વિજય રૂપાણી બાદ કોણ બની શકે ગુજરાતના નવા મુખ્ય મંત્રી?

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ગાંધીનગરમાં રાજ્યપાલને મળ્યા બાદ વિજય રૂપાણીએ પત્રકારપરિષદને સંબોધી હતી અને રાજીનામાની વાત કરી હતી.

તેમણે કહ્યું કે "હું મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપું છું અને હવે પાર્ટી જે પણ જવાબદારી આપશે એ નિભાવીશ."

હવે કોણ બની શકે છે મુખ્ય મંત્રી?

ગુજરાતમાં નેતૃત્વપરિવર્તન અંગે પોતાનાં અવલોકન રજૂ કરતાં રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા જણાવે છે કે, "પાછલા ઘણા સમયથી ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં નેતૃત્વપરિવર્તનની વાત થઈ રહી હતી. પરંતુ ચૂંટણી પહેલાં આ સમાચાર આવવા એ થોડું આંચકાજનક તો છે."

કૌશિક મહેતા નવા મુખ્ય મંત્રીના નામ અંગે પોતાના અનુભવ અનુસાર અંદાજો લગાવતાં કહે છે કે, "ગુજરાતમાં આગામી મુખ્ય મંત્રી તરીકે મને એવું લાગે છે કે મનસુખભાઈ માંડવિયાને ઉતારી શકાય છે. તેમને કેન્દ્રમાં આરોગ્યવિભાગ આપવો એ એક સૂચક પગલું ગણી શકાય. તેમજ પાટીદારોને આકર્ષવા માટે આવું કરાય તેવી પ્રબળ સંભાવના છે."

જોકે તેઓ આગળ પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે નરેન્દ્રભાઈ આંચકા આપવા માટે જાણીતા છે. તેથી છેલ્લી ઘડીએ ચર્ચિત નામો સિવાય અન્ય કોઈ નામ આવે તો નવાઈ નહીં.

તેમજ બીજી તરફ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય નાયક જણાવે છે કે, "વિજય રૂપાણીએ મુખ્યત્વે પાટીદારોને ફરી ભાજપ તરફ આકર્ષવા માટે અને થોડા સમય પહેલાં ઊઠેલી પાટીદાર મુખ્ય મંત્રીની માગણી માટે પદનો ત્યાગ કરવો પડ્યો હોઈ શકે છે."

તેઓ રાજ્યના આગામી મુખ્ય મંત્રી બનવાની શક્યતા ધરાવતાં નામો વિશે વાત કરતાં કહે છે કે, "કદાચ પાટીદારોને ખુશ કરવા માટે આ વખત નીતિન પટેલને મુખ્ય મંત્રીપદ સોંપાઈ શકાય છે. તેઓ નીવડેલ રાજનીતિજ્ઞ હોવાની સાથોસાથ કુશળ વહીવટીક્ષમતા પણ ધરાવે છે."

વિજય રૂપાણીએ શું કહ્યું?

"હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે મારા જેવા એક પાર્ટીના કાર્યકરને ગુજરાતના મુખ્ય મંત્રીપદની મહત્ત્વની કામગીરી સોંપી. મુખ્ય મંત્રી દરમિયાન મારા કાર્યકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું."

"સંગઠન અને વિચારધારા આધારિત દળ હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીની એ પરંપરા છે કે સમયની સાથે કાર્યકરોની જવાબદારી પણ બદલાતી રહે છે."

તેમણે વધુમાં કહ્યું કે "મુખ્ય મંત્રી તરીકે રાજીનામું આપીને મેં પાર્ટીના સંગઠનમાં નવી ઊર્જા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે."

"અમારી સરકારે પ્રશાસનના ચાર આધારભૂત સિદ્ધાંતો- પારદર્શિતા, વિકાસશિલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકના આધારે લોકોની સેવા કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે."

"મારા રાજીનામાથી ગુજરાતમાં પાર્ટીના નવા નેતૃત્વને તક મળશે અને આપણે બધા સાથે મળીને વડા પ્રધાનના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસયાત્રાને નવી ઊર્જા, નવા ઉત્સાહ, નવા નેતૃત્વની સાથે આગળ લઈ જશું."

તો શું ચૂંટણી અગાઉ રાજીનામું આપવા અંગે સંગઠનનું દબાણ હતું એ સવાલ બાબતે એમણે પત્રકારપરિષદમાં કહ્યું કે, "મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. સંગઠન સામે કોઈ તકરાર નથી. સંગઠન સર્વોપરી છે."

તો ભાજપના વરિષ્ઠ નેતા પરસોતમ રૂપાલાએ સ્થાનિક મીડિયાને કહ્યું કે કાલ સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે.

ગુજરાતમાં 'આપ'નો પગપેસારો રાજીનામા માટે કારણભૂત?

અજય નાયક વિજય રૂપાણીના રાજીનામાને રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાવિરોધી લહેરને ખાળવા માટેની પૂર્વતૈયારી ગણાવે છે.

તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ના વર્ચસ્વમાં થઈ રહેલા વધારાને પણ રાજ્યમાં નેતૃત્વપરિવર્તન માટેનું એક કારણ ગણાવે છે.

તેઓ કહે છે કે, "રાજ્યના ઘણા પાટીદારો આપ તરફ આકર્ષણ અનુભવી રહ્યા છે. તેથી ભાજપે પોતાની મતબૅંકનું સ્થળાંતર ટાળવા માટે આ રણનીતિ અપનાવી હોઈ તેવું બની શકે."

કૌશિક મહેતા પણ આ વાત સાથે સંમત થાય છે અને જણાવે છે કે, "પાટીદાર ફૅક્ટર, કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારની નબળી કામગીરી અને ગુજરાતમાં આપનું વધતું વર્ચસ્વ આ રાજીનામા માટે કારણભૂત હોઈ શકે છે."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે જણાવ્યું કે આ આખી ઘટના ભાજપમાં પહેલા ક્યારેય ન દેખાઈ હોય તેવી ખેંચતાણની સાક્ષી પુરાવે છે.

તેમણે જણાવ્યું કે "ભાજપને હવે કોંગ્રેસ કે આપથી કોઈ ખતરો નથી, તેમને તેમના જ નેતાઓથી ખતરો છે, અને આ પ્રકારની ખેંચતાણનો અંત લાવવા જ આ પગલું ભાજપની હાઇકમાન્ડે લીધુ હશે."

તેઓ એ પણ કહે છે કે, "આખી ઘટના પાછળ પાટીદાર ફેક્ટર ખૂબ મોટું કામ કરી ગયું છે, કારણ કે હવે ભાજપને કોઈ પણ સંજોગે પાટીદારોને નારાજ નથી કરવા અને તે માટે આ પગલું લેવાયું હશે."

(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો