IND vs NZ : ભારત અને ન્યૂઝીલૅન્ડની પહેલી ટેસ્ટમૅચ ડ્રૉ, શ્રેયસ અય્યર અને રવીન્દ્ર જાડેજા મૅચના હીરો

પ્રવાસી ન્યૂઝીલૅન્ડ અને ભારતીય ટીમ વચ્ચેની પ્રથમ ટેસ્ટમૅચ ડ્રૉ થઈ ગઈ છે. બીજી ઇનિંગમાં ન્યૂઝીલૅન્ડની ટીમે નવ વિકેટ ગુમાવી હતી, પરંતુ અંતિમ દિવસ પૂરો થઈ જતાં આ મૅચ ડ્રૉ થઈ ગઈ છે.

ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 345 રન કર્યા હતા અને બીજી ઇનિંગમાં 234 રન કર્યા હતા, જેની સામે ન્યૂઝીલૅન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં 296 રન કર્યા હતા અને બીજી ઇનિંગમાં 284 રનનો ટાર્ગેટ સાધવા મથી રહી છે.

બીજી ઇનિંગમાં લેથમની 52 રનની પારી સિવાય ન્યૂઝીલૅન્ડની ટીમના અન્ય બૅટ્સમૅન વધારે રન કરી શક્યા ન હતા. જોકે આખર સુધી રચીન રવીન્દ્ર ટકી રહ્યા હતા અને મૅચને ડ્રૉ કરાવવામાં તેઓ સફળ રહ્યા હતા.

મયંક અગ્રવાલ અને ગિલની વિકેટ બાદ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પણ આઉટ થઈ ગયા હતા. ભારતીય ટીમની ચાર વિકેટ પડી ગઈ હતી અને સ્કોર માંડ 150 પણ નહોતો થયો.

જોકે શ્રેયસ અય્યર અને રવીન્દ્ર જાડેજા દિવસના અંત સુધીમાં ટીમને મજબૂત સ્થિતિમાં લઈ આવ્યા હતા, અય્યરે 136 બૉલમાં 75 રન કર્યા હતા. જ્યારે જાડેજાએ 100 બૉલમાં 50 રન કર્યા હતા.

ગુરુવારે આ મૅચ શરૂ થઈ તે પહેલાંથી જ ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ માનસિક રીતે હતાશ જણાતા હતા.

તો બીજી તરફ ભારતીય ટીમ પણ ઓછી સમસ્યાઓ સાથે ઊતરી નથી.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ગુરુવારથી બે ટેસ્ટ મૅચની સિરીઝનો પ્રારંભ થયો છે. આ બાદ સિરીઝની બીજી મૅચ ત્રીજી ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.

ભારતે પ્રથમ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કપ્તાન રહાણે ન ચાલ્યા

જોકે ભારતીય ટીમ માત્ર તેની સ્પિન બૉલિંગના જોરે જ ફેવરિટ છે.

એ સિવાય ટીમનું નેતૃત્વ કપ્તાન રહાણે કરી રહ્યા છે, જેમની કારકિર્દી લગભગ અંત તરફ આગળ ધપી રહી છે. આ મૅચમાં પણ તેઓ બૅટ્સમૅન તરીકે સારું પ્રદર્શન કરી શક્યા નથી.

ઝડપી બૉલર ઈશાંત શર્માની સ્થિતિ પણ રહાણે જેવી જ છે. આ સિવાય ટીમમાં એવા ખેલાડીઓ છે, જેઓ લિમિટેડ ઓવરના નિષ્ણાત છે પણ પાંચ દિવસીય ક્રિકેટમાં સ્થાન જમાવવા પ્રયાસ કરી રહ્યા છે.

તો એકંદરે ભારતની બીજા દરજ્જાની ટીમ આ મૅચમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન ન્યૂઝીલૅન્ડ સામે ટકરાઈ રહી છે.

મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને આરામ

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી સતત રમી રહી છે, જેના કારણે આ મૅચમાંથી નિયમિત સુકાની વિરાટ કોહલી, ટી20ના સુકાની અને ઓપનર રોહિત શર્મા, ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે.

કૅપ્ટન રહાણે પોતે સારા ફૉર્મમાં નથી અને તેમની કારકિર્દી જોખમમાં છે, તેમની સાથે 100 ટેસ્ટના અનુભવી અને કારકિર્દીના અંતિમ ચરણમાં પહોંચી ગયેલા ઝડપી બૉલર ઈશાંત શર્મા રમી રહ્યા છે.

શ્રેયસ અય્યર હીરો

આ મૅચ સાથે શ્રેયસ અય્યરની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ થયો છે.

અય્યર પ્રથમ ટેસ્ટમૅચની બંને ઇનિંગમાં ભારતીય ટીમના સૌથી વધારે રન કરનારા બૅટ્સમૅન રહ્યા છે.

પહેલી ઇનિંગમાં 105 રન કર્યા હતા, આ પારી તેઓ એવા વખતે રમ્યા જ્યારે 145 રન પર ભારતીય ટીમના ચાર મજબૂત બૅટ્સમૅન પૅવેલિયન પરત જઈ ચૂક્યા હતા. જે બાદ બીજી ઇનિંગમાં તેમણે 125 બૉલમાં 65 રન કર્યા છે.

આઈપીએલના સફળ ખેલાડીઓ પૈકીના એક અય્યરનો ટેસ્ટ ડેબ્યૂ ધમાકેદાર રહ્યો છે.

બીજી ઇનિંગમાં કપ્તાન રહાણે, એસ. ગિલ, રવીન્દ્ર જાડેજા જલદી આઉટ થઈ ગયા હતા પણ અય્યર અને સાહાએ અનુક્રમે 65 અને 61 રન કરીને બીજી ઇનિંગનો સ્કોર 234 સુધી પહોંચાડ્યો હતો.

ન્યૂઝીલૅન્ડ સામે ભારતમાં ટેસ્ટ નહીં હારવાનો રેકર્ડ

ન્યૂઝીલૅન્ડની ટીમ ભલે ગયા સપ્તાહે ટી20 સિરીઝ હારી ગઈ, પરંતુ તેના પાંચેક દિવસ અગાઉ આ ટીમ ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં રમી હતી.

ન્યૂઝીલૅન્ડ સામે ભારત ઘરઆંગણે ક્યારેય ટેસ્ટ સિરીઝ હાર્યું નથી, ન્યૂઝીલૅન્ડની ટીમે 1955માં પહેલી વાર ભારતનો પ્રવાસ ખેડ્યો હતો અને તેમાં તેનો 2-0થી પરાજય થયો હતો.

આ એ જ સિરીઝ હતી જેમાં પોલી ઉમરીગરે એક અને વિનુ માંકડે બે બેવડી સદી ફટકારી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ભારતની ટીમ ઘરઆંગણે ન્યૂઝીલૅન્ડ સામે એકેય સિરીઝ હારી નથી.

બંને વચ્ચે અત્યાર સુધીમાં ભારતમાં 11 સિરીઝ રમાઈ છે અને તેમાંથી 1969 (1-1થી ડ્રો) અને 2003 (0-0થી ડ્રો)ને બાદ કરતાં ભારતે તમામ સિરીઝ જીતી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો