પિરિયડ્સ : મહિલાઓને માસિક કેમ આવે છે?

'માસિક ધર્મ' એ એક એવો શબ્દ છે, જેના વિશે આજે પણ લોકો ખૂલીને વાત કરી શકતા નથી. પરિસ્થિતિ છેલ્લા દસેક વર્ષની સરખામણીએ થોડીઘણી સુધરી છે, પરંતુ અત્યારે પણ તેના વિશે વાત કરતા લોકો ખચકાટ અનુભવે છે.

માસિક એ કુદરતી રીતે શરીરમાંથી નીકળતું લોહી છે અને તે મહિલા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ એક મહત્ત્વપૂર્ણ બાબત છે.

ત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે અનિયમિત માસિકની સમસ્યા શું છે? ઑવ્યુલેશન મહિલાઓ માટે કેમ જરૂરી છે? છોકરીઓ નાની ઉંમરથી પિરિયડ્સમાં કેમ થઈ રહી છે?

શું છે પિરિયડ્સની સાઇકલ?

સુરતમાં પ્રૅક્ટિસ કરતાં ગાયનેકોલૉજીસ્ટ ડૉ. શ્વેતા પટેલ કહે છે, "દરેક મહિલાના શરીરમાં બે અંડાશય અને એક ગર્ભાશય હોય છે.

અંડાશયમાંથી નીકળતા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હૉર્મોન્સ પર પિરિયડ્સની સાઇકલ આધાર રાખે છે.

તેઓ કહે છે, "પિરિયડ્સની સાઇકલના મુખ્ય ત્રણ તબક્કા છે. મૅન્સ્ટ્રુઅલ ફેઝ, ઑવ્યુલેશન ફેઝ અને લ્યુટિલ ફેઝ."

મૅન્સ્ટ્રુઅલ ફેઝ

મહિલાઓને જ્યારે બ્લીડિંગ શરૂ થાય તે તબક્કાને મૅન્સ્ટ્રુઅલ ફેઝ કહેવામાં આવે છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બ્લડ આવે છે ક્યાંથી?

તેના જવાબમાં ડૉ. શ્વેતા પટેલ કહે છે, "ગર્ભાશયની અંદર એક પડ હોય છે. જેને એન્ડોમૅટ્રિયમ કહેવાય છે. મૅન્સ્ટ્રુઅલ ફેઝમાં એન્ડોમૅટ્રિયમ તૂટવાની સાથેસાથે સર્વાઇકલ મ્યૂકસ અને શરીરમાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે."

તેઓ આગળ કહે છે કે આ એન્ડોમૅટ્રિયમ ઇસ્ટ્રોજન હૉર્મોનના કાબૂમાં હોય છે. દરેક સાઇકલ બાદ આ પડ નવેસરથી બનતું હોય છે.

ઑવ્યુલેશન ફેઝ

મૅન્સ્ટ્રુઅલ ફેઝ બાદ ઑવ્યુલેશન ફેઝ આવે છે. બ્લીડિંગ પૂર્ણ થયા બાદ 13થી 15 દિવસ વચ્ચે આ તબક્કો આવતો હોય છે.

ડૉ. શ્વેતા પટેલ પ્રમાણે, "આ તબક્કામાં અંડાશયમાંથી મહિલાબીજ છૂટું પડે છે અને જ્યારે આમ થાય છે ત્યારે 12થી 24 કલાક દરમિયાન તે ફર્ટાઇલ રહે છે."

આ વાતને સરળતાથી સમજાવતા તેઓ કહે છે, "આ ગાળો મહિલાઓ માટે ગર્ભધારણ કરવા માટે સૌથી યોગ્ય સમય હોય છે. કારણ કે અંડાશયમાંથી છૂટું પડેલું મહિલાબીજ ફર્ટાઇલ હોય છે."

લ્યુટિલ ફેઝ

ડૉ. પટેલ અનુસાર," જો ઑવ્યુલેશન ફેઝ દરમિયાન મહિલાને ગર્ભધારણ ન થાય તો પ્રોજેસ્ટેરોન નામનું હૉર્મોન રીલિઝ થાય છે.

આ હૉર્મોન મગજને સિગ્નલ મોકલે છે અને ત્યાર બાદ મગજ પિચ્યુટરી ગ્રંથિ અને હાઇપોથૅલેમસ ગ્રંથિને સંદેશ મોકલે છે.

જ્યાર બાદ ફરી વખત પિરિયડ્સ સાઇકલ શરૂ થાય છે.

અનિયમિત પિરિયડ્સ આવે તો શું કરવું?

ડૉ. શ્વેતા પટેલ કહે છે, "પહેલાં છોકરીઓને 12થી 14 વર્ષની ઉંમરે પિરિયડ્સ શરૂ થઈ જતા હતા. હવે 10થી 12 વર્ષની ઉંમરે પણ છોકરીઓ પિરિયડ્સમાં આવતી હોય એવા કિસ્સા સામે આવતા હોય છે."

પિરિયડ્સમાં અનિયમિતતા પાછળના કારણો જણાવતા તેઓ કહે છે કે લાઇફસ્ટાઇલ તેમજ ડાયટમાં ફેરફાર અને પૅસ્ટીસાઇડ તેમજ કૅમિકલ્સના સંપર્કમાં આવવાના કારણે હૉર્મોન્સ સાથે ચેડા થઈ રહ્યાં છે.

જેના કારણે પિરિયડ્સમાં અનિયમિતતા જોવા મળે છે. મોટાભાગે આ અનિયમિતતા હૉર્મોન્સને લઈને જોવા મળતી હોય છે. જેથી ગાયનેકોલૉજીસ્ટની સલાહ લીધા બાદ યોગ્ય સારવાર કરાવવી હિતાવહ છે.

માસિક પહેલાં અને દરમિયાન સ્વભાવમાં ફેરફાર કેમ આવે છે?

સામાન્ય રીતે પિરિયડ્સના સમયે શરીરમાં કેટલાક હળવાં પરિવર્તનો આવે છે. જેમાંનો એક છે, 'પ્રિ-મૅન્સ્ટ્રુઍશન ડિસ્ફૉરિક ડિસઑર્ડર.'

પીએમડીડીમાં મગજની અંદર સામાન્યથી વધુ પ્રમાણમાં કેમિકલની વધ-ઘટ થાય છે. આ અસંતુલન ભાવનાત્મક લક્ષણો પેદા કરે છે.

મનોચિકિત્સક સંદીપ વોહરાએ અગાઉ બીબીસી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું, "પીએમડીડીનાં લક્ષણો પિરિયડ્સના બે-ત્રણ દિવસ પહેલાંથી જ દેખાવાનાં શરૂ થઈ જાય છે.''

''તેમાં ભાવનાત્મક અને માનસિક લક્ષણો શારીરિક લક્ષણો સાથે જોડાઈ જાય છે. જેમાં ચીડ ચડવી, હતાશા અને તણાવનો અનુભવ થવો, ઊંઘ ના આવવી તેમજ ગુસ્સો આવવો જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે."

"કેટલાક કિસ્સામાં મહિલાઓને આત્મહત્યાના વિચારો પણ આવે છે. તેઓ ગુસ્સામાં અન્ય વ્યક્તિને પણ નુકસાન પહોંચાડી શકે છે. જોકે, આવું ઘણા ઓછા કિસ્સામાં થતું હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો