You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૉન-વેજ ફૂડ વિવાદ : ગુજરાતમાં જેના પર ચર્ચા છેડાઈ એ ઈંડાં વિશે જાણવા જેવું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
છેલ્લા લગભગ એક સપ્તાહથી ગુજરાતમાં નૉન-વેજ તથા ઈંડાંની લારીઓ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યાં છે.
રાજકોટ, ભાવનગર, વડોદરા અને અમદાવાદ જેવાં મ્યુનિસિપલ કૉર્પોરેશન તંત્ર દ્વારા દબાણ તથા માંસાહારી ખોરાકના જાહેરમાં પ્રદર્શનથી સુરૂચિનો ભંગ થતો હોવાનો તથા ટ્રાફિકની સમસ્યાનો તર્ક અપાયો છે.
વિપક્ષનો આરોપ છે કે આગામી વર્ષની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા લોકોની લાગણીઓને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોરોના, મોંઘવારી તથા બેરોજગારી મુદ્દે નિષ્ફળ રહેલી સરકાર લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા માગે છે.
આ ચર્ચાના કેન્દ્રમાં ઈંડાં પણ છે. જે કેટલાકના મતે વેજિટેરિયન છે તો કેટલાકના મતે નૉન-વેજિટેરિયન.
ઈંડાં : શાકાહાર કે માંસાહાર?
ફેબ્રુઆરી-2020માં 'ઇકૉનૉમિક ટાઇમ્સ'માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, શાકાહારીઓ પ્રાણીનું માંસ ખાતા નથી એટલે ટેકનિકલી ઈંડાંને વેજિટેરિયન ગણી શકાય. જે લોકો ચિકન, ફિશ, બીફ, સૂવર કે અન્ય પ્રાણીઓનું માંસ નથી ખાતા, પરંતુ ઈંડાં ખાય છે, તેમને ઓવો-વેજિટેરિયન તરીકે ઓળખવામાં આવે છે.
ઈંડાં બે પ્રકારના હોય છે, ફલિત થયેલાં તથા ફલિત નહીં થયેલાં. જ્યારે મરઘી અને મરઘા વચ્ચે સંવનન થાય છે, તે પછી મરઘી જે ઈંડું આપે છે તે ફલિત થયેલું ઈંડું હોય છે, જેને સેવતા તેમાંથી બચ્ચું નીકળે છે.
આ સિવાય પણ મરઘી ઈંડું આપે છે. પૉલ્ટ્રી ફાર્મવાળા મરઘીઓથી મરઘાને દૂર રાખે છે એટલે તે ફલિત નહીં થયેલાં ઈંડાં હોય છે.
પોષકપણામાં નહીં મીંડું
ઈંડાંને 'સંપૂર્ણ આહાર'ની નજીક માનવામાં આવે છે, મતલબ કે તેમાં શરીર માટે જરૂરી તમામ પોષકતત્ત્વો હોય છે, તેમાં પ્રોટીનનું પ્રમાણ સવિશેષ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશ-વિદેશમાં ઈંડાં સરળતાથી મળી રહે છે અને તેમાંથી અનેક વેરાઇટી બની શકે છે અને તે મિનિટોમાં તૈયાર થઈ જાય છે, એટલે તે વિશેષ લોકપ્રિય છે.
એક બાફેલાં ઈંડાંમાં 211 કૅલરી, સાત ગ્રામ પ્રોટીન, ફેટ 22 ગ્રામ તથા વિટામિન-એ 16 ટકા, વિટામિન-સી શૂન્ય ટકા, લોહતત્ત્વ નવ ટકા તથા કૅલ્શિયમ સાત ટકા હોય છે.
અમુક શોધમાં બહાર આવ્યું છે કે ઈંડાંને અન્ય ચીજો સાથે મેળવીને ખાવામાં આવે તો તે વધુ લાભકારક બની રહે છે. જેમ કે, ઈંડાંને સલાડ સાથે લેવામાં આવે તો વિટામિન-ઈ વધુ પ્રમાણમાં મળે છે.
દૂધ, ઈંડાં અને આહાર
ઈંડાંમાંથી મળતું કોલિન અલઝાઇમરની સામે લડવામાં મદદરૂપ હોઈ શકે.
બાળકો માટે ભોજનક્ષેત્રે કામ કરતાં કાર્યકર્તાઓનું માનવું છે કે બાળકોને દૂધના બદલે ઈંડાં આપવામં આવે તો તે વધુ પોષણક્ષમ હોય છે, કારણ કે તેમાં ભેળસેળ થવાની શક્યતા નથી રહેતી તથા તે બધે સરળતાથી ઉપલબ્ધ બની રહે છે.
દૂધની સરખામણીમાં સહેલાથી તેનો સંગ્રહ થઈ શકે છે.
ડેરી પ્રોડક્ટ્સમાં દૂધનો વપરાશ વધ્યો છે, એટલે અગાઉની સરખામણીમાં દૂધની પ્રાપ્યતા ઘટી છે. કેટલાંક રાજ્યોમાં પાણીમાં દૂધ-પાઉડર ભેળવીને આપવામાં આવે છે, પરંતુ પાણીની ગુણવત્તા તથા સ્વાદને કારણે આ વિચાર વધુ સ્વીકાર્ય નથી બન્યો.
ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને ત્રિપુરા જેવાં રાજ્યોમાં બાળકોને મધ્યાહ્ન ભોજનમાં ઈંડાં પણ આપવામાં આવે છે.
ઈંડાં અને કૉલેસ્ટ્રોલ
ઈંડાંમાંથી અનેક વેરાઇટી ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ શકે
કૉલેસ્ટ્રોલ પીળા રંગની ચરબી છે, જે આપણાં પિત્તાશય તથા આંતરડાંમાં પેદા થાય છે. સામાન્ય રીતે તેને 'ખરાબ' માનવામાં આવે છે, પરંતુ તે કોષોના નિર્માણ માટે ઈંટનું કામ કરે છે.
શરીરમાં વિટામિન-ડી તથા ટેસ્ટોસ્ટેરોન તથા ઑસ્ટ્રોજેન જેવા હોર્મૉનના નિર્માણ માટે તે જરૂરી છે.
આપણા શરીરમાં કૉલેસ્ટ્રોલ આપોઆપ બને છે, આ સિવાય પ્રાણીઓમાંથી પણ મળે છે. માંસ, ઝીંગાં અને ઈંડાં ઉપરાંત ચીઝ અને બટરમાંથી પણ મળે છે.
લોહીમાં રહેલા લિપોપ્રોટીન મૉલેક્યુલ મારફત તે સમગ્ર શરીરમાં પહોંચે છે.
દરેક વ્યક્તિમાં આ લિપોપ્રોટીનું કૉમ્બિનેશન અલગ-અલગ પ્રમાણમાં હોય છે, જેના પર હૃદયની બીમારી આધાર રાખે છે.
લૉડેનસિટી લિપોપ્રોટીન કૉલેસ્ટ્રોલને 'ખરાબ' કૉલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. જે પિત્તાશયમાંથી લોહીની ધમનીઓ મારફત શરીરના કોષો સુધી પહોંચે છે. લોહીની નળીઓમાં કૉલેસ્ટ્રોલ એકઠો થવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે.
કૉલેસ્ટ્રોલ તથા હૃદયની બીમારીઓ વચ્ચે સંશોધકોને કોઈ સીધો સહસંબંધ માલૂમ નથી થયો, એટલે જ અમેરિકા કે યુકેની ભોજનસંબંધિત માર્ગદર્શિકામાં કૉલસ્ટ્રોલનો કોઈ ઉલ્લેખ નથી. નિષ્ણાતો ટ્રાન્સફેટની ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપે છે.
અમેરિકાની યુનિવર્સિટી ઑફ કનેક્ટિકટમાં ન્યુટ્રિશિયનલ સાયન્સીઝનાં પ્રોફેસર મારિયા લુઝ ફર્નાન્ડિઝના કહેવા પ્રમાણે, "અન્ય પ્રાણીજન્ય ઉત્પાદો તથા માંસની સરખામણીમાં ઈંડાંમાં કૉલેસ્ટ્રોલ વધુ હોય છે. છતાં લોહીના કૉલેસ્ટ્રોલમાં વૃદ્ધિ માટે સૅચ્યુરેટેડ ફેટ જવાબદાર છે, તેવું અનેક વર્ષો દરમિયાન થયેલા અનેક અભ્યાસમાં આ વાત બહાર આવી છે."
આંખ માટે ઈંડું
ઈંડાંમાં લ્યુટિન હોય છે. જે આંખના તેજને વધારવામાં મદદરૂપ થાય છે તથા આંખોની બીમારીથી દૂર રાખે છે.
અમેરિકાના બોસ્ટનમાં આવેલી ટુફ્ટ્સ યુનિવર્સિટીમાં ન્યુટ્રિશનલ સાયન્સનાં રિસર્ચ ઍસોસિએટ પ્રોફેસર એલિઝાબેથ જોન્સનના કહેવા પ્રમાણે : "આંખની રેટિનામાં બે પ્રકારના લ્યુટિન જોવા મળે છે. જે બ્લુ લાઇટ ફિલ્ટર તરીકે કામ કરીને આંખને થતું નુકસાન અટકાવે છે. કારણ કે આ પ્રકારની લાઇટથી આંખને નુકસાન થાય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો