઝાડ મુલાકાતીઓનું સ્વાગત કરે છે. આ ગાર્ડનમાં 40 અલગ અલગ પ્રકારના છોડ અને ઝાડ છે જેમાં વાંસ, ચંદન, મહેંદી, એવોકાડો જેવા છોડનો સમાવેશ થાય છે. અહીં વરિયાળી, ખજૂર, જાસ્મિન, રીઠા જેવા ઝાડ પણ મળી આવે છે. અહીં 2015માં એક તળાવ બનાવાયું હતું. આ તળાવમાં કમળ અને વૉટર લિલિ જોવા મળે છે.
અબ્દુલ કલામ કુદરતી દવાઓને વધારે પ્રોત્સાહન આપતા હતા. એટલા માટે હર્બલ ગાર્ડનની સ્થાપના કરાઈ. તેના માટે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સની મદદ લેવાઈ હતી. આ ગાર્ડનમાં 33 જેટલા ઔષધિય અને સુગંધિત છોડ વાવવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, RASHTRAPATI BHAVAN
ઘણા રોગોના ઇલાજ અને ચેપને દૂર કરવા અશ્વગંધાનો ઉપયોગ થાય છે. માનસિક રોગોના ઇલાજ માટે બ્રહ્મીનો ઉપયોગ થાય છે. પ્રમિરોઝનું તેલ આહાર પૂરક, કૉસ્મેટિક તરીકે વાપરવામાં આવે છે. મેન્થોલ મિન્ટનો ઉપયોગ ટૂથપેસ્ટ, માઉથવૉશ, ચ્વિંગગમ, પીણાં, ચૉકલેટ અને કૉસ્મેટિક બનાવવામાં થાય છે. મેન્થોલનો ઉપયોગ દુખાવાની ક્રીમ અને કફ સિરપ બનાવવા માટે પણ થાય છે. આ બધી ઔષધિઓ અહીં મળી રહે છે.
કર્મચારીઓ માટેની સુવિધાઓ
રાષ્ટ્રપતિભવનમાં મહેમાનોના રહેવા માટે સુવિધાઓ છે. તેમાં ઍપાર્ટમેન્ટ છે જેના 8 ઍપાર્ટમેન્ટમાં એક રૂમ, હૉલ, કિચન છે જ્યારે અન્ય 8માં બે રૂમ, હૉલ, કિચન છે. અહીં રહેવાની પરવાનગી રાષ્ટ્રપતિ આપે છે.
આ સિવાય રાષ્ટ્રપતિભવનમાં મનોરંજન ફોરમ છે જેમાં સ્ટાફ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. ગ્રૂપ 4 સરકારી કર્મચારીઓ માટે 100 રહેણાંક ફ્લેટ બનાવાયા છે જેને 'ગ્રીન બિલ્ડિંગ્સ' નામ અપાયું છે. આ સિવાય અધિકારીઓ માટે 50 બીજા પણ રહેણાંક ફ્લેટ બનાવાયા છે. આ વિસ્તારને રાષ્ટ્રપતિની વસાહત કહેવામાં આવે છે જે રામ મનોહર લોહિયા હૉસ્પિટલની પાછળ છે. અહીં રહેવા માટે ટ્વિન ટાવર પણ છે જેમાં 72 ફ્લેટ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













