You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકેશ અંબાણીએ UKમાં 592 કરોડનું નવું ઘર લીધું? 300 એકરમાં 49 રૂમ?
એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના યુકેમાં નવા ઘર અંગે અહેવાલો પ્રકાશિત થયા હતા.
જે બાદ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર યુકેમાં સ્થળાંતર કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
જે અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે મુકેશ અંબાણી અને તેમના પરિવારના યુકેમાં સ્થળાંતરના અહેવાલો પાયાવિહોણા છે.
જોકે યુકેમાં 300 એકર જમીન લીધી હોવાની વાત સાચી હોવાનું નિવેદનમાંથી જાણવા મળે છે.
આ આખા મામલાની શરૂઆત એ અહેવાલથી થઈ હતી, જેમાં દાવો કરાયો હતો કે મુકેશ અંબાણી પરિવાર સાથે યુકે સ્થળાંતર કરશે.
શું છે સમગ્ર મામલો?
4 નવેમ્બર 2021ના દિવસે મિડ-ડે અખબારની અંગ્રેજી આવૃત્તિએ આ સંદર્ભે અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
આ અહેવાલમાં સૂત્રોને ટાંકીને માહિતી આપવામાં આવી હતી અને અહેવાલ ઍક્સક્લુઝીવ હોવાનો દાવો પણ કરાયો હતો.
અહેવાલમાં લખ્યું છે કે મુકેશ અંબાણી મહામારી પછીનાં વર્ષો મુંબઈની સાથે-સાથે યુકેમાં પણ વિતાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવાલમાં પ્રમાણે અંબાણીએ ચાલુ વર્ષની શરૂઆતમાં યુકેમાં કન્ટ્રી-ક્લબ માટે 592 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને તેમણે 300 એકરની જગ્યા લીધી છે, જે સ્ટૉકપાર્ક તરીકે ઓળખાય છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જગ્યા અંબાણી પરિવારનું મુખ્ય રહેઠાણ હશે, આ ઘરમાં 49 ઓરડા છે.
અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે આ સંદર્ભે અખબારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રવક્તાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું.
અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અંબાણી પરિવાર યુકેના તેમના નવા ઘરે પહેલી દિવાળીની ઉજવણી કરી રહ્યો છે.
અખબાર બ્રિટિશ પ્રેસને ટાંકીને લખ્યું છે કે વર્ષ 1908 સુધી આ પ્રૉપર્ટીનો ઉપયોગ ખાનગી રહેઠાણ તરીકે કરાતો હતો, જે બાદ પ્રૉપર્ટીને કન્ટ્રી-ક્લબમાં ફેરવવામાં આવી હતી.
અંબાણીના 592 કરોડના ઘરની હકીકત શું છે?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા માટે શુક્રવારે સાંજે નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં અંબાણી પરિવાના સ્થળાંતરની વાતને નકારી કાઢવામાં આવી છે.
આ નિવેદનમાં લખ્યું છે કે, "રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્પષ્ટતા કરવા માગે છે કે ચૅરમૅન અને તેમના પરિવારનું યુકે કે બીજા કોઈ દેશમાં સ્થળાંતર કરવાનું કોઈ આયોજન નથી."
નિવેદનમાં લખ્યું છે કે 'કંપનીએ સ્ટૉકપાર્કની જગ્યા 57 મિલિયન પાઉન્ડમાં ખરીદી છે.'
રિલાયન્સનું કહેવું છે કે આ પ્રૉપર્ટીનો સોદોએ તેમની બિઝનેસ સ્ટ્રૅટેજીનો ભાગ છે અને રિલાયન્સ ત્યાં ગોલ્ફ અને સ્પૉર્ટિંગ-રિસોર્ટ વિકસાવવા માગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો