ઓમિક્રૉન : કોરોનાના અલગ-અલગ મ્યૂટેશન્સને પકડી પાડતું જિનોમ સિક્વન્સિંગ શું છે?

    • લેેખક, મયંક ભાગવત
    • પદ, બીબીસી મરાઠી

ભારત સહિત આખી દુનિયામાં હાલ કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનને લઈને ફફડાટ છે. ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોમાં ઓમિક્રૉન વૅરિયન્ટે દેખા દીધી છે.

આ નવા વૅરિયન્ટની તપાસ માટે તજજ્ઞો જિનોમ સિક્વન્સિંગનો સહારો લે છે.

આ જિનોમ સિક્વિન્સિંગ છે શું અને તેની જરૂર કેમ પડે છે?

દરેક વાઇરસનો અલગ ડીએનએ અથવા આરએનએ કોડ હોય છે. વાઇરસનું માળખું એ, ટી, જી અને સી નામક ન્યૂક્લિયો ટાઇડ્સ તરીકે ઓળખાય છે. જો વાઇરસના માળખામાં ધરખમ ફેરફાર થાય તો તબીબી ભાષામાં તેને 'વાઇરસના નવા સ્ટ્રેન' તરીકે ઓળખવામાં આવે છે.

આ અંગે વાત કરતા પૅથોલોજિસ્ટ ડૉ. પ્રસાદ કુલકર્ણી કહે છે કે, "વાઇરસના ચોક્કસ જિનેટિક કોડ હોય છે. જેમ-જેમ વાઇરસ પ્રસરે છે, તેના જિનેટિક માળખામાં પણ પરિવર્તન આવતું રહે છે. કેટલીક વખત વાઇરસનું વર્તન અને સંક્રમણશક્તિમાં પણ ફેરફાર જોવા મળે છે."

તેઓ વધુમાં કહે છે કે," જિનોમ સિક્વન્સિંગમાં વાઇરસના જૂના અને નવા માળખાને સરખાવવામાં આવે છે. જેના પરથી નવા માળખામાં આવેલા ફેરફારને પણ જાણી શકાય છે."

જિનોમ સિક્વન્સિંગના ફાયદા શું?

જિનોમ સિક્વન્સિંગ અંગે બીબીસી સાથે વાત કરતા કેન્દ્ર સરકારની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના ડિરૅક્ટર જનરલ ડૉ. શેખર માંડેએ કહ્યું કે,"જિનોમ સિક્વન્સિંગ દ્વારા વાઇરસ મ્યૂટેટ થયો છે કે કેમ તે જાણી શકાય છે. તેનાથી એમ પણ જાણી શકાય છે કે, વાઇરસ ક્યાં અને કઈ રીતે પ્રસરે છે."

તજજ્ઞો અનુસાર, જિનોમ સિક્વન્સિંગના મુખ્ય 4 ફાયદા છે

  • વાઇરસ કઈ રીતે અને ક્યાં પ્રસરી રહ્યો છે તે જાણી શકાય છે
  • ઉપલબ્ધ રસીઓ વાઇરસ પર કેટલી અસરકારક છે તે જાણી શકાય છે
  • શું નવો સ્ટ્રેન માણસોને સંક્રમિત કરી શકે તેમ છે કે નહીં, તેના સંશોધન કરી શકાય છે
  • નવા વાઇરસ અને તેના સ્ટ્રેનને શોધી શકાય છે

ડૉ. માંડે વધુમાં કહે છે કે,"આપણે વિદેશથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કર્યા બાદ સેમ્પલ્સ પર જિનોમ સિક્વન્સિંગ કરી શકીએ છીએ. જે આપણને ઘણી મદદરૂપ માહિતી આપી શકે છે."

શું જિનોમ સર્વેલન્સની જરૂર છે?

જિનોમ સર્વેલન્સ અંગે ડૉ. માંડે જણાવે છે કે," તેની ખૂબ જ જરૂર છે. વાઇરસ સતત મ્યૂટેટ થઈ રહ્યો છે. જેથી આપણે સતત જિનોમ સિક્વિન્સિંગ પર નજર રાખવી જોઈએ. શું કોઈ નવો સ્ટ્રેન છે? શું તે ઝડપથી પ્રસરી રહ્યો છે? આ તમામ જાણકારી જિનોમ સર્વેલન્સથી પ્રાપ્ત થઈ શકે છે."

નીતિ આયોગના સદસ્ય ડૉ. પૉલના જણાવ્યા અનુસાર,"આ સ્ટ્રેનમાં મ્યૂટેશન એ જગ્યાએ આવ્યું છે. જ્યાંથી વાઇરસ માનવશરીરમાં પ્રવેશે છે. જે સ્પાઇક પ્રોટીનને બદલે છે. આ પરિવર્તન વાઇરસને શરીરમાં પ્રવેશવા માટે વધુ સક્ષમ બનાવે છે. જે સૌથી મહત્વપૂર્ણ બાબત છે."

ભારતમાં જિનોમ સિક્વન્સિંગની હાલની પરિસ્થિતિ

ભારતમાં જિનોમ સિક્વન્સિંગ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચની બે લૅબોરેટરીઓ તેમજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી જેવી લૅબોરેટરીઓમાં પણ કરવામાં આવે છે.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ ઍન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલૉજી (આઈજીઆઈબી) એ દિલ્હીમાં મોટી સંખ્યામાં જિનોમ સિક્વન્સિંગ કર્યું હતું.

આઈજીઆઈબીના નિદેશક ડૉ. અનુરાગ અગરવાલે બીબીસીને જણાવ્યું કે,"ભારતમાં કોરોનાને લગતા 4 હજારથી વધુ સૅમ્પલનું જિનોમ સિક્વન્સિંગ હાથ ધરવામાં આવ્યું છે."

તેઓ કહે છે કે,"જિનોમ સિક્વન્સિંગથી જાણી શકાય છે કે વાઇરસના નવા મ્યૂટેશન્સ થયા છે કે કેમ અને આ માહિતીનો ઉપયોગ સારવાર માટે પણ કરી શકાય છે."

કોના સૅમ્પલ્સને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે

આ અંગે વાત કરતા ડૉ. અનુરાગ અગ્રવાલ જણાવે છે કે, મુખ્યત્વે ચાર પ્રકારના લોકોના સૅમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવાની જરૂર છે

  • કોરોના સંક્રમિત થયેલા લોકો પૈકી કેટલાક લોકોના
  • વિદેશથી આવતા તમામ મુસાફરોના સૅમ્પલ
  • બીજી વખત કોરોના સંક્રમિત થયેલા લોકોના સૅમ્પલ
  • રસીના ચકાસણી પ્રોગ્રામમાં ભાગ લેનારા લોકોના સૅમ્પલ

નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલના જણાવ્યા પ્રમાણે,"અમે વાઇરસના બંધારણને લૅબોરેટરીમાં ચકાસીએ છીએ. અત્યાર સુધી હજારો વાઇરસની ચકાસણી કરી છે."

તજજ્ઞો અનુસાર, જિનોમ સિક્વન્સિંગ પાછળ 24થી 48 કલાક લાગે છે. સૅમ્પલ દર્દીના નાકમાંથી લેવામાં આવે છે. જો તે અગાઉથી જ સંક્રમિત હોય તો તેના સૅમ્પલ જ મોકલવામાં આવે છે.

ડૉ. શેખર માંડેના જણાવ્યા અનુસાર,"નવા સ્ટ્રેનની વૅક્સિન પર અસર નહિવત જોવા મળશે. વૅક્સિન ઍન્ટીબોડી પેદા કરે છે. જેથી કોરોના પ્રતિરોધક રસી અસરકારક નીવડશે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો