You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઓમિક્રૉનના ભય વચ્ચે સરકારનું જાહેરનામું : કેવા ફેરફારો કરાયા?
સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા અને વધુ ખતરનાક ગણાઈ રહેલા સ્વરૂપ એવા ઓમિક્રૉન વૅરિયન્ટને કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે, ત્યારે ગુજરાતનાં આઠ મહાનગરોમાં રાત્રીકર્ફ્યુ ચાલુ રાખવાનો યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો છે.
દિવાળી બાદ પણ રાજ્યના કોરોનાના કેસોમાં નજીવો વધારો નોધાતાં રાજ્યના ગૃહવિભાગ દ્વારા આ નિર્ણય જારી કરાયો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં 30 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી રાત્રિકર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી.
આ પહેલાંના સમયગાળામાં મધ્યરાત્રિના 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં હતો. જેને ઘટાડીને 30 ઑક્ટોબરથી રાત્રિના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરી દેવાયો હતો.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ જેવાં મહાનગરોમાં નવી ગાઇડલાઇન પ્રમાણે નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે.
જોકે આ આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ સમયે અનિવાર્ય સુવિધાઓ અને અવરજવરને શરતી પરવાનગી આપવામાં આવી છે.
વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે જારી કરાઈ ગાઇડલાઇન
મહાનગરોમાં આ સમયગાળાને બાદ કરતાં મોટા ભાગની વાણિજ્યિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે. રેસ્ટોરાં હવે રાત્રિના બાર કલાક સુધી ચાલુ રાખી શકાશે.
રાજ્યમાં લગ્નમાં 400 લોકો હાજર રહી શકશે. તેમજ અંતિમક્રિયા અને દફનવિધિ માટે મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો SOP (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરવાની શરતે 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
આ સિવાય ધોરણ નવથી પોસ્ટ ગ્રૅજ્યુએટ કોર્સ સુધીના કોચિંગ ક્લાસ, ટ્યુશન ક્લાસ તેમજ તમામ સ્પર્ધાત્ક પરીક્ષા માટેના ક્લાસ 50 ટકા ક્ષમતાએ વિદ્યાર્થીઓ સાથે SOPના પાલન સાથે ચાલુ રાખી શકાશે.
આ સિવાય પબ્લિક અને ખાનગી ટ્રાન્સપોર્ટ માટે નોન-એસી બસસેવાઓ 100 ટકાની ક્ષમતાએ અને એસી બસસેવાઓ 75 ટકાની ક્ષમતાએ ચાલુ રાખી શકાશે.
શાળા, કૉલેજ અને સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ SOPના પાલન સાથે ચાલુ રાખી શકાશે.
આ સિવાય પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ કે સંકુલોમાં રમતગમતની સ્પર્ધાનું આયોજન કરી શકાશે.
ઉપરોક્ત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ માલિકો અને સંચાલકો તેમજ કામગીરી સાથે સંકળાયેલ લોકોએ કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ લીધેલો હોય એ ફરજિયાત રાખવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો