ગુજરાત કોરોના : બાળકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે માતાપિતાએ શું કાળજી રાખવી જોઈએ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારત સહિત ગુજરાત રાજ્યમાં કોરનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાછલા અમુક દિવસથી ગુજરાતમાં 20 હજાર ઉપરાંત કેસો નોંધાઈ રહ્યા છે.
કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટની સંક્રમણ ક્ષમતાથી ભલભલા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં મહાનગરો આ ચેપનું ઍપિસેન્ટર બનતાં જઈ રહ્યાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ વધુ ચિંતાની વાત તો એ છે કે પહેલાં માત્ર પુખ્તો માટે વધુ સંક્રમણકારક સાબિત થનાર કોરોનાનો ચેપ હવે ધીરે ધીરે બાળકોમાં પણ ફેલાતો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને નવજાત અને નાનાં બાળકોમાં.
નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 15-18 વર્ષની વયનાં બાળકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
પરંતુ હજુ પણ 15 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકો માટે રસી ઉપલબ્ધ નથી.
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ સિવિલમાં નવજાત અને નાનાં બાળકોમાં કોરોનાના ચેપના છ કિસ્સા આવી ચૂક્યા છે.
જ્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ હૉસ્પિટલમાં પણ માત્ર 40 દિવસની બાળકી કોરોનાગ્રસ્ત થતાં સારવાર લઈ મેળવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાંબા સમય પછી જોવા મળ્યું છે કે બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. કોરોનામાં વધતા જતા કેસો વચ્ચે બાળકોમાં વધતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે.

કોકૂન વૅક્સિનેશન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જો કોરોનાની ત્રીજી લહેર આવે તો બાળકોને તેની અસર થશે એવી અમને પહેલાંથી જ આશંકા હતી. તેથી અમે પૂર્વતૈયારી કરી રાખી હતી, કારણ કે આપણે ત્યાં કોકૂન વૅક્સિનેશન વ્યૂહરચના બાબતે જાગૃતિનો અભાવ છે."
તેઓ કોકૂન વૅક્સિનેશન વ્યૂહરચના અંગે સમજ આપતાં આગળ જણાવે છે કે કોકૂન વૅક્સિનેશન વ્યૂહરચના એટલે જે તે દર્દી કે રોગપ્રતિકારક શક્તિ ન ધરાવતી વ્યક્તિની આસપાસના તમામ લોકો જે તે રોગ માટે વૅક્સિનેટેડ હોય.
"આવા કિસ્સામાં કાં તો આવી વ્યક્તિ વૅક્સિન લેવા માટે ખૂબ નાની હોય છે અથવા તે વૅક્સિનની તેના સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરાબ અસર થઈ શકવાની સંભાવના હોય છે."
તેઓ કહે છે કે, "આ વ્યૂહરચનાના અમલીકરણનો આપણા ત્યાં અભાવ છે. હાલ અમદાવાદ સિવિલમાં છ બાળકો કોરોનાગ્રસ્ત છે. જે પૈકી મોટા ભાગનાં બાળકોનાં માતાપિતાએ વૅક્સિન લીધી નહોતી."

બાળકો સુધી પહોંચ્યો કોરોના
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉ. જોશી કોરોનાની માંદગીને કારણે સિવિલ હૉસ્પિટલના સંકુલમાં સારવાર લઈ રહેલાં બાળકો અંગે માહિતી આપતાં કહે છે કે, "આ છ બાળકો પૈકી એક 37 દિવસનું છે. જ્યારે અન્ય ત્રણ પણ નાનાં છે. સદનસીબે કોરોના એમના ફેફસાં સુધી નથી પહોંચ્યો. એટલે તેઓ બચી જશે. છ પૈકી ત્રણને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે."
તેઓ આ અંગે આગળ માહિતી આપતાં કહે છે કે ચાર બાળકોની સ્થિતિ સારી છે એટલે એમને ઝડપથી બચાવી શકાશે. પરંતુ એક વાત તો નક્કી જ છે કે બાળકોમાં ફેલાઈ રહેલો કોરોના કૉમ્યુનિટી સ્પ્રેડને કારણે છે.
આ વાતને સમર્થન આપતાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર શૈલેશ પરમારે કહ્યું કે, "અમદાવાદ ગ્રામ્યમાં 60 બાળકોને કોરોના થયો છે. અલબત્ત, કોરોના માઇલ્ડ છે. પરંતુ આનો ચેપ તેમને કૉમ્યુનિટી સ્પ્રેડના કારણે લાગ્યો છે. એમાં કોઈ બેમત નથી."
"શહેરમાં હજુ પણ ભણેલા લોકો કોકૂન વૅક્સિનેશનમાં માને છે પણ ગામડાંમાં કોકૂન વૅક્સિનેશન નથી હોતું એટલે બાળકોમાં કોરોના ઝડપથી ફેલાય છે."

40 દિવસની બાળકી કોરોનાગ્રસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હૉસ્પિટલમાં કોરોનાની સૌથી નાની વયની દર્દીઓ પૈકી એક દર્દી દાખલ છે.
બીબીસી ગુજરાતીના સહયોગી રાજીવ પરમારે મેળવેલી માહિતી અનુસાર માત્ર 40 દિવસની એક બાળકી કોરોનાનો ભોગ બની છે.
જૂના વડોદરા સિટી એરિયાની આ બાળકીને શહેરની અન્ય સરકારી હૉસ્પિટલ જમનાબાઈ હૉસ્પિટલ ખાતેથી SSG હૉસ્પિટલમાં પાંચ દિવસ પહેલાં જ સારવાર માટે ખસેડાઈ ત્યારે તે માત્ર 40 દિવસની હતી.
તેને ડાયરિયા અને ફીડિંગની તકલીફો હોવાના કારણે બાળકી ઘણી નબળી પડી ગઈ હતી. માતા અને બાળકી કોરોના ટેસ્ટમાં પૉઝિટિવ જણાઈ આવતાં તેમને બંનેને આઇસોલેશન વૉર્ડમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી.
SSGના પીડિયાટ્રિક વૉર્ડમાં હાલ માતા અને બાળકી બંને દાખલ છે. પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટનાં વડાં શીલા અય્યરના જણાવ્યા મુજબ આ અગાઉની બીજી લહેરમાં તેઓ 20 દિવસના કોવિડ પૉઝિટિવ બાળકની પણ સારવાર કરી ચૂક્યા છે અને તે વખતનો અનુભવ હમણાં તેમને કામ આવી રહ્યો છે. રાહતની વાત છે કે બાળકીની તબિયત હવે સ્થિર છે અને તેને સાજી કરવા તેઓ પૂરી મહેનત કરી રહ્યા છીએ.

બાળકો કેવી રીતે જણાવશે પોતાનું દર્દ?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. રાકેશ જોશી કોકૂન વૅક્સિનેશન વ્યૂહરચનાના અસરકારક અમલ માટે આગ્રહ કરતાં કહે છે કે, "હમણાં ઋતુફેર હોવાના કારણે શરદી-ખાંસી અને અશક્તિ જેવાં લક્ષણો જોવા મળે તો પુખ્ત વયના લોકો કોરોનાનો ટેસ્ટ કરાવે છે."
"પણ બાળકોમાં આળસ આવે કે તેને ખાંસી કે માથાનો દુખાવો થાય તો તે કહી શકતું નથી. ત્યારે આને ઓળખવું મુશ્કેલ પડે છે. આ બાળકો ઘરના વડીલોમાં પણ કોરોના ફેલાવી શકે છે માટે જે ઘરમાં નાનાં બાળકો હોય તેમણે કોકૂન વૅક્સિનેશન વ્યૂહરચના જરૂર અનુસરવી."
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના પ્રવક્તા ડૉ. મુકેશ મહેશ્વરીએ બીબીસી સાથેની વાતચીતમાં પરિસ્થિતિની ગંભીરતા વિશે કહ્યું કે, "ત્રીજી લહેરમાં બાળકો ટાર્ગેટ થાય એવી આશંકા પહેલેથી જ હતી, કારણ કે વૅક્સિનેશન વયસ્કોનું થયું હતું."
"હમણાં જ 15થી 18 વર્ષનાં બાળકોનું વૅક્સિનેશન શરૂ થયું છે. નાનાં બાળકોનું વૅક્સિનેશન નથી થયું. એટલે એમનામાં કોરોના ફેલાવાની શક્યતા વધુ છે."
"સદનસીબી એ છે કે બાળકોમાં ઇન્બિલ્ટ ઇમ્યુનિટી રોબર્સ હોય છે. એટલે એમનામાં કોરોના વધુ જોખમી નથી બનતો.એટલે જ ડેલ્ટા વખતે બાળકો બચી ગયાં હતાં. પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ બાળકો જ્યારે ઘરમાં હોય ત્યારે એમનાં લક્ષણો ઝડપથી ખબર પડતાં નથી એવા સંજાગોમાં એ વડીલોમાં કોરોના ચેપ ફેલાવી શકે એમ છે."

માતાપિતા નૅગેટિવ, 37 દિવસના બાળકને કોરોના?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોરોનાગ્રસ્ત એક માસ અને સાત દિવસના બાળકનાં માતાને કોરોના નથી થયો.
માતા કલ્પનાબહેન (નામ બદલ્યું છે)ને કોરોના નથી થયો. કલ્પનાબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારા બાળકને કેવી રીતે કોરોના થયો એ ખબર નથી પડતી. મને કે મારા પતિ બેમાંથી એકેયને કોરોના નથી થયો. અત્યારે મારું બાળક બ્રેસ્ટ ફીડિંગ પર છે. અને એને ઓક્સિજન પણ આપવામાં આવે છે. ખોરાક માટે ઘણી કાળજી રાખી રહ્યાં છીએ."
કલ્પાનાબહેન પોતાની ભૂલ માનતાં કહે છે કે, "જો અમે વૅક્સિન લીધી હોત તો અમારા બાળકને કોરોના ના થયો હોત. ઘણા વખત પછી અમારે ત્યાં બાળકનો જન્મ થયો છે ત્યારે આ મુસીબત અમને પરેશાન કરી રહી છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારી જેમ કોઈ પણ માબાપને તકલીફ ના પડે."
ડૉ. જોશી બાળકોને બચાવવાની વ્યૂહરચના અંગે વાત કરતાં કહે છે કે, "બાળકોમાં કોરોનાની સ્થિતિ વકરે તો તેની સંભાવનાને ધ્યાને લઈને અમે 300 બેડ તૈયાર રાખ્યા છે. ચિંતા માત્ર જન્મજાત કિડની, હૃદય, રક્તચાપ કે થાઇરોઈડની બીમારી ધરાવતાં બાળકો અંગે છે."
"પરંતુ પોતાનાં બાળકને કોરોનાથી દૂર રાખવા માટે દરેક માતાપિતાએ કોકૂન વૅક્સિનેશન વ્યૂહરચના અપનાવી લેવી જોઈએ. ઘરમાં કોઈને સાદો તાવ કે ખાંસી હોય તો તેમણે તરત જ આઇસોલેટ થઈને ટેસ્ટ કરાવવો જોઈએ, કારણ કે આ કૉમ્યુનિટી પ્રસાર છે. જો આ પગલાં લેવાય તો બાળકોને સરળતાથી બચાવી શકાશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












