કૃષિકાયદા રદ : શંકરસિંહ વાઘેલા, હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું?

એકાદ વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન બાદ નરેન્દ્ર મોદીએ કૃષિકાયદાઓ પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદિત કૃષિકાયદાઓ પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે તેને વિપક્ષ કૉંગ્રેસે સરકારનું અભિમાન તોડનારી ખેડૂતોની જીત ગણાવી છે.

કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં કહ્યું કે, તૂટી ગયું અભિમાન, જીતી ગયો મારા દેશનો ખેડૂત.

એમણે લખ્યું, ''આજે ખેડૂત આંદોલનનો વિજય થયો છે. આંદોલનમાં અને ભાજપની તાનાશાહીથી શહીદ થનારા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ તરીકે અર્પિત છે.''

''ભાજપના નેતાઓ અત્યાર સુધી કૃષિકાયદાઓ લાગુ કરવાના ફાયદાઓ ગણાવતા હતા પણ હવે આજથી તેઓ કૃષિકાયદાઓ પાછા ખેંચવાના ફાયદા ગણાવશે.''

શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, ''સંઘર્ષ અને સત્યનો કાયમ વિજય થાય છે.''

કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરનારા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નરેન્દ્ર મોદીની જાહેરાત પર સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, ''પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં તોળાઈ રહેલા ખતરાને લઈને ત્રણે કૃષિકાયદાઓ પરત ખેંચવાની સરકારની જાહેરાતનું સ્વાગત છે. જો ચૂંટણી ગણિતને બદલે માનવીય સંવેદનાથી પ્રેરાઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોત તો સેંકડો ખેડૂતોનો જીવ બચી જાત.''

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, ''જય જવાન જય કિસાન. ખેડૂતોની એકતા ઝિંદાબાદ. એક માણસના અહંકારને લીધે 700 ખેડૂતો શહીદ થયા, કરોડો ખેડૂતો પરેશાન થા અને આર્થિક રીતે પાયમાલ બન્યા. પહેલા જ દિવસે પોતાનો અહં છોડીને દેશનો અવાજ સાંભળ્યો હોત તો ખેડૂતોને બલિદાન ન આપવું પડત.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો